Opinion Magazine
Number of visits: 9488098
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

વડા પ્રધાને મૂલ્યવાન સમય વેડફી નાખ્યો કે વેડફાઈ ગયો?

રમેશ ઓઝા|Opinion - Opinion|23 December 2018

આપણે ચર્ચા કરી રહ્યા છીએ કે વિરોધીઓને ઈર્ષ્યા થાય એવી અલભ્ય તક નરેન્દ્ર મોદીએ વેડફી કેમ નાખી? આવી તક ભાગ્યશાળી માણસને જ મળે છે અને રાજીવ ગાંધી પછી નરેન્દ્ર મોદી બીજા ભાગ્યશાળી હતા. રાજીવ ગાંધીએ પણ અનેક બાબતે મેળવેલી તક વેડફી નાખી હતી. જો કે આસામ સમજૂતી અને ટેલિકોમ્યુનિકેશન ક્ષેત્રે ક્રાંતિ તેમનાં નામે જમા બોલાય છે.  નરેન્દ્ર મોદીની બાબતમાં ઇતિહાસ ભૂલે નહીં એવું જમા પક્ષે હજુ સુધી તો કાંઈ નથી, ઊલટું ઉધાર પક્ષે નોટબંધી અને ઉતાવળા જી.એસ.ટી.ના દુ:સાહસો છે.

સવાલ એ છે કે આવું કેમ બન્યું? તેમણે પોતે આવું થવા દીધું કે પરિસ્થિતિ હાથમાંથી સરકી ગઈ? ત્રણ ખુલાસા આપવામાં આવી રહ્યા છે.

એક. સંઘપરિવાર અને હિન્દુત્વવાદીઓ એજન્ડા આંચકી ગયા અને નરેન્દ્ર મોદી તેમને રોકી ન શક્યા. ગુજરાતમાં નરેન્દ્ર મોદી તેમને રોકી શક્યા હતા અને તેઓ રોકાયા પણ હતા, કારણ કે તેઓ દિલ્હી પહોંચવા માગતા હતા. જો ગુજરાતમાં તેમણે ઊભી-આડી સામાજિક તિરાડો પાડી હોત તો લોકો સબ કા સાથ સબ કા વિકાસની વાત પર ભરોસો કરત નહીં અને તેમને સ્પષ્ટ બહુમતી સાથ દિલ્હી સુધી પહોંચાડત નહીં. દિલ્હી પહોંચ્યા પછી તેઓ રોકાવા તૈયાર નહોતા. તેમને સ્પષ્ટ બહુમતી પછી બે-તૃતિયાંશ બહુમતી સુધી પહોંચવું હતું એટલે બને એટલું જલદી હિંદુ ધ્રુવીકરણ તેઓ કરવા માગતા હતા. ખબર નહીં આવી તક બીજીવાર મળે કે નહીં અને મળે તો ક્યારે મળે?

આ ઉપરાંત, પ્રતિક્રિયાવાદી માનસિકતા અને અસ્મિતાવાદનો જુવાળ આખા જગતમાં જોવા મળી રહ્યો છે, એટલે તેના પ્રભાવથી ભારતના હિંદુઓ પણ મુક્ત ન હોઈ શકે. ભારતના હિંદુઓ જાગતિક જુવાળથી પ્રભાવિત છે એટલે તેનો લાભ લઈ લેવો જોઈએ. તેમણે એવી ગણતરી માંડી હશે કે થોડા સેક્યુલર લિબરલ હિંદુ ગોકીરો કરશે, પરંતુ તેમના વિરોધની ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે પ્રવાહ તેમની વિરુદ્ધ વહી રહ્યો છે. આમ પણ તેઓ મુઠ્ઠીભર છે, તેમનો ખાસ પ્રભાવ નથી અને પર્યાપ્ત પ્રમાણમાં તેમને બદનામ પણ કરવામાં આવ્યા છે. ટૂંકમાં ધીસ ઈઝ ધ રાઈટ મોમેન્ટ ટુ કાસ્ટ ધ ડાય. હવે વધારે લાંબુ દોરડું આપવાની જરૂર નથી.

ધરખમ બંધારણીય ફેરફારો કરીને ભારતીય રાષ્ટ્રને હિંદુ રાષ્ટ્રમાં ફેરવવા જેટલી સંખ્યાની અનુકૂળતા અત્યારે નથી તો શું કરવું? આનો જવાબ હતો : ગાય, લવ-જેહાદ,ટિૃપલ તલાક, કાશ્મીર, કબ્રસ્તાન વિરુદ્ધ સ્મશાન, નામબદલી, અયોધ્યા, ગંગાઆરતી વગેરે. જુઓ તો ખરાં આ બધા સપાટી પરના હિન્દુત્વવાદી મુદ્દાઓ કેટલું ધ્રુવીકરણ કરી આપે છે? જો ધારી સફળતા મળે અને મોટાભાગના હિંદુઓ ૨૦૧૪નાં વિકાસનાં વચનો ભૂલીને હિંદુ થવા લાગે તો ગંગા નાહ્યા. નરેન્દ્રભાઈએ હિંદુઓને વિકાસની આંગળી પકડાવી હતી હવે આપણે તેમને ખબર પણ ન પડે એમ સિફતથી ભાવનાનો લાભ લઈને હિન્દુત્વની આંગળીએ લઈ લેવાના છે. ઘણા હિંદુઓએ વિકાસનાં વચનો ભૂલીને હિન્દુત્વની આંગળી પકડી પણ લીધી છે, જેને આજકાલ ભક્ત તરીકે ઓળખવામાં આવે છે. ફાસીવાદી સંગઠનો માટે દરેક વ્યક્તિ સાધન હોય છે અને તેમાં નરેન્દ્ર મોદી અપવાદ ન હોઈ શકે. અટલ બિહારી વાજપેયીનો પણ તેમણે આ રીતે લિબરલ મોહરા તરીકે ઉપયોગ કર્યો હતો.

બીજો ખુલાસો એવો આપવામાં આવે છે કે વિકાસનો એજન્ડા નરેન્દ્ર મોદીના હાથમાંથી હિન્દુત્વવાદીઓ આંચકી નથી ગયા, નરેન્દ્ર મોદી પણ તેમાં ભાગીદાર છે. ઇવેન્ટો, જાહેરાતો, શબ્દરમતો, નરેન્દ્ર મોદીનાં ભવ્ય સ્વાગત કરનારી વિદેશયાત્રાઓ, સ્માર્ટ સિટીઝ, બુલેટ ટ્રેન, ઇવન નોટબંધી, રાતના બાર વાગે સંસદ બોલાવીને જી.એસ.ટી. લાગુ કરવો, વગેરે મોરચો નરેન્દ્રભાઈએ સંભાળ્યો હતો. વિકાસને વરેલા હિન્દુને એમ લાગવું જોઈએ કે દેશમાં કશુંક બની રહ્યું છે. આજ સુધી જોવા નથી મળ્યું એવું અનોખું બની રહ્યું છે. સંઘપરિવાર ભોળા હિંદુઓને હિન્દુત્વવાદી બનાવશે અને કેન્દ્ર સરકાર વિકાસલક્ષી હિન્દુને વિકાસનાં મોરચે કશુંક અનોખું થઈ રહ્યું છે એવા ભ્રમમાં રાખશે. ૨૦૧૯ની ચૂંટણીમાં; દાયકાઓ દરમ્યાન શાખાઓમાં કસાયેલો હિંદુ, નવો વટલાયેલો હિંદુ અને શું અદ્દભુત વિકાસ થઈ રહ્યો છે એમ માનનારો ભ્રમિત હિંદુ એમ ત્રણેયના વોટ મળવાના છે. સેક્યુલર લિબરલ હિન્દુની ઐસીતૈસી.

તમે જોયું હશે કે મીડિયા પણ આ બન્ને મોરચે સાથ આપે છે. સમયનાં એક સ્લોટમાં દેશપ્રેમનો દેકારો અને બીજા સ્લોટમાં ઇવેન્ટોને વિકાસ તરીકે ઓળખાવી તેની આરતી ઉતારવાની અને જો કોઈ આલોચના કરે તો તેના પર તૂટી પડી તેના અવાજને દબાવી દેવાનો.

ત્રીજો ખુલાસો એવો છે કે નરેન્દ્ર મોદી તેમની અંદર રહેલી લઘુતાગ્રંથિનો પોતે જ શિકાર બની ગયા છે. શાસન અને એ પણ ભારત જેવા સંકુલ દેશમાં શાસન એ જગન્નાથનો રસ ખેંચવા જેવું અઘરું કામ છે. એક માણસ જગન્નાથનો રથ ન ખેંચી શકે. ભારત એ ગુજરાત નથી. ભારતનું એક એક રાજ્ય યુરોપના એક દેશ સમાન છે. ભાષા જુદી, સંસ્કાર જુદા, આદતો જુદી, વિચારવાની રીત જુદી, પ્રશ્નો જુદા, પ્રશ્નોના ઉકેલ જુદા વગેરે. આ દેશમાં સો પ્રકારનાં હિંદુઓ છે અને ડઝન પ્રકારનાં મુસલમાનો છે. સંઘ ૯૫ વરસથી સંઘેડાઉતાર હિંદુ અને તબલીગી જમાત સો વરસથી સંઘેડાઉતાર મુસલમાન બનાવવાના કામમાં લાગ્યા હોવા છતાં તેમને તેમાં સફળતા નથી મળી.

જેવી અને જેટલી સંકુલતા ભારતીય સમાજમાં છે એવી અને એટલી સંકુલતા વિશ્વદેશોમાં છે. પાકિસ્તાન અને બંગ્લાદેશ ભારતમાંથી જ વિભાજીત થઈને બન્યાં છે, બન્ને દેશમાં એક જ ધર્મ છે અને છતાં તે સાથે ન રહી શક્યાં. જો એક જ થડની બે ડાળો સાથે ન રહી શકે અને વિરુદ્ધ દિશામાં જતી હોય તો કલ્પના કરો આ જગતમાં કેટલી બધી ડાળો છે? ભારત એક વટવૃક્ષ છે અને જગત એનાં કરતાં પણ અનેકગણું મોટું વટવૃક્ષ છે. નિદા ફાઝલીએ તેમના એક મશહૂર શેરમાં કહ્યું છે તેમ એક માણસમાં વીસ માણસ વસતા હોય છે એમ એક ભારતીય વૃક્ષમાં સેંકડો વૃક્ષ અને એક વૈશ્વિક વૃક્ષમાં હજારો વૃક્ષ વસતાં હોય છે.

શાસક તરીકે અને એ પણ ભારતીય શાસક તરીકે અનેક જટિલતાઓ સાથે કામ પાડવું પડતું હોય છે. ભારત નામના અડાબીડ અરણ્ય સામે ગુજરાત તો એક બગીચો હતો. આને માટે અભિગમમાં સમગ્રતાની જરૂર પડે છે. જે તે પ્રદેશના, પેટા-પ્રદેશના, પ્રજા વિશેષના, તેમના અનોખા પ્રશ્નોના જાણકારોની જરૂર પડે છે. અર્થતંત્ર, વિદેશનીતિ, સંરક્ષણથી લઈને બીજી એકેએક બાબતે નિષ્ણાતોની જરૂર પડતી હોય છે. માત્ર કુટુંબ નિયોજનની વાત લો. એનું બિહાર અને ઉત્તર પ્રદેશમાં એક પરિણામ મળશે અને કેરળ અને તામિલનાડુમાં જુદું પરિણામ મળશે. જે માર્ગ કાશ્મીર માટે છે એ મણિપુર માટે નથી. અરે, જેવી સ્થિતિ કાશ્મીરની ખીણમાં છે એનાથી લડાખમાં જુદી છે.

પહેલાં ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ અને એ પછી બ્રિટિશ સરકારે ભારતમાં જે વહીવટીતંત્ર વિકસાવ્યું હતું એનો ઇતિહાસ રોચક છે. તેમને સમજાઈ ગયું હતું કે ભારતમાં એક લાકડીએ વહીવટ કરવો શક્ય નથી. તેમણે વહીવટીતંત્રને અનેક વિભાગોમાં અને પેટા-વિભાગોમાં વહેંચ્યું હતું. દરેક વિભાગ અને પેટા-વિભાગ માટે નિષ્ણાતો પેદા કરવામાં આવે છે. આને કારણે જે માણસ આસામના બોડોનું ડેસ્ક સંભાળતો હોય એ આખી જિંદગી એમાં જ અપડેટ રહેતો હોય છે. આવું જ અર્થતંત્રનું, સંરક્ષણનું, વિદેશવ્યવહારનું.

વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજ એક હજાર નિષ્ણાતોના પીરામીડનું નેતૃત્વ કરતાં હોય છે. તમે જ્યારે સુષ્મા સ્વરાજની ઉપેક્ષા કરો ત્યારે એક હજાર નિષ્ણાતોની સલાહથી વંચિત રહો છો. ગૃહ પ્રધાન રાજનાથ સિંહ એક હજાર નિષ્ણાતોના પીરામીડનું નેતૃત્વ કરે છે અને તમે જ્યારે રાજનાથ સિંહની ઉપેક્ષા કરો છો ત્યારે એક હજાર નિષ્ણાતોની સલાહથી વંચિત રહો છો. તમે જ્યારે નાણા ખાતમાં કે કૃષિ ખાતામાં ખોટા માણસને બેસાડો છો ત્યારે તે એક હજાર નિષ્ણાતોની ઉપલબ્ધ સલાહોનો ઉપયોગ જ નથી કરી શકતો. એ સમજવા જેટલી તેનામાં ક્ષમતા જ નથી અને એ રીતે મૂલ્યવાન ઈનપુટ વેડફાય છે.

એટલે આગળ કહ્યું એમ ભારતમાં શાસન કરવું એ જગન્નાથના રથને ખેંચવા જેવું છે. એક માણસ ન કરી શકે. એમાં તેજસ્વી લોકોની જરૂર પડે છે જે નિષ્ણાતોની સેવા લઈ શકે અને નીરક્ષીર વિવેક કરીને નિર્ણય લઈ શકે. દુર્ભાગ્યે નરેન્દ્ર મોદી મેધાવી માણસોથી દૂર ભાગે છે. તેમનામાં આત્મવિશ્વાસનો અભાવ છે, લઘુતાગ્રંથિ છે અને તેને છુપાવવા તેઓ હાકલાપડકારા કરે છે. એટલે તો તેઓ પત્રકાર પરિષદ યોજતા નથી. મેધાવી નિષ્ણાત યસ મેન ન હોય અને આપણા વડા પ્રધાન અહંકારી પણ છે.

આમ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની જે ટીમ છે એ નાના માણસોની ટીમ છે. જે થોડું કૌવત ધરાવે છે તેમને દબાવી રાખવામાં આવે છે. આને પરિણામે તેમની મુદ્દત વેડફાઈ ગઈ છે. આવું થોડુંક રાજીવ ગાંધીની સાથે પણ બન્યું હતું. તેમણે દૂન સ્કૂલના ગોઠિયાઓની કૉર ટીમ બનાવી હતી જેમને ભારતની અને જગતની જમીની વાસ્તવિકતાની સમજ નહોતી. એ સમયે ‘ટાઈમ્સ ઓફ ઇન્ડિયા’ના દંતકથારૂપ ગણાતા તંત્રી ગિરિલાલ જૈને રાજીવ ગાંધીની સરકારને ‘બાબા લોગો કી સરકાર’ તરીકે ઓળખાવી હતી. આની સામે પી.વી. નરસિંહ રાવની સિદ્ધિ જુઓ! સંસદમાં બહુમતી નહીં હોવા છતાં લઘુમતી સરકારે ભારતની નિયતિ બદલી નાખી હતી. કારણ? કારણ કે તેમનામાં લઘુતાગ્રંથિ નહોતી અને અભિમાન નહોતું. વિશ્વવિખ્યાત અર્થશાસ્ત્રી ડૉ. મનમોહન સિંહ સાથે બેસવા જેટલો આત્મવિશ્વાસ હતો અને તેમને સાંભળવા જેટલી નમ્રતા હતી. નમ્રતા તેમ જ આત્મવિશ્વાસ દ્વારા તેઓ મેધાવીઓને, વિરોધીઓને અને નકામાઓને સંભાળી લેતા હતા અને સાથે પણ રાખતા હતા.

તો વડા પ્રધાનનાં વર્ષો વેડફાયાં એની પાછળનાં ત્રણ ખુલાસા અહીં આપ્યા છે. તમને કયો ખુલાસો ગળે ઊતરે છે? એક પણ ન ઊતરે તો પણ વાંધો નહીં, થોડાં વરસ પછી ઇતિહાસ તેનો ચુકાદો આપશે. મારી વાત કરું તો હું કન્ફયુઝ્ડ છું. હા, ત્રીજો ખુલાસો એ નક્કર હકીકત છે, પહેલા બે સંભાવના છે.

સૌજન્ય : ‘કારણ-તારણ’, નામક લેખકની કટાર, “ગુજરાતી મિડ-ડે”, 23 ડિસેમ્બર 2018

Loading

23 December 2018 admin
← ‘વિટનેસ પ્રોટેક્શન સ્કીમ’ : સાક્ષીઓને સુરક્ષા મળશે?
Just Like That →

Search by

Opinion

  • દીપોત્સવ તારા અજવાળે જ છે …
  • કોમનવેલ્થ ગેઇમ્સ માટે અમદાવાદ યજમાનઃ ખેલ વિશ્વ એટલે વૈશ્વિક રાજકારણમાં સોફ્ટ પાવર અને કૂટનીતિ
  • તાલિબાની સરકારના વિદેશ પ્રધાન ભારતની મુલાકાત લે એમાં આશ્ચર્ય ન થવું જોઈએ
  • ચલ મન મુંબઈ નગરી—311
  • વિજયી ભવઃ

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • માતા પૂતળીબાઈની સાક્ષીએ —
  • મનુબહેન ગાંધી – તરછોડાયેલ વ્યક્તિ
  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ
  • आइए, गांधी से मिलते हैं !  
  • પહેલવહેલું ગાંધીકાવ્ય : મનમોહન ગાંધીજીને

Poetry

  • અરણ્ય રૂદન
  • પિયા ઓ પિયા
  • પાંચ ગીત
  • હાજર છે દરેક સ્થળે એક ગાઝા, એક નેતન્યાહુ?
  • ચાર ગઝલ

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved