Opinion Magazine
Number of visits: 9451952
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

રાષ્ટ્રીય શિક્ષણનીતિ અને વંચિતવર્ગો

ચંદુ મહેરિયા|Opinion - Opinion|31 July 2019

આજે રાષ્ટ્રીય શિક્ષણનીતિ ૨૦૧૯ના મુસદ્દા અંગેનો જાહેર વિમર્શ સમાપ્ત થશે. હવે તે પ્રધાનમંડળ સમક્ષ ચર્ચા અને મંજૂરી માટે રજૂ કરાશે.

૨૦૧૯ના રાષ્ટ્રીય શિક્ષણ નીતિના મુસદ્દામાં વંચિત વર્ગોના શિક્ષણ વિશે સવિશેષ ચિંતા સેવવામાં આવી છે. શિક્ષણનીતિના મુસદ્દાના પ્રકરણ-૬, ‘સમતામૂલક અને સમાવેશી શિક્ષણ’માં જેમનું શિક્ષણ મેળવવામાં અલ્પ પ્રતિનિધિત્વ છે, તેવા વર્ગોની વાત કરવામાં આવી છે. કસ્તૂરીનંદન સમિતિએ અલ્પ પ્રતિનિધિત્વ કે શિક્ષણ વંચિતતા ધરાવતા વર્ગોમાં સ્ત્રીઓ, દલિતો, સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગો, આદિવાસીઓ, લઘુમતીઓ, શહેરી ગરીબો, ટ્રાન્સજેન્ડર અને વિશેષ દેખભાળની જરૂર છે તેમના શિક્ષણની સ્થિતિ, કારણો અને ઉપાયો ચર્ચી ભલામણો કરી છે.

‘સમતામૂલક અને સમાવેશી શિક્ષણ વ્યવસ્થા સ્થાપિત કરવી જેનાથી તમામ બાળકોને જીવનમાં સફ્ળ થવાનો અને શિક્ષણ મેળવવાનો સમાન અવસર મળે તેવા ઉદ્દેશ સાથે ૨૦૩૦ સુધીમાં તમામ લૈંગિક અને સામાજિક વર્ગોની શિક્ષણમાં ભાગીદારી અને સફ્ળતાના સ્તર પર સમાનતા નિશ્ચિત કરવાનું લક્ષ્ય પણ નિર્ધારિત કરવામાં આવ્યું છે. ગુણવત્તાસભર શિક્ષણ જેમની પહોંચની બહાર છે તેવા વર્ગોને શિક્ષણના દાયરામાં લાવવાનો પંચનો ઉદ્દેશ અને લક્ષ્ય સરાહનીય છે. આ વર્ગોનાં બાળકોની પહોંચની બહાર શિક્ષણ શા માટે છે તેનાં કારણો પણ સ્પષ્ટ કરવામાં આવ્યાં છે. ગરીબી, કુપોષણ, શાળામાં પાણી અને શૌચાલય જેવી સુવિધાઓનો અભાવ, સામાજિક રીતરિવાજો, શાળાઓમાં જાતિગત ભેદભાવને પોષતી બેઠકવ્યવસ્થા, કથિત નીચલી જ્ઞાતિનાં બાળકો પાસે સફઈ અને રસોઈની કામગીરી કરાવવી અને પાઠયપુસ્તકો તથા પાઠ્યચર્યામાં વંચિતોની ઉપેક્ષા જેવાં કારણો આ વર્ગોને શિક્ષણથી દૂર રાખે છે. તેને કારણે પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કરી માધ્યમિક શાળામાં પ્રવેશ ન મેળવતાં દલિત બાળકો કરતાં આદિવાસી બાળકોનું અને તેના કરતાં મુસ્લિમ બાળકોનું પ્રમાણ વધારે હોવાનું પંચનું તારણ છે. માધ્યમિક કક્ષાએ પહોંચતા પહોંચતાં જ મુસ્લિમોનું શાળાબહાર ધકેલાવાનું પ્રમાણ બહુ મોટું છે.

શિક્ષણમાં અલ્પ પ્રતિનિધિત્વ ધરાવતા વર્ગોની ભાળ મેળવી તેમના અલ્પ શિક્ષણ પ્રતિનિધિત્વનાં કારણો, તેમના શિક્ષણની સ્થિતિનું નિદાન અને ઉપચાર રાષ્ટ્રીય શિક્ષણનીતિના મુસદ્દામાં જણાવવામાં આવ્યા છે. અલ્પ શિક્ષણ પ્રતિનિધિત્વ ધરાવતા વર્ગોનાં બાળકોના શિક્ષણ માટે સ્કોલરશિપ, તેમનાં માબાપના ખાતામાં કેશ ટ્રાન્સફર અને બાળાઓને શાળાએ જવા-આવવા સાઇકલ આપવાની ભલામણ છે. પાઠ્યપુસ્તકોને આ વર્ગોને અનુરૂપ બનાવવા, શાળાઓમાં પાયાની સગવડો ઊભી કરવી, દલિત આદિવાસી સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓને તેમના ગૃહક્ષેત્રમાં શિક્ષક તરીકે નોકરીની ઓફર કરવી, મદરેસા અને ધાર્મિક શિક્ષણ આપતી શાળાઓનું સશક્તિકરણ કરી તેનું આધુનિકીકરણ કરવું જેવી પંચની ભલામણો છે. સમગ્ર અહેવાલમાં પંચે જુદા જુદા કોષ અને કમિશનની રચનાઓ કરવાનું સૂચવ્યું છે તેમ અહીં પણ છે. વંચિત વર્ગો(દા.ત. આદિવાસીઓ)ના વસતી બાહુલ્યવાળા વિસ્તારોમાં સ્પેશિયલ એજ્યુકેશન ઝોનની રચના કરવાની, કન્યાઓના શિક્ષણ માટે જેન્ડર ઈન્કલુઝન ફંડ અને જરૂરિયાતમંદ બાળકોને શિષ્યવૃત્તિ માટે વિશેષ રાષ્ટ્રીય કોષની રચના કરવાની ભલામણ કરી છે.

‘રિપોર્ટ ઓફ ધ એજ્યુકેશન કમિશન’(૧૯૬૪-૬૬)ના વંચિત વર્ગોના શિક્ષણસંબંધી પ્રકરણ ‘ટોવર્ડઝ ઈક્વિલાઈઝેશન ઓફ એજ્યુકેશનલ અપોર્ચ્યુનિટી’, શિક્ષણ અંગે રાષ્ટ્રીય નીતિ-૧૯૮૬ના પ્રકરણ ‘સમાનતા માટે શિક્ષણ’ અને હાલના શિક્ષણનીતિના મુસદ્દાનાં પ્રકરણ ‘સમતામૂલક અને સમાવેશી શિક્ષણ’માં ઝાઝો ફેર નથી. પચાસ વરસોમાં આપણે વંચિત વર્ગોની શિક્ષણમાં ભાગીદારી વધે તેના ઉચિત ઉપાયો કરી શક્યા નથી. શિક્ષણ અંગેના ડી.એસ. કોઠારી કમિશને કોમન સ્કૂલ સિસ્ટમની ભલામણ કરી હતી, પરંતુ તે કાગળ પર જ રહી ગઈ છે. તે દિશામાં તસુભાર પણ કામ થયું નથી. જાણીતા શિક્ષણવિદ્ અનિલ સદ્દગોપાલ, ૧૯૯૧થી ૨૦૦૮માં રાજ્ય સર્મિથત મૂડીવાદના નવા ઉદારવાદી શિક્ષણ તબક્કામાં શિક્ષણનું ખાનગીકરણ જ નહીં બજારીકરણ થઈ ગયું હોવાનું નોંધે છે. તે સ્થિતિમાં અમીરગરીબની ખાઈ વધુ પહોળી કરતા ખાનગી શિક્ષણ અંગે ૨૦૧૯ની નવી શિક્ષણનીતિમાં કોઈ ઠોસ બાબતો જણાવી નથી. ૨૦૧૯ના શિક્ષણનીતિના મુસદ્દામાં મફ્ત અને ફરજિયાત શિક્ષણના હાલનાં ૬થી ૧૪ વરસનાં બાળકો સુધીના વ્યાપને વિસ્તારીને ૩થી ૧૮ વરસ કરવાની ભલામણ છે. મધ્યાહન ભોજન ઉપરાંત માધ્યમિક શાળાઓમાં સવારનો નાસ્તો આપવાની ભલામણ છે, પરંતુ શાળાઓમાં પૂરતા શિક્ષક સાથેની સાધનસજ્જ શાળાઓના મુદ્દે નક્કર ભલામણ નથી. છોકરીઓને સાઈકલ, સ્કોલરશિપ કે વાલીને કેશ ટ્રાન્સફર જેવા ઘસાઈ ગયેલા ઉપચારો કારગત નીવડયા નથી ત્યારે તેથી આગળ વિચારવાની જરૂર છે. રાજ્યમાં અને દેશમાં સરકારી શાળાઓ, સરકારી અનુદાન પર નભતી શાળાઓ, ખાનગી સ્વનિર્ભર શાળાઓ અને લઘુમતી શાળાઓ જેવી ભિન્ન ભિન્ન શાળાઓ બંધ કરી એક જ પ્રકારની શાળાઓ સ્થાપવાની દિશામાં વિચારવું તે કોમન સ્કૂલ અને નેબરહૂડ સ્કૂલની સ્થાપનાની દિશામાં પ્રથમ કદમ હોઈ શકે..

વંચિતોનું શિક્ષણમાં અલ્પ પ્રમાણ તેમની ગરીબી અને સામાજિક ભેદભાવના કારણે છે. તેનો કોઈ ઉપાય હાલના શિક્ષણનીતિના મુસદ્દામાં નથી. આ બાબતે ભૂતકાળનાં એજ્યુકેશન કમિશનોની જે ભલામણો ૧૯૬૮ અને ૧૯૮૬ની શિક્ષણનીતિમાં સમાવી હતી તેનો અમલ થયો નથી. ગાંધીજી શિક્ષણને અંતરાત્માના વિકાસ અને સામાજિક પુનઃરચનાનું સાધન માનતા હતા. ડો. આંબેડકર તેને જ્ઞાન અને સામાજિક ભેદભાવમાંથી મુક્તિનો માર્ગ માનતા હતા. ડો. રામમનોહર લોહિયાએ “રાણી હો યા મહારાણી સબ કે બચ્ચોં કો એક હિ શિક્ષા”નો નારો આપ્યો હતો. ૨૦૧૫માં અલાહાબાદ હાઈકોર્ટે સરકારી ખજાનામાંથી પગાર મેળવતા સૌ કોઈનાં બાળકોને સરકારી શાળાઓમાં જ ભણાવવાનો ચુકાદો આપ્યો હતો. ભેદભાવરહિત સમાન શિક્ષણ વિના વંચિતોના શિક્ષણ માટેના ઉપાયો માત્ર કામચલાઉ પાટાપિંડી જ છે. શિક્ષણ સુધી પહોંચવાના ધ્યેયની પૂર્તિ માટે ગુણવત્તાહીન શિક્ષણ માથે માર્યે રાખીને સમતામૂલક અને સમાવેશી શિક્ષણ આપી શકાશે નહીં. શાળા બહાર ધકેલાતા અને શાળા સુધી નહીં પહોંચતાં બાળકો કરોડોની સંખ્યામાં હોય, દેશની એકાદ લાખ શાળાઓ એકલ શિક્ષક પર નભતી હોય ત્યારે સ્પેશિયલ એજ્યુકેશન ઝોન ઠાલું વચન બની રહેશે. ૧૯૬૮ની શિક્ષણનીતિથી કુલ બજેટના ૬% શિક્ષણ માટે ફળવવાની વાતો થાય છે પણ આજે ય અમલ થતો નથી. ૨૦૧૯ની શિક્ષણનીતિ માનવ સંસાધન વિકાસ મંત્રાલયને શિક્ષણ મંત્રાલયનું નામકરણ આપવા પૂરતી યાદ ન રહી જાય અને તે સમાન શિક્ષણની અઘરી પણ અશક્ય નહીં તેવી મંઝિલ શક્ય બનાવે અને સમાજના એક બહોળા વર્ગનું શિક્ષણ વંચિતતાનું ઉખાણું છોડાવે તે જોવાની જવાબદારી સરકાર, શિક્ષણવિદો અને નાગરિક સમાજની છે.

e.mail : maheriyachandu@gmail.com

સૌજન્ય : ‘ચોતરફ’ નામક લેખકની સાપ્તાહિક કટાર, “સંદેશ”, 31 જુલાઈ 2019

Loading

31 July 2019 admin
← માહિતી અધિકાર, ઈસ હમામ મેં …
સામ્યવાદી આંદોલને મોટા ગજાનાં વિચારકો ને નિ:સ્વાર્થ અકિંચન નેતા આપ્યા છે →

Search by

Opinion

  • મસાણ અને મોક્ષની મોકાણમાં જીવતા વારાણસીના દલિત ડોમ
  • એકલતાની કમાણી
  • સમાજવાદની 90 વર્ષની સફર: વર્ગથી વર્ણ સુધી
  • શ્રીધરાણી(16 સપ્ટેમ્બર 1911 થી 23 જુલાઈ 1960)ની  શબ્દસૃષ્ટિ
  • एक और जगदीप ! 

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved