Opinion Magazine
Number of visits: 9446623
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

એક દેશ એક કાયદો: રાષ્ટ્રીય પ્રશ્નો રાષ્ટ્રીય હોય છે જેને ધર્મના કે બીજા કોઈ પણ અસ્મિતાના ટૂંકા આયનાથી માપવાના ન હોય. જો એવું કરો તો બસ ચુકી જવાનો વારો આવે

રમેશ ઓઝા|Opinion - Opinion|5 September 2018

આખા દેશની પ્રજા માટે એક સરખો કાયદો હોય અને એક જ ભાષામાં રાજકીય/સામાજિક  વ્યવહાર ચાલતો હોય અર્થાત્ એક રાષ્ટ્રભાષા હોય એ બન્ને કલ્પનાઓ મનભાવક છે. આ બન્ને કલ્પનાઓ દેશમાં પહેલીવાર આજકાલના રાષ્ટ્રવાદી દેશભક્તો કરી રહ્યા છે અને કૉન્ગ્રેસ તેનો વિરોધ કરતી હતી એમ જો તમે માનતા હોય તો એ તમારું અજ્ઞાન છે. આ બન્ને કલ્પનાઓ પહેલીવાર છેક ૧૯મી સદીમાં રજૂ કરવામાં આવી હતી અને ત્યારે જ તેનો વિરોધ કરવામાં આવ્યો હતો.

ભારતની દરેક કોમ માટે એક સરખા કાયદા હોય તેનો વિરોધ ઇસ્લામીસ્ટોએ,  હિન્દુત્વવાદીઓએ અને વિવિધ ધર્મોના બીજા ઠેકેદારોએ કર્યો હતો. હકીકતમાં ૧૮૫૭માં જે વિદ્રોહ થયો એની પાછળનાં કેટલાંક કારણોમાં મુખ્ય કારણ અંગ્રેજો દ્વારા ભારતની ધાર્મિક/સામાજિક બાબતોમાં કરવામાં આવતી દખલગીરી હતું. અંગ્રેજોએ સતીપ્રથા પર પ્રતિબંધ મૂક્યો, તાજી જન્મેલી બાળકીને દૂધ પીતી કરવા પર પ્રતિબંધ મૂક્યો વગેરે. સૈનિકોને આપવામાં આવતી એનફિલ્ડ રાયફલના ગુન્દામાં ગોમાંસ કે ડુક્કરનું માંસ વાપરવામાં આવે છે અને એ રીતે અંગ્રેજો હિંદુઓ અને મુસલમાનોને વટલાવી રહ્યા છે વગેરે પ્રકારની માન્યતાઓ ત્યારે દ્રઢ થઈ હતી. આ ઉપરાંત હિન્દુઓને અને મુસલમાનોને એમ લાગતું હતું કે તેમનો ધર્મ સંપૂર્ણ છે એટલે તેમાં કોઈ સુધારાઓની જરૂર જ નથી. ૧૮૫૭ના વિદ્રોહ પછી અંગ્રેજોએ બે કામ પડતાં મૂક્યાં: એક તો રિયાસતોને ખાલસા કરવાનું બંધ કર્યું અને બીજું દરેક કોમમાં સામાજિક સુધારાઓ કરવાનું બંધ કર્યું.

૧૮૫૭નો વિદ્રોહ આઝાદી માટેનો હતો અને એ પહેલું સ્વાતંત્ર્ય યુદ્ધ હતું એ રાષ્ટ્રવાદી ઇતિહાસકારોએ ઉમેરેલો દેશપ્રેમ છે. એ અંગ્રેજો કહે છે એમ એ સિપાઈઓનો સાવ બળવો પણ નહોતો અને રાષ્ટ્રવાદી ઇતિહાસકારો કહે છે એમ પહેલું સ્વાતંત્ર્ય યુદ્ધ પણ નહોતું. એ વિદ્રોહ હતો જેના મૂળમાં મુખ્યત્વે ધર્મપ્રેમ અને કાંઈક અંશે દેશપ્રેમ હતો. આપણી આજની ચર્ચાનો મુદ્દો આ નથી એટલે એ વાત જવા દઈએ.

હા, એટલું નક્કી કે જો ૧૮૫૭ની ઘટના ન બની હોત તો જે સામાજિક સુધારાઓ આજ સુધી નથી થયા એમાંના મોટાભાગના ત્યારે થઈ ગયા હોત. અંગ્રેજોએ કોઈના મત માગવા જવાનું નહોતું એટલે કોઈના અનુનયની જરૂર નહોતી. જો ૧૮૫૭નો વિદ્રોહ ન થયો હોત તો દેશભરમાં દરેક પ્રજા માટે એકસરખા કાયદા હોય એ માટેની અનુકૂળ ભૂમિ પણ બની ગઈ હોત અને ત્રીજું જો ૧૮૫૭ની ઘટના ન બની હોત તો ભારતમાતાના શરીર પર રિયાસતોના નામનાં જે ૫૫૬ ગુમડાં ટકી રહ્યા એનો અંત આવી ગયો હોત. એ સ્થિતિમાં સૌથી મોટો લાભ ગુજરાતને અને સૌરાષ્ટ્રને થયો હોત. ભારતની કુલ ૫૫૬ રિયાસતોમાંથી અડધી ગુજરાતમાં હતી અને એકલા સૌરાષ્ટ્રમાં ૨૨૨ હતી. ગુજરાતીઓના માનસ પર હજુ પણ મધ્યકાલીન મૂલ્ય વ્યવસ્થાના જે જાળાં બાઝેલાં છે એ ૧૮૫૭ના વિદ્રોહના પરિણામે ટકી ગયેલી રિયાસતોનું પરિણામ છે. રિયાસતોના કારણે આધુનિકતા ગુજરાતમાં સમયસર અને મોટા પ્રમાણમાં પ્રવેશી શકી નહોતી. અહીં આપણે એ ચર્ચા પણ પડતી મૂકીએ.

સમગ્ર ભારતની પ્રજા માટે એક ભાષા હોય એનો પણ ૧૯મી સદીમાં વિરોધ કરવામાં આવ્યો હતો. પહેલો સવાલ તો એ હતો કે કઈ ભાષા? આજે આપણે જેને હિન્દી ભાષા તરીકે ઓળખાવીએ છીએ એ ખડી બોલી ત્યારે વિકસાવવામાં આવી રહી હતી અને વિકસાવવાની એ પ્રક્રિયા સામે જ ઉત્તર ભારતમાં કેટલાક લોકો વિરોધ કરતા હતા. શા માટે ખડી બોલી ખાતર અમારે અમારી અવધી ભાષાને હોમી દેવી જેમાં તુલસીદાસે રામચરિતમાનસ લખ્યું છે? આવો સવાલ ભોજપુરી, મૈથિલી અને બીજી ભાષાવાળાઓ પણ કરતા હતા. બીજું સંસ્કૃત, અરબી અને પર્શિયનના મિશ્રણથી બનેલી હિન્દુસ્તાની ભાષા દેશભરમાં વત્તાઓછા પ્રમાણમાં ચાલતી હતી, જે હિંદુ-મુસ્લિમ અને ઉત્તર-દક્ષિણ એમ મહદ્દઅંશે સ્વીકાર્ય પણ હતી. સ્વીકાર્ય હિન્દુસ્તાનીની જગ્યાએ સંસ્કૃતપ્રચુર હિન્દી ભાષા વિકસાવવામાં આવતી હતી જેનો પ્રાદેશિક ભાષાવાળાઓ, મુસલમાનો અને દક્ષિણ ભારતીયો વિરોધ કરતા હતા. ખડી બોલી વિકસાવવા પાછળનું મુખ્ય કારણ મુસ્લિમ દ્વેષ હતું અને એટલા માટે હિન્દી ભાષાને સંસ્કૃતપ્રચુર કરવામાં આવી હતી જેના પરિણામે દક્ષિણ ભારતે તેનો અસ્વીકાર કર્યો હતો. તેમને એમ લાગ્યું હતું કે દક્ષિણની દ્રવિડ સંસ્કૃિત પર ઉત્તરની આર્ય સંસ્કૃિત લાદવામાં આવી રહી છે.

તો વાતનો સાર એટલો કે આખા દેશની તમામ પ્રજા માટે એક સરખા કાયદા હોય અને એક જ ભાષા હોય એની તજવીજ ૧૯મી સદીથી થવા લાગી હતી, પરંતુ ૧૮૫૭ના વિદ્રોહના કારણે અને મુખ્યત્વે ભારતીય પ્રજાની અંદરના આંતરિક વિખવાદના કારણે સમંતિ બની શકી નહોતી. સંભાવના એવી ખરી કે જો મિશ્રિત ભાષા હિન્દુસ્તાનીની જગ્યાએ સંસ્કૃતપ્રચુર શુદ્ધ હિન્દીનો આગ્રહ રાખવામાં ન આવ્યો હોત, તો કદાચ હિન્દુસ્તાની રાષ્ટ્રભાષા બની શકી હોત. બે બિલાડીઓની લડાઈમાં વાંદરો રોટલી ખાઈ ગયો એમ અંગ્રેજી ભાષા અત્યારે જે રાજ કરે છે એવું ન બન્યું હોત. આજે હિન્દી ભાષા સત્તાવાર ભાષા છે, રાષ્ટ્રભાષા નથી અને એ પણ અંગ્રેજીની સામે ઓરમાયું સ્થાન ધરાવે છે.

પચરંગી સમાજમાં બહુમતી પ્રજા સંખ્યાના જોરે દુરાગ્રહ રાખે તો આવું થાય. સંખ્યા દરેક બાબતે નિર્ણાયક નીવડે છે એવું નથી હોતું. વધુમાં વધુ તમે સત્તા કબજે કરો, કાયદો ઘડી કાઢો પણ તેને સ્વીકૃત કેવી રીતે કરાવો? પ્રજા જ્યાં સુધી કોઈ ચીજ સ્વીકારે નહીં ત્યાં સુધી તે સ્વીકાર્ય ન બને. આપણી કાયદાપોથીમાં ઘણા એવા કાયદા છે જે માત્ર અસ્તિત્વ ધરાવે છે, પ્રજાકીય સ્વીકૃતિ નથી ધરાવતા. સત્તાવાર રાજભાષા હિન્દી આનું ઉદાહરણ છે. એક દેશ એક ભાષાનું કાસળ નીકળી ગયું એને માટે ઉત્તર ભારતના ભદ્ર વર્ગના હિંદુ અસ્મિતાના ઠેકેદારો જવાબદાર છે. અસ્મિતાઓના દુરાગ્રહોના કારણે આપણે બસ ચૂકી ગયા.

ત્યારે આપણે ભલે બસ ચૂકી ગયા, પણ દેશહિતમાં તેને પકડવી તો જોઈએ જ. તો પછી વિકલ્પ શું છે? એક દેશ એક કાયદાની દિશામાં કાયદા પંચે ૩૧મી ઓગસ્ટે ‘કન્સલ્ટેશન પેપર ઓન રિફોર્મ ઓફ ફેમિલી લો’ નામનો એક પેપર દેશની જનતા સમક્ષ ચર્ચા માટે રજૂ કર્યો છે. આહ્વાન રાષ્ટ્રીય ચર્ચાનું છે એટલે આપણે પણ તે વિષે ચર્ચા કરવી જોઈએ જે આવતીકાલે કરીશું.

એક વાત ગાંઠે બાંધી લો: રાષ્ટ્રીય પ્રશ્નો રાષ્ટ્રીય હોય છે જેને ધર્મના કે બીજા કોઈ પણ અસ્મિતાના ટૂંકા આયનાથી માપવાના ન હોય. જો એવું કરો તો બસ ચૂકી જવાનો વારો આવે.

સૌજન્ય : ‘કારણ-તારણ’, નામક લેખકની કટાર, “ગુજરાતી મિડ-ડે”, 05 સપ્ટેમ્બર 2018

Loading

5 September 2018 admin
← હે ભગવાન! રજનીશને વડોદરાના અંબાલાલ પટેલે દત્તક લીધો, અને અંબાલાલની દીકરી શીલાએ રજનીશપુરમનો શિલાન્યાસ કર્યો … વાંચો અનોખી કહાની
કાયદા પંચની અમૂલ્ય સલાહ : યુનિફૉર્મ સિવિલ કોડનો આગ્રહ શા માટે? સિવિલાઈઝ્ડ સિવિલ કોડ શા માટે નહીં? →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved