Opinion Magazine
Number of visits: 9448998
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ભારત, હિન્દુ સમાજ અને ભારતીય ઇસ્લામ

રમેશ ઓઝા|Opinion - Opinion|23 September 2018

ભારતમાં મુસલમાન વિરોધી હિન્દુત્વવાદીઓને અંગ્રેજોએ લખેલો ઇતિહાસ બહુ ભાવે છે. આર.સી. મજુમદાર જેવા ભારતીય રાષ્ટ્રવાદીઓએ લખેલા રાષ્ટ્રવાદી ઇતિહાસ કરતાં પણ તેમને અંગ્રેજોએ લખેલો ઇતિહાસ ભાવે છે. આઝાદી મળ્યા પછી અંગ્રેજોએ લખેલો ઇતિહાસ પહેલી તકે જવો જોઈતો હતો અને ભારતીય વિદ્યા ભવન જેવી સંસ્થાએ રાષ્ટ્રવાદી ઇતિહાસ લખાવ્યો પણ હતો; પણ એક જમાતને અંગ્રેજોએ લખેલો ઇતિહાસ ટકાવી રાખવામાં અને ઘૂંટતા રહેવામાં રસ છે. આપણે ત્યાં એવા રાષ્ટ્રવાદીઓ છે જેમને રાષ્ટ્રવાદી ઇતિહાસ કરતાં અંગ્રેજોએ લખેલો સાંસ્થાનિક ઇતિહાસ (કલોનિયલ હિસ્ટરી) વધારે ગમે છે, કારણ કે તેઓ ભારતીય રાષ્ટ્રવાદી નથી, હિન્દુ રાષ્ટ્રવાદી છે.

એક છેડે દ્વૈત અને અદ્વૈત વેદાંત અને બીજા છેડે જ્ઞાતિ-પ્રથા એ હિન્દુ સમાજનો વિરોધાભાસી ચહેરો છે અને એના સંપર્કમાં આવેલી કોઈ વિધર્મી પ્રજા એના પ્રભાવથી મુક્ત નથી. દ્વૈતમાં ઈશ્વર સાથેનો સંબંધ દાસનો છે અને અદ્વૈતમાં ઈશ્વર સાથેનો સંબંધ એકત્વનો છે. દાસ એટલે સો ટકા દાસ, ના-ચીજ, અહંશૂન્ય. દાસમાં કર્તાભાવ નથી હોતો, ઈશ્વર કરાવે છે અને હું નિમિત્તમાત્ર કર્તા છું. અદ્વેત વેદાંત કહે છે કે હું પોતે જ ઈશ્વર છું. અહં બ્રહ્માસ્મિ. જીવ અને શિવ એક જ છે અથવા જે પીંડે તે બ્રહ્માંડે. ભક્ત ગમે એટલો ઈશ્વરમાં એકાકાર થઈ જાય, છેવટે એ ઈશ્વર કરતાં અલગ તો છે જ, જ્યારે અહીં તો અલગ હોવાનો સવાલ જ નથી. વાંચકોને સમજાઈ ગયું હશે કે પહેલો માર્ગ ભક્તિનો છે અને બીજો જ્ઞાનનો. પહેલો માર્ગ પ્રમાણમાં સુલભ છે અને બીજો કઠીન. અનેક સાધકોએ દ્વૈત અને અદ્વૈત અથવા ભક્તિ અને જ્ઞાનનો સમન્વય કરવાનો પ્રયાસ કર્યો છે. પરમ અદ્વૈત વેદાન્તી આદિ શંકરાચાર્યે પણ નિર્ગુણ પહેલાં સગુણનો સ્વીકાર કર્યો છે અને ભજ ગોવિન્દમ્‌ નામનો ગ્રન્થ લખ્યો છે.

જે પોતાને ઈશ્વર સાથે એકાકાર થઈ જવાની લલક અનુભવતો હોય, તરસતો હોય, ઝૂરતો હોય અથવા જે પોતાને જ ઈશ્વરનો અંશ સમજતો હોય એ સામાજિક જીવનમાં કોઈની સાથે વ્યક્તિએ વ્યક્તિ વ્યવહારભેદ કઈ રીતે કરી શકે? બ્રાહ્મણ હોય તો એક રીતે વર્તવાનું, ક્ષત્રીય હોય તો બીજી રીતે વર્તવાનું, શુદ્ર હોય તો સાવ જુદી રીતે વર્તવાનું, કોઈ વળી એવા પણ હોય જેની સાથે વહેવાર શું, પડછાયો પણ વર્જ્ય હોય અને સ્ત્રી તો પાપનું મૂળ. પંઢરપુરમાં વિઠોબાના મંદિરમાં મહાન દલિત સંત ચોખામેલાની દેરી છે, પરંતુ એ દેરી મંદિરને અડીને પણ છતાં ય મંદિરની બહાર છે. ચોખામેલા વિઠ્ઠલ માટે ઝૂરનારો દલિત ભક્ત હતો. ભક્તના ઝૂરાપાનો અસ્વીકાર કરવામાં આવે તો વિઠ્ઠલ લાજે અને જો મંદિરમાં પ્રવેશ આપે તો સમાજનું માળખું તૂટી પડે.

આવો આપણો હિન્દુ સમાજ છે. વિસંગતિ એટલે કેવી? બે છેડાની. આને હિન્દુ સમાજ ચાર રીતે જુએ છે. જે લોકો રૂઢિચુસ્ત સનાતની હિંદુ છે તેમને વિસંગતિમાં કોઈ વિસંગતિ દેખાતી જ નથી. જે કોઈ વેદાંતી શાખામાં માનતા હોય એને માટે પણ ગર્વ અનુભવે છે અને જ્ઞાતિનું અભિમાન પણ ધરાવે છે. બીજા સનાતની હિન્દુ ધર્માભિમાની છે જેઓ સમાજિક ભેદભાવ અને અન્યાય સામે નજર જ નથી નાખતા. તેઓ કાં તો ગળે ન ઊતરે એવો બચાવ કરશે અને કાં તેની ઉપેક્ષા કરશે. આ વિસંગતિ છે અને વિસંગતિ કલંકરૂપ છે એનો તેઓ સ્વીકાર જ નથી કરતા. હિન્દુ ધર્માભિમાનીઓમાં માત્ર એક અપવાદ છે; દયાનંદ સરસ્વતી. ત્રીજો અભિગમ જે સારું છે એ માટે ગર્વ લેવાનો અને તેને વળગી રહેવાનો અને જે કલંકરૂપ છે એને માટે શરમ અનુભવવાનો અને તેને છોડતા જવાનો. રાજા રામ મોહન રોયથી લઈને વાયા ગાંધીજી વિનોબા ભાવે જેવા સેંકડો લોકો આવો અભિગમ ધરાવે છે. આધુનિક ભારતનો વિકાસ આ ત્રીજા અભિગમ દ્વારા થયો છે.

ચોથો અભિગમ છે હિન્દુ સમાજના માળખામાં જે શરમજનક તત્ત્વો છે એને હિન્દુ ધાર્મિક માળખાનું અવિભાજ્ય અંગ માનીને તેની નિંદા કરવાનો. મહાત્મા ફૂલે, ઈ.વી. રામસ્વામી પેરિયાર અને ડૉ. આંબેડકર જેવા શુદ્ર કે દલિત સમાજમાંથી આવતા લોકો આવો અભિગમ ધરાવે છે. ખામી હિન્દુ ધર્મના માળખામાં જ છે એટલે ધાર્મિક હિન્દુ સુધરી જ ન શકે એવી દલીલ તેઓ કરે છે. કૂવામાં જ ગંદું પાણી છે એટલે હવાડામાં આવ્યું છે એમ તેઓ માને છે. ‘એનિહિલેશન ઓફ કાસ્ટ’ નામનું પુસ્તક ડૉ. આંબેડકરે લખ્યું અને ગાંધીજીએ તેની સમીક્ષા કરી ત્યારે બે મહાનુભાવો વચ્ચે આ વિષે જમકર વિવાદ થયો હતો. ગાંધીજી કહેતા હતા કે હિન્દુ સમાજ અને હિન્દુ દર્શન અથવા તો ધર્મ એ બે અલગ બાબત છે. સમાજમાં જ્યાં સડો પેઠો છે એની સર્જરી થઈ શકે છે અને કરવી પણ જોઈએ. ડૉ. આંબેડકર કહેતા હતા કે સામાજિક ઢાંચો શરમજનક છે કારણ કે તેનાં મૂળ હિન્દુ ધાર્મિક ઢાંચામાં છે એટલે સર્જરી થઈ શકે એમ જ નથી. ગાંધીજીએ ત્યાં સુધી કહ્યું હતું કે ખુદ ભગવાન આવીને મને કહે કે હિન્દુ સામાજિક માળખું મેં બનાવ્યું છે અને એ તેના સંપૂર્ણ સ્વરૂપમાં હિન્દુએ સ્વીકારવું જરૂરી છે તો હું ભગવાન સામે પણ બળવો કરવા તૈયાર છું.

અહીં હિન્દુ દર્શન (તત્વજ્ઞાન), હિન્દુ ધર્મ (જે કોઈ સ્વરૂપમાં છે તે) અને હિંન્દુ સમાજની વિગતે ભૂમિકા માંડી એની પાછળ ખાસ ઉદ્દેશ છે. ઉદ્દેશ એ છે કે ભારતમાં જે કોઈ વિધર્મીઓ વિદેશથી આવતા હતા એ હિન્દુઓની હિમાલય જેટલી ઊંચાઈ અને નર્કાગાર જેવી ઊંડી ખાઈ જોઇને આભા બની જતા હતા. આવા બે છેડાના અંતિમો? આવી વિસંગતતા? એટલે તો ભારતની યાત્રાએ આવેલા વિદેશી યાત્રિકોનાં વૃત્તાંતોમાં હિન્દુઓની આવી વિસંગતતા તરફ ધ્યાન દોરવામાં આવ્યું છે. એક તટસ્થ નિરીક્ષક તરીકે આવેલા યાત્રિકો પણ ભારતમાં આવ્યા પછી તટસ્થતા જાળવી શક્યા નહોતા. કોઈએ હિમાલય જેવડી દાર્શનિક ઉંચાઈને મહત્ત્વ આપ્યું હતું તો કોઈએ નિર્મમ અન્યાય કરનારા સામાજિક સ્વરૂપને મહત્ત્વ આપ્યું હતું.

આ એ લોકો પર પડેલા અને ઝીલેલા પ્રભાવની વાત છે જે યાત્રિક તરીકે વરસ-બે વરસ માટે ભારત આવ્યા હતા, પરંતુ જેઓ ભારતમાં કાયમ માટે સ્થાયી થઈ ગયા તેમનું શું? આમ પણ માનવ સ્વભાવત: એકલો જીવી શકતો નથી એટલે તો માનવીને સામાજિક પ્રાણી તરીકે ઓળખાવવામાં આવે છે. એક સામાજિક પ્રાણી જ્યારે બીજા સામાજિક પ્રાણીને મળે છે અને લાંબો સમય સાથે રહે છે ત્યારે સામાજિક લેવડ-દેવડ સ્વાભાવિક છે, સ્વાભાવિક નહીં અનિવાર્ય છે. આમાં પાછી ખૂબી એ છે કે જેટલું ભૌગોલિક અંતર વધુ એટલું લેવડ-દેવડનું પ્રમાણ વધારે. માણસ પોતાનાં મૂળને પકડી રાખવાના ગમે એટલા પ્રયાસ કરે તેણે પરાયી ભૂમિની આબોહવામાં એડ્જસ્ટ થવું જ પડતું હોય છે. આનો બીજો અર્થ એ થયો કે આપણે જે લઈને આવ્યા હતા એમાંનું કંઈક છૂટી જતું હોય છે અને પરાયાનું અજાણતા જ પોતાનું થઈ જતું હોય છે અને એમાંથી કાંઈક ત્રીજું જ નીપજતું હોય છે.

ગિરમીટિયાઓ પહેલીવાર ભારત છોડીને જે દેશમાં ગયા ત્યાં એ સમયે તેઓ સો ટકા ભારતીય હિન્દુ કે મુસલમાન હતા. એ પછી જેમ જેમ સમય વીતતો ગયો એમ ભારતીય હિન્દુ કે મુસલમાન હોવાપણાનું પ્રમાણ ઘટતું ગયું હતું અને જે દેશમાં ગયા તેનું પ્રમાણ વધતું ગયું. એ પછી એક ગલન બિંદુ (મેલ્ટિંગ પોઈન્ટ) આવે છે જ્યાં એ બે સભ્યતા કે સંસ્કૃિતઓ મિશ્ર સ્વરૂપ ધારણ કરે છે. જ્યાં સુધી ગલન બિંદુ નહોતું આવ્યું અને મિશ્ર સંસ્કૃિતનો ઘાટ નહોતો બંધાયો ત્યાં સુધી લેવાની અને છોડવાની પ્રક્રિયાની ઝડપ વધારે હતી. મિશ્ર સંસ્કૃિતનો ઘાટ ઘડાયા પછી પરિવર્તનની ઝડપ ઘટી જાય છે, પણ સાવ બંધ નથી થતી. પરિવર્તનની પ્રક્રિયા ધીમી પડી જાય છે કારણ કે મિશ્ર સંસ્કૃિતનો જે નવો ઘાટ ઘડાયો છે એ નવી ભૂમિનો પોતાનો તળપદો બની ગયો હોય છે. વિજ્ઞાન એમ કહે છે કે સ્ત્રી અને પુરુષનાં બીજનું મિલન થાય છે એ પછી ત્રીસ કલાક સુધી બન્ને બીજ વચ્ચે લેવડ-દેવડનું સંવનન ચાલતું હોય છે અને એ પછી ત્રીજો જીવ મિશ્ર લક્ષણો સાથે અસ્તિત્વમાં આવે છે. જે માની કોખમાં થાય છે એ સમાજમાં થાય છે.

આધુનિક યુગમાં શિક્ષણના કારણે સ્વ-ભાન પ્રબળ થયું હોવાથી સ્થળાંતરિત લોકો પોતાની સંસ્કૃિતને પકડી રાખવાની અને બીજી સંસ્કૃિતના પ્રભાવને નકારવાની જીદ કરે છે. એમાં વિજ્ઞાન અને ટેકનોલોજી તેમને મદદ કરે છે, પરંતુ સરવાળે એ સ્વાભાવિક માનવીય વૃત્તિની વિરુદ્ધ છે. કેટલાક લોકો હજાર વરસ કે એનાથી પણ પાછળ જવાની મથામણ કરે છે એ પણ જીદ છે. મૂળને શોધશો તો સુખ હાથ લાગશે એવી તેમની માન્યતા છે. પકડી રાખવાની, છૂટેલું પાછું પકડવાની, અન્યોનું નકારવાની અને જો અપનાવી લીધું હોય તો ફરી છોડી દેવાની જીદ આધુનિક યુગમાં જોવા મળે છે; પરંતુ એમાં સફળતા મળવાની છે. લેવડ-દેવડ વિના માનવી અધૂરો છે અને એ જીવી જ ન શકે.

તો બે હકીકત મેં આપની સમક્ષ રાખી. એક તો હિન્દુ દર્શન, ધર્મ અને સમાજનું સ્વરૂપ. તેની ખૂબી અને મર્યાદા. બીજું સામાજિક-સાંસ્કૃિતક લેવડ-દેવડની માનવીય વૃત્તિ. આની વચ્ચે ભારતમાં મુસલમાનો આવે છે, પરંતુ અંગ્રેજ ઇતિહાસકારો કહી ગયા છે કે તેઓ એક હાથમાં કુરાન અને બીજા હાથમાં તલવાર લઈને ભારતમાં આવ્યા હતા અને અંગ્રેજોએ મુસલમાનો પાસેથી સત્તા છીનવીને ભારતના હિન્દુઓને નહોતા બચાવ્યા ત્યાં સુધી તેઓ એવાને એવા જ હતા. તેઓ કહેવા એમ માંગે છે કે ભારતમાં આવેલા મુસલમાનો બદલાયા જ નહોતા. તેઓ સતત એક હાથમાં કુરાન અને બીજા હાથમાં તલવાર લઈને હિન્દુઓને વટલાવતા હતા અને જે નહોતા ધર્મ પરિવર્તન કરતા તેને મારી નાખતા હતા. મુસ્લિમ શાસકો તેમાં તેમને મદદ કરતા હતા. અંગ્રેજ ઇતિહાસકારો એમ પણ સૂચવે છે કે ભારતમાં આવેલા મુસલમાનો એક સરખા એજન્ડા સાથે કોઈ પ્રકારના ફરક વિના હજાર વરસથી ભારતમાં રહે છે. 

આવું ક્યારેય બને? એક સરખો એજન્ડા એક દાયકો ચાલતો નથી ત્યાં હજાર વરસ સુધી એક એજન્ડા સાથે કોઈ એક પ્રજા જીવી શકે અને એ પણ અજાણ્યા દેશમાં? મોહન ભાગવતને ચાર વરસમાં ચૂંટણીનો એજન્ડા બદલવાની ફરજ પડી છે એટલે ભાષા બદલવી પડી છે. બીજું આ ધરતી પરનું સૌથી વિલક્ષણ દર્શન તેમ જ એટલો જ વિલક્ષણ સામાજિક ઢાંચો ધરાવતો હિન્દુ સમાજ અને એ પણ બહુમતીમાં. તેનો આગંતુકો પર સાંસ્કૃિતક-સામાજિક પ્રભાવ ન પડે એવું બને ખરું? અંગ્રેજો કહે છે કે હા, પ્રભાવ પડ્યો હતો; પરંતુ એ ગુલામીનો અને માલિકીનો હતો. હિન્દુઓ ગુલામ અને મુસલમાનો માલિક. માલિક જે રીતે ગુલામ સાથે વર્તે એમ મુસલમાનો હિન્દુઓ સાથે વર્તતા હતા. ત્રીજું, સામાજિક નૃવંશશાસ્ત્ર એમ કહે છે કે એક માણસ બીજા માણસથી સામાજિક-સંસ્કૃિતક રીતે અલિપ્ત રહી જ ન શકે. સાંસ્કૃિતક આપ-લે માનવ સ્વભાવનું લક્ષણ છે. ટૂંકમાં વિજ્ઞાનશાસ્ત્ર, માનવશાસ્ત્ર, માનસશાસ્ત્ર અને વ્યવહારશાસ્ત્ર એમ બધી જ જ્ઞાનશાખાઓ કહે છે કે એક માણસ બીજા માણસના પ્રભાવમાં આવ્યા વિના જીવી ન શકે.

આમ છતાં અંગ્રેજ ઇતિહાસકારો આપણને કહેતા ગયા કે મુસલમાનો એક હાથમાં કુરાન અને બીજા હાથમાં તલવાર લઈને ભારતમાં આવ્યા હતા તે છેક આઠસો વરસ સુધી ૧૭૫૭માં પ્લાસીના યુદ્ધમાં મુસલમાનોનો પરાજય થયો ત્યાં સુધી એક જ એજન્ડા કાયમ રહ્યો હતો. કહેતા ભી દીવાના અને સુનતા ભી દીવાના જેવી વાત હતી, પરંતુ ભારતમાં મુસલમાન વિરોધી હિન્દુત્વવાદીઓને અંગ્રેજોએ લખેલો ઇતિહાસ બહુ ભાવે છે. આર.સી. મજુમદાર જેવા ભારતીય રાષ્ટ્રવાદીઓએ લખેલા રાષ્ટ્રવાદી ઇતિહાસ કરતાં પણ તેમને અંગ્રેજોએ લખેલો ઇતિહાસ ભાવે છે. આઝાદી મળ્યા પછી અંગ્રેજોએ લખેલો ઇતિહાસ પહેલી તકે જવો જોઈતો હતો અને ભારતીય વિદ્યા ભવન જેવી સંસ્થાએ રાષ્ટ્રવાદી ઇતિહાસ લખાવ્યો પણ હતો; પણ એક જમાતને અંગ્રેજોએ લખેલો ઇતિહાસ ટકાવી રાખવામાં અને ઘૂંટતા રહેવામાં રસ છે. આપણે ત્યાં એવા રાષ્ટ્રવાદીઓ છે જેમને રાષ્ટ્રવાદી ઇતિહાસ કરતાં અંગ્રેજોએ લખેલો સાંસ્થાનિક ઇતિહાસ (કલોનિયલ હિસ્ટરી) વધારે ગમે છે, કારણ કે તેઓ ભારતીય રાષ્ટ્રવાદી નથી, હિન્દુ રાષ્ટ્રવાદી છે. તેમને કોઈ વિલનની જરૂર છે. ફિલ્મોમાં તમે જોયું હશે કે વિલન ક્યારે ય બદલાતો નથી કે કોઈના પ્રભાવમાં આવતો નથી. તેના નસીબમાં લોકોનો ધિક્કાર જ હોય છે.

સત્ય અંગ્રેજો જે કહી ગયા છે અને હિન્દુત્વવાદીઓ જે ઘૂંટી રહ્યા છે તેનાંથી તદ્દન જુદું છે, જેની વાત આવતા લેખમાં.

સૌજન્ય : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘સન્ડે સરતાજ’ પૂર્તિ, “ગુજરાતી મિડ-ડે”, 23 સપ્ટેમ્બર 2018

Loading

23 September 2018 admin
← સળગતું જંગલ, માઓવાદ અને રાજ્ય
વિષ્ણુ ખરે, એક સાંસ્કૃિતક યોદ્ધા →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved