Opinion Magazine
Number of visits: 9448792
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

આપણા દેશની ખેતીની દુર્દશા નિવારવા માટે કામ અને લેખન કરનાર આદ્ય કર્મશીલ જોતીરાવ ફુલે

સંજય શ્રીપાદ ભાવે|Opinion - Opinion|21 December 2018

આપણી પાસે સાંઇનાથ અને યોગેન્દ્ર યાદવ છે, સ્વામીનાથન્‌ અને રઘુરામ રાજન છે.

ઉપરાંત આપણા દેશને ખેડૂતોની વાતના ચાબૂક શાસકો પર મારનાર  જોતીરાવ ફુલેની જરૂર છે

સરકારો ખેડૂતોને સિંચાઈનું પાણી આપી શકે કે ન આપી શકે, પણ તે દેવા માફીની લહાણી તો કરી જ શકે છે. વીતેલાં ત્રણ દિવસમાં ચાર રાજ્યોની સરકારોએ ખેડૂતોને લોનમાફી આપી. વક્રતા એ છે કે તે પહેલાંના જ અઠવાડિયામાં, ગુજરાતમાં એક મહારાષ્ટ્રમાં ચાર ખેડૂતોએ આત્મહત્યા કરી. બધાએ લોન લીધી હતી અને પાક નિષ્ફળ ગયા હતા. મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના અછતગ્રસ્ત તાલુકાઓમાં ચાર દિવસમાં ત્રણ ખેડૂતોએ આપઘાત કર્યા. ખેડૂત આત્મહત્યાનો મહારાષ્ટ્રનો આ વર્ષનો  આંકડો 1,300 ને પાર કરી ગયો છે.

આમ તો મહારાષ્ટ્રમાં ગયાં પચીસેક વર્ષમાં હજારો ખેડૂતોએ આત્મહત્યા કરી છે. આ હકીકત એટલા માટે પણ વધુ આક્રોશજનક લાગે છે કે આ એ રાજ્ય છે કે જેમાં, દેશના ઇતિહાસમાં ખેડૂતોની દુર્દશા વિશે સંભવત: સહુથી પહેલી વાર સક્રિય ચિંતન કરનાર કર્મશીલ મહાત્મા જોતીરાવ ફુલે (1827-1890) થઈ ગયા. જોતિરાવે આધુનિક પદ્ધતિથી ખેતી કરી,ખેડૂતોના પ્રશ્નો અંગે અંગ્રેજ સરકાર સમક્ષ રજૂઆતો કરી અને ‘શેતકર્યાચા અસૂડ’ (ખેડૂતનો ચાબૂક) નામનાં તેમનાં પુસ્તકમાં ખેડૂતોની દુર્દશાનો ચાબખાં જેવી ભાષામાં ચિતાર આપ્યો. જોતીરાવ આમ તો દલિતોની અસ્મિતાના ઉદ્દગાતા અને ડૉ.બાબાસાહેબ આંબેડકરના એક ગુરુ તરીકે વંદનીય ગણાય છે. સવર્ણ વર્ગો દ્વારા દલિત વર્ગો પ્રત્યે બતાવાતા અમાનવીય ભેદભાવો અને પુરોહિત વર્ગના વર્ચસ્‌ વિરુદ્ધ તેમણે ચળવળ ચલાવી. દલિત કન્યાઓ માટેની પહેલી શાળા તેમણે 1842માં પૂનામાં ચલાવી. તેના પહેલાં શિક્ષક અને આચાર્ય જોતિરાવનાં પત્ની સાવિત્રીબાઈ હતાં, જેમણે અનેક મુશ્કેલીઓ વચ્ચે દલિતોનાં શિક્ષણનો વ્યાપ વધાર્યો. પૂના યુનિવર્સિટી નામ  કોઈ પણ વિવાદ વિના ઑગસ્ટ 2014થી સાવિત્રીબાઈ ફુલે પુણે યુનિવર્સિટી પાડવામાં આવ્યું તે સાવિત્રીબાઈની મહત્તા બતાવે છે. ફુલે દંપતીએ પીડિત સ્ત્રીઓના આધાર માટે અને સ્ત્રી-પુરુષ સમાનતાની દિશામાં પણ અનેક કામ કર્યાં. જોતિરાવે પ્રગતિશીલ વિચારોના પ્રસાર માટે પત્રિકાઓ, પુસ્તકો અને અહેવાલો લખ્યાં છે. ‘દીનબંધુ’ સામયિક થકી પત્રકારિતા કરવા ઉપરાંત મિલમજૂરો માટેની ચળવળમાં પણ સાથ આપ્યો છે. તેમણે શૂદ્ર ગણાતા લોકોને અધિકારો માટે જાગૃત કરવા અને તેમને પુરોહિતોની ગુલામીમાંથી મુક્ત કરવા  ‘સત્યશોધક સમાજ’ નામનાં સંગઠનની 1873માં સ્થાપના કરી. ખેડૂતોની સ્થિતિમાં સુધારા માટેના કરેલા અથાક પ્રયત્નો મહાત્મા ફુલેનાં જીવનકાર્યનું અગત્યનું પાસું છે.

મહારાષ્ટ્રમાં 1860 પછીનાં દોઢેક દાયકામાં દુષ્કાળ વારંવાર કેર વરતાવતો. 1875માં પૂના, સાતારા અને કોલ્હાપુરમાં ખેડૂતોએ શાહુકારો વિરુદ્ધ બળવા થયા હતા. આમ જનતાએ અને ‘દીનબંધુ’ સહિત ઘણાં અખબારોએ એ વિશે ખૂબ આક્રોશ વ્યક્ત કર્યો. અંગ્રેજ સરકારે ‘ડેક્કન ઍગ્રિકલ્ચરલ રિલીફ ઍક્ટ ઘડ્યો’ અને તેમાં શાહુકારોથી રક્ષણ મળે તેવી જોગવાઈ કરી. આ પગલાંમાં જોતીરાવનો ફાળો મહત્ત્વનો ગણાય છે. સત્યશોધક સમાજના નેજા હેઠળ ફુલે દંપતીએ 1877માં દુષ્કાળ પીડિતોની સહાય માટે પૂના નજીક ‘વિક્ટોરિયા બાલાશ્રમ’ની સ્થાપના કરી. તેમાં ગામડાંના લોકોએ ખોરાકને અભાવે પૂના શહેરમાં છોડી દીધેલાં બાળકોને બે ટંકનો રોટલો અને ઓટલો આપ્યો. 1895માં પૂનાની પાસેનાં જુન્નરમાં ખેડૂતોએ શાહુકારો વિરુદ્ધ કરેલી ચળવળને જોતીરાવે દોરવણી આપી. તેમણે ખેડૂતોને જાગ્રત કરવા અનેક ગામોમાં વ્યાખ્યાનો પણ આપ્યાં. તે વ્યાખ્યાનોની અસરની નોંધ એ સમયના ‘જ્ઞાનોદય’, ‘ઇન્દુ પ્રકાસશ’ અને ‘નેટિવ ઓપિનિયન’ જેવાં અખબારોએ લીધી હતી. જોતીરાવ વ્યાખ્યાનોમાં જુલમ અને શોષણ સામે અવાજ ઊઠાવવાનો જોસ્સો આપતા. ખેડૂતોને બાળકોને ભણાવવાની, બળલગ્ન તેમ જ ખોટાં કામ ત્યજી દેવાની અને ખેતીની નવી પદ્ધતિઓ અપનાવવાની હાકલ કરતા. નવી ખેતીપદ્ધતિઓ અંગેનો ખેડૂતોનો સંદેહ દૂર કરવા માટે જોતીરાવે ખુદ બસો એકર જમીન ખરીદીને, નહેરનું પાણી લઈને આધુનિક પદ્ધતિએ ખેતીની શરૂઆત કરી. પૂના નજીકનાં માંજરી ખાતે આવેલું જોતીબાનું આંબાવાડિયું જાણીતું  હતું.

ફુલેના ‘શેતકર્યાચા અસૂડ’(1883) પુસ્તકના ઉઘાડની પંક્તિઓ બહુ જ જાણીતી છે : ‘વિદ્યે વિના મતિ ગેલી, મતિ વિના નીતિ ગેલી, નીતિવિના ગતિ ગેલી !/ ગતિ વિના વિત્ત ગેલે, વિત્તાવિના શૂદ્ર ખચલે, ઇતકે અનર્થ એકા અવિદ્યેને કેલે.’ (વિદ્યા વિના મતિ ગઈ, મતિ વિના નીતિ ગઈ, નીતિ વિના ગતિ ગઈ ! ગતિ વિના વિત્ત ગયું, વિત્ત વિના શૂદ્રો તૂટ્યા, આટલા અનર્થો એક અવિદ્યાએ કર્યા). પુસ્તકની શરૂઆતમાં ફુલે ખેડૂત વર્ગ તરફની આભડછેટ અને ખેડૂતોના પેટા વર્ગો વિશે લખે છે. પ્રસ્તાવનાના છેલ્લા મુદ્દા તરીકે ફુલે એ મતલબનું લખે છે કે દુનિયાના બધા દેશોના ખેડૂતો કરતાં હિન્દુસ્તાનમાંના અજ્ઞાની, અને ભોળી ઇશ્વરશ્રદ્ધા રાખાનારા ખેડૂતોની સ્થિતિ પશુઓથી પણ બદતર થઈ છે. પહેલાં પ્રકરણમાં પુરોહિત વર્ગ શૂદ્ર ગણાતાં ગામડાંના ખેડૂત સમૂહને તેની આખી જિંદગી જાતભાતનાં કર્મકાંડ કરાવીને કેવી રીતે છેતરે છે તેનું વિગતે વર્ણન છે. ત્યાર પછીનાં પ્રકરણમાં જોતીરાવ ખેડૂતોની પાયમલીના કારણો આપે છે. પેશવાઓની પડતી પછી ખેડૂતોની સૈનિકો તરીકેની ભરતીમાં ઘટાડો થયો. રાજ્ય અને લશ્કરનાં ગૌણ કામોમાં જોતરાયેલા ખેડૂતો ખેતી તરફ પાછા વળ્યા અને જમીનના નાના હિસ્સા પડ્યા. ઓછી જમીનને કારણે પરિવાર દીઠ પાક ઓછો, ઓછી આવક અને ઓછાં પોષણનું ચક્ર ચાલ્યું. વારંવાર દુકાળ પડ્યા અને શાહુકારો તેમ જ સરકારી અધિકારીઓનો જુલમ વધતો ચાલ્યો. જંગલખાતાનું ગૌચરો પરનું દબાણ, અંગ્રેજોની વ્યાપારનીતિ, સરકારી અધિકારીઓની જડતા અને અનીતિ તેમ જ ભ્રષ્ટ ન્યાયવ્યવસ્થા જેવાં પરિબળોની પણ જોતીરાવ છણાવટ કરે છે. આ બધાંને કારણે ખેડૂતોનાં બેહાલ થયેલાં જીવતરનાં વ્યથિત કરે તેવાં શબ્દચિત્રો લેખકે ચોથા પ્રકરણમાં આપ્યાં છે. ‘અસૂડ’ના આખરી પ્રકરણમાં ખેડૂત અને ખેતીના સુધારા માટે જોતીરાવ અનેક સૂચનો આપે છે. તેમાંથી કેટલાક આ મુજબ છે : ગાય-બળદની યોગ્ય પેદાશ અને ઉછેર, નાના બંધોનું લશ્કર દ્વારા બાંધકામ, નહેરોના કામમાં ખેડૂતોની સામેલગીરી, જળસ્રોતના નકશાની રચના, કુવાઓનું ખોદાણ, ઊંચી ઓલાદનાં ઘેંટા બકરાની પેદાશ અને પાલન, ખેડૂતોનાં સંતાનોને સુથારીકામ-લુહારીકામ જેવાં હુન્નરની તાલીમ અને ખેતી માટેની શાળાઓ. ઉપલા વર્ગો અને સરકાર ખેડૂતો માટે શું કરી શકે તે માટેનાં સૂચનો છે. શાસનવ્યવસ્થાની સક્રિય સંવેદનશીલતા પર ફુલે ખૂબ ભાર મૂકે છે.

‘શેતકર્યાચા અસૂડ’નાં પ્રકરણો જોતીરાવે ખેડૂતોની સભામાં વાંચીને તેમની ખરાઈ કરી હતી. વળી તેમણે પુસ્તકની હસ્તપ્રતનું વાચન 1884માં વડોદરાના રાજા સયાજીરાવ ગાયકવાડ સમક્ષ કર્યું હતું અને રાજાએ તેમનું યથોચિત સન્માન કર્યું હતું. ફુલેના સત્યશોધક સમાજના  કાર્યકરોએ 1889ના ડિસેમ્બરમાં મુંબઈમાં યોજાયેલા ઇન્ડિયન નૅશનલ કૉન્ગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનની બહાર ગરીબ ખેડૂતનું પૂતળું ઊભું કરીને દેશના ખેડૂતોની હાલત તરફ અગ્રણીઓનું ધ્યાન દોરવા માટે દેખાવો યોજ્યા હતા. રાણી વિક્ટોરિયાનો પુત્ર ડ્યુક ઑફ કનૉટ 1888ના માર્ચમાં પૂનાની મુલકાતે આવ્યો હતો. પુનાના ધનવાન પરિવારોએ તેનું સન્માન યોજ્યું હતું. તે સમારંભમાં જોતીરાવ કંગાળ ખેડૂતના વેશે ગયા હતા : કેડે પંચિયું, ઉપર અંગરખું, માથે ફાળિયું, ખભે ધાબળો, હાથમાં લાકડી અને ફાટેલા જોડા. એટલું જ નહીં તેમણે ડ્યૂકની સામે ભારતના ખેડૂતોની દુર્દશા અંગે તેજાબી ભાષણ પણ આપ્યું હતું. આપણાં લોક અને આપણી  લોકસભાને એક  જોતીરાવ ફુલેની પ્રતીક્ષા છે.

******

20 ડિસેમ્બર 2018

સૌજન્ય : ‘ક્ષિતિજ’ નામે લેખકની સાપ્તાહિક કટાર, “નવગુજરાત સમય”, 21 ડિસેમ્બર 2018

Loading

21 December 2018 admin
← જેના ખીસામાં નાણાં છે તે આ દુન્યામાં શ્યાણાં છે પૈસા હોય નહીં પાસે તે ડાહ્યા ભી દીવાના છે!
કહેવાતા સદ્ગુણો, ‘પરોપકાર’ અને ધાર્મિકતા’, માણસના મગજમાં ખીચડો ને ગૂંચવાડા ઊભા કરે છે. એને બદલે, દુનિયાને ‘સાદગી’ અને ‘અસલિયત’ ભણી વળવા દો ને ! →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved