Opinion Magazine
Number of visits: 9446623
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કૉન્ગ્રેસ બેઠી થઈ ચૂકી છે, રાહુલનો ઉદય થઈ ચૂક્યો છે અને નરેન્દ્ર મોદીનો સૂર્ય મધ્યાહ્નેથી ખસી ચૂક્યો છે. આનો શ્રેય મુખ્યત્વે નરેન્દ્ર મોદી અને બી.જે.પી.ને જાય છે

રમેશ ઓઝા|Opinion - Opinion|6 January 2019

૨૦૧૩માં ૧૬મી લોકસભાની ચૂંટણી માટે પ્રચાર શરૂ થયો ત્યારે એક વાતની શંકા હતી અને ત્રણ વાતની ખાતરી હતી.

શંકા એ હતી કે નરેન્દ્ર મોદી પૂરી તાકાત લગાવ્યા પછી પણ કદાચ ભારતીય જનતા પક્ષને બહુમતી નહીં અપાવી શકે. શંકા હોવાનું પહેલું કારણ એ હતું કે બી.જે.પી. હિન્દુત્વવાદી પક્ષ છે એટલે તેને ઉદારમતવાદી હિંદુઓના અને લઘુમતી કોમના મત નહીં મળે. બીજું કારણ એ હતું કે દેશનાં કેટલાંક રાજ્યોમાં બી.જે.પી. અને કૉન્ગ્રેસ સિવાયના બીજા પ્રાદેશિક પક્ષો મજબૂત છે એટલે બી.જે.પી.ને ઉત્તર પ્રદેશ અને બિહાર જેવાં કેટલાંક રાજ્યોમાં જોઈએ એટલી બેઠકો નહીં મળે. શંકા પાછળનું ત્રીજું કારણ એ હતું કે દક્ષિણ ભારતમાં અને પૂર્વ ભારતમાં બી.જે.પી. ખાસ કોઈ પ્રભાવ નથી ધરાવતી એટલે બી.જે.પી.એ ઉત્તર અને પશ્ચિમ ભારતની અંદાજે સવા ત્રણસો બેઠકોમાંથી ૨૭૨ બેઠકો મેળવવાની છે અને એ ભગીરથ કામ છે. બી.જે.પી.ના વિરોધીઓ અને રાજકીય સમીક્ષકોની વાત છોડો, ખુદ બી.જે.પી.ના સિનિયર મોસ્ટ નેતા લાલ કૃષ્ણ અડવાણીએ બી.જે.પી.એ બિહારમાં નીતીશ કુમાર સાથેનું ગઠબંધન તોડી નાખ્યું ત્યારે ‘ઇન્ડિયન એક્સપ્રેસ’માં લેખ લખીને આવો મત વ્યક્ત કર્યો હતો.

જે ત્રણ ખાતરી હતી એમાંની પહેલી ખાતરી એ કે લોકસભાની ચૂંટણીમાં કૉન્ગ્રેસનો કારમો પરાજય થવાનો છે. સોની આસપાસ બેઠકો મળશે એમ ત્યારે ધારવામાં આવતું હતું. બીજી ખાતરી એ વાતની હતી કે રાહુલ ગાંધીમાં રાજકીય નેતૃત્વ કરવા જેટલી પરિપક્વતા નથી, આવડત પણ નથી અને તેનાથી પણ વધારે તેઓ સાતત્યપૂર્વક રાજકારણ કરી શકતા નથી. ભારતીય રાજકારણમાં પાર્ટ ટાઈમ રાજકારણ થતું નથી. પક્ષનો નેતા ચોવીસ કલાકનો રાજકારણી હોય છે અને ચોવીસ કલાક ઉપલબ્ધ હોવો જોઈએ. ચિંતન-મનન કરવા માટેની છૂટી (સેબેટિકલ લીવ) ભારતીય રાજકારણીના નસીબમાં નથી હોતી. ટૂંકમાં રાહુલ ગાંધી નથી ભારતીય સમાજના સ્વરૂપને ઓળખતા કે નથી ભારતીય રાજકારણના સ્વભાવને ઓળખતા. આ સ્થિતિમાં રાહુલ ગાંધી કૉન્ગ્રેસ માટે બોજારૂપ છે.

ત્રીજી ખાતરી એ વાતની હતી કે જો નરેન્દ્ર મોદી વડા પ્રધાન બનશે (અને તેઓ બને એમ લાગતું જ હતું) તો તેઓ ઓછામાં ઓછી બે મુદ્દત માટે અને કદાચ ત્રણ મુદ્દત માટે સત્તા ભોગવશે. કોઈ તેમને ઊખેડી નહીં શકે. બી.જે.પી. પહેલી મુદ્દત કરતાં બીજી મુદ્દત માટે વધુ બેઠકો મેળવશે એની પણ ખાતરી હતી. આ વરસો કૉન્ગ્રેસ માટે વસમાં નીવડવાનાં છે અને એમાં કદાચ કૉન્ગ્રેસ વિભાજિત થઈને ખતમ પણ થઈ જાય એવું પણ લાગતું હતું. આવી ખાતરી હોવાનું કારણ એ હતું કે નરેન્દ્ર મોદી પાસે વિરોધના વાવાઝોડા સામે બચી નીકળતા અને સત્તાને પોતાના હાથમાં મજબૂતપણે કેન્દ્રિત કરતા આવડે છે. આ આવડત અસાધારણ છે.

આજે પાંચ વરસ પછી ત્રણે ત્રણ ખાતરીઓ ઉપરતળે થઈ ગઈ છે. કૉન્ગ્રેસ ત્રણ વરસની જગ્યાએ પાંચ વરસમાં બેઠી થતી નજરે પડી રહી છે. રાહુલ ગાંધીમાં કમાલનું પરિવર્તન જોવા મળી રહ્યું છે અને નરેન્દ્ર મોદીના હાથમાંથી પરિસ્થતિ સરકી રહી છે. તેઓ બીજીવાર વડા પ્રધાન બનશે કે નહીં એ વિષે પણ શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. તેમની બધી તરકીબો નિષ્ફળ નીવડી રહી છે. આને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે પ્લાન બી અમલમાં મૂકી દીધો છે અને નીતિન ગડકરીને આગળ કરવામાં આવી રહ્યા છે.

આવું કેમ બન્યું? કોણે આવી સ્થિતિ પેદા કરી? પરિસ્થિતિએ, રાહુલ ગાંધીએ કે ખુદ નરેન્દ્ર મોદીએ? થોડા ગમા-અણગમાને બાજુએ રાખીને આ વિષે વિચારવું જોઈએ. આમ પણ આપણી ઈચ્છા મુજબ બધું થતું નથી.

મારી સમજ મુજબ પહેલી ભૂલ નરેન્દ્ર મોદીએ કરી છે. એ ભૂલ ભારતને વિસ્તારિત ગુજરાત સમજી બેસવાની હતી. ગુજરાત મોડેલ આબેહૂબ ભારતમાં નહીં ચાલ્યું. શું હતું ગુજરાત મોડલ? શું એનાં લક્ષણો હતાં? ઇવેન્ટોને વિકાસના પર્યાય તરીકે રજૂ કરવાનું. રોજ નીતનવા ખેલ પાડતા રહેશું તો લોકોને એમ લાગશે કે દેશમાં અત્યાર સુધી જોવા નથી મળ્યું એવું કાંઈક નવું થઈ રહ્યું છે. એની સાથે વિરોધ પક્ષોને કચડી નાખવાના, સંસદનો ઓછામાં ઓછો સામનો કરવાનો, કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ, સી.બી.આઈ. અને બીજી બંધારણીય સંસ્થાઓને મુઠ્ઠીમાં રાખવાની, સાચી-ખોટી સિદ્ધિઓની ખૂબ પ્રસિદ્ધિ કરવાની, મીડિયાને કબજામાં રાખવાના, પ્રજાને આંચકો આપે એવા નિર્ણયો લેવાના, વિરોધ પક્ષના નેતાઓનું મોરલ તૂટી જાય એટલી હદે નીચે ઊતરીને ટીકા કરવાની વગેરે. ગુજરાત મોડલ વિકાસશીલ શાસનનું મોડલ નહોતું, તરકીબી શાસનનું મોડલ હતું. નરેન્દ્ર મોદી અને અમિત શાહે એમ માની લીધું હતું કે ગુજરાતનું તરકીબી મોડલ રાષ્ટૃીય મોડલ બનાવી શકાશે અને ગાડું ગબડશે.

નરેન્દ્ર મોદીએ બીજી ભૂલ ભારતીય પ્રજામાં જે પ્રચંડ હતાશા વ્યાપ્ત હતી એની ઉપેક્ષા કરવાની કરી હતી. તેમની ગણતરી એવી હતી કે તેઓ હતાશાની અંદર આશા જગાડવાની ક્ષમતા ધરાવે છે, એટલું જ નહીં એ આશા ટકાવી રાખવાની પણ ક્ષમતા ધરાવે છે. એ વાતમાં કોઈ શંકા નથી કે ૨૦૧૩-૨૦૧૪માં નરેન્દ્ર મોદી ભારતની પ્રજામાં આશા જન્માવી શક્યા હતા. હકીકતમાં એને કારણે તો તેમણે આ લખનાર જેવા રાજકીય સમીક્ષકોને અને ખુદ લાલ કૃષ્ણ અડવાણીને ખોટા સાબિત કર્યા હતા. હતાશાની વચ્ચે આશા પેદા કરવી એ બહુ મોટી સિદ્ધિ છે. આવું ૧૯૧૫માં ભારત આવ્યા પછી ગાંધીજી કરી શક્યા હતા. એ સમયે મેં આશા જન્માવવાની ક્ષમતાની બાબતે નરેન્દ્ર મોદીની તુલના ગાંધીજી સાથે કરી ત્યારે મારા એક વડીલ મિત્રે ટકોર પણ કરી હતી કે ગાંધીજી અને નરેન્દ્ર મોદી એક ત્રાજવે?

નરેન્દ્ર મોદીએ ત્યારે આશા તો પેદા કરી, પરંતુ હતાશાનું સ્વરૂપ અને તેનાં મૂળિયાં ક્યાં સુધી ફેલાયેલાં છે અને કેટલાં ઊંડાં છે એ સમજવાની તસ્દી નહોતી લીધી. કોઈ સમાજશાસ્ત્રીની મદદ લીધી હોત તો તે નરેન્દ્રભાઈને સમજાવત કે હતાશા એ રોકડી વાસ્તવિકતા છે અને આશા એ પોસ્ટ ડેટેડ ચેક છે. દિવસ ઊગે અને કવરાવનારી રોકડી વાસ્તવિકતાથી બચી શકાતું નથી. આશાની વાટ માણસ ક્યાં સુધી જુએ? બીજું, ૨૦૧૧ પછી ભારતીય સમાજમાં જે હતાશા પેદા થઈ હતી એ સાધારણ નહોતી. અણ્ણા હજારે જેવા નાસમજ અને બાબા રામદેવ કે શ્રી શ્રી રવિશંકર જેવા અંગત એજન્ડા ધરાવનારાઓની પ્રજાએ આંગળી પકડી હતી. માણસ જ્યારે તણખલાનો સહારો લે ત્યારે સમજી જવું જોઈએ કે સંકટ કેવું મોટું છે. ડૉ. મનમોહન સિંહનો વિરોધી પણ તેમની બુદ્ધિપ્રતિભા, તેમની આવડત, તેમની પ્રામાણિકતા અને તેમનાં સરોકાર વિષે શંકા નહીં કરે. આવો માણસ જ્યારે હતપ્રભ થઈ ગયો હોય અને બીજી બાજુ ઉપાયના અભાવમાં પ્રજા અણ્ણા હજારે અને બાવાઓની આંગળી પણ પકડી લેતી હોય ત્યારે એ હતાશાને ગંભીરતાથી લેવાની જરૂર હતી. 

પ્રજાને હતાશાનો ઉપાય જોઈતો હતો અને નરેન્દ્ર મોદી આશા, વધુ આશા અને હજુ વધુ આશા પેદા કરતા જતા હતા. ક્યાં સુધી આ ચાલે? ઉજળી કાલ ક્યારે ય આવે જ નહીં અને દરેક દિવસ આશાના નવા પડીકા સાથે ઊગે તો પ્રજા ક્યાં સુધી ધીરજ જાળવે? માત્ર ભારતીય પ્રજા સામે નહીં, સંકટ જાગતિક છે. તે જટિલ છે અને વિકટ પણ છે. તે વ્યાપક છે અને તેનાં મૂળિયાં ઊંડાં છે. ૨૦૧૭ પછી નરેન્દ્ર મોદીના સમર્થકોને પણ સમજાઈ ગયું હતું કે પ્રજાને સંકટ સામે ઝઝૂમનારા વડા પ્રધાન જોઈએ છે; ઇવેન્ટ બહાદુર, રોજ આશાના નવા નવા જુમલા ફેંકનારા, કાંઈક અનોખું કરવાનો દેખાડો કરતા વડા પ્રધાન નહીં જે નોટબંધી જેવો તઘલખી નિર્ણય પણ લે. ટૂંકમાં નરેન્દ્ર મોદીએ સંકટને ગંભીરતાથી સમજવાની કોશિશ કરી હોત તો આજે જે તેમની સામે અનિશ્ચિતતાના વાદળો ઘેરાયાં છે એ ન ઘેરાયાં હોત. તેમણે ગુજરાતના તરકીબી મોડેલ પર ભરોસો રાખ્યો, સંકટ તેમ જ સંકટજન્ય હતાશાની ઉપેક્ષા કરી અને ઉપરથી રોજ નવી આશાના ફુગ્ગા ચગાવતા રહ્યા એ તેમની આજની અવસ્થાનું કારણ છે. આને કારણે ૨૦૧૪માં નરેન્દ્ર મોદીની બીજી અને કદાચ ત્રીજી મુદ્દત પણ નિશ્ચિત લાગતી હતી એ આજે અનિશ્ચિત બની ગઈ છે.

રાહુલ ગાંધી શેને કારણે ઊભા થયા? ૨૦૧૪ના રાહુલ ગાંધીમાં અને આજના રાહુલ ગાંધીમાં જમીન-આસમાનનો ફરક છે. માણસ આટલી હદે બદલાઈ શકે? ૨૦૧૪ના કૉન્ગ્રેસના કારમા પરાજય પછી અને એ પછી રાજ્યોની વિધાનસભાઓની ચૂંટણીમાં થયેલા કૉન્ગ્રેસના ઉપરાઉપરના પરાજય પછી એક નેતા તરીકે રાહુલ ગાંધીના નામનું નાહી નાખવામાં આવ્યું હતું. ખાસ કરીને ૨૦૧૭ના માર્ચ મહિનામાં ઉત્તર પ્રદેશની વિધાનસભાની ચૂંટણીમાં બી.જે.પી.ને બે-તૃતીયાંશ બહુમતી મળી અને કૉન્ગ્રેસને તેમ જ કૉન્ગ્રેસ સાથે ચૂંટણી સમજૂતી કરનાર સમાજવાદી પક્ષને અનુક્રમે સાત અને ૪૭ બેઠકો મળી ત્યારે કહેવામાં આવતું હતું કે પપ્પુ સાથે હાથ મેળવવાને કારણે અખિલેશ યાદવના બારે વહાણ ડૂબી ગયાં છે.

આ રાહુલ ગાંધી ગજબના આત્મવિશ્વાસ સાથે નરેન્દ્ર મોદીની સામે ઊભા રહી ગયા છે. ‘ઇન્ડિયા ટુડે’ નામના પ્રતિષ્ટિત સામયિકે ‘ધ ઈવોલ્યુશન ઓફ રાહુલ ગાંધી’ નામની કવર સ્ટોરી કરી છે જેમાં રાહુલના ઉદય અને વિકાસની કારણમીંમાસા આપી છે. રાહુલ ગાંધીનો ઉદય મુખ્યત્વે નરેન્દ્ર મોદી, અમિત શાહ અને બી.જે.પી.એ કરી આપ્યો છે. તેમને એટલી હદે કચડી નાખવામાં આવ્યા હતા અને એટલી હદે તેમનું મોરલ તોડવામાં આવ્યું હતું કે રાહુલ માટે બે જ વિકલ્પ બચ્યા હતા. કાં તો રાજકારણને રામરામ કરવા અથવા વળતો હુમલો કરવો. રાહુલે હાર કબૂલી નહીં. કૉન્ગ્રેસમાં અસંતોષ પેદા થયો નહીં કે વિભાજન થયું નહીં. આ બાજુ નરેન્દ્ર મોદી નક્કર કાંઈ આપી શક્યા નહીં અને ઉપરથી નોટબંધી તેમ જ ઉતાવળા જી.એસ.ટી.ને કારણે અસંતોષ વધ્યો. એ સમયે નરેન્દ્ર મોદી અને બી.જે.પી.એ રાહુલ વિશેનો અભિગમ બદલવો જોઈતો હતો. કૂણા પડવું જોઈતું હતું.

એની જગ્યાએ તેઓ રાહુલ પરનું આક્રમણ હજુ નીચલા સ્તરે લઈ ગયા હતા. મહાભારતના અભિમન્યુ અને કૌરવો જેવો સીન નજરે પડવા લાગ્યો. રાહુલ ગાંધીએ આમ છતાં રાજકારણને રામરામ કર્યા નહીં, લડતા રહ્યા, ખૂબ પ્રવાસ કરતા રહ્યા અને અકળાયા વિના કે વિવેક ગુમાવ્યા વિના વિઘ્નોનો સામનો કરતા રહ્યા ત્યારે લોકોને લાગવા માંડ્યું કે રાહુલ ગાંધી સાથે જે થઈ રહ્યું છે એ અસભ્ય અન્યાય છે; પણ આ છોકરો સભ્યતા છોડતો નથી. આજ સુધી એક પણ એલફેલ શબ્દ તેમણે ઉચાર્યો નથી. આનો અર્થ એવો નથી કે લોકોએ રાહુલ ગાંધીને મોટા ગજાના નેતા તરીકે સ્વીકારી લીધા છે કે વડા પ્રધાનપદના ઉમેદવાર તરીકે જોવા માંડ્યા છે; આનો અર્થ એટલો જ લોકો નરેન્દ્ર મોદીને ઓળખી ગયા છે. નરેન્દ્ર મોદી વિકાસના મોરચે વિરાટ નથી અને માણસાઈના મોરચે વામન છે. આ બાજુ રાહુલ ગાંધી પાસે ધીરજ જાળવીને ટકી રહેવા સિવાય કોઈ માર્ગ નહોતો. એ ટકી રહ્યા અને નરેન્દ્ર મોદી તેમ જ બી.જે.પી.ના અન્ય નેતાઓના પ્રતાપે ઊભા થઈ ગયા. એટલું તો રાહુલ ગાંધીના દુ:શ્મનો પણ સ્વીકારશે કે જે સંજોગોમાંથી રાહુલ પસાર થયા છે એ અસાધારણ હતા. ભલભલો માણસ તૂટી જાય. એ તૂટ્યા નહીં અને ઊભા થયા એ કોઈ કરિશ્મા છે.

તો ૨૦૧૪માં ત્રણ ખાતરી હતી; કૉન્ગ્રેસ ખતમ થઈ જશે, રાહુલ ગાંધી કૉન્ગ્રેસ પર બોજ છે અને ક્યારે ય ઊભા નહીં થઈ શકે અને નરેન્દ્ર મોદીને કોઈ બે અને કદાચ ત્રણ મુદ્દત સુધી કોઈ હલાવી નહીં શકે. એ ત્રણે ય ખાતરી ખતમ થઈ ગઈ છે. કૉન્ગ્રેસ બેઠી થઈ ચૂકી છે, રાહુલનો ઉદય થઈ ચૂક્યો છે અને નરેન્દ્ર મોદીને સૂર્ય મધ્યાહ્નેથી ખસી ચૂક્યો છે. મુખ્યત્વે આનો શ્રેય નરેન્દ્ર મોદી અને બી.જે.પી.ને જાય છે.

સૌજન્ય : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘સન્ડે સરતાજ’ પૂર્તિ, “ગુજરાતી મિડ-ડે”, 06 જાન્યુઆરી 2019

Loading

6 January 2019 admin
← બોડી લેંગ્વેજ
ગાંધી@૧૫૦: મહાત્મા આજે જીવતા હોત તો? →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved