Opinion Magazine
Number of visits: 9448995
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કૉન્ગ્રેસ માટે નથી ઢાળ કે નથી કપરાં ચઢાણ

રમેશ ઓઝા|Opinion - Opinion|12 December 2018

નરેન્દ્ર મોદી માટે ઢાળ તો નથી જ, કપરાં ચઢાણ નજરે પડી રહ્યાં છે

૨૦૧૪ની લોકસભાની ચૂંટણી પછી અત્યાર સુધીમાં બાવીસ રાજ્યોમાં વિધાનસભાઓની ચૂંટણીઓ યોજાઈ ચૂકી છે, પરંતુ અત્યારે યોજાયેલી પાંચ રાજ્યોની ચૂંટણી અદકેરું મહત્ત્વ ધરાવે છે. એનાં ત્રણ મુખ્ય કારણ છે; એક તો એ કે આ પાંચ રાજ્યોની ચૂંટણી લોકસભાની સામાન્ય ચૂંટણીની પૂર્વસંધ્યાએ યોજાઈ છે એટલે લોકોનો મૂડ કેવો છે એનો એમાંથી અંદાજ આવે છે. બીજું કારણ એ છે કે આ પાંચ રાજ્યોમાંથી મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢ એમ ત્રણ રાજ્યો ઉત્તર અને પશ્ચિમ ભારતનાં છે જે બી.જે.પી.નો ગઢ મનાય છે. ૨૦૧૪માં આ રાજ્યોની લોકસભાની કુલ ૬૫ બેઠકોમાંથી બી.જે.પી.એ ૬૨ બેઠકો મેળવી હતી. ત્રીજું મહત્ત્વનું કારણ એ છે કે બાકીનાં બે રાજ્યોમાંથી એક રાજ્ય તેલંગણા દક્ષિણનું છે અને મિઝોરમ પૂર્વનું છે જ્યાં બી.જે.પી. પ્રવેશવા માંગે છે. બી.જે.પી. ઉત્તર ભારત અને પશ્ચિમ ભારતમાંની સંભવિત ઘટ દક્ષિણ અને પૂર્વ ભારતમાં પ્રવેશીને ઘટની પૂર્તિ કરવા માગે છે.

વાત નીકળી જ છે તો પરિણામોનું વિવરણ કરતાં પહેલાં સમવાય ભારતમાં યોજાતી વિધાનસભાઓની ચૂંટણીઓ વિષે વાત કરી લેવી જોઈએ. હમણાં કહ્યું એમ ૨૦૧૪ની લોકસભાની ચૂંટણી પછી અત્યાર સુધીમાં બાવીસ અને અત્યારે યોજાયેલી પાંચ રાજ્યોની વિધાનસભાઓની ચૂંટણી એમ કુલ ૨૭ રાજ્યોની વિધાનસભાઓની ચૂંટણી યોજાઈ છે. બે લોકસભાની ચૂંટણી વચ્ચે જો અંદાજે અઢી ડઝન રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓ યોજાતી હોય તો શાસકોએ તેને કઈ રીતે જોવી જોઈએ? આપણા અનોખા વડા પ્રધાને વડા પ્રધાન તરીકેનો તેમનો ઓછામાં ઓછો દસથી ૧૫ ટકા ટકા સમય રાજ્યોમાં ચૂંટણી પ્રચાર કરવામાં ખર્ચ્યો છે જે એક રેકોર્ડ છે. આવું આ પહેલાં ક્યારે ય બન્યું નથી. વડા પ્રધાન ચૂંટણી-પ્રચારકના મૉડમાંથી બહાર જ નથી આવી શક્યા. ચૂંટણી પ્રચારમાં જીત મહત્ત્વની હોવાથી, ગમે તેમ બોલવાની લાલચ રોકી શકાતી નથી, જેમાં સરવાળે વડા પ્રધાનની આબરૂ ખરડાઈ છે. આ ફેડરલ ઇન્ડિયા છે જેમાં રાજ્યોમાં ચૂંટણીઓ યોજાયા જ કરે, જગત આખામાં લોકશાહી દેશોમાં પ્રાંતોમાં ચૂંટણી યોજાતી રહે છે એટલે તેને પ્રતિષ્ઠાના જંગ તરીકે કે લોકપ્રિયતાના બેરોમીટર તરીકે નહીં જોવી જોઈએ.

પણ આપણે ત્યાં રાજ્યોની દરેક ચૂંટણીને દિલ્હીના રાજમાર્ગમાં આવતા ખાડા ટેકરા કે ઢાળ તરીકે જોવામાં આવે છે અને એમાં આ તો લોકસભાની સામાન્ય ચૂંટણીની પૂર્વસંધ્યાએ યોજાયેલી ચૂંટણીઓ! ચૂંટણીનાં પરિણામોની ચર્ચા કરનારાઓ દર બીજા વાક્યે ૨૦૧૯માં પહોંચી જાય છે અને એ સ્વાભાવિક પણ છે. શું સૂચવે છે આ પરિણામો? અને ૨૦૧૯માં એની શું અસર પડી શકે છે?

 

યોગાનુયોગ એવો છે કે આજથી બરાબર એક વરસ પહેલા ૧૧મી ડિસેમ્બરે રાહુલ ગાંધીની કૉન્ગ્રેસના પ્રમુખ તરીકે તાજપોશી થઈ હતી. એ પછી બરાબર એક અઠવાડિયા પછી ગુજરાત વિધાનસભાની ચૂંટણીનાં પરિણામો આવ્યાં હતાં. ત્યારે એમ લાગતું હતું ગુજરાત કૉન્ગ્રેસને તોફા તરીકે મળશે, પરંતુ નરેન્દ્ર મોદીએ એટલું જોર લગાડ્યું હતું કે બી.જે.પી. ભલે હાંફી જઈને પણ ગોલ-પોસ્ટ સુધી પહોંચી ગઈ હતી અને પાતળી બહુમતી સાથે જીતી ગઈ હતી. એ પછી રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને બિહારમાં લોકસભાની અને વિધાનસભાઓની જેટલી પેટા-ચૂંટણીઓ યોજાઈ તેમાં કૉન્ગ્રેસને અથવા તો તેના સાથી પક્ષોને વિજય મળ્યો હતો. આ વરસની મધ્યે કર્ણાટક વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી જેમાં પણ કૉન્ગ્રેસને વિધાનસભામાં સૌથી વધુ બેઠકો મળી હતી.

રાહુલ ગાંધી માટે અને કૉન્ગ્રેસ માટે સૌથી મોટી કસોટી મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં થવાની હતી. રાહુલ ગાંધી અને કૉન્ગ્રેસને આ ત્રણેય રાજ્યો હાથ લાગ્યાં છે. રાહુલ ગાંધી માટે આ સૌથી મોટી રાહત આપનારી ઘટના છે. કૉન્ગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીને તેમની પ્રમુખ તરીકેની વર્ષગાંઠે મોટો તોફો મળ્યો છે. જો કે પરિણામો અપેક્ષા મુજબનાં નથી એ નોંધવું રહ્યું. રાજસ્થાનમાં ચૂંટણી જાહેર જાય એ પહેલાંથી જ માનવામાં આવતું હતું કે ત્યાં કૉન્ગ્રેસને પ્રચંડ વિજય મળે એમ છે, પરંતુ એવું બન્યું નથી. કૉન્ગ્રેસ માંડ સોનો આકંડો પાર કરી શકી છે અને તેને માત્ર એક બેઠકની બહુમતી મળી છે. આમ થવાનું મુખ્ય કારણ રાજસ્થાનના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અશોક ગેહલોત અને કૉન્ગ્રેસના યુવા નેતા સચિન પાયલોટ વચ્ચેનો અણબનાવ હતો. ચૂંટણીમાં મોટી સંખ્યામાં કૉન્ગ્રેસના અસંતુષ્ટ ઉમેદવારોએ અપક્ષ તરીકે ઉમેદવારી કરી હતી જેમાંથી ૨૦ ઉમેદવારો ચૂંટાઈ આવ્યા છે. બળવો કરનારાઓ અને ચૂંટાઈ આવનારાઓમાંના મોટાભાગના ઉમેદવારો અશોક ગેહલોતના ટેકેદારો છે. રાહુલ ગાંધી પક્ષ અંતર્ગત ખેંચતાણ મેનેજ કરી શક્યા નહોતા અને એટલે તો વિધાનસભાની ચૂંટણીમાં ગેહલોત તેમ જ પાયલોટ એમ બન્નેને ઉમેદવારી કરવાનું કહેવામાં આવ્યું હતું. હવે રાહુલ ગાંધી કોને મુખ્ય પ્રધાન બનાવે છે એ જોવાનું રહે છે.

મધ્ય પ્રદેશમાં શિવરાજ સિંહ ચોહાણે મોટી લડત આપી હતી. ત્રણ ત્રણ મુદ્દતની એન્ટિ ઇન્કમ્બન્સી, વ્યાપમ કૌભાંડ, ખેડૂતોની નારાજગી, કેન્દ્ર સરકારે લાગુ કરેલી નોટબંધી અને જી.એસ.ટી. જેવા પ્રતિકૂળ સંજોગો વચ્ચે શિવરાજ સિંહ ચોહાણે મુકાબલો કર્યો હતો. એમ કહેવું જોઈએ કે શિવરાજ સિંહ ચોહાણ હારીને પણ જીતી ગયા છે. છત્તીસગઢનાં પરિણામો પણ અનપેક્ષિત છે. એક તો છત્તીસગઢમાં કૉન્ગ્રેસ પાસે મુખ્ય પ્રધાનપદનો કોઈ કદાવર ઉમેદવાર નહોતો અને ઉપરથી ત્યાં અજીત જોગી અને માયાવતી વચ્ચે ગઠબંધન થયું હતું. અંદાજ એવો હતો કે કૉન્ગ્રેસ થોડા માટે વિજયથી દૂર રહી જશે, પરંતુ પરિણામો ધારણા કરતાં જુદાં આવ્યાં છે. કૉન્ગ્રેસે છતીસગઢની કુલ ૯૦ બેઠકોમાંથી ૬૫ બેઠકો મેળવી છે. બી.જે.પી.ને માત્ર ૧૬ બેઠકો મળી છે. બી.જે.પી.એ ૩૩ બેઠકો ગુમાવી છે અને કૉન્ગ્રેસે ૨૬ બેઠકો મેળવી છે. જોગી-માયાવતીને આઠ બેઠકો મળી છે. એમ લાગે છે કે જોગી-માયાવતીના ગઠબંધને કૉન્ગ્રેસને જેટલું નુકસાન પહોંચાડ્યું છે એના કરતાં બી.જે.પી.ને વધારે નુકસાન પહોંચાડ્યું છે. જો રાજસ્થાન, મધ્ય પ્રદેશમાં અને છત્તીસગઢમાં માયાવતીના બહુજન સમાજ પક્ષ સાથે સમજૂતી થઈ હોત તો પરિણામ હજુ ઘણાં જુદાં હોત.

તેલંગણામાં તેલંગણા રાષ્ટ્ર સમિતિએ ભવ્ય વિજય મેળવ્યો હતો. આઠ મહિના વહેલી ચૂંટણી યોજીને ટી.આર.એસ.ના નેતા અને મુખ્ય પ્રધાન કે. ચન્દ્રશેખર રાવે જુગાર ખેલ્યો હતો. તેમનો જુગાર ફળ્યો છે. કૉન્ગ્રેસે આંધ્રપ્રદેશના મુખ્ય પ્રધાન ચન્દ્રબાબુ નાયડુના પક્ષ તેલગુ દેશમ પાર્ટી સાથે ગઠબંધન રચ્યું હતું, પરંતુ તેમાં તેને સફળતા મળી નથી. એક સમયે એમ લાગતું હતું કે કૉન્ગ્રેસનું ગઠબંધન ટી.આર.એસ.ને ભારે પડશે. મુખ્ય પ્રધાન કે. ચન્દ્રશેખર રાવ છેલ્લા બે અઠવાડિયા દરમ્યાન થોડા નર્વસ પણ નજરે પડતા હતા. મિઝોરમમાં કૉન્ગ્રેસનો પરાજય અપેક્ષિત છે.

આ પાંચેય રાજ્યોનાં પરિણામો એક સાથે જોઈએ તો એમ સમજાય છે કે રાહુલ ગાંધી માટે અત્યારે નથી સીધાં ચઢાણ કે નથી ઢાળ. થોડી અનુકૂળતા છે અને થોડી પ્રતિકૂળતા છે. અનુકૂળતા નરેન્દ્ર મોદીની ઘટતી લોકપ્રિયતા અને લોકોની તેમના પરત્વેની નિરાશા છે તો પ્રતિકૂળતા કૉન્ગ્રેસ પાસે જમીન પર કામ કરનારાં કાર્યકર્તાઓનો અભાવ છે. ચૂંટણી લડવા અને જીતવા માટેની યંત્રણા કૉન્ગ્રેસે પાસે નથી. ઘર ઘર સંપર્ક અને બુથ મેનેજેન્ટ આજના યુગમાં ચૂંટણી જીતવા માટેની અનિવાર્ય જરૂરિયાત છે. કૉન્ગ્રેસ અહીં માર ખાય છે. આ ઉપરાંત પક્ષ અંતર્ગત યાદવાસ્થળી પણ એક કારણ છે જે રાહુલ ગાંધી મેનેજ કરી શકતા નથી.

રાહુલ ગાંધીએ ચૂંટણી-પ્રચારમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને નિશાન બનાવ્યા હતા. ખેડૂતોની હાલાકી અને દેવાં સિવાય કોઈ સ્થાનિક મુદ્દાઓને ચૂંટણીના પ્રચારમાં સ્પર્શવામાં નહોતા આવ્યા. સામે પક્ષે નરેન્દ્ર મોદીએ પણ રાહુલ ગાંધીને અને નેહરુ-ગાંધી પરિવારને નિશાન બનાવ્યા હતા. આ સિવાય હળવું હિન્દુત્વ, જ્ઞાતિ, ગોત્રજ, જનોઈ જેવા બાલીશ મુદ્દે પ્રચાર કરવામાં આવતો હતો. ટૂંકમાં કહીએ તો રાહુલ ગાંધીએ અને નરેન્દ્ર મોદીએ ચૂંટણી-પ્રચારને હાસ્યાસ્પદ બનાવી મૂક્યો હતો. એમાં બન્નેની બાલીશતા નજરે પડતી હતી.

૨૦૧૯ માટે જેમ રાહુલ ગાંધી માટે ઢાળ નથી તો નરેન્દ્ર મોદી માટે પણ ઢાળ નથી, પરંતુ થોડા પ્રમાણમાં સીધાં ચઢાણ જેવી સ્થિતિ બની રહી છે. બી.જે.પી. સામે પ્રતિકૂળતાઓ વધી રહી છે અને તેને માટે વડા પ્રધાન પોતે જવાબદાર છે. ખાડે ગયેલું અર્થતંત્ર, મોંઘવારી, બેરોજગારી, કૃષિસંકટ, ખેડૂતોનો અસંતોષ, યુવાનોનો અસંતોષ, પેટ્રોલના ભાવ, ડોલર સામે રૂપિયાનું તૂટવું જેવા નાગરિકોના સુખાકરીને લગતા પ્રશ્નો તરફ વડા પ્રધાન આંખ આડા કાન કરી રહ્યા છે અને તેની જગ્યાએ લીન્ચિંગ, સમાજમાં વિભાજનો પેદાં કરવાં, રામમંદિર, જે તે સ્થળોનાં નામ બદલવાં, ચેતક ઘોડાનું કુળ અને નેહરુ-ગાંધી પરિવાર પાછળ આદુ ખાઈને પડી જવું જેવાં વલણે નુકસાન પહોંચાડ્યું છે. લોકો વડા પ્રધાન વડા પ્રધાન તરીકે વર્તે એ જોવા આતુર છે. લોકો ૨૦૧૪માં આપેલાં વચનો સાકર થતાં જોવા આતુર છે. કમસેકમ પ્રયત્નો તો કરવામાં આવે! વડા પ્રધાન ચારે કોર જે અશુભ બની રહ્યું છે એ બાબતે એક શબ્દ ન બોલે અને એક પત્રકાર પરિષદ ન લે એ હવે લોકોને વડા પ્રધાન તરીકે સ્વીકાર્ય નથી લાગતું.

પાંચેય રાજ્યોનાં પરિણામો બી.જે.પી. માટે ચિંતા પેદા કરનારાં છે. એક તો ૨૦૧૪માં બી.જે.પી.ને જે ૨૮૨ બેઠકો મળી હતી તેમાં ૨૩૦ બેઠકો ઉત્તર અને પશ્ચિમ ભારતમાં થોકમાં મળી હતી. આ ત્રણ રાજ્યોમાં લોકસભાની કુલ ૬૫ બેઠકોમાંથી બી.જે.પી.ને ૬૨ બેઠકો મળી હતી. ઉત્તર પ્રદેશમાં ૮૦માંથી ૭૧ બેઠકો મળી હતી. પરિણામો એમ સૂચવે છે કે ૨૦૧૯માં ઉત્તર અને પશ્ચિમના રાજ્યોમાં બી.જે.પી.ને મોટો માર પડવાનો છે. જો ૫૦ ટકાનો માર પડે તો પણ બી.જે.પી. ૧૫૦ બેઠકો સુધી ન પહોંચી શકે. એ ઘટની પૂર્તિ કરવા માટે બી.જે.પી.એ પૂર્વ ભારતમાં અને દક્ષિણમાં વિસ્તરવું જોઈએ અને છ મહિના પહેલાં યોજાયેલી કર્ણાટક વિધાનસભાની ચૂંટણી તેમ જ તેલંગણા અને મિઝોરમનાં પરિણામો એમ બતાવે છે કે ત્યાં પણ બી.જે.પી. માટે બહુ અનુકૂળતા નથી. આમ ધીરે ધીરે બી.જે.પી. માટે અને અંગત રીતે નરેન્દ્ર મોદી માટે પ્રતિકૂળતાઓ આકરી બની રહી છે.વિધાનસભાઓની ચૂંટણીનાં પરિણામોનાં અન્ય પક્ષો પણ આકલન કરશે. ઘણાં લોકો પ્રશ્ન કરતા હતા કે કૉન્ગ્રેસે માયાવતી, અખિલેશ યાદવ અને ગોન્ડવાણા ગણતંત્ર પાર્ટી સાથે સમજૂતી કેમ નહીં કરી? કૉન્ગ્રેસે સમજૂતી કરવી જોઈતી હતી એમ કહેવામાં આવતું હતું. આનું દેખીતું કારણ પાણી માપવાનું હતું. જો ખૂબ સારો કે ઠીકઠીક સારો દેખાવ કરવામાં આવે તો ૨૦૧૯માં રચનારા સંભવિત મોરચામાં કૉન્ગ્રેસ એક ભાગીદાર તરીકે બાર્ગેનિંગ કરી શકે. જો સફળતા ન મળે તો કાંડા તો કાપી આપવાના છે જ, પણ અત્યારથી પાણી માપ્યા વિના શા માટે કાંડા કાપી આપવા? ગઠબંધનમાં દસ બેઠકો વધુ મળે એનું પણ મહત્ત્વ હોય છે. કૉન્ગ્રેસે ઠીકઠીક સફળતા મેળવી છે એટલે તેની બાર્ગેનિંગ શક્તિ વધશે.

આ ચૂંટણી પછી વિરોધ પક્ષોની એકતાની પ્રક્રિયા જોર પકડશે અને તેમાં કૉન્ગ્રેસ એક મહત્ત્વના પક્ષ તરીકેની ભૂમિકા ભજવી શકશે. પરિણામોની પૂર્વસંધ્યાએ વિરોધ પક્ષોના નેતાઓની સંયુક્ત બેઠક મળી હતી એ સૂચક છે. બીજી બાજુ નરેન્દ્ર મોદી માટે, અમિત શાહ માટે, બી.જે.પી. માટે અને એકંદરે દેશ માટે આવતા ત્રણ મહિના નિર્ણાયક નીવડવાના છે. એ કઈ રીતે એ હવે પછી સ્પષ્ટ થતું જશે.

સૌજન્ય : ‘કારણ-તારણ’, નામક લેખકની કટાર, “ગુજરાતી મિડ-ડે”, 12 ડિસેમ્બર 2018

કાર્ટૂન સૌજન્ય : "ધ ટાઇમ્સ ઑવ્ ઇન્ડિયા", 12 ડિસેમ્બર 2018

Loading

12 December 2018 admin
← ભારતીય સ્ત્રીઓની આત્મકથામાં ઝીલાયેલ ગાંધીજીની છબિ
ડૉ. ઉર્જિત પટેલનું રાજીનામું : ગલઢાં ગાડાં વાળે, જેનું કામ જે કરે અને લાઠીનો ભારો(ટીમ સ્પિરિટ)ને લગતી લોકવાર્તાઓ વડા પ્રધાને સાંભળી હોય એમ લાગતું નથી →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved