Opinion Magazine
Number of visits: 9446880
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

વિશ્વ ગુજરાતી ભાષા દિવસ નિમિત્તે

દીપક મહેતા|Opinion - Literature|25 August 2019

ગાંધીજીની માતૃભાષા વધુ સરળ બનશે, વધુ લોકો તેને વાપરતા થશે તો ગાંધીજીને આનંદ જ થશે

આજે [24 ઑગસ્ટ 2019] વિશ્વ ગુજરાતી ભાષા દિવસ.

એટલે કે દુનિયાના કુલ ૧૯૦ દેશોમાંથી ૧૨૯ દેશોમાં વસતા લોકોની ભાષાનો દિવસ. આપણા દેશની બીજી કોઈ ભાષા બોલનાર લોકો આટલી મોટી સંખ્યામાં, આટલા બધા દેશોમાં વસતા નથી. અને છતાં છેલ્લાં કેટલાંક વર્ષોથી આપણે ત્યાં વારંવાર બૂમો સંભાળવા મળે છે કે ‘ગુજરાતી ભાષા મરવા પડી છે.’ પણ ૧૨૯ દેશોમાં બોલાતી ગુજરાતી ભાષા મરવા કઈ રીતે પડી હોય? લગભગ છ કરોડ લોકોની માતૃભાષા હોય તે ભાષા મરવા કઈ રીતે પડી હોય? ખાનપાન, પહેરવેશ, રીતરિવાજ, ધર્મભાવના વગેરેમાં પરદેશમાં પણ પોતાપણું જાળવી રાખવા માટે આગ્રહી હોય એવી પ્રજાની ભાષા મરવા કઈ રીતે પડી હોય? ના. ગુજરાતી ભાષા મરવા પડી નથી. મરવા પડી શકે તેમ નથી.

પણ એનો અર્થ એવો નથી કે ગુજરાતી ભાષાની સ્થિતિ રાતી રાયણ જેવી છે. હા, જેનો ઈલાજ કરવો પડે એવી માંદગી તો છે. રોજેરોજના વ્યવહારમાંથી બોલાતી ગુજરાતી ભાષાની બાદબાકી થઇ નથી, થવાની નથી. પણ જે માંદગી છે તે લખાતી, છપાતી અને વંચાતી ગુજરાતી ભાષાની છે. આજે આપણી પ્રજાનો એક ઘણો મોટો વર્ગ એવો છે જે ગુજરાતી બોલે અને સમજે છે ખરો, પણ લખવા-વાંચવામાં તેનો ઉપયોગ ઓછોમાં ઓછો કરે છે. અને આ પરિસ્થિતિ માટે માત્ર અંગ્રેજી માધ્યમના શિક્ષણને માથે દોષનો ટોપલો ઓઢાડી દેવાથી કામ નહિ સરે. હા. અંગ્રેજી માધ્યમમાં ભણતા ગુજરાતીઓની સંખ્યા વધતી જાય છે, પણ તે મુંબઈમાં અને ગુજરાતનાં થોડાં મોટાં શહેરોમાં. તે સિવાયનાં સંખ્યાબંધ ગામોમાં, ગામડાંઓમાં તો હજી ગુજરાતી માધ્યમ જ મુખ્ય અને મહત્ત્વનું છે. અને શહેરોમાં કે બીજે જે વાલીઓ પોતાનાં સંતાનોને અંગ્રેજી માધ્યમમાં ભણવા મોકલતાં હોય તેમને પણ ગાળો દેવાથી કશો અર્થ સરવાનો નથી. કારણ ગુજરાતી પ્રજા વેપારી પ્રજા છે, વ્યવહારુ પ્રજા છે. એટલે જેમાં લાભ થશે એમ લાગતું હોય તે કામ પહેલું કરશે. અંગ્રેજી માધ્યમમાં ભણવાથી નોકરી-ધંધામાં ખરેખર લાભ થાય છે કે નહિ એ ચર્ચાનો વિષય હોઈ શકે. પણ અંગ્રેજીમાં જેને ‘પરસેપ્શન’ કહે છે તે તો એવું છે કે લાભ થાય છે. અને જ્યાં લાભ દેખાય ત્યાં ગુજરાતી ન જાય એવું બને નહિ. સિગરેટ કે દારુ હાનીકારક હોવા છતાં તેને વિશેના એક યા બીજા પરસેપ્શનને કારણે લોકો તેનું સેવન કરે છે. તેવી જ રીતે અંગ્રેજી માધ્યમનું પણ સેવન કરે છે. એટલે ઘણી મોટી સંખ્યાના લોકો આજે લખાતી-વંચાતી ગુજરાતી ભાષાથી દૂર થતા જાય છે.

જે લોકો દૂર ગયા છે તેમને પાછા નજીક લાવવા માટે શું કશું જ થઇ શકે તેમ નથી? આપણામાં કહેવત છે કે મન હોય તો માળવે જવાય. પણ આ માટે પહેલ કરવી પડે ગુજરાતી ભાષા લખનાર અને છાપનાર લોકોએ. સંસ્કૃતની એક ઉક્તિ કહે છે કે જેવો ભાષક તેવી ભાષા, જેવો બોલનાર તેવી બોલી. એટલે પહેલી વાત તો એ કે લખાતી-છપાતી ગુજરાતી ભાષા તેના બોલનારને પોતીકી લાગે એવી હોવી જોઈએ. એટલે કે બોલાતી ભાષા અને લખાતી ભાષા વચ્ચે બહુ મોટું અંતર હોવું ન જોઈએ. એક દાખલો: રોજિંદી બોલચાલમાં આપણે છાપું શબ્દ જ વાપરીએ છીએ, વર્તમાનપત્ર કે અખબાર શબ્દ નહિ. કોઈ પણ ગુજરાતી ઘરમાં ‘આજે છાપાં મોડાં આવ્યા’ એમ જ બોલશે. વર્તમાનપત્ર કે અખબાર મોડું આવ્યું એમ નહિ બોલે. પણ આપણા ઘણા ભણેશરીઓ લખતી વખતે સંસ્કૃત શબ્દો વાપરવાનો આગ્રહ હજી રાખે છે. રોજિંદા વ્યવહારમાં પણ વપરાતા અંગ્રેજી શબ્દોની આભડછેટ પાળે છે. આજની તારીખે પણ આપણા એક પ્રતિષ્ઠિત લેખક ‘સીડી રોમ’ને બદલે બોલવા-લખવામાં ‘ઘનાંકિતા’ જેવો કૃત્રિમ, ઉપજાવી કાઢેલો સંસ્કૃત શબ્દ વાપરવાનો આગ્રહ રાખે છે. પણ અંગ્રેજી કે બીજી કોઈ પણ ભાષાના જે શબ્દો આપણા લોકોએ તેમના રોજિંદા વ્યવહારમાં અપનાવ્યા છે તેનાથી લખાતી ભાષા કેટલો વખત દૂર રહી શકશે? અંગ્રેજી ભાષા દિવસે દિવસે વધુ સમૃદ્ધ, વધુ પ્રચલિત થતી જાય છે એનું એક કારણ એ છે કે દર વર્ષે જુદી જુદી અનેક ભાષાના શબ્દોને તે અપનાવતી રહે છે. ઓક્સફર્ડ અને વેબસ્ટર જેવી પ્રતિષ્ઠિત ડિક્ષનરીઓ આવા શબ્દોની યાદીઓ બહાર પાડે છે. અને તેમાં ગુજરાતી સહિતની ભારતની ભાષાઓના શબ્દો પણ હોય છે જ. આજે હવે કિન્ગ્ઝ કે ક્વીન્સ ઇંગ્લિશનો આગ્રહ ભાગ્યે જ કોઈ રાખે છે. ઓક્સફર્ડ ડિક્ષનરી ઉથલાવતાં આજે તેમાં દાદાગીરી, બાપુ, સૂર્ય નમસ્કાર, ગુલાબ જાંબુ, ચમચા, નાટક, ચૂપ, જેવા ભારતીય ભાષાઓના અનેક શબ્દો જોવા મળશે. પણ આપણા કેટલાક કહેવાતા ભાષાભક્તો અંગ્રેજી કે બીજી કોઈ પણ ભાષાથી દૂર રહેવાનું જ પસંદ કરે છે. (અલબત્ત, તેમનાં પોતાનાં સંતાનો ઇંગ્લન્ડ-અમેરિકામાં ભણતાં હોય છે.) પણ જો લખાતી-છપાતી ગુજરાતી ભાષાને લોકો સુધી લઇ જવી હોય તો આવું બાપના કૂવામાં ડૂબી મરવાનું વલણ બદલવું પડશે.

ગુજરાતી ભાષામાં લેખન કરવાથી આજે ઘણા ડોકટર, વકીલ, વૈજ્ઞાનિક, અને અન્ય વ્યવસાયના લોકો દૂર રહે છે તેનું એક કારણ છે તેની ખૂબ જ ગૂંચવણભરી જોડણીની વ્યવસ્થા. ગુજરાતી ભાષાનો પ્રમાણભૂત જોડણીકોશ મનાય છે એ ‘સાર્થ ગુજરાતી જોડણીકોશ’માં જોડણીને લગતા કુલ ૩૩ નિયમ આપ્યા છે! અને લગભગ દરેક નિયમમાં પાછા અપવાદ નોંધ્યા છે! હવે તમે જ કહો, આ ૩૩ નિયમ અને તેના અપવાદ કેટલાને યાદ રહે? એ યાદ રાખીને કેટલા લોકો લખી શકે? એટલે આ અંગે નવેસરથી વિચાર કરવાની જરૂર છે. જેમ કે ૩૩ નિયમમાંનો પહેલો જ નિયમ કહે છે: ‘સંસ્કૃત તત્સમ શબ્દોની જોડણી મૂળ પ્રમાણે કરવી.’ આનો સીધો સાદો અર્થ એ થયો કે તમે ગુજરાતીમાં લખો તે પહેલાં તમને સંસ્કૃત ભાષા અને તેનું વ્યાકરણ આવડતાં હોવાં જોઈએ! પણ આજે કેટલા ગુજરાતીઓ એ જાણે છે? આપણે જેને ‘જોડણી’ કહીએ છીએ તેને મરાઠીમાં ‘શુદ્ધ લેખન’ કહે છે. મરાઠી શુદ્ધ લેખનના નિયમોમાં આ અંગે ઘણી સરળતા જોવા મળે છે. ઘણાખરા સંસ્કૃત શબ્દોને પણ મરાઠી ‘શુદ્ધ લેખન’ના નિયમો લાગુ પડે છે. જેમ કે મરાઠીમાં ‘કવી’, ‘રવી’ એમ જ લખાય છે, ‘કવિ’, ‘રવિ’ નહિ. કારણ મરાઠી શુદ્ધ લેખનનો એક નિયમ છે કે શબ્દને અંતે આવતો ઈકાર હ્રસ્વ નહિ પણ દીર્ઘ જ લખવો. અને કવિ કે રવિમાં દીર્ઘ ઈ લખાય છે તેથી મરાઠી કવિઓ નથી મરવા પડ્યા કે નથી રવિ (સૂરજ) મરાઠીભાષીઓ પર રોષે ભરાતો. ગુજરાતીમાં પણ આપણે અંગ્રેજી કે બીજી ભાષાના શબ્દો લખતી વખતે આપણી રીતે જ તે શબ્દો લખીએ છીએ. જેમ કે કોઈ અંગ્રેજ બચ્ચો ‘ટિકિટ’ કે ‘પ્લમ્બર’ બોલતો નથી. તેનો અંગ્રેજી ઉચ્ચાર ‘ટિકેટ’ અને ‘પ્લમર’ થાય છે. પણ આપણે આ શબ્દો એ રીતે લખતા નથી. ગુજરાતીમાં જે રીતે બોલાય છે તે રીતે જ લખીએ છીએ. તો પછી સંસ્કૃત શબ્દોની જોડણી સંસ્કૃત વ્યાકરણ પ્રમાણે કરવી એવો દુરાગ્રહ શા માટે? દરેક ગુજરાતીને સંસ્કૃત તો આવડવું જ જોઈએ એમ આપણે માનીએ છીએ? દાદી પાસેથી વારસામાં મળેલાં સોનાનાં ઘરેણાં આપણે વેચી ન નાખીએ, પણ આપણી જરૂરિયાત પ્રમાણે, જમાનાની માગ પ્રમાણે, એનાં ઘાટઘૂટ તો બદલી જ શકીએ ને?

પણ ના. કારણ? ૧૯૨૯માં ‘સાર્થ ગુજરાતી જોડણીકોશ’ની પહેલી આવૃત્તિ પ્રગટ થઇ ત્યારથી આજ સુધી તેને પહેલે પાને ગાંધીજીનું એક વાક્ય છપાતું આવ્યું છે: “હવે પછી કોઈને સ્વેચ્છાએ જોડણી કરવાનો અધિકાર નથી.” કમનસીબે આ વાક્યનો અર્થ આપણે એવો કર્યો છે કે આ કોશમાં જે નિયમો છાપ્યા છે, જે જોડણી આપી છે તે જ સૂર્યચંદ્ર રહે ત્યાં સુધી જેમનાં તેમ રાખવાનાં છે. તેમાં કશો ફેરફાર, સુધારો, વધારો, ઘટાડો કરાય નહિ. પણ હકીકતમાં અહીં ગાંધીજી અરાજકતાનો વિરોધ કરે છે, સ્વેચ્છાચારનો વિરોધ કરે છે, દરેક જણ મનમાની રીતે લખે તેનો વિરોધ કરે છે. ભાષામાં સહજ અને સ્વાભાવિક રીતે આવતા પરિવર્તનનો વિરોધ કરતા નથી. ગાંધીજી જેવો ડાયનેમિક માણસ કદી પરિવર્તનનો વિરોધ કરે ખરો? બીજો કોઈ ઉપાય નથી એવી ખાતરી થતાં જેણે દેશના ભાગલા પણ સ્વીકાર્યા, એ માણસ ભાષા અને જોડણીમાં ક્યારે ય કશું બદલી શકાય જ નહિ એવું કહે? ના. ગાંધીજીની માતૃભાષા ગુજરાતી વધુ સરળ બનશે, વધુ લોકો તેને લખતાં, વાંચતાં, બોલતાં, સમજતાં થશે તો ગાંધીજીને તો આનંદ જ થશે. ગાંધીજીને આનંદ થાય એવું આપણે કરીશું? ક્યારે? એવું કરવાનો નિર્ધાર કરવા માટે વિશ્વ ગુજરાતી ભાષા દિવસ કરતાં વધુ રૂડો દિવસ બીજો કયો હોઈ શકે?

xxx xxx xxx

e.mail : deepakbmehta@gmail.com

Loading

25 August 2019 admin
← કિસાનોના હમદર્દ, ક્રાંતિદૂત : મહાત્મા જોતીરાવ ફૂલે
ચલ મન મુંબઈ નગરી — 7 →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved