Opinion Magazine
Number of visits: 9449036
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

વિકાસના વિકલ્પે રામ

રમેશ બી. શાહ|Opinion - Opinion|1 December 2018

અર્થ-અનર્થ

દેશમાં ‘વિકાસ’ કરવાનો ભા.જ.પ.ને, વિશેષ કરીને વડાપ્રધાન મોદીને ઇજારો આપવામાં આવ્યો હોય તે રીતે ભા.જ.પ.ના નેતાઓ વિકાસની વાતો કરે છે. વિકાસનો અર્થ સ્પષ્ટ નહીં કરવાની તેઓ કાળજી રાખે છે. તે જ રીતે કોનો વિકાસ એ પ્રશ્નને પણ તેઓ અનુત્તર રાખે છે. ઉદ્દેશોની બાબતમાં અસ્પષ્ટતા રાખવી તે રાજકીય કુનેહમાં ખપે છે. આમ, અપ્રામાણિકતાને કુનેહનો ઢોળ ચડાવવામાં આવતો હોવાથી તે ગૌરવવંતી બને છે. પણ જેઓને રાજકારણની અપ્રામાણિકતા અને ધૂર્તતામાં રસ નથી, તેમણે વિકાસનાં વિવિધ પાસાંની ચર્ચા કરવા જેવી છે.

અર્થશાસ્ત્રમાં વિકાસ (development) અને વૃદ્ધિ (growth) વચ્ચે ભેદ પાડવામાં આવ્યો છે. બીજા વિશ્વયુદ્ધ પછી એ સમયે અલ્પવિકસિત તરીકે ઓળખાતા દેશોના સંદર્ભમાં આર્થિક વિકાસ શબ્દ પ્રયોજાયો હતો. ઇંગ્લૅન્ડ આદિ કેટલાક દેશોમાં ૧૮મી સદીના ઉત્તરાર્ધમાં આર્થિક ક્ષેત્રે જે પરિવર્તન આવ્યાં તે ઔદ્યોગિક ક્રાંતિ કે ઔદ્યોગિકીકરણ તરીકે ઓળખાયાં. એ આજના અર્થમાં વિકાસ જ હતો, પણ એના વિશે લખાયેલા ઇતિહાસોમાં એ પરિવર્તનોનું વર્ણન અને વિશ્લેષણ વિકાસની પરિભાષામાં કરાયું નથી. પણ બીજા વિશ્વયુદ્ધ પછી એ બધા દેશોને વિકસિત દેશ ગણવામાં આવ્યા અને અન્ય દેશોને આરંભમાં અલ્પવિકસિત તરીકે ઓળખવામાં આવ્યા. પણ એ શબ્દ એ દેશોના નાગરિકો માટે હિણપતભર્યો લાગવાથી તેના સ્થાને વિકાસશીલ શબ્દ પ્રયોજાયો અને રૂઢ થયો.

અઢારમી સદીના ઉત્તરાર્ધથી ઇંગ્લૅન્ડ, ફ્રાન્સ, જર્મની વગેરે દેશોમાં આવેલાં પરિવર્તનોને સમજવાથી વિકાસનો અર્થ સ્પષ્ટ થાય છે. વરાળશક્તિ અને યંત્રો પ્રયોજાવાથી માણસોની ઉત્પાદનશક્તિમાં મોટો વધારો થયો, જેને આજે જી.ડી.પી. તરીકે ઓળખવામાં આવે છે. તેમાં એના પરિણામે વધારો થયો. જી.ડી.પી.ની આ વૃદ્ધિ અર્થતંત્રમાં આવેલાં ઉપર્યુક્ત ગુણાત્મક પરિવર્તનોનું પરિણામ હતું. આમ, વિકાસમાં ગુણાત્મક પરિવર્તનોપ્રેરિત વૃદ્ધિ અભિપ્રેત છે.

વિકાસ એક મૂલ્યભારિત શબ્દ બની ગયો છે. વિકાસમાં ઇષ્ટતા, ઇચ્છનીયતાનો ભાવ રહેલો છે. વિકાસ શબ્દ સારાં, થવાં ઘટે એવાં પરિવર્તનો સૂચવે છે. ઔદ્યોગિક ક્રાંતિને પરિણામે અંતનોગત્વા લોકોનાં જીવનધોરણમાં મોટો સુધારો થયો, એ પરિણામ લોકોને ગમતું હોવાથી એ પરિવર્તનો વિકાસ ગણાયાં. ઐતિહાસિક રીતે જોઈએ તો વિકાસ આર્થિક ક્ષેત્રો પૂરતો સીમિત રહી શકતો નથી. શિક્ષણ, તબીબી સારવાર, સરકારી સેવાઓ અને સામાજિક સંસ્થાઓમાં પણ ગુણાત્મક પરિવર્તનો સમય જતાં નીપજે છે. એક જમાનામાં યુરોપ, અમેરિકાની યુનિવર્સિટીઓ અધ્યાપનના મર્યાદિત વિષયો સાથે હાઈસ્કૂલ કક્ષાએ કામ કરતી હતી. એ બધા દેશોમાં સરકારી સેવાઓ વિસ્તરી છે અને સાથોસાથ તેની કાર્યદક્ષતામાં મોટો વધારો થયો છે. સમગ્ર સમાજમાં વિકાસ કહેતાં ગુણાત્મક પરિવર્તનો અનુભવાય છે.

આર્થિક વિકાસ દેખીતી રીતે સારી બાબત છે, પણ વિકાસના નામે ઓળખીતાં પરિવર્તનો બધા માટે લાભદાયી નીવડતાં નથી. કેટલાકને એમાં ગુમાવવાનું પણ થાય છે. સિંચાઈ માટે બંધ બાંધવાથી ખેડૂતોના એક વર્ગને લાભ થાય છે, પણ એને કારણે જેઓ વિસ્થાપિત થાય છે અને પોતાની જમીન ગુમાવે છે, તેમને ગુમાવવાનું થાય છે. રસ્તાઓ થવાથી બસ-વ્યવહાર વધતાં ગ્રામવાસીઓને અનેક લાભો થાય છે, પણ નાનાં ગામડાંઓના વેપારીઓનો વેપાર પડી ભાંગે છે, કેમ કે ગ્રામવાસીઓ પાસેના નગરમાંથી ખરીદી કરતા થાય છે. વિકાસની પર્યાવરણ પરની અસર મોટા વિવાદનો વિષય બની છે. વિકાસથી પર્યાવરણનો જે ભોગ લેવાય છે, તેની કિંમત ભાવિ પેઢીએ ચૂકવવાની થશે. અલબત્ત, હવાના પ્રદૂષણની કિંમત વર્તમાન પેઢીને પણ ચૂકવવી પડે છે. વળી, વિકાસથી જી.ડી.પી.માં જે વધારો થાય છે, તેની વહેંચણીની અસમાનતાનો પ્રશ્ન પણ ઊભો થાય છે. આવકની કઈ વહેંચણી ન્યાયી ગણાય તે મોટા મતભેદનો મુદ્દો છે. આ પ્રશ્નોને કારણે અર્થશાસ્ત્રીઓ મૂલ્યભારિત વિકાસ શબ્દને બદલે મૂલ્યનિરપેક્ષ વૃદ્ધિ શબ્દ પસંદ કરે છે.

રાજકારણીઓને આવા કોઈ પ્રશ્નો કનડતા નથી. વિકાસ કોને ન ગમે? વિકાસ દ્વારા તેઓ શું કરશે એનું નામ પાડતા નથી. વિકાસના લાભાર્થીઓ કોણ હશે, એના જવાબમાં ‘સબ કા સાથ, સબકા વિકાસ’ જેવાં રાજકીય સૂત્રો પોકારે છે. વિકાસમાં જેમને ગુમાવવાનું થાય છે. તેમને વળતરના વાયદા કરે છે. રાજકારણીઓ વિકાસને અસ્પષ્ટ રાખે છે એ એમના માટે આરંભમાં લાભદાયી નીવડે છે. વિકાસ એક સારી બાબત છે, એમ સમજીને લોકો તેનાથી આકર્ષાય છે અને તેનો પોતાને અનુકૂળ અર્થ ધરાવે છે. બેકારો સારી રોજગારીની, ખેડૂતો આવક વધવાની અને પોતાના શિક્ષિત દીકરાઓને ખેતીની બહાર રોજગારી મળવાની, ઉદ્યોગપતિઓ અને વેપારીઓ પોતાની કમાણી વધવાની એમ વિવિધ વર્ગો વિકાસમાં પોતાનું હિત જુએ છે. વિકાસથી સારા દિવસો આવશે, એવી આશા લોકોમાં બંધાય છે. તેથી ‘સબ કા સાથ, સબ કા વિકાસ’ જેવાં સૂત્રો વોટ ખેંચી લાવવામાં કામિયાબ નીવડે છે.

આપણે ત્યાં જે વિકાસ થયો છે, તે દુર્ભાગ્યે આમજનતાની અપેક્ષા સંતોષનારો નીવડ્યો નથી. આ વિકાસ રોજગારીવિહીન હોવાથી શિક્ષિત યુવાનોની સારી રોજગારી માટેની અપેક્ષા સંતોષાઈ નથી અને તેથી વિવિધ જ્ઞાતિઓ રોજગારીમાં અનામતની માંગ કરી રહી છે. ખેતીના ક્ષેત્રે છેલ્લાં પાંચેક વર્ષોથી વ્યાપક અસંતોષ પ્રવર્તે છે. એંસી ટકા જેટલા ખેડૂતો બે હૅક્ટરથી કે તેથી ઓછી જમીન ધરાવે છે, જે સરેરાશ પાંચ માણસોના કુટુંબને ભરણપોષણ માટે પૂરતી આવક આપી શકતી નથી. એક બાજુ ખેતીમાં ખર્ચ વધ્યું છે અને બીજી બાજુ વિવિધ ખેતપેદાશોના ભાવો ખર્ચ સાપેક્ષમાં નીચા રહે છે, તેથી ખેડૂતોના મોટા વર્ગ માટે ખેતી માટેનો ધંધો થઈ ગઈ છે. ટૂંકમાં, ખેડૂતો માટે ખરાબ દિવસો આવ્યા છે. નાણાપ્રધાન જેટલી અવાર નવાર એક દાવો કરે છે, દુનિયાનાં મોટાં અર્થતંત્રોમાં ભારતનું અર્થતંત્ર સહુથી ઊંચા દરે, સાત ટકાથી અધિક દરે વૃદ્ધિ પામી રહ્યું છે. પણ જી.ડી.પી.ની વૃદ્ધિનો આ ઊંચો દર લોકો એમના જીવનમાં અનુભવી શકતા નથી, કેમ કે આ વિકાસ મુખ્યત્વે કરોડપતિઓ અને અબજપતિઓની આવક વધારનારો છે. ટોચનાં એક ટકા કુટુંબોના ભાગે વધેલી આવકનો ૨૯ ટકા ભાગ ગયો છે, તેની સરખામણીમાં તળિયાના ૫૦ ટકાના ભાગ ૧૧ ટકા આવક થઈ છે. આની તુલનામાં ચીનમાં ટોચનાં એક ટકા કુટુંબોના ભાગે વધેલી આવકનો ૧૫ ટકા ભાગ ગયો હતો. આમ, ભારતમાં થઈ રહેલા વિકાસથી જનતાનો વિશાળ વર્ગ સારા દિવસોનો અનુભવ કરી રહ્યો નથી, તેથી વડાપ્રધાનની વિકાસની વાતોથી પ્રજાનો મોટો વર્ગ નિર્ભ્રાન્ત થઈ ગયો છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીના દિવસોમાં ‘વિકાસ ગાંડો થયો છે’ એ ઉક્તિ સોશિયલ મીડિયામાં ખૂબ લોકપ્રિય થઈ હતી, એ તેનું એક પ્રમાણ હતું. વિકાસની વાતો રમૂજની વાતો બની ગઈ હતી.

વિકાસ અંગે સાચો-જૂઠો પ્રચાર લોકોને ભોળવી શકે તેમ નથી. લોકોને પોતાને વિકાસનો અનુભવ થતો ન હોય, તો તેઓ કેવળ પ્રચારથી ભોળવાઈ જાય એટલા ભોળા નથી. યુવાનોને સારી રોજગારી મળતી ન હોય, ખેડૂતોને પોષણક્ષમ ભાવો ન મળતા હોય અને મોંઘવારી વધવાનું ચાલુ જ હોય એ સ્થિતિમાં લોકો વિકાસનો, એટલે સારા દિવસોનો અનુભવ ન કરે તે સહજ છે. ભારતનું અર્થતંત્ર દુનિયામાં સૌથી ઊંચા દરે વધે છે, બે-ચાર વર્ષમાં ઇંગ્લૅન્ડના અર્થતંત્રને પછાડીને ભારતનું અર્થતંત્ર આગળ નીકળી જશે, એવી વિકાસ અંગેની મોટી મોટી વાતોથી લોકોને કોઈ ફરક પડતો નથી. તેથી હવે ચૂંટણીઓ વિકાસને આગળ કરીને જીતી શકાય તેમ નથી; ચૂંટણી માટે બીજા મુદ્દાઓ ખોળવા પડે તેમ છે. અયોધ્યામાં રામમંદિર આવો એક હાથવગો મુદ્દો છે. લોકોને કનડતા પ્રશ્નો ગૌણ છે. સબરીમાલામાં મહિલાઓના પ્રવેશને રોકવો, અયોધ્યામાં ભવ્ય રામમંદિર બાંધવું, એ આજે દેશના ટોચની અગ્રતા ધરાવતા પ્રશ્નો છે!

સૌજન્ય : “નિરીક્ષક”, 01 ડિસેમ્બર 2018; પૃ. 01-02

Loading

1 December 2018 admin
← મુઠ્ઠી
એક નમ્ર અપીલ : ખેડૂતોની વેદનાને રાજકીય પક્ષોના પક્ષકાર બન્યા વિના સમજવાની કોશિશ કરો અને અંતરાત્માનો અવાજ સાંભળો →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved