Opinion Magazine
Number of visits: 9448970
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

આજનાં મુખ્યત્વે ત્રણ રાજ્યોનાં પરિણામો ૨૦૧૩ કરતાં પણ વધુ નિર્ણાયક સાબિત થવાનાં છે

રમેશ ઓઝા|Opinion - Opinion|11 December 2018

આજે પાંચ રાજ્યોની વિધાનસભાઓની ચૂંટણીનાં પરિણામો આવવાનાં છે અને તે ૨૦૧૩માં આમાંના ચાર રાજ્યોમાં યોજાયેલી વિધાનસભાઓની ચૂંટણી કરતાં પણ વધુ મહત્ત્વ ધરાવે છે. ૨૦૧૩માં તેલંગણા રાજ્ય હજુ નવું નવું અસ્તિત્વમાં આવ્યું હતું અને તેની વિધાનસભાની ચૂંટણી લોકસભાની સાથે ૨૦૧૪ના મે મહિનામાં યોજાઈ હતી. તેલંગણાના મુખ્ય પ્રધાન કે. ચન્દ્રશેખર રાવે નવ મહિના વહેલી વિધાનસભાનું વિસર્જન કરાવી ચૂંટણી માથે મારી છે. તેમનો દાવ કેટલો સફળ થાય છે એની પણ આજ જાણ થશે.

૨૦૧૩માં રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢની વિધાનસભાઓની યોજાયેલી ચૂંટણી કરતાં પણ આ વખતની ચૂંટણી અનેકગણી નિર્ણાયક નીવડવાની છે. ૨૦૧૩માં કૉન્ગ્રેસનાં વળતાં પાણી હતાં. ૨૦૧૧નું પ્રચંડ કહી શકાય એવું સફળ અણ્ણા આંદોલન, ૨૦૧૧ પછીથી યોજાયેલી વિધાનસભાઓની ચૂંટણીનાં કૉન્ગ્રેસ વિરોધી પરિણામો, કૉન્ગ્રેસના નેતાઓની હતાશા અને દિશાહીનતા, બી.જે.પી. અને નરેન્દ્ર મોદીનો આક્રમક પ્રચાર જોઇને સ્પષ્ટ થઈ ગયું હતું કે ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં કૉન્ગ્રેસનો પરાજય નિશ્ચિત છે. કૉન્ગ્રેસ ૪૪ બેઠકો સુધી નીચે જશે અને બી.જે.પી.ને ૨૮૨ બેઠકો સાથે સ્પષ્ટ બહુમતી મળશે એવું કોઈએ હજુ ત્યારે ધાર્યું નહોતું. એમાં જરાય આશ્ચર્ય ન થવું જોઈએ કે ૨૦૧૩માં કૉન્ગ્રેસે રાજસ્થાન ગુમાવી દીધું હતું અને મધ્ય પ્રદેશ તેમ જ છત્તીસગઢમાં બે મુદતની એન્ટી ઇન્કમબન્સી (શાસકો સામે મતદાતાઓની નારાજગી) હોવા છતાં બી.જે.પી.નો સર્વત્ર વિજય થયો હતો અને એ વિજય ભવ્ય હતો.

આમ ૨૦૧૩માં રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં કૉન્ગ્રેસનો પરાજય અપેક્ષિત હતો અને ૨૦૧૪નાં પરિણામો પણ ઓછાંવત્તાં પ્રમાણ સાથે અપેક્ષિત હતાં, પણ આ વખતે આ રાજ્યોનાં પરિણામો ૨૦૧૩ કરતાં પણ વધારે નિર્ણાયક નીવડવાના છે, એનું કારણ એ છે કે નરેન્દ્ર મોદીનો લોકપ્રિયતાનો ધ્વજ અરધી કાઠીએ ફરકી રહ્યો છે. અરધી કાઠીએ એટલે એક્ઝેક્ટલી ક્યાં એ આજે નક્કી થશે. આ ત્રણ રાજ્યોનાં ચૂંટણીનાં પરિણામો નિર્ણાયક છે એની હજુ વધુ એક કારણ એ છે કે આ ત્રણ રાજ્યોની લોકસભાની કુલ ૬૫ બેઠકો છે અને ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં બી.જે.પી.એ ૬૫ બેઠકોમાંથી ૬૨ બેઠકો મેળવી હતી. માત્ર ત્રણ બેઠકો કૉન્ગ્રેસને ફાળે ગઈ હતી. એક છત્તીસગઢમાં અને બે મધ્ય પ્રદેશમાં. રાજસ્થાનમાં તમમાં ૨૫ બેઠકો બી.જે.પી.એ જીતી લીધી હતી.

સુજ્ઞ વાચકને સમજાઈ ગયું હશે કે આ ઘનતા (ડેન્સિટી) બી.જે.પી. માટે ૨૦૧૪માં મોટો એડવાન્ટેજ હતો જે અત્યારે ડિસ-એડવાન્ટેજમાં ફેરવાઈ રહ્યો છે. નરેન્દ્ર મોદી અને બી.જે.પી.ની લોકપ્રિયતાનો ધ્વજ કાઠી પરથી જેટલા પ્રમાણમાં નીચે આવશે એટલા પ્રમાણમાં ઉત્તરનાં રાજ્યોમાંની ઘનતા ઘટશે. આખા દેશમાં છૂટીછવાઈ બેઠકો મળી હોય તો વાંધો ઓછો આવે, જયારે અહીં તો બી.જે.પી.એ ઉત્તર ભારતમાં અને પશ્ચિમ ભારતમાં સુંડલામોઢે બેઠકો મેળવી હતી અને એ ટકશે કે કેમ એની કસોટી થવાની છે. આજનાં પરિણામો ૨૦૧૩ની વિધાનસભાઓની ચૂંટણી કરતાં પણ નિર્ણાયક નીવડવાનાં છે એ આ અર્થમાં.

બીજું, ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં નરેન્દ્ર મોદીએ સંસદીય લોકતંત્રમાં પ્રમુખશાહીએ પદ્ધતિએ પ્રચાર કર્યો હતો અને એ પછી પ્રમુખશાહી પદ્ધતિએ જ રાજ કર્યું હતું. ભારતની સંસદીય લોકશાહીમાં આ નવતર પ્રયોગ હતો. જવાહરલાલ નેહરુ અને ઇન્દિરા ગાંધીની લોકપ્રિયતા જ્યારે આસમાને હતી અને કૉન્ગ્રેસનો સૂર્ય મધ્યાહ્ને તપતો હતો ત્યારે પણ આ રીતે ચૂંટણી પ્રચાર કરવામાં નહોતો આવ્યો. નરેન્દ્ર મોદી ભલે ઊગ્યો ભાણ તરીકે ઉદય પામ્યા હતા અને જનમાનસમાં પ્રચંડ અપેક્ષાઓ પેદા કરી હતી. ચૂંટણી પ્રચાર તો પ્રમુખશાહી પદ્ધતિથી કરવામાં આવ્યો, પરંતુ શાસન પણ પ્રમુખશાહી પદ્ધતિ મુજબ કરવામાં આવ્યું એ અત્યારે તેમના માટે માથાનો દુખાવો થઈ શકે એમ છે. જો વળતાં પાણી થશે તો પોતાના સિવાય કોઈને ય પણ જવાબદાર ઠેરવી શકાય એમ નથી.

આ લખનાર ચૂંટણીનાં પરિણામોનાં અનુમાન કરવામાં માનતો નથી અને કરતો પણ નથી એનાં બે કારણો છે. એક તો એ કે ભારતીય મતદાતાઓમાં જ્ઞાતિ, પેટા-જ્ઞાતિ, ભાષા, પ્રદેશ, વંશ અને ધર્મ તેમ જ સંપ્રદાયોની ઓળખ વિકસી હોવાનાં કારણે અને એ ઓળખો વચ્ચે હરીફાઈ તેમ જ સંઘર્ષ થતા રહેતા હોવાનાં કારણે કોણ ક્યારે કોની સાથે જશે એ કહેવું મુશ્કેલ છે. એટલે તો ૨૦૧૪માં નરેન્દ્ર મોદીએ પ્રમુખશાહી પદ્ધતિએ પ્રચાર કર્યો હતો કે જેથી ભારતીય મતદાતાને બને એટલા પ્રમાણમાં એક ચહેરામાં કંડારી શકાય. એ પછી પણ બી.જે.પી.ને કુલ મતદાનના ૩૧ ટકા જ મત મળ્યા હતા. ૬૯ ટકા મતદાતાઓ સબ કા સાથ અને સબ કા વિકાસની વાતમાં નહોતા આવ્યા અને પોતાની ઓળખને કેન્દ્રમાં રાખીને મતદાન કર્યું હતું. આમ મતદાતા ચંચળ છે એટલે અનુમાન કરવામાં જોખમ છે.

બીજું કારણ એ કે કોના ભરોસે અનુમાન કરવું? પત્રકારો હવે ગ્રામીણ પ્રદેશોમાં અને જનસામાન્યની વચ્ચે જતા નથી. ધરતી પરનું પત્રકારત્વ (ગ્રાઉન્ડ જર્નલિઝમ) ખતમ થઈ ગયું છે. જે પત્રકારો લોકોની વચ્ચે જઇને અહેવાલો આપે છે એ કેટલા તટસ્થ છે એ પણ એક સવાલ છે. કયો પત્રકાર પ્રામાણિક છે અને કયો બીકાઉ છે એ નક્કી કરવું મુશ્કેલ છે. અત્યારે સહેજે ૯૦ ટકા પત્રકાર બીકાઉ અને ડરપોક છે. પત્રકાર પ્રામાણિક અને મહેનતુ હોય તો પણ માલિકો વેચાયેલા અને ડરેલા છે. આમ રણમેદાનમાંથી જ ખોટા અને રંગીન સમાચાર આવતા હોય ત્યાં અનુમાન કરવામાં જોખમ છે.

દરમ્યાન સંઘ પરિવારે અયોધ્યાને સળગાવવાની તૈયારી શરૂ કરી દીધી છે એ સૂચક છે. એને ક્યાંક કશુક ભળાય છે. શું ભળાય છે? એની પણ આજે જાણ થઈ જશે.

સૌજન્ય : ‘કારણ-તારણ’, નામક લેખકની કટાર, “ગુજરાતી મિડ-ડે”, 11 ડિસેમ્બર 2018

Loading

11 December 2018 admin
← મારી માનો વાંક
કૉન્ગ્રેસ માટે નથી ઢાળ કે નથી કપરાં ચઢાણ →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved