Opinion Magazine
Number of visits: 9447247
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં બી.જે.પી.ની કસોટી થવાની છે

રમેશ ઓઝા|Opinion - Opinion|8 October 2018

રાજ્યોની વિધાનસભાઓની ચૂંટણીઓ છાશવારે યોજાતી જ રહે છે, પરંતુ તેમાં મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનની વિધાનસભાઓની ચૂંટણીનું ખાસ મહત્ત્વ છે. મહત્ત્વ એ વાતનું છે કે આ રાજ્યોની ચૂંટણી લોકસભાની ચૂંટણીની પૂર્વસંધ્યાએ એટલે કે છ મહિના પહેલાં યોજાય છે. આ સિવાય બીજું એક મહત્ત્વનું કારણ એ છે કે આ રાજ્યો ઉત્તર ભારતનાં છે, પ્રમાણમાં વિશાળ છે અને ત્યાં કૉન્ગ્રેસ અને બી.જે.પી. સિવાય બીજા પક્ષોની હાજરી પાંખી છે. આને કારણે આ રાજ્યોમાં ભારતના બે મુખ્ય પ્રતિદ્વંદી પક્ષ કૉન્ગ્રેસ અને બી.જે.પી.નો સીધો મુકાબલો થાય છે. આ રાજ્યોનાં પરિણામો પરથી ખ્યાલ આવે છે કે પવન કઈ તરફ વાઈ રહ્યો છે. અંગ્રેજીમાં કહીએ તો મૂડ ઓફ ધ નેશન આ રાજ્યોની વિધાનસભાઓની ચૂંટણીનાં પરિણામો બતાવી આપે છે. ૨૦૧૩માં આ ત્રણ રાજ્યો ઉપરાંત દિલ્હીમાં પણ વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી. ૨૦૧૫માં દિલ્હીની વિધાનસભાની મધ્યસત્ર ચૂંટણી યોજવી પડી એટલે આ વખતે દિલ્હી મેદાનમાં નથી, પરંતુ દિલ્હીની જગ્યા આ વખતે તેલંગણાએ લીધી છે. તેલંગણાના શાસક પક્ષે વિધાનસભાને મુદ્દત પૂર્વે નવ મહિના વહેલી વિખેરી નાખી છે એટલે તેલંગણા ઉમેરાયું છે. એમ તો મિઝોરમમાં પણ વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે, પરંતુ રાષ્ટ્રીય રાજકારણમાં મિઝોરમ કોઈ મહત્ત્વ નથી ધરાવતું.

આ પાંચ રાજ્યોમાં મધ્ય પ્રદેશ ૨૩૦ વિધાનસભાની અને ૨૯ લોકસભાની બેઠકો ધરાવે છે. રાજસ્થાન ૨૦૦ વિધાનસભાની અને ૨૫ લોકસભાની બેઠકો ધરાવે છે. છત્તીસગઢ ૯૦ વિધાનસભાની અને ૧૧ લોકસભાની બેઠકો ધરાવે છે. તેલંગણા ૧૧૯ વિધાનસભાની અને ૧૭ લોકસભાની બેઠકો ધરાવે છે. મિઝોરમ ૪૦ વિધાનસભાની અને એક લોકસભાની બેઠક ધરાવે છે. અત્યારે કુલ મળીને ૬૭૯ વિધાનસભાની અને આવતા વરસે આ રાજ્યોમાં ૮૩ લોકસભાની બેઠકો માટે ચૂંટણી યોજાવાની છે.

અત્યારની સ્થિતિની વાત કરીએ તો બી.જે.પી. મધ્ય પ્રદેશમાં કુલ ૨૩૦ વિધાનસભાની બેઠકોમાંથી ૧૬૫ બેઠકો ધરાવે છે. ૨૦૦૮ની વિધાનસભાની તુલનામાં બી.જે.પી.ની બેઠકોમાં બાવીસનો વધારો થયો હતો. બી.જે.પી.ને ૪૪.૮૮ ટકા મત મળ્યા હતા. કૉન્ગ્રેસને મધ્ય પ્રદેશમાં ૨૫.૨૨ ટકા મત સાથે માત્ર ૫૮ બેઠકો મળી હતી અને ૨૦૦૮ની ચૂંટણીની તુલનામાં ૧૩ બેઠકો ગુમાવી હતી. શિવરાજ સિંહ ચોહાણ ૧૩ વરસથી મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન છે અને આશ્ચર્ય એ વાતનું છે કે તેમને બીજી મુદ્દત કરતાં ત્રીજી મુદ્દત માટે વધારે બેઠકો અને વધારે મત મળ્યા હતા અને કૉન્ગ્રેસની બાબતમાં ઊલટું બન્યું હતું. એન્ટી ઇન્કમબન્સી ફેક્ટરે કામ નહોતું કર્યું. મધ્ય પ્રદેશમાં બહુજન સમાજ પક્ષને ચાર બેઠકો મળી હતી અને તેણે ત્રણ બેઠકો ગુમાવી હતી. બી.એસ.પી.ને ૬.૨૯ ટકા મત મળ્યા હતા. ૨૦૧૪માં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં બી.જે.પી.ને ૨૯માંથી ૨૭ બેઠકો મળી હતી અને તેને ૧૬ બેઠકોનો ફાયદો થયો હતો. તેને માત્ર છ મહિનાની અવધિમાં વિધાનસભા કરતાં દસ ટકા મત વધુ મળ્યા હતા. બી.જે.પી.ને ૫૪ ટકા મત મળ્યા હતા. કૉન્ગ્રેસને માત્ર બે બેઠક મળી હતી, પરંતુ વિધાનસભાની ચૂંટણીની તુલનામાં કૉન્ગ્રેસને લગભગ દસ ટકા  મત વધુ મળ્યા હતા. બહુજન સમાજ પક્ષને એક પણ બેઠક મળી નહોતી, પરંતુ તેને રાજ્યમાં કુલ ૩.૮ ટકા મત મળ્યા હતા.

રાજસ્થાનમાં કુલ બસો બેઠકોમાંથી બી.જે.પી.ને ૪૫.૨ ટકા મત સાથે ૧૬૩ બેઠકો મળી હતી. ૨૦૦૮ની વિધાનસભાની ચૂંટણીની તુલનામાં તેની બેઠક સંખ્યામાં ૮૫નો વધારો થયો હતો અને મતમાં ૧૦.૯ ટકાનો વધારો થયો હતો. કૉન્ગ્રેસને ૩૩.૧ ટકા મત સાથે ૨૧ બેઠકો મળી હતી અને ૭૫ બેઠકો ગુમાવી હતી. બહુજન સમાજ પક્ષને ૩.૪ ટકા મત સાથે ત્રણ બેઠકો મળી હતી અને ત્રણ બેઠકો ગુમાવી હતી. છેલ્લાં ઘણાં વરસોથી રાજસ્થાનમાં શાસક પક્ષને બીજી મુદ્દત મળતી નથી અને કૉન્ગ્રેસ ૨૦૦૮થી ૨૦૧૩ સુધી સત્તામાં હતી. છ મહિના પછી યોજાયેલી લોકસભાની સામાન્ય ચૂંટણીમાં બી.જે.પી. તમામ પચીસે પચીસ બેઠકો મળી હતી. તેની મતસંખ્યામાં પણ દસ ટકાનો વધારો થયો હતો અને કુલ ૫૪.૯ ટકા મત મળ્યા હતા. કૉન્ગ્રેસને એક પણ બેઠક મળી નહોતી એ તો ઠીક છે, પરંતુ ૨૦૧૩ની તુલનામાં ૨૦૧૪માં તેની મતસંખ્યામાં ત્રણ ટકાનો ઘટાડો થયો હતો.

છત્તીસગઢની વિધાનસભાની કુલ ૯૦ બેઠકોમાંથી બી.જે.પી.ને ૪૧ ટકા મત સાથે ૪૯ બેઠકો મળી હતી. કૉન્ગ્રેસને પણ ૪૦.૩ ટકા મત મળ્યા હતા, પરંતુ બેઠકો ૩૯ મળી હતી. બહુજન સમાજ પક્ષને ૪.૩ ટકા મત સાથે એક બેઠક મળી હતી. આમ મતની ટકાવારીને લાગેવળગે છે ત્યાં સુધી છત્તીસગઢમાં બી.જે.પી. અને કૉન્ગ્રેસ વચ્ચે સરસાઈ છે. છત્તીસગઢમાં લોકસભાની કુલ ૧૧ બેઠકોમાંથી બી.જે.પી.ને દસ બેઠકો મળી હતી અને કૉન્ગ્રેસને માત્ર એક બેઠક મળી હતી. મતની ટકાવારીને લાગેવળગે છે ત્યાં સુધી લોકસભાની ચૂંટણી વખતે બી.જે.પી. અને કૉન્ગ્રેસ વચ્ચે દસ ટકાનો ફરક પડી ગયો હતો. બી.જે.પી.ને ૪૮.૭૦ ટકા મત મળ્યા હતા અને કૉન્ગ્રેસને ૩૮.૪૦ ટકા મત મળ્યા હતા. બી.જે.પી.એ વિધાનસભાની ચૂંટણી કરતાં લગભાગ આઠ ટકા વધુ મત મેળવ્યા હતા, પરંતુ કોંગ્રેસે માત્ર બે ટકા મત ગુમાવ્યા હતા. છત્તીસગઢમાં કૉન્ગ્રેસમાંથી કાઢી મુકવામાં આવેલા અને છત્તીસગઢના પહેલા મુખ્ય પ્રધાન અજિત જોગી વિધાનસભા અને લોકસભા એમ કોઈ ચૂંટણીમાં કૉન્ગ્રેસને ખાસ કોઈ નુકસાન પહોંચાડી શક્યા નહોતા.

તેલંગણા અને આંધ્રપ્રદેશની વિધાનસભાઓની ચૂંટણી સંયુક્ત રીતે લોકસભાની સાથે યોજાઈ હતી. ચૂંટણી પછી બે અલગ વિધાનસભાઓની રચના કરવામાં આવી હતી. અત્યારે તેલંગણામાં કુલ ૧૧૯ બેઠકોમાંથી ૬૩ બેઠકો તેલંગણા રાષ્ટ્ર સમિતિ (ટી.આર.એસ.) ધરાવે છે. કૉન્ગ્રેસને ૨૧ બેઠકો મળી હતી અને તેલગુ દેશમ પાર્ટીને ૧૫ બેઠકો મળી હતી. બી.જે.પી.ને પાંચ બેઠકો મળી હતી. લોકસભામાં તેલંગણાના ભાગમાં ૧૭ બેઠકો આવી છે જેમાંથી ટી.આર.એસ.ને ૧૧ બેઠકો મળી છે, કૉન્ગ્રેસને બે બેઠકો મળી છે અને બી.જે.પી.ને એક બેઠક મળી છે. મિઝોરામમાં વિધાનસભાની કુલ ૪૦ બેઠકોમાંથી કૉન્ગ્રેસને ૪૪ ટકા મત સાથે ૩૪ બેઠકો મળી હતી અને બે બેઠકોનો ફાયદો થયો હતો. લોકસભાની એક બેઠક પણ કૉન્ગ્રેસને ગઈ હતી. મિઝોરમમાં બી.જે.પી.ની હાજરી નથી.

આમ આ વખતે પાંચ રાજ્યોમાં મળીને કુલ ૬૭૯ બેઠકોમાં ચૂંટણી થવાની છે અને એને પગલે આવતા વરસે લોકસભાની ચૂંટણી યોજાવાની છે. જે ૬૭૯ બેઠકો માટે ચૂંટણી યોજાવાની છે એમાંથી વિધાનસભાની ગત ચૂંટણીમાં બી.જે.પી.ને ૪૧૬ બેઠકો મળી હતી. કૉન્ગ્રેસને ૧૩૯ બેઠકો મળી હતી અને બહુજન સમાજ પક્ષને માત્ર ચાર બેઠકો મળી હતી. જો મિઝોરમની અને તેલંગણાની બેઠકો બાદ કરો તો બાકીના ત્રણ રાજ્યોની કુલ ૫૨૦ બેઠકોમાંથી બી.જે.પી.ને ૩૭૭ બેઠકો મળી હતી. ૭૦ ટકા કરતાં પણ વધુ. લોકસભાની ચૂંટણીની વાત કરીએ તો ત્રણ રાજ્યોની કુલ ૬૫ બેઠકોમાંથી બી.જે.પી.ને ૬૨ બેઠકો મળી હતી.

વિધાનસભાઓની ચૂંટણીમાં કૉન્ગ્રેસનો પરાજય થયો અને મધ્ય પ્રદેશ તેમ જ છત્તીસગઢમાં એન્ટી ઇન્કમબન્સી ફેક્ટર હોવા છતાં બી.જે.પી.નો વિજય થયો એનું કારણ મતદાતાઓના મનમાં કૉન્ગ્રેસ સામેનો ગુસ્સો હતો. એ ગુસ્સાનું સ્વરૂપ અણ્ણા આંદોલનમાં જોવા મળ્યું હતું. લોકસભાની ચૂંટણીમાં બી.જે.પી.નો પ્રચંડ વિજય થયો એનું કારણ કૉન્ગ્રેસ સામેના જનાક્રોશનો ઉપયોગ કરીને પોતાને હર બીમારીના એક માત્ર અકસીર ઈલાજ તરીકે પેશ કરવાની નરેન્દ્ર મોદીની જાદુગરી હતી. હવે એ જાદુગરી ઓસરી ગઈ છે અને ૬૫માંથી ૬૨ બેઠકોની ઘનતા (ડેન્સિટી) ડરાવે છે. આ ઉપરાંત મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં બી.જે.પી. ચોથી મુદ્દત માટે ચૂંટણી લડી રહી છે. શિવરાજ સિંહ ચોહાણ ૨૦૧૫થી મુખ્ય પ્રધાન છે અને રમણ સિંહ ૨૦૦૩થી મુખ્ય પ્રધાન છે. બીજું ઉપર કરેલી છણાવટમાં વાચકે નોંધ્યું હશે કે મધ્ય પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીની તુલનામાં કોન્ગ્રેસને લોકસભાની ચૂંટણીમાં દસ ટકા વધુ મત મળ્યા હતા અને છત્તીસગઢની વિધાનસભાની ચૂંટણીમાં મતને લાગેવળગે છે ત્યાં સુધી બી.જે.પી. અને કૉન્ગ્રેસ વચ્ચે મામુલી અંતર હતું અને લોકસભાની ચૂંટણીમાં નરેન્દ્ર મોદીનો જુવાળ હોવા છતાં કૉન્ગ્રેસના મતમાં બે ટકાનું જ નુકસાન થયું હતું. રહી વાત રાજસ્થાનની તો રાજસ્થાનમાં મતદાતાઓ કોઈ પક્ષને બીજી મુદ્દત આપતા નથી અને એમાં આ વખતે વસુંધરા રાજેની સરકારના કામકાજથી લોકો નારાજ છે. 

૨૦૧૩માં મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન અને દિલ્હીમાં કૉન્ગ્રેસનો પરાજય થયો અને કૉન્ગ્રેસનું મોરલ તૂટી ગયું. એ પછી લોકસભાની ચૂંટણીમાં કૉન્ગ્રેસ ખાસ કોઈ મુકાબલો નહોતી કરી શકી. તેની કમર તૂટી ગઈ હતી. જો આ ત્રણ રાજ્યોની વિધાનસભાઓનાં પરિણામો બી.જે.પી.ની વિરુદ્ધ ગયાં તો બી.જે.પી.ના મોરલને પણ અસર થઈ શકે એમ છે. ભયનું સૌથી મોટું કારણ ઘનતા છે. જો પ્રજા નારાજ હોય અને એમાંના કેટલાક મતદાતાઓ વિફર્યા હોય તો ૬૫માંથી ૬૨ બેઠકો મળે ખરી? અમિત શાહ અને નરેન્દ્ર મોદીના ચહેરા પર જે નર્વસનેસ નજરે પડી રહી છે એનું કારણ આ ઘનતા છે અને ઘનતાવાળા રાજ્યોમાં કસોટી થવાની છે.

સૌજન્ય : ‘કારણ-તારણ’, નામક લેખકની કટાર, “ગુજરાતી મિડ-ડે”, 08 અૉક્ટોબર 2018

Loading

8 October 2018 admin
← આહોનાં શહેર
માલિનીબહેન ગયાં →

Search by

Opinion

  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની
  • મહિલાઓ હવે રાતપાળીમાં કામ કરી શકશે, પણ કરવા જેવું ખરું?

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved