Opinion Magazine
Number of visits: 9449533
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

લોકશાહીની કાખલી કૂટતા વૈશ્વિક રાજકારણમાંયે સત્તામદાન્ધોની અસહિષ્ણુતા એક ઝૅરીલા હથિયાર રૂપે સૅટ થઇ રહી છે

સુમન શાહ|Opinion - Opinion|5 January 2019

ગાંધી-કથિત 'અહિંસા' શબ્દ સર્વગુણવાચી છે, ભલે નિર્બળતા સૂચવે છે, પણ સર્વથા વિધાયક છે, એથી પ્રગટતી બળવત્તાનો દુનિયામાં જોટો નથી

દરેક ડિસેમ્બરમાં છાપાંના પત્રકારો અને મીડિયા-પીપલ જીવનવ્યવહારનાં જુદાં જુદાં ક્ષેત્રોમાં શું શું બન્યું તેનાં માંડી-ટીપીને સાર-સરવૈયાં કાઢી તેને સમાચારો રૂપે પ્રગટાવતા હોય છે. એથી ઝળહળતી સમાચાર-જ્યોત નાતાલ અને નૂતન વર્ષની રોશની વચ્ચે વિચારોને ઉત્તેજિત કરતી હોય છે. સારી વાત છે. એથી પ્રજાને જિવાતા જીવનનાં પ્લસ-માઈનસનો ખ્યાલ આવે છે; જરૂરી છે.

પણ વર્ષ ૨૦૧૮-ની કરુણ વીગત એ છે કે એ સમુપકારક સમાચાર-જ્યોતને ઝળહળતી રાખનારા વિશ્વના ૩૪ પત્રકારોને મારી નંખાયા છે – ગયા વર્ષની તુલનામાં ૮૯%નો વધારો ! કેટલીક હત્યાઓ આવી હતી : ફેબ્રુઆરીમાં, સ્લોવાકિયામાં, સંશોધક પત્રકારના ઘરમાં ગનમૅને ઘૂસીને તેની હત્યા કરેલી. ઍપ્રિલમાં, કાબુલમાં, પ્રેસ કૉર્પ્સને ટાર્ગેટ બનાવીને ISIS-ના સ્યુસાઈડ બૉમ્બરોએ ૯ જણાને એક જ હુમલામાં ઉડાવી દીધેલા. બગડેલા મગજના વાચકોથી દરેક છાપાએ ચેતવા જેવો બનાવ જૂનમાં મૅરિલૅન્ડમાં બનેલો. તેના 'કૅપિટલ ગૅઝેટ'-ના ન્યૂઝરૂમમાં કોઈ ખોફનાક વાચક પ્હૉંચી ગયેલો ને એણે સેલ્સ આસિસ્ટન્ટ સહિત ચાર પત્રકારોને ધરાશરણ કરી દીધેલા. ઑક્ટોબરમાં, 'વૉશિન્ગ્ટન પોસ્ટ'-ના સહયોગી સાઉદી-ઍક્ઝાઈલ જમાલ ખશોગીને ઈસ્તંબુલની કૉન્સ્યુલેટમાં સરકારનાં જ માણસોએ હણી નાખેલો. દેહના ટુકડે ટુકડા કરી નાખેલા. એ ટુકડાઓની છેક હવે ભાળ મળવા લાગી છે.

ઉપરાન્ત, વર્ષ ૨૦૧૮-માં વિશ્વના ૨૫૧ પત્રકારોને જૅલમાં ધકેલવામાં આવ્યા છે. ૧૯૯૨-થી ગણતાં, ભારતમાં ૪૭ પત્રકારોની હત્યા થઈ છે. આ વર્ષે, નવીન નિશ્ચલ (બિહાર) અને સુજાત બુખારી (કશ્મીર) મરાયા છે. સત્તામદાન્ધો એક જ વાત કરી રહ્યા છે – સામે પડનારાઓને ખતમ કરો ! અન્યાય અને કુકર્મોથી દૂષિત વાસ્તવિકતાઓને ખુલ્લી પાડનારાઓને જ નેસ્તનાબૂદ કરનારી આ સિતમખોરીનું શું કરીશું?

આમાં, સાહિત્યકારો તો, શું કરી શકે? મારા જેવા 'સાહિત્ય સાહિત્ય'-વાળાનું મન સુથારના મનની જેમ બાવળિયે લાગી જાય છે. મને થાય, પ્રવર્તમાન પરિસ્થિતિમાં બદલાવ લાવે એવી તાકાત મારા શબ્દોમાં છે ખરી? અને જો છે, તો હું એને સાર્થકપણે પ્રયોજતો હોઉં છું ખરો? શબ્દોને મારા સહપાન્થ વાર્તાકારો કવિઓ વિવેચકો કે અધ્યાપકો વિવેકપૂર્વક પ્રયોજે છે ખરા? કદાચ આપણા જ હાથે શબ્દોની પણ હત્યાઓ તો નથી થતી ને …

સિતમખોરી જેવી દર્દનાક ચીજો વિશે લખું ત્યારે મારાથી રમૂજ અને કટાક્ષ બેયમાં ઝબોળેલા શબ્દો રચાઈ જાય છે. જેમ કે, તમારા ધ્યાનમાં આવ્યો હશે, મારો 'સત્તામદાન્ધ' શબ્દ. સત્તાથી એને મદ ચડે, એથી અન્ધાપો આવે, પોતાથી થયેલાં અઘટિત કામો – ભવાડા કે કાણ્ડ – દેખાય નહીં, અને એને ઉઘાડાં પાડનારાઓ એનાથી સહેવાય નહીં. પત્રકારોને જૅલમાં નંખાયા અને હત્યાઓ થઇ એમાં એ અસહિષ્ણુતા સવિશેષે જવાબદાર હતી. લોકશાહીની કાખલી કૂટતા વૈશ્વિક રાજકારણમાંયે સત્તામદાન્ધોની અસહિષ્ણુતા એક ઝૅરીલા હથિયાર રૂપે સૅટ થઇ રહી છે.

ફોનના સ્ક્રીન પર નખ-આંગળાંનાં ચપચપારા કરતાં આત્મરત પ્રેમી જીવો 'મોસ્ટ ટૉલરન્ટ' કહેવાય છે.

સામ્પ્રતની એ સિતમખોરીના વ્યાપક સંદર્ભમાં કેટલાક શબ્દપ્રયોગોની નુક્તેચિની રજૂ કરું છું : સિતમખોરીનું સંગુપ્ત કારણ એ છે કે 'સહિષ્ણુતા' અથવા 'ટૉલરન્સ' શબ્દનો પ્રાણ ખતમ થવા માંડ્યો છે. સામાન્ય જનો પણ હવે સામાવાળાને ટૉલરેટ કરવા તૈયાર નથી. ઈ.ઍમ. ફૉર્સ્ટરે 'ટૉલરન્સ'-ને 'નૅગેટિવ વર્ચ્યુ' કહેલો. એમ કે, બીજાને સહી લેનારો મનુષ્ય નકારાત્મક ભાસે છે પણ એ સ્તો એનો ગુણ છે ! એ રાહે, ગાંધી-કથિત 'અહિંસા' શબ્દ મને સર્વગુણવાચી લાગ્યો છે. ભલે નિર્બળતા સૂચવે છે પણ સર્વથા વિધાયક છે. એથી પ્રગટતી બળવત્તાનો દુનિયામાં જોટો નથી. એમ તો, ફોનના સ્ક્રીન પર નખ-આંગળાંનાં નીરવ ચપચપારા કરનારાં આત્મરત પ્રેમીઓ 'મોસ્ટ ટૉલરન્ટ' કહેવાય છે. બાકી, આજે તો, સામા માણસનું દિલ દુખાય એવું બોલતાં કે કરતાં, કોઇ ખંચકાતું નથી. મનદુ:ખ પછીનાં શક્ય સમાધાન માટે ય લોકો ઉદાસીન થતા ચાલ્યા છે. 'ચાલશે, મારે હમણાં એમની શી જરૂર છે' – પ્રકારની મુડદાલ માનસિકતામાં સબડવાનું ઘણાને ગમવા લાગ્યું છે.

જાણે આપણે ઊંધે-માથે થઇ ગયેલી દુનિયામાં જીવીએ છીએ. બધું અવળું જ થઈ રહ્યું છે. અત્યારલગી નાની છોકરીને 'બેબી' કહેતા'તા. હવે પ્રિયજનો અને પતિ-પત્ની એકમેકને કશી વિચિત્રિત લાગણીથી 'બેબી' કહેવા લાગ્યાં છે. હોય કે ન હોય, 'હાય બેબી' બોલવાથી પળ માટે ય પ્રેમ પ્રગટતો હશે. 'નો બેબી, નૉટ લાઈક ધૅટ' બોલવાથી કોઇપણ જૂઠ પત્નીના ગળે ઊતરી જતું હશે. જો કે આ ઝડપી સમામાં લાગણીશીલ ઉદ્ગારોનું વજૂદ નથી રહ્યું. 'છોડો, એ તો સૅન્ટી થઇ ગયો છે' કહીને, ખાસ તો છોકરીઓ, એવા બાપડાને કાયમ માટે ડાબો કરી દે છે.

અમેરિકામાં, જો તમને વસ્તુઓ કે પરિસ્થિતિઓ અનુકૂળ ન લાગતી હોય, જો એને તમારે ઉડાવી દેવી હોય, તો બોલી દેવાનું -'આબ્રાકાડાબ્રા' ! આ, મને યાદ આવે છે, અમે નાનપણમાં 'અન્તરમન્તરછૂમન્તર' બોલતાં એના જેવું છે. કોઇને તમારો સ્વીકાર જ નથી કરવો, તમારી વાત ગમે તેટલી વાસ્તવિક હોય, પણ જો સાંભળવી જ નથી, તો એ કહી દેશે – આબ્રાકાડાબ્રા ! તમે ભલે તર્કપુર:સરનું કે લાગણીભર્યું બોલતા હોવ, તમે ભલે રૂડી રીતેભાતે સાચા હોવ – આબ્રાકાડાબ્રા !

ગુજરાતી ભાષા-સાહિત્યના વર્તમાનનો ઇતિહાસ ઉકેલીશું તો એના ભવિષ્યનું ચિન્તન સારી પૅરે કરી શકાશે. વર્તમાનમાં કોઇના કે કશ્શાના ય અસ્તિત્વને આસાનીથી નકારી શકાય છે. 'લોકપ્રિય' અને 'વિદ્વદ્ પ્રિય' સંજ્ઞાઓને એકબીજાની દુશ્મન ગણતાં આપણે થાકતા જ નથી. લોકપ્રિય, વિદ્વાન હોઈ શકે અને વિદ્વાન, લોકપ્રિય હોઈ શકે એ ચોખ્ખી હકીકત ગળે ઊતરતી જ નથી. બે ઘાતક રસમો સૅટ થઇ છે : ખૂણે બેસીને કામ કરનારાને સમજવાની તકલીફ લેવી જ નહીં. એવી રીતે વર્તવું કે એ છે જ નહીં ! : આકર્ષક લેખનશૈલીથી વ્યાપક સંક્રમણ સાધનારાને હૉંકારો ભણવો જ નહીં બલકે 'એ તો છાપાળવો છે' કહીને એનો છેદ ઉડાવવો : વાર્તાકારને ઉતારી પાડવા કહી દેવાય છે, ‘પ .. ણ વાર્તા નથી બનતી'. કોઇપણ વિવેચક માટે કહી દેવાય છે, 'બહુ અઘરું લખે છે'. નીવડેલા સાહિત્યકારની વિરુદ્ધ ઍલફૅલ બોલનારો કે અઘટિત ટીકા લખી આપનારો રાતોરાત 'જ્ઞાની' ઠરે છે. જ્ઞાનપીઠ અને કે.કે. બિરલા જેવાં રાષ્ટ્રીય પારિતોષિકોથી વિભૂષિતોનાં ગૌરવ કરવાનો નૂતન તરીકો એ છે કે ઉજવણાં ન કરવાં ચૂપ રહેવું બલકે ખાનગીમાં બબડવું – 'બધું મૅનેજેબલ છે'. હવે, વિવેચકે 'વખાણિયું' લખ્યું હોય તો લેખક ઝટ આભાર માને છે. વિવેચકે 'ટીકાળુ' લખ્યું હોય તો લેખક ખાનગીમાં તેની ફજેતી કરે છે. ચાલાક વિવેચકો સમજી ગયા છે કે જો આમ જ વાહવાહી મળે છે તો શાને લમણાં ઝીંકવાં ! સમીક્ષા એટલે ગુણ અને દોષનું સમ્યક્ ઈક્ષણ. ગુણશોધકને દોષ જડી આવે. પણ શોધે તો …

સાહિત્યકલાની ભાષા જુદી છે પણ ભાષા સામાન્યા પણ છે કેમ કે એ જનસમુદાયની છે. શબ્દમાત્રના આપણે સૌ જવાબદાર સહભાગી છીએ. શબ્દોથી સંસ્કૃતિ રક્ષાય છે, માનવતા ઘડાય છે. બદ ઇરાદાઓથી શબ્દાર્થોની જ્યારે પણ તોડફોડ કરાય છે ત્યારે સિતમખોરોને ફાવટ આવી જાય છે. હત્યાઓ થાય છે. લડાઇઓ અને યુદ્ધો સરજાય છે. સંસ્કૃતિ મરણશરણ થઈ જાય છે.

'વખાણિયું' અને 'ટીકાળુ' લખ્યા પછી મને યાદ આવ્યું કે ગુજરાતી ભાષામાં જો 'લસણિયું' અને 'માયાળુ' શબ્દો છે, તો એ નવ્ય રચનાઓ માટે મેં કશી ભૂલ નથી કરી. તમે બોલી જોજો -'વખાણિયું વિવેચન' – 'ટીકાળુ વિવેચન', સાર્થક લાગશે અને મજા પડશે.

હે શબ્દાખ્ય જ્યોતિ ! નિત પ્રકાશજે અને અમને સૌને અજવાળજે …

= = =

સૌજન્ય : ‘સાહિત્ય-સાહિત્ય’ નામક લેખકની કટાર, “નવગુજરાત સમય”, 05 જાન્યુઆરી 2019

Loading

5 January 2019 admin
← ઉલુરુ સાખે સૂર્યાસ્તદર્શન
કૉન્ગ્રેસ બેઠી થઈ ચૂકી છે, રાહુલનો ઉદય થઈ ચૂક્યો છે અને નરેન્દ્ર મોદીનો સૂર્ય મધ્યાહ્નેથી ખસી ચૂક્યો છે. આનો શ્રેય મુખ્યત્વે નરેન્દ્ર મોદી અને બી.જે.પી.ને જાય છે →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved