Opinion Magazine
Number of visits: 9449460
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

વાંધો લવાદ સામે નથી, વર્ણસંકર લવાદ સામે છે.

રમેશ ઓઝા|Opinion - Opinion|17 March 2019

અયોધ્યા વિવાદનો અંત લાવવા સર્વોચ્ચ અદાલતે ત્રણ સભ્યોના લવાદની રચના કરી છે. એ ત્રણ સભ્યોમાં સર્વોચ્ચ અદાલતના નિવૃત્ત ન્યાયમૂર્તિ એફ.એમ.આઈ. કલીફુલ્લા લવાદના અધ્યક્ષ તરીકે, હિંદુ ધર્મગુરુ શ્રી શ્રી રવિશંકર અને લવાદીમાં નિષ્ણાત ગણાતા વકીલ શ્રીરામ પંચુની લવાદના સભ્ય તરીકે નિયુક્તિ કરી છે. સર્વોચ્ચ અદાલતે કહ્યું છે કે અદાલત દિલ જોડવા માગે છે અને ઝઘડાનો અંત આવે એ જોવા આતુર છે.

અહીં સર્વોચ્ચ અદાલતના ઈરાદાની અને સર્વોચ્ચ અદાલતે લીધેલાં પગલાંની સમીક્ષા કરવી જોઈએ. દેખીતી રીતે આમાં વિસંગતિ છે. સવાલ બે કોમ વચ્ચે ધર્મસ્થાનક વિશેના ઝઘડાનો છે કે પછી જમીન અને જે જમીન પર સ્થાપત્ય ઊભું છે એની માલિકોનો? જો ઝઘડો પહેલા પ્રકારનો હોય તો એનો ઉકેલ એક રીતે આવે અને જો ઝઘડો બીજા પ્રકારનો હોય તો એનો ઉકેલ બીજી રીતે આવે. અહીં પ્રારંભમાં જ જણાવી દઉં કે જે કેસ ફૈઝાબાદની નીચલી અદાલતમાં દાખલ કરવામાં આવ્યો હતો અને વાયા અલ્હાબાદ હાઈ કોર્ટ સર્વોચ્ચ અદાલતમાં આવ્યો છે, એ બીજા પ્રકારનો છે. કેસ એ સ્થળની અને એ સ્થળ પર ઊભેલી (અને હાલ ખંડેર અવસ્થામાં) ઈમારતની માલિકીનો છે એટલે કે ટાઈટલનો છે.

તો સવાલ એ છે કે ઝઘડો સંપત્તિનો છે કે શ્રદ્ધાનો? સર્વોચ્ચ અદાલતમાં જે કેસ પડ્યો છે એ સંપત્તિનો છે. બીજું; શ્રદ્ધાઓના, માન્યતાઓના, ઇતિહાસમાં કોઈએ કરેલા ન્યાય-અન્યાયના ઝઘડાઓને ઉકેલવાનું કાર્યક્ષેત્ર અને સજ્જતા અદાલતો ધરાવે છે? જેમ કે ભગવાન રામે શંબુકની હત્યા કરીને શુદ્રોને અન્યાય કર્યો હતો, એટલે અયોધ્યામાં રામના મંદિરની બરાબર સામે શંબુકનું પ્રાયશ્ચિત મંદિર પણ બનવું જોઈએ એવી માગણી કરીને દલિતો અને અન્ય શુદ્ર કોમ આંદોલન કરે અને અદાલતમાં જાય તો અદાલત શું કરશે? દેખીતી રીતે એવી માગણી અદાલત ફગાવી દેશે. અદાલત દલીલ કરશે કે શ્રદ્ધાઓ, માન્યતાઓ, પુરાણકલ્પનો, દંતકથાઓ અને ઇતિહાસ, મહાકાવ્યો કે પુરાણોના હવાલા આપીને કહેવામાં આવતી ન્યાય-અન્યાયની વાતો આધુનિક ન્યાયતંત્રનો વિષય ન બની શકે. અદાલતનું એ કાર્યક્ષેત્ર નથી અને એવી કોઈ સજ્જતા પણ નથી. સજ્જતા તો પછીની વાત છે, કાર્યક્ષેત્ર જ નથી એટલે વાત પૂરી.

પણ શુદ્રો પ્રચંડ આદોલન કરે, શંબુકના પ્રાયશ્ચિત મંદિર માટે કારસેવા કરે, રથયાત્રાઓ કાઢે, દેશમાં ઠેરઠેર કોમી હુલ્લડો કરે, દેશને સળગાવે, ‘અમે અયોધ્યામાં ઊભેલા ઢાંચાને હાથ પણ નહીં લગાડીએ’ એવી સર્વોચ્ચ અદાલતમાં સોગંદનામું દાખલ કરીને બાંયધરી આપ્યા પછી પણ ઢાંચો તોડી નાખે, તેમની કેન્દ્ર અને રાજ્યોમાં સરકારો હોય, ‘હિન્દુસ્તાન મેં રેહના હો તો પ્રાયશ્ચિત મંદિર બનાના હોગા’ કે પછી ‘ગર્વ સે કહો હમ શુદ્ર હૈ અને શુદ્ર હી હિંદ કા સચ્ચા બચ્ચા હૈ’ એવા નારા બોલાતા હોય ત્યારે સર્વોચ્ચ અદાલત શું કરશે? સર્વોચ્ચ અદાલતે જે નિર્ણય લીધો છે એ જોતાં લવાદ નીમશે. જે કેસ અમુક સંજોગોમાં ફગાવી દેવાને લાયક હતો એ બીજા સંજોગોમાં લવાદ રચવાને લાયક બની ગયો.

ના. આ રમૂજમાં કહેવામાં આવેલી વાત નથી. મને ભય છે કે કદાચ આ આવતી કાલની વાસ્તવિકતા છે. જે રીતે ભારતીય રાષ્ટ્ર આકાર લઈ રહ્યું છે અને જે રીતે રાષ્ટ્રીય એકતાની જગ્યાએ પૃથકતા હાવી થઈ રહી છે એ જોતાં આવું બનવાની પૂરી શક્યતા છે. નાગાઈ જો ઓછી પડતી હોય તો વહીવટીતંત્ર માટે એ કાયદો અને વ્યવસ્થાનો તેમ જ અદાલતો માટે સ્થાવર-જંગમ મિલકતની માલિકીનો કેસ અને જો નાગાઈ પ્રચંડ હોય તો શ્રદ્ધાનો. કેસ એક જ; પણ એ શ્રદ્ધાનો વિષય છે કે મિલકતની માલિકીનો એ નાગાઈનું પ્રમાણ નક્કી કરે એવો સર્વોચ્ચ અદાલતનો લવાદી અંગેનો નિર્ણય છે.

તો સર્વોચ્ચ અદાલતના નિણર્યમાં પહેલી ખામી એ છે કે શુદ્ધ ટાઈટલના એટલે કે મિલકતની માલિકીના કેસને અદાલતે શ્રદ્ધાનો કેસ બનાવી દીધો કારણ કે નાગાઈનું પ્રમાણ પ્રચંડ છે.

આમ છતાં ઘડીભર દિલ જોડવાના અને પ્રેમથી તેમ જ સમજાવટથી ઝઘડાને ઉકેલવાના સર્વોચ્ચ અદાલતના ઈરાદાને માન્ય રાખીએ. જો આવો જ ઈરાદો હોય તો લવાદમાં કોણ હોવું જોઈએ? ‘જો અદાલત અયોધ્યા વિવાદમાં હિંદુઓની તરફેણમાં ચુકાદો નહીં આપે તો દેશમાં લોહી રેડાશે’ એવું કહેનારો કહેવાતો ધર્મગુરુ એમાં હોઈ શકે ખરો? તેણે તો બીજા પક્ષકારોને સાંભળ્યા વિના જ પોતાનો ફેંસલો કરી લીધો છે. લવાદમાં એવા માણસ હોવા જોઈએ જેનું અણીશુદ્ધ ચારિત્ર્ય હોય, કોઈ આંગળી ચીંધી ન શકે એવો શુદ્ધ વહેવાર હોય, તટસ્થ હોય, દરેકને બાથમાં રાખી શકે એવી મનની ઉદારતા હોય અને કોમળ હૃદય હોય. જે ભાઈ આ પહેલાં જ હિંદુઓના પક્ષકાર તરીકે કામ કરી ચુક્યા હોય અને વિવાદાસ્પદ જમીન હિંદુઓને નહીં મળે તો લોહી રેડાશે, એવી ધમકી આપતા હોય એ લવાદ કેવી રીતે બની શકે? કઈ લાયકાતને ધ્યાનમાં રાખીને શ્રી શ્રી રવિશંકરને લવાદમાં લેવામાં આવ્યા છે એ સમજાતું નથી.

રચવામાં આવેલા લવાદમાં શ્રીરામ પંચુ નામના વકીલને લેવામાં આવ્યા છે. તેઓ લવાદીના નિષ્ણાત છે. કઈ લવાદીના? દિલ જોડવા માટેની કે મિલકતના ઝઘડાની? તેમનો બાયો-ડેટા એમ કહે છે કે તેઓ દુન્યવી બાબતોમાં થતા ઝઘડામાં કરવામાં આવતી લવાદીના નિષ્ણાત છે. તેઓ ‘ઇન્ડિયન સેન્ટર ફોર મિડીએશન એન્ડ ડિસ્પ્યુટ રિઝોલ્યુશન’ના સ્થાપક છે અને ‘મિડીએશન પ્રેક્ટીસ એન્ડ લૉ’ નામનાં પુસ્તકના લેખક છે. તેઓ ઝઘડતા પક્ષકારોને સમજાવવામાં અને તેમને તેમનું હિત-અહિત સ્પષ્ટ કરી આપવામાં નિષ્ણાત છે એ વાત સ્વીકારી લઈએ, પણ અયોધ્યાના ઝઘડામાં તો સર્વોચ્ચ અદાલત કહે છે એમ દિલ જોડવાનાં છે. એમાં તો એવી વ્યક્તિ જોઈએ જેનું નામ પડતા મનમાં આદર જન્મે. જેના શબ્દનું વજન હોય, જે પ્રજામાં પરમ આદરણીય હોય એટલે નાગાઈ કરનારાઓ પણ નાગાઈ કરતાં લાજ અનુભવે.

સર્વોચ્ચ અદાલતે લવાદની રચના કરતાં પહેલાં વિચારવું જોઈતું હતું કે શ્રદ્ધાઓના સંઘર્ષની વચ્ચે દિલ જોડાવાનાં છે કે મિલકતની માલિકીનો ઝઘડો ઉકેલવાનો છે? જો ઉદ્દેશ પહેલો હોય તો સર્વોચ્ચ અદાલતના નિવૃત્ત ન્યાયમૂર્તિને છોડીને બાકીના બન્ને સભ્યો અયોગ્ય છે અને જો ઉદ્દેશ બીજો હોય તો શ્રી શ્રી રવિશંકર અયોગ્ય છે. આજે દિલોની લવાદી કરી શકે એવા જયપ્રકાશ નારાયણ આપણી વચ્ચે નથી એ દેશની દરિદ્રતા છે. જો  મિલકતના ઝઘડાઓ ઉકેલવા માટે લવાદ રચવું હોય તો ‘મિડીએશન ઇન આર્બિટ્રેશન એન્ડ કોન્સિલીએશન એક્ટ, ૧૯૯૬ ઉપલબ્ધ છે. સર્વોચ્ચ અદાલત ત્રણેય પક્ષકારોને વિશ્વાસમાં લઈને પરસ્પર સમજૂતિથી અથવા અદાલતી આદેશ દ્વારા ઉક્ત કાનૂન હેઠળ લવાદની રચના કરી શકી હોત.

સાચી વાત એ છે કે સર્વોચ્ચ અદાલત આમાં પડવાનું ટાળે છે. મામલો મિલકત અને માલિકીનો છે એ અદાલત જાણે છે. અદાલત એ પણ જાણે છે કે ન્યાય કોના પક્ષે છે. સર્વોચ્ચ અદાલતનો ચુકાદો સ્વીકારમાં ન આવે અને અમલમાં મૂકવામાં ન આવે તો નાગાઓ સામે ન્યાયનું નાક કપાય એનો અદાલતને ભય છે. અદાલતનું નાક કપાય એ તો ઠીક છે, પરંતુ કાયદા આધારિત આધુનિક રાજ્યના અસ્તિત્વ વિષે પ્રશ્નો થાય. સબરીમાલાની બાબતમાં આવું જ બની રહ્યું છે. એટલે તો અલ્હાબાદની વડી અદાલતના નવ વરસ જૂના ચુકાદાની સામેની અપીલ અત્યાર સુધી સાંભળવામાં નહોતી આવતી.

સૌજન્ય : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 17 માર્ચ 2019

Loading

17 March 2019 admin
← ‘નોખા રસ્તા’
Elections 2019: India at Cross roads →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved