Opinion Magazine
Number of visits: 9448794
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

પિરામિડની સાખે હૈયાનો દરબાર

નંદિની ત્રિવેદી|Opinion - Opinion|17 January 2019

હૈયાને દરબાર

ઇજિપ્તની કડકડતી ઠંડી હાડ ધ્રુજાવી દે એવી છે. પરંતુ, ત્યાંની અતિ પ્રાચીન સંસ્કૃતિ, ઈશુના જન્મ પહેલાંનાં ચાર હજાર વર્ષ જૂનાં અદ્ભુત શિલ્પ-સ્થાપત્યો, એ વખતના મહાન રાજવીઓનો ઇતિહાસ અને એમના મહાન શાસક રામસેસ તથા મહારાણી નેફર્તીની રસઝરતી કથાઓની વિગતો ઠંડીને ભુલાવી દે છે.

ગ્રીક અને હિબ્રૂ ભાષામાં રાજાઓ માટે ફેરાઓ (pharaoh) શબ્દ વપરાય છે. ઇજિપ્તમાં પ્રાચીન રાજાઓ ફેરાઓઝ તરીકે ઓળખાતા જેમાં તૂતેનખામેન, રામસેસ ઇત્યાદિ ખૂબ શક્તિશાળી અને પ્રભાવક હતા. રાણીઓમાં ક્લીઓપેટ્રા અને નેફર્તી સુંદર સમ્રાજ્ઞીઓ હતી. ઇજિપ્તના ફેરાઓઝને એ વખતની ઇજિપ્શિયન પ્રજા દેવ સમાન માનતી હતી. રાજા રામસેસ બીજાના મૃતદેહને અઢળક સુવર્ણમુદ્રાઓ તથા જર-ઝવેરાતના ખજાના સાથે વિશ્વની અજાયબી એવા સૌથી મોટા પિરામિડ નીચે દાટવામાં આવ્યો હતો. લગભગ ૨૩ લાખ ચોરસ પથ્થરોથી બનેલા વિશાળ કદના પિરામિડને ઓળંગીને આવતો કાતિલ પવન અને ધૂળની ડમરીઓ વચ્ચે આ બધી કથાઓ અને ત્યાંનું અરેબિક સંગીત આશ્ચર્યચકિત કરી રહ્યાં હતાં પરંતુ, અમારે તો હૈયાનો દરબાર ભરવાનો હતો ભારતનાં મિત્રો, સ્નેહીઓ અને ‘મુંબઈ સમાચાર’ના વહાલા વાચકો સાથે. એટલે ગતાંકમાં જે ગીતની કથા માંડી હતી એ આગળ વધારીએ તથા હૈયાને દરબાર ગીતની મોહિનીને ફરીથી માણીએ.

પ્રેમની એક એવી સ્થિતિ હોય છે કે જેમાં પ્રેમિકા પૂર્ણત: પ્રિયતમમાં ખોવાઈ જાય છે, પોતાની જાતને પ્રિયતમમાં ઓગાળી દે છે – જાણે એનો પ્રિયતમ જ પોતાના હૈયામાં આવીને ધબકી રહ્યો છે. પ્રેમની સિતાર જેમનાં હૃદયમાં રણઝણતી હોય ત્યારે મન:સ્થિતિ પરમાનંદ સ્વરૂપ બની જાય છે.

હૈયામાં દરબાર ભરાય ત્યારે એમાં અવનવી દુન્યવી વાતો તો થવાની જ – પરંતુ એ બધામાં પ્રિયતમના નામની જે વણથંભી સિતાર વાગતી હોય છે એ સંવેદના જ અનોખી હોય છે! "કોઈ મને ખૂબ પ્રેમ કરે છે, અપાર ચાહે છે, મારી દરકાર કરે છે આ વિચાર માત્ર પ્રેમીના હૈયામાં ધબકાર બનીને વ્યક્તિને સતત જીવંતતાનો અહેસાસ કરાવે છે. એ લાગણીની હૂંફ અવર્ણનીય છે. શરીર ભલે સંસારનાં કામોમાં વ્યસ્ત હોય, પણ અંતરનો એકતારો સતત સાંવરિયાનું સંગીત રેલાવતો હોય છે, હર પળ પ્રીતિનો અહેસાસ કરાવે છે.

પ્રિયતમ સાથેનો ભીનો સંબંધ હૈયામાં ધબકાર બની સ્ત્રીની જિજીવિષા જીવંત રાખે છે. આપણા હૈયામાં પણ જ્યારે કોઈકની હૂંફ રંગત જમાવે, કોઈના ઝાંઝર હૈયાને હુલાવે, કોઈના રૂપની રસભર રાગિણી રેલાવા લાગે અને કોઈની યાદે અકળિત આશાઓ મહોરી ઊઠે, ત્યારે આ ગીત એ ગીત નહીં પણ આપણી લાગણીઓ, પ્રેમનું પ્રતિબિંબ બની જાય છે.

હૈયાને દરબાર … ગીતના કવિ, લેખક, રમતવીર ભાસ્કર વોરાનો જન્મ ૧૨ ઑગસ્ટ ૧૯૦૭માં થયો હતો. ગીત કવિતામાં તેઓ માહેર. કવિતાઓ તો સરસ લખે જ ઉપરાંત ખૂબ સારા સ્પોર્ટ્સ મેન. જન્મે વડનગરા નાગર. રાજકોટ કર્મભૂમિ. બેસ્ટ કેપ્ટન તથા ‘બેસ્ટ બેટ્સમેન ઓફ ધ યર’નો ખિતાબ મેળવી ચૂકેલા ભાસ્કર વોરા કરાચી સામે મેચ રમી ‘વાઈસરોય નોર્થ કોર્ટ શિલ્ડ’ જીતી લાવ્યા હતા. મા સરસ્વતીના ઉપાસક-સાધક ભાસ્કર વોરાનો નાતો જીવન પર્યંત ક્રિકેટ અને કલમ સાથે રહ્યો હતો. ગુજરાતી સુગમ સંગીતને માતબર કરનાર પરિબળોમાં ભાસ્કર વોરાનાં ગીતોનું મહત્ત્વનું યોગદાન છે. લયનાં ઝાંઝર પહેરીને શબ્દ દેહ ધારણ કરતી એમની ગીત રચનાઓ કોઈ પણ સ્વરકારને આકર્ષતી હતી. ભારત-પાકિસ્તાન, ચીન લડાઈ સમયે દેશભક્તિનાં ગીતો એમની કલમે લખાયાં જેમણે રાષ્ટ્રીય ચેતના જગાવવામાં સિંહફાળો આપ્યો હતો. મોહમ્મદ રફી, હેમંત કુમાર, મહેન્દ્ર કપૂર, ગીતા દત્ત, પુરુષોત્તમ ઉપાધ્યાય, આશિત-હેમા દેસાઈ, શ્યામલ-સૌમિલ-આરતી મુનશી અને તેમની પૌત્રીઓ અનુપા અને ગાર્ગી વોરા સહિત અનેક કલાકારોએ એમનાં ગીતો ગાયાં છે. ગાર્ગી વોરા યુવા પેઢીનું પ્રતિનિધિત્વ કરતું ગુજરાતી સુગમ સંગીતનું ઊજળું નામ છે. ભાસ્કર વોરાની પૌત્રી ગાર્ગી વોરાને કંઠે પણ એના દાદાજીની આ રચના સાંભળવી એ લહાવો છે.

આવી રસીલી ચાંદની વનવગડો રેલાવતી, છાયા બની એ ચંદ્રની એને પગલે પગલાં પાડતી … ગીત ફિલ્મ સત્યવાન-સાવિત્રીનું છે જેના કવિ ભાસ્કર વોરા અને સંગીતકાર દિલીપ ધોળકિયા હતા. લતા મંગેશકર અને મોહમ્મદ રફીએ ગાયેલાં જૂજ ગુજરાતી યુગલ ગીતોમાં ભાસ્કરભાઈની આ રચનાનો સમાવેશ કરી શકાય. આ ઉપરાંત, એમનાં અન્ય ગીતોમાં કૌમુદી મુનશીના સુરીલા કંઠે ગવાયેલું આ રંગ ભીના ભમરાને … ગીત પણ ખૂબ લોકપ્રિય ગીત છે.

સુપ્રસિદ્ધ સંગીતકાર અજિત મર્ચન્ટે હૈયાને દરબાર ગીતના સંદર્ભમાં એક યાદગાર પ્રસંગ ટાંક્યો હતો. તેમણે લખ્યું છે : "આકાશવાણી મુંબઈમાં મ્યુઝિક યુનિટ ગુજરાતી વિભાગમાં હું પ્રોડ્યુસર હતો. ૧૯૫૯ના મે મહિનામાં આકાશવાણીના માન્યતા પ્રાપ્ત સંગીત નિયોજક પુરુષોત્તમ ઉપાધ્યાયે ભાસ્કર વોરા લિખિત ગીત હૈયાને દરબારની સ્વરરચના ગાઇ સંભળાવી. એ તરજ સાંભળીને હું રસતરબોળ થઈ ગયો હતો. પરંતુ પુરુષોત્તમ ઉપાધ્યાયે સ્વર સમ્રાજ્ઞી લતા મંગેશકરને કંઠે આ ગીત ધ્વનિમુદ્રિત કરવાનું સૂચન કર્યું ત્યારે એમની વાત મને આકાશ કુસુમવત્ લાગી હતી. કારણ કે આ પહેલાં કદાપિ આકાશવાણી નિર્મિત હિન્દી, મરાઠી કે ગુજરાતી ગીત ગાવા લતા મંગેશકર આવ્યાં નહોતાં છતાં પુરુષોત્તમ ઉપાધ્યાયના સૂચન પ્રમાણે આકાશવાણીનો કોન્ટ્રાક્ટ એમને રવાના કર્યો અને લતાજીએ એ સ્વીકાર્યો પણ ખરો.

રેકોર્ડિંગના દિવસે લતાજી આકાશવાણી મુંબઈના સ્ટુડિયો પર આવ્યાં ત્યારે ખબર હોવા છતાં ન તો આકાશવાણીના સરકારી ઓફિસરોએ એમને સત્કાર્યા કે ન તેઓ રેકોર્ડિંગ વખતે હાજર રહ્યા. બલ્કે રેકોર્ડિંગ જ ન થાય એ માટે અનેક ઓફિશિયલ અવરોધો ઊભા કરવામાં આવ્યા, જેનો મારે સામનો કરવો પડ્યો હતો. માન અપમાનની લેશ પરવા કર્યા વગર લતાજી મારા ટેબલ પર આવી પહોંચ્યાં અને હું બેબાકળો બની ગયો. પુરુષોત્તમ ઉપાધ્યાયની અદ્ભુત રચના અને મારા પ્રત્યેની સદ્ભાવનાને લીધે જ તેઓ આવ્યાં હતાં એ હકીકત છે. હૈયાને દરબાર ગીતની વાદ્યસંગીત રચના એટલે કે એરેન્જમેન્ટ સુપ્રસિદ્ધ સંગીત બેલડી લક્ષ્મીકાંત-પ્યારેલાલના પ્યારેલાલ શર્માએ કરી હતી. રિહર્સલ બાદ પ્યારેલાલજીને પિયાનોવાદનની ખોટ જણાઈ એમણે મને પિયાનોવાદન કરવાનું સૂચન કર્યું પણ રેકોર્ડિંગની જવાબદારી મારી હોવાથી હું લાચાર હતો. છેવટે પિયાનો સંગત હાર્મોનિયમ વાદનની રીતે પુરુષોત્તમ ઉપાધ્યાયે કરી હતી અને એક જ ટેકમાં ગીત ઓકે થઈ ગયું હતું. હાર્મનીના સિદ્ધાંતોથી અજાણ પુરુષોત્તમ ઉપાધ્યાયે કોઠાસૂઝથી ‘અર્પેજીયોસ’ અને ‘કોર્ડ્સ’ વગાડી ગીતને વાદ્ય સંગીતથી સભર કરી દીધું હતું. લતાજી પણ ખૂબ ખુશ થયાં હતાં.

આવી સુંદર અને કર્ણપ્રિય રચનાઓ આપણાં ગુજરાતી સુગમ સંગીતની મોંઘી મિરાત છે. ગયા ગુરુવારે હૈયાને દરબાર ગીતના શબ્દો કવિતા તરીકે પ્રગટ કર્યા હતા એ વાચકોને માણવા માટે ફરી પ્રગટ કર્યા છે. જો કે નારી સંવેદનાનું આ અદ્ભુત ગીત યુટ્યુબ પર સાંભળવાનું ભૂલતાં નહીં. તમને ચોક્કસ ગમશે એની ગેરંટી.

————————

હૈયાને દરબાર

વણથંભી વાગે કોઇ સિતાર

કોની હૂંફે હૂંફે અંતર રંગત આજ જમાવે?
કોના પહેરી ઝાંઝર કોના હૈયાં આજ ડોલાવે?
અકળિત આશાને પગથાર
વણથંભી વાગે કોઇ સિતાર …

કોના રૂપે રૂપે રસભર રાગિણી રોળાય?
કોના પટમાં નાચી શતશત હૈયાં આજ નચાવે?
પળ પળ પ્રીતિના પલકાર
વણથંભી વાગે કોઇ સિતાર

https://www.youtube.com/watch?v=Rkg64DHSn1w&fbclid=IwAR0PhCVKhPkSMUo3i_zkShzpr6ecDlNEJHICnWG6bY8NOnEW8wv64KhkaC8

• કવિ : ભાસ્કર વોરા  • સંગીતકાર : પુરુષોત્તમ ઉપાધ્યાય  • ગાયિકા : લતા મંગેશકર

સૌજન્ય : ‘લાડકી’ પૂર્તિ, “મુંબઈ સમાચાર”, 17 જાન્યુઆરી 2019

http://www.bombaysamachar.com/frmSecShowA.aspx?SecNo=29&secName=%27લાડકી%27&Purti=1

Loading

17 January 2019 admin
← Winter is Coming
ઘડીકનો રાજીપો અને કાયમી ઉકેલ →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved