દહેરાદૂન જેલમાં મારી નાની કોટડી અથવા ઓરડીમાં હું સાડા ચૌદ મહિના રહ્યો. મને એમ લાગવા માંડ્યું કે એ ઓરડીનું હું એક અંગ બની ગયો છું. તેના ખૂણેખૂણાથી હું પરિચિત થઈ ગયો હતો. તેની ચૂનાથી ધોળેલી દીવાલો પરના, તેની ખડબચડી ભોંય પરના, તથા જીવડાંએ ખાધેલી વળીઓવાળા છાપરાના એકેએક ડાઘ અને ખાડાને હું ઓળખતો થઈ ગયો હતો. બહાર નાના વાડામાં ઘાસનાં નાનાં જડિયાંને તથા અહીંતહીં પડેલા નાના નાના પથરાને હું જૂના મિત્રો તરીકે સત્કારતો થયો હતો. મારી કોટડીમાં હું એકલો નહોતો. મોટા ભમરા અને નાની ભમરીઓની ત્યાં ઘણી વસાહતો હતી, અને વળીઓની પાછળ ઘણી ગરોળીઓએ ઘર કર્યાં હતાં, તેમાંથી તે સાંજે શિકારની શોધમાં બહાર ફરવા નીકળી પડતી. જો વિચારો અને લાગણીઓ આસપાસના સ્થૂળ પદાર્થો ઉપર પોતાના સંસ્કાર રાખી જતાં હોય તો તો એ કોટડીની આખી હવા તેથી ખીચોખીચ ભરાઈ ગઈ હતી, અને એ સાંકડી જગ્યાના એકેએક પદાર્થને એ સંસ્કારો વળગી રહ્યા હતા.
કોટડીઓ તો બીજી જેલોમાં મને વધારે સારી મળેલી, પરંતુ દહેરાદૂનમાં મને એક ખાસ લાભ હતો અને તે મારે મન બહુ મૂલ્યવાન હતો. ત્યાંની જેલ મૂળે બહુ નાની હતી, તેમાં ય વળી અમને તો જેલના જ કમ્પાઉન્ડમાં પણ જેલની દીવાલોની બહાર જૂની હવાલાતમાં રાખ્યા હતા. એ હવાલાત એટલી સાંકડી હતી કે ત્યાં હરવા-ફરવાની જગ્યા જ નહોતી. તેથી સવારસાંજ અમને બહાર કાઢવામાં આવતા. જેલના દરવાજા આગળ સો વાર જેટલી જગ્યામાં આંટા મારવાની અમને રજા મળી હતી. અમારે રહેવું પડતું તો એ જેલના કમ્પાઉન્ડમાં જ, પરંતુ તે જેલની મુખ્ય દીવાલોની બહાર હોઈ પહાડો અને ખેતરો તથા થોડે છેટે આવેલી એક મોટી સડક અમને જોવાને મળતાં. આ કાંઈ મને ખાસ આપેલી છૂટ નહોતી; દહેરાદૂનની જેલમાં રાખેલા બધા ‘એ’ અને ‘બી’ વર્ગના કેદીઓને આ છૂટ હતી. કમ્પાઉન્ડની અંદર જ પરંતુ જેલની દીવાલોની બહાર એક બીજું મકાન હતું. તેને ‘યુરોપિયન લૉકઅપ’ કહેતા. તેની આસપાસ વંડી કે એવું કાંઈ નહોતું એટલે કોટડીમાં રહ્યે રહ્યે પણ કેદી પહાડો તથા બહારનું જીવન બહુ સુંદર રીતે જોઈ શકતો. અહીં રાખવામાં આવતા યુરોપિયન કેદીઓ તથા બીજાઓને પણ જેલના દરવાજા આગળ સવારસાંજ આંટા મારવાની રજા હતી.
ઊંચી દીવાલોની પાછળ બહુ લાંબા વખત સુધી જે કેદી પુરાઈ રહ્યો હોય તેને જ આ બહાર આંટા મારવાનું તથા ખુલ્લા દેખાવોનું અસાધારણ માનસિક મૂલ્ય સમજાય. મને આમ બહાર ફરવાનું બહુ જ ગમતું, અને ચોમાસામાં દિવસો સુધી ધોધમાર વરસાદ પડતો હોય અને ઘૂંટણપૂર પાણીમાં ફરવાનું હોય ત્યારે પણ હું બહાર ફરવાનું જતું કરતો નહીં. કોઈ પણ જગ્યાએ હોઉં ત્યાં બહાર નીકળવાનું મને ગમે જ, પણ અહીં તો ઉત્તુંગ હિમાલયનાં દર્શન એ એક વધારાનો આનંદ હતો અને તેને લીધે મારો જેલજીવનનો કંટાળો ઘણો ઓછો થતો. લાંબા વખત સુધી મેં મુલાકાત ન લીધી અને લાંબા વખત સુધી મારે તદ્દન એકલા રહેવાનું થયું ત્યારે આ જ એક મારું સદ્ભાગ્ય હતું કે આ મારા માનીતા ગિરિરાજને હું નિહાળી શકતો. મારી કોટડીમાંથી હું એ પર્વતોને જોઈ શકતો નહીં. પરંતુ મારું મન તેમનાથી ભરેલું રહેતું, અને તેમના સાંનિધ્યનું મને હંમેશાં ભાન રહેતું અને જાણે અમારી વચ્ચે ગૂઢ મૈત્રી વધતી જતી.
પંખી ટોળું ઊડી ગયું ઊંચે દૂર આકાશમાં રે;
ને ઊડી ગઈ રડીખડી હતી વાદળી એકલી જે;
સાથી મારો ગિરિ થઈ રહ્યો એક ઉત્તુંગ દૂર,
હું થાકું ના ગિરિથી કદીયે, કે ગિરિ હું થકી ના.
મને ભય છે કે, ચીનના આ પ્રાચીન કવિ લી તાઈ પોની માફક હું ન કહી શકું કે હું પર્વતથી કદી થાકતો નહોતો, પરંતુ એવો કંટાળો ક્વચિત જ આવતો. એકંદરે તો તેના સાંનિધ્યથી મને વિરલ એવો આરામ જ મળતો. તેની ઘનતા અને તેની અક્ષુબ્ધતા લાખો વર્ષોના જ્ઞાનવાળી દૃષ્ટિથી નીચે ઊભેલા મને જોતી અને મારી પલટાતી જતી મનોવૃત્તિઓનો ઉપહાસ કરતી તથા મારા તપ્ત ચિત્તને શાંતિ આપતી.
દહેરાદૂનમાં વસંત બહુ આહ્લાદક હોય છે, અને મેદાનો કરતાં બહુ લાંબો વખત તે રહે છે. પાનખરે લગભગ બધાં જ ઝાડનાં પાંદડાં ખેરવી નાંખ્યાં હતાં, અને તે બધાં ખુલ્લાં અને નગ્ન દેખાતાં હતાં. જેલના દરવાજા સામે ઊભેલાં ચાર ભવ્ય પીપળાનાં ઝાડ પણ લગભગ પોતાનાં બધાં જ પાંદડાં ગુમાવી બેઠાં તે જોઈ મને બહુ અજાયબી થઈ. બિચારા પીપળા ચીમળાઈ ગયેલા અને ગમગીન દીસતા હતા, પણ વસંત આવતાં હવાએ તેમનામાં ઉત્સાહ પ્રેર્યો અને તેમના અન્તરતમ કોષને જીવનનો સંદેશ આપ્યો. પીપળામાં તેમ જ બીજાં ઝાડમાં એકાએક પ્રાણનો સંચાર થયો, અને પડદાની પાછળ છૂપી ક્રિયાઓ ચાલી રહી હોય તેમ તેમની આસપાસ કાંઈક ગૂઢતાનું વાતાવરણ છવાયું. દરેક ઝાડ ઉપર લીલી નાની નાની કૂંપળોને ફૂટતી જતી જોઈ હું ચકિત થઈ ગયો. એ બહુ હર્ષપ્રદ અને પ્રસન્ન દૃશ્ય હતું. જોતજોતામાં તો લાખો નવાં પાંદડાં આવી ગયાં અને સૂર્યના પ્રકાશમાં તે ચળકવા લાગ્યાં. અને હવાની લહેરી આવતાં તેમાં ખેલવા લાગ્યાં. કૂંપળમાંથી પાંદડાંમાં એકાએક થતું રૂપાન્તર કેવું અજબ છે! પહેલાં કદી મારા ધ્યાન પર નહીં આવેલું કે આંબાનાં તાજાં પાંદડાં લાલાશપડતા તપખીરિયા રંગનાં હોય છે — કાશ્મીરની ટેકરીઓમાં શરદઋતુમાં જે રંગ દેખાય છે તેવાં, પરંતુ તેમનો રંગ જલદી બદલાઈને લીલો થઈ જાય છે.
ચોમાસાનો વરસાદ તો હંમેશાં આવકાર લાયક લાગતો. કારણ, ઉનાળાની ગરમી તે આવતાંવેંત ખતમ થાય છે. પણ સારી વસ્તુ પણ વધારે પડતી હોય તો અકારી થાય છે તેમ દહેરાદૂનમાં થતું. ત્યાં તો મેઘરાજા ધરાઈ ધરાઈને પડે છે. ચોમાસું શરૂ થાય ને પાંચછ અઠવાડિયાંમાં તો ૫૦થી ૬૦ ઇંચ જેટલો વરસાદ પડી જાય. છાપરામાંથી પાણી ચૂતું હોય અથવા બારીમાંથી વાછંટ આવતી હોય તે નિવારવા ફાંફાં મારતાં એક સાંકડી જગ્યામાં ભરાઈ રહેવું પડે એ તે કોને ગમે?
શરદ પણ આહ્લાદક હતી અને શિયાળો પણ. પણ શિયાળામાં વરસાદ આવે ત્યારે ન ગમે. ગાજવીજ થતી હોય, વરસાદ પડતો હોય અને ઠંડો પવન શરીરમાં સોંસરો પેસી જતો હોય ત્યારે કાંઈક સારા રહેઠાણની તથા કાંઈક ગરમી અને સગવડની ઇચ્છા થઈ આવતી. ઘણી વાર કરા પડતા. લખોટીઓ કરતાં મોટા કરા પતરાંના છાપરા ઉપર ભયંકર અવાજ કરતા પડતા હોય ત્યારે દારૂગોળો ફૂટતો હોય એવું લાગતું.
મને એક દિવસનું ખાસ સ્મરણ છે. ૧૯૩૨ની ૨૪મી ડિસેમ્બરનો એ દિવસ હતો. ગાજવીજનું તોફાન હતું. વરસાદ આખો દિવસ પડ્યો હતો અને કડકડતી ઠંડી હતી. જેલમાંના મારા બધા દિવસોમાં શરીરની દૃષ્ટિએ એ દિવસ મારો સૌથી ખરાબ નીવડેલો. પણ સાંજે એકાએક આકાશ સ્વચ્છ થઈ ગયું અને મારી પડોશના બધા પહાડો અને ટેકરીઓને બરફના ગાઢ આચ્છાદનથી છવાયેલા જોઈ મારું બધું દુ:ખ ભાગી ગયું. બીજો દિવસ એટલે નાતાલનો દિવસ, એ તો સ્વચ્છ અને સુંદર હતો; હિમાચ્છાદિત ગિરિમાળાનું સુંદર દૃશ્ય નીકળ્યું હતું.
જેલે અમારી રોજની સ્વાભાવિક પ્રવૃત્તિઓ કરતા અમને અટકાવ્યા એટલે કુદરતનું અમે વધુ નિરીક્ષણ કરતા થયા. અમારા જોવામાં આવતાં જુદી જુદી જાતનાં પશુઓ તથા જીવજંતુઓનું પણ અમે નિરીક્ષણ કરવા લાગ્યા. મારું નિરીક્ષણ જેમ વધતું ગયું તેમ તેમ મારી કોટડીમાં અથવા તેની આગળના નાના વાડામાં રહેતાં જાતજાતનાં જંતુઓ મને નજરે પડવા લાગ્યાં. મને સમજાયું કે હું જો કે એકાંતની ફરિયાદ કરતો હતો છતાં એ નાનો વાડો જે ખાલી અને સૂનો લાગતો હતો તે તો જીવસૃષ્ટિથી ઊભરાઈ રહ્યો હતો. આ બધાં પેટે ચાલતાં, પગે ચાલતાં કે ઊડતાં જંતુઓ કોઈ પણ રીતે મારી આડે આવ્યા વિના પોતપોતાનાં જીવન ગુજારતાં હતાં. મારે પણ તેમની આડે આવવાનું કશું કારણ નહોતું. પરંતુ માંકડ, મચ્છર તથા કાંઈક અંશે માખીઓ સાથે તો મારે સતત યુદ્ધ ચાલતું. ભમરા તથા ભમરીઓની તો હું દરકાર કરતો નહીં. મારી કોટડીમાં એ સેંકડો હતાં. એક વખત એક ભમરીએ, હું ધારું છું અજાણતાં, મને ડંખ માર્યો, ત્યારે અમારી વચ્ચે એક નાનો ઝઘડો થયેલો. ક્રોધે ભરાઈને મેં એ તમામને નાબૂદ કરી નાખવાનો પ્રયત્ન કર્યો. પણ તેમણે તો પોતાનાં ઘરોના બચાવમાં, (કદાચ તેમાં તેમનાં ઈંડાં હશે.) બહાદુરીથી લડત ચલાવી અને હું પાછો પડ્યો. મેં નક્કી કર્યું કે જો ફરી તેઓ મને દખલ ન કરે તો ભલે શાંતિથી રહે. ત્યાર પછી તો આ ભમરાઓ તથા ભમરીઓથી વીંટળાયેલો એ કોટડીમાં હું એક વરસ રહ્યો. પણ તેમણે મારી ઉપર કદી હુમલો ન કર્યો, અને અમે પરસ્પર આદર કેળવ્યો.
ચામાચીડિયાં મને બિલકુલ ગમતાં નહોતાં પણ મારે તેમને વેઠી લેવાં પડ્યાં. સાંજે અંધારું થતાં અવાજ કર્યા વિના ઊડવા માંડે. અંધકારથી છવાતા આકાશમાં તેઓ ઝાંખાં દેખાય. એ ભમરાળાં પ્રાણીઓને જોતાં મને ભારે ત્રાસ થતો. મોઢા પાસેથી એક જ ઇંચ છેટે રહી પસાર થઈ જાય. મને હંમેશાં ડર રહ્યાં કરે કે રખેને હું તેમની અડફેટમાં આવી જાઉં. મોટાં ચામચીડિયાં અથવા વનવાગોળો હવામાં ઊંચે ઊડતાં.
કીડીઓ, ઊધઈ તથા બીજાં જંતુઓની પ્રવૃત્તિઓનું નિરીક્ષણ તો હું કલાકો સુધી કરતો. તે જ પ્રમાણે રાતે ફરતી ગરોળીઓને શિકાર પકડતી જોવાની તથા એકબીજાની પાછળ પડતી અને આપણને બહુ હસવું આવે એવી રીતે પોતાની પૂંછડી હલાવતી જોવાની મજા આવતી. સાધારણ રીતે તેઓ ભમરીને પકડતી નહીં પણ બે વાર અતિશય કાળજીથી તેનો પણ શિકાર કરતાં અને બરાબર આગળથી પકડતાં મેં જોઈ. ભમરીના ડંખથી તે બચી ગઈ તે બુદ્ધિપૂર્વક હતું કે અકસ્માત હતું તે હું જાણતો નથી.
ત્યાં ખિસકોલીઓ પણ હતી — પાસે ઝાડ હોય ત્યાં તો ટોળેટોળાં. તેઓ ઘણી ધૃષ્ટ થઈને અમારી છેક નજીક આવતી. લખનૌ જેલમાં બહુ વાર સુધી બિલકુલ હાલ્યાચાલ્યા વિના હું વાંચતો બેસતો. ખિસકોલી મારા પગ ઉપર ચડતી અને મારા ઘૂંટણ ઉપર બેસીને આમતેમ જોતી. પણ તે મારી આંખ સામે તાકતી ત્યારે તેને ભાન થતું કે હું કોઈ ઝાડ અથવા તો તેણે બીજું જે કાંઈ ધાર્યું હોય તે નહોતો. ક્ષણભર ભયથી તે ગભરાઈ જતી અને પછી ભાગતી. ખિસકોલીનાં બચ્ચાં કોઈ વાર ઝાડ ઉપરથી પડી જતાં. તેમની પાછળ મા આવે. બચ્ચાંને વાળી નાનો દડો બનાવે અને તેને સહીસલામત ઉપાડી જાય. કોઈ વાર બચ્ચું ભૂલું પડી જતું. આવાં ભૂલાં પડેલાં ત્રણ બચ્ચાંને મારા એક સાથીએ સંભાળ્યાં હતાં. તે એટલાં નાનાં હતાં કે તેમને ખવડાવવું શી રીતે એ સવાલ થઈ પડ્યો. તેનો ઉકેલ કાઢવા અમે એક યુક્તિ રચી. પેનમાં શાહી પૂરવાની નળી આગળ થોડુંક રૂ લગાડ્યું એટલે તે એક દૂધ પાવાની સુંદર શીશી બની ગઈ.
અલ્મોડાની પહાડી જેલ સિવાય બીજી જે જે જેલોમાં હું ગયો ત્યાં કબૂતર ખૂબ હતાં. હજારો કબૂતર. એટલે સાંજે તો આકાશ તેમનાથી છવાઈ જાય. કેટલીક વાર જેલના અમલદારો તેમનો શિકાર કરી તે આરોગતા.
મેનાઓ તો દરેક સ્થળે જોવામાં આવતી. દહેરાદૂનમાં મારી કોટડીના બારણા ઉપર તેમનાં એક જોડાંએ માળો બાંધેલો, અને હું તેમને ખવડાવતો. બંને બહુ હળી ગયાં હતાં અને સવારના કે સાંજના ખાણામાં જરા પણ વિલંબ થાય તો મારી છેક નજીક બેસીને મોટેથી ખાવાનું માગતાં. તેમના સંકેતો જોવાની અને તેમની અધીરી બૂમો સાંભળવાની મજા પડતી.
નૈનીમાં હજારો પોપટ હતા. મારી બરાકની ભીંતની બખોલોમાં ઘણા રહેતા. તેમના સંવનનનું અને પ્રેમારાધનનું દૃશ્ય અતિશય ચિત્તાકર્ષક હોય છે. કોઈ વાર એક માદા પોપટ માટે બે નર પોપટ વચ્ચે ઝનૂની લડાઈ થાય, પેલી માદા પોપટ લડાઈના પરિણામની શાંતિથી રાહ જુએ, અને વિજયી વીરને પોતાના પ્રેમથી સત્કારવા તત્પર રહે.
દહેરાદૂનમાં અનેક જાતનાં પક્ષીઓ હતાં. તેમનાં ગાયન અને કૂજનનું તાલ અને મેળ વિનાનું છતાં મધુર વૃંદસંગીત ચાલતું. તે બધામાંથી કોયલના દર્દભર્યા ટહુકા અલગ તરી આવતા. ચોમાસામાં તથા તેના થોડા વખત જ આગમચ દેવતરસ્યો અથવા પપૈયો આવી ચડતો. તેનું આવું નામ કેમ પડ્યું હશે તે મને ત્યાં સમજાયું. દિવસે અને રાતે, તડકામાં અને ધોધમાર વરસાદમાં એ ‘દેવ-તરસ્યો,’ અથવા ‘પીઉ, પીઉ’ક લગાતાર પોકાર્યા જ કરતો. આમાંનાં ઘણાંખરાં પક્ષીઓને અમે જોઈ શકતા નહીં, અમે તેમનો અવાજ જ સાંભળી શકતા. અમારા નાના વાડામાં એક્કે ઝાડ નહોતું જેના ઉપર આવીને પક્ષીઓ બેસે. પરંતુ આકાશમાં ઊંચે છટાથી ઊડતાં, કેટલીક વાર નીચે ઝડપ મારીને આવતાં તથા વળી પાછાં હવાના સપાટા સાથે ઊંચે ચડી જતાં સમડીઓ અને ગરુડો હું નિહાળતો. કેટલીક વાર જંગલી બતકોનાં ટોળેટોળાં અમારા માથા ઉપર થઈને ઊડી જતાં.
બરેલી જેલમાં વાંદરાની મોટી વસાહત હતી. તેમનાં દાંતિયાં અને ચાળા જોવાની હંમેશાં મજા પડતી. એક પ્રસંગની છાપ મારી ઉપર ખાસ રહી ગઈ છે. એક વાંદરાનું બચ્ચું અમારી બરાકના કમ્પાઉન્ડમાં આવી ચડ્યું. તે દીવાલ ઉપર પાછું ચડી શકતું નહોતું. સરકારી મુકાદમ તથા કેદી મુકાદમો અને કેદીઓએ તેને પકડ્યું અને તેને ગળે દોરી બાંધી દીધી. દીવાલ ઉપર ઊંચે બેઠેલાં તેનાં માબાપે — માબાપ જ હશે તો — આ જોયું અને તેમને ગુસ્સો ચડ્યો, એકાએક તેમાંથી એક મોટો ઘરડિયો ઘડચ કૂદી પડ્યો અને પેલાં બચ્ચાંને વીંટળાઈ વળેલાં ટોળામાં ધસી ગયો. આ કામ અસાધારણ બહાદુરીનું હતું. કારણ, સરકારી મુકાદમ તથા કેદી મુકાદમો પાસે લાકડીઓ અને લાઠીઓ હતી, અને તેઓ તે આમતેમ વીંઝતા હતા, અને વળી તેમની સંખ્યા ઘણી મોટી હતી. પરંતુ તેની આ બેપરવા હિંમતનો વિજય થયો. નરોનું ટોળું, પોતાની લાકડીઓ અને લાઠીઓ છતાં, વાનરથી બીને ભાગ્યું! નાના બચ્ચાનો છુટકારો થયો.
એવાં પ્રાણીઓ પણ અમારી મુલાકાત લેતાં, જેમનો સત્કાર કરવા અમે તૈયાર નહોતા. અમારી કોટડીઓમાં વીંછી ઘણી વાર નીકળતા. ખાસ કરીને ગાજવીજના તોફાન પછી વીંછીના ડંખમાંથી હું બચી ગયો તે આશ્ચર્ય જ કહેવાય. કારણ, ન ધારેલી જગ્યાઓએથી, કોઈ વાર પથારીમાંથી, તો કોઈ વાર હાથમાં લીધેલી ચોપડી ઉપરથી ઘણી વાર વીંછી નીકળ્યા હતા. એક ખાસ કાળો અને ઝેરી દેખાતો વીંછી પકડીને મેં થોડાક દિવસ એક શીશીમાં ભરી રાખ્યો હતો, અને તેને હું માખીઓ વગેરે ખવડાવતો. પછી એક દોરીથી બાંધીને મેં તેને ભીંતે ટીંગાડી રાખ્યો પણ ત્યાંથી એ નાસી છૂટ્યો. છૂટી સ્થિતિમાં ફરી પાછો મને એ મળી આવે એવી મારી ઇચ્છા નહોતી એટલે આખી કોટડી મેં સાફ કરી અને તેની બધે શોધ ચલાવી પણ ભાઈસાહેબ અદૃશ્ય થઈ ગયા હતા.
મારી કોટડીમાં અથવા તેની નજીક ત્રણચાર વખત સાપોએ પણ દર્શન દીધેલાં. એક વખત એ સર્પના ખબર બહાર પહોંચ્યા અને છાપામાં મોટા અક્ષરવાળાં મથાળાં છપાયાં. વસ્તુત: મને તો એનું દર્શન મનોરંજક થઈ પડેલું. જેલજીવન મૂળ તો નીરસ હોય છે, એટલે તેના એકધારા જીવનમાં જે કોઈ કારણથી ફેર પડે તે ગમે છે. તેનો અર્થ એ નથી કે મને સર્પનો શોખ છે અથવા તેમને હું સત્કારવા તૈયાર છું. પરંતુ કેટલાક લોકો તેમને જોઈ જેટલા ડરી જાય છે તેટલો હું ડરી જતો નથી. સર્પ કરડવાનો તો મને જરૂર ડર છે, અને હું સર્પને જોઉં તો મારું રક્ષણ કરવાની સંભાળ જરૂર રાખું. પરંતુ તેને જોતાં કમકમાટી છૂટે કે ગાત્રેગાત્ર ઢીલાં થઈ જાય એવું મને નથી થતું. કાનખજૂરાથી હું વધારે ત્રાસ પામું છું. તેમાં પણ ભય કરતાં તેના પ્રત્યેનો સહજ અણગમો એ કારણ વધારે છે. કલકત્તામાં અલિપુર જેલમાં એક વાર હું મધરાતે જાગી ઊઠ્યો અને મારા પગ ઉપર કંઈક સળવળતું મને લાગ્યું. મારી પાસે ‘ટૉર્ચ’ (ખીસાબત્તી) હતી તે મેં સળગાવી તો મારી પથારીમાં કાનખજૂરો હતો. સહસા જ અજબ ઉતાવળથી હું પથારીમાંથી બહાર કૂદી પડ્યો અને કોટડીની દીવાલ સાથે અથડાતો રહી ગયો. પાવલોવનો માનસિક પ્રતિક્રિયાનો સિદ્ધાંત તે વખતે હું પૂરેપૂરો સમજ્યો.
દહેરાદૂનમાં મેં એક નવું જ પ્રાણી જોયું. અથવા તો એ પ્રાણી મારે માટે નવું હતું. જેલરની સાથે વાતો કરતો જેલના દરવાજા આગળ હું ઊભો હતો, તેટલામાં એક માણસ કોઈ વિચિત્ર પ્રાણીને લઈને જતો અમારા જોવામાં આવ્યો. જેલરે એને બોલાવ્યો. ગરોળી અને મગરના કાંઈક વચલા બાંધાનું એ પ્રાણી હતું. બે ફૂટ લાંબી એ ઘો હતી, તેને મોટા નહોર હતા અને તેની પીઠ ભીંગડાંભીંગડાંવાળી જાડી હતી. આ કઢંગું પ્રાણી જીવતું હતું છતાં તેને કંઈક વિચિત્ર રીતે બેવડું કરી ગાંઠની જેમ વાળી નાખ્યું હતું અને એ ગાંઠના વચલા ભાગમાં લાકડી ભેરવી પેલો માણસ તેને ઉપાડીને મોજથી ચાલ્યો જતો હતો. તેણે એનું નામ ‘બો’ કહ્યું. તેનું શું કરીશ એમ જેલરે પેલાને પૂછ્યું ત્યારે ખડખડાટ હસીને તેણે જવાબ આપ્યો ‘એની બનાવશું ભજ્જી અથવા સાલન’. એ વનવાસી હતો. પાછળથી એફ. ડબ્લ્યુ. ચૅમ્પિયનની ‘જંગલ, ધૂપમાં અને છાયામાં’ (ધી જંગલ ઇન સનલાઇટ ઍન્ડ શૅડો) એ નામની ચોપડીમાંથી મેં શોધી કાઢ્યું કે આ પ્રાણી ‘પૅન્ગોલિન’ હતું.
કેદીઓમાં, ખાસ કરીને લાંબી સજાવાળા કેદીઓમાં, લાગણીની અથવા પ્રેમની ભૂખ અણસંતોષાયેલી બહુ રહે છે. તેઓ આ ભૂખને સંતોષવાનો પ્રયત્ન જાનવરો પાળીને કરે છે. સામાન્ય કેદી તો જાનવર ન રાખી શકે, પરંતુ કેદી મુકાદમોને વધારે સ્વાતંત્ર્ય હોય છે અને જેલ અમલદારો આ બાબતમાં વાંધો ઉઠાવતા નથી. પાળવામાં આવતાં જાનવરોમાં મોટે ભાગે ખિસકોલીઓ અને, વિચિત્ર લાગે છે પણ, નોળિયા હોય છે. કૂતરાને જેલમાં આવવા દેતા નથી, પણ બિલાડીઓને ઉત્તેજન મળતું હોય એમ લાગે છે. બિલાડીનું એક નાનું બચ્ચું એક વાર મારી સાથે હળી ગયું હતું. જેલના એક અમલદારનું એ હતું અને તેની બદલી થઈ ત્યારે એને પોતાની સાથે એ લઈ ગયો. મને એનો વિયોગ સાલ્યો. કૂતરાની પરવાનગી નથી, છતાં દહેરાદૂનમાં અકસ્માત થોડાંક કૂતરાં સાથે મારે દોસ્તી થઈ ગઈ હતી. જેલનો અમલદાર એક કૂતરી લાવેલો. તેની બદલી થઈ ત્યારે તેને એ છોડી ગયો. ગરીબ બિચારી કૂતરી ઘરબાર વિનાની ભટકતી થઈ ગઈ. ગમે ત્યાં પડી રહે, વૉર્ડરોને ત્યાંથી કટકો બટકું મળે તે વીણી ખાય, પરંતુ મોટે ભાગે ભૂખે મરે. હું મુખ્ય જેલની બહાર કાચી જેલની ખોલીઓમાં રહેતો એટલે તે મારી પાસે ખોરાકની ભીખ માગતી આવતી. મેં તેને નિયમિત ખવડાવવા માંડ્યું. પછી તો પાણી જવાના એક ગરનાળા નીચે તેણે કુરકુરિયાંને જન્મ આપ્યો. આમાંથી ઘણાં તો બીજાઓ લઈ ગયા પણ ત્રણ રહી ગયાં અને તેમને હું ખવડાવતો. એક કુરકુરિયું ખૂબ માંદું પડ્યું અને તેણે મને ઠીક તકલીફ આપી. મેં તેની કાળજીથી સારવાર કરવા માંડી અને કોઈ કોઈ વાર તો રાતે મારે તેને જોવા દસબાર વખત ઊઠવું પડતું. છેવટે તે બચ્ચું અને મારી મહેનત કારગત આવ્યાનો મને આનંદ થયો.
બહાર કરતાં જેલમાં હું જાનવરોની સાથે વધુ સંબંધમાં આવ્યો. મને કૂતરાંનો શોખ છે અને મેં કૂતરાં પાળેલાં પણ છે પણ બીજાં કામની આડે હું તેમની જોઈએ તેવી સંભાળ રાખી શક્યો નથી. જેલમાં તેમણે મને સાથ આપ્યો તે માટે હું તેમનો ઋણી છું. સાધારણ રીતે હિંદીઓને ઘરમાં જાનવર રાખવાં ગમતાં નથી. પ્રાણીઓ પ્રતિ અહિંસાની તેમની ફિલસૂફી હોવા છતાં તેમના પ્રત્યે તેઓ તદ્દન બેદરકાર અને માયા વિનાના હોય છે એ નોંધવા જેવું છે. ગાય તો એમનું માનીતું જાનવર ગણાય. ઘણા હિંદુઓ તેના પ્રત્યે બહુ આદર રાખે છે અને તેની પૂજા પણ કરે છે. ઘણી વાર એ હુલ્લડનું કારણ પણ બની છે. છતાં હિંદુઓ ગાયને સારી રીતે રાખતા નથી. પૂજા અને દયા હંમેશાં કાંઈ સાથે જોવામાં આવતાં નથી.
જુદા જુદા દેશોએ પોતાની મહત્ત્વાકાંક્ષા અથવા ચારિત્ર્યના પ્રતીક તરીકે જુદાં જુદાં પ્રાણીઓ પસંદ કર્યાં છે. અમેરિકાના યુનાઇટેડ સ્ટેટ્સ તથા જર્મનીએ ગરુડ પસંદ કર્યું છે. ઇંગ્લંડે સિંહ તથા ડાઘિયો કૂતરો (બુલડૉગ) પસંદ કર્યા છે, ફ્રાન્સે લડાયક કૂકડો પસંદ કર્યો છે અને જૂના રશિયાએ રીંછ પસંદ કર્યું હતું. આવાં રાષ્ટ્રમાન્ય પશુઓ રાષ્ટ્રના ચારિત્ર્યના ઘડતરમાં કેટલો ફાળો આપે છે! તેમાંનાં ઘણાં તો આક્રમણકારી, લડાયક અને શિકારી પ્રાણીઓ છે. પોતાની નજર સામે આવાં દૃષ્ટાન્તો રાખીને જે પ્રજા ઊછરે તેનું ઘડતર જ્ઞાનપૂર્વક એ જાનવરોના સ્વભાવને અનુસરતું થાય અને આક્રમણકારી વૃત્તિઓ ધારણ કરે, તથા મોટી મોટી ગર્જનાઓ કરે અને બીજાઓનો શિકાર કરે એમાં કશી નવાઈ નથી. હિંદુ લોકોનું આરાધ્ય પશુ ગાય છે એટલે તેઓ નરમ અને અહિંસક થાય એમાં પણ નવાઈ નથી.
[‘મારી જીવનકથા : જવાહરલાલ નેહરુ’માંથી]
પ્રગટ : “नवजीवनનો અક્ષરદેહ”, મે 2019; પૃ. 154-161