Opinion Magazine
Number of visits: 9447980
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સોશ્યલ મીડિયા જીવતો જ્વાળામુખી છે જેમાં આવતીકાલે તમારા નિર્દોષ સંતાનો પણ હોમાઈ શકે છે

રમેશ ઓઝા|Opinion - Opinion|4 July 2018

મહારાષ્ટ્રમાં ધુલિયા જિલ્લામાં લોકોએ વહેમના આધારે એક સાથે પાંચ જણની હત્યા કરી નાખી, એ હૃદયને નીચોવી દેનારી ઘટના તો છે જ, પણ એ જ સાથે સમાજના ભવિષ્ય વિષે ગંભીરતાથી વિચાર કરવો પડે એવી ઘટના છે.

આ પાછી એકલ-દોકલ ઘટના પણ નથી, વારંવાર એવું બનતું રહે છે. એક માણસને વહેમ જાય. એ મોબાઈલ દ્વારા વહેમ શેર કરે, મદદ માંગે, જોતજોતામાં સેંકડો કે હજારો લોકો જમા થઈ જાય અને પછી તેઓ કાયદો હાથમાં લે એવું આજકાલ વારંવાર બની રહ્યું છે. છેલ્લા એક મહિનામાં છત્તીસગઢ, તેલંગાણા, આંધ્રપ્રદેશ, તમિલનાડુ, બેન્ગલુરુ, આસામ, ત્રિપુરા, પશ્ચિમ બંગાળ અને મહારાષ્ટ્રમાં આવી ઘટનાઓ બની હતી જેમાં કુલ ૧૬ જણાને શંકાના આધારે લોકોનાં ટોળાંએ મારી નાખ્યાં હતાં.

મને યાદ છે ત્યાં સુધી પહેલી મોટી ઘટના ૧૬મી ઓગસ્ટ ૨૦૧૨ના રોજ બેન્ગલુરુમાં બની હતી, જ્યારે બેન્ગલુરુમાં ભણતા કે કામ કરતા ઇશાન ભારતના હજારો વિદ્યાર્થીઓ જીવ બચાવવા રેલવે સ્ટેશને ભાગ્યા હતા. અઠવાડિયા પહેલાં આસામમાં કોકરાઝારમાં બોડો ઉગ્રવાદીઓએ બંગાળી મુસલમાનોની હત્યા કરી, એ પછી બેન્ગલુરુમાં અફવા ઊડી હતી કે કર્ણાટકના મુસલમાનો ઇશાન ભારતના લોકોની હત્યા કરીને વેર વાળવાના છે. બેન્ગલુરુમાં વસતા ઇશાન ભારતના નાગરિકોના મોબાઈલ પર એક જ મેસેજ હતો : સામૂહિક હત્યા થવાની છે, માટે સાવધાન. પરાયા શહેરમાં સાવધાનીનો એક જ અર્થ થાય છે, સલામત સ્થળે ભાગો. ઇશાન ભારતીયો માટે સલામત સ્થળ પોતાનું રાજ્ય હતું, એટલે તેઓ પોતાના વતન પાછા ફરવા હજારોની સંખ્યામાં રેલવે સ્ટેશન દોડી ગયા હતા. કર્ણાટકની સરકારે ભય દૂર કરવાના પ્રયત્નો કર્યા હતા, પરંતુ તેમનો ભય દૂર થયો નહોતો, એટલે તેમને ખાસ ટ્રેન દ્વારા ગૌહાટી પહોંચાડવા પડ્યા હતા.

કોકરાઝારની ઘટનાના પડઘા મુંબઈમાં પણ પડ્યા હતા. ૧૧મી ઓગસ્ટે કોકરાઝારની ઘટનાના વિરોધમાં કેટલાક મુસ્લિમ જૂથોએ આઝાદ મેદાન ખાતે વિરોધ પ્રદર્શનનું આયોજન કર્યું હતું. જે તે રાજકીય-સામાજિક સંગઠન કેટલો પ્રભાવ અને શક્તિ ધરાવે છે એ વિષેના પરંપરાગત અનુભવના આધારે પોલીસે અંદાઝ લગાડ્યો હતો કે મોરચામાં અમુક હજાર લોકો આવવા જોઈએ અને એ મુજબ તૈયારી કરી હતી, પરંતુ હાજરી ધાર્યા બહારની હતી. લોકો આવતા જ જતા હતા, આવતા જ જતા હતા અને હવે પોલીસ કાંઈ જ કરી શકે એમ નહોતી. કારણ હતું સોશ્યલ મીડિયા અને તેના દ્વારા ફેલાવવામાં આવેલો ડર. જો એ દિવસે પોલીસે સંયમ ન દાખવ્યો હોત, તો મુંબઈમાં અભૂતપૂર્વ અનર્થકારી ઘટના બની શકી હોત.

આ બન્ને ઘટના ૨૦૧૨ની સાલની છે, જ્યારે સોશ્યલ મીડિયાનો પ્રભાવ આજની તુલનામાં ઘણો ઓછો હતો. એક અભ્યાસ મુજબ ત્યારે સોશ્યલ મીડિયાનો ઉપયોગ કરનારા માત્ર સાડા ચાર કરોડ ભારતીયો હતા. ૨૦૧૫માં સોશ્યલ મીડિયાનો ઉપયોગ કરનારાઓની સંખ્યા ભારતમાં વધીને ૧૪ કરોડ થઈ હતી અને આજે તેની સંખ્યા બાવીસ કરોડ છે. મને તો કલ્પના કરતાં શરીરમાં લખલખું પસાર થઈ જાય છે કે જો ૧૯૪૭માં ભારતના વિભાજન વખતે કે બીજા વિશ્વયુદ્ધ વખતે સોશ્યલ મીડિયા હોત તો શું થયું હોત? કેટલા લોકોની હત્યાઓ થઈ હોત? સોશ્યલ મીડિયાના આ યુગમાં આવી ઘટના નહીં જ બને એની કોઈ ખાતરી નથી અને એ ૨૦મી સદીની કુલ શરમને ભુલાવી દે એટલા પ્રમાણમાં શરમજનક હશે.

૨૦૧૨માં કોકરાઝારના પડઘા બેન્ગલુરુ અને મુંબઈમાં પડ્યા અને ખાસ કરીને મુંબઈમાં પોલીસે અક્ષરશ: શરણાગતિ વહોરીને સ્થિતિ સંભાળી લીધી, એ પછી સવાલ ઉપસ્થિત થયો હતો કે આજના નવા યુગમાં મીડિયા અને મોબને કઈ રીતે હેન્ડલ કરવા? આપણે ત્યાં ઘણીવાર ચર્ચાઓ ગંભીરતાથી થાય છે, પછી ભલે કરમનું મીંડું હોય. એ સમયે અત્યાર સુધીમાં ક્યારે ય જોવા મળી નથી એટલી ગંભીરતાથી સોશ્યલ મીડિયાના દુષ્પ્રભાવ અને ટોળાંનાં માનસ વિષે ચર્ચા થઈ હતી. ઘણાં સૂચનો આવ્યાં હતાં, કારણ કે સમાજ માટે સરોકાર ધરાવે છે એવા લોકોને સમજાઈ ગયું હતું કે આ જીવતો જ્વાળામુખી છે જે ગમે ત્યારે ફાટી શકે છે અને લાખોની સંખ્યામાં લોકો હોમાઈ શકે છે.

૨૦૧૩માં ભારતીય રાજકારણમાં રાષ્ટ્રીય સ્તરે નરેન્દ્ર મોદીનો ઉદય થયો અને તેમણે સોશ્યલ મીડિયાનો રાજકીય ઉપયોગ કરવાનું શરૂ કર્યું, એની સાથે પેલી ચર્ચા અને ઉપાય યોજનાઓ આથમી ગઈ. સોશ્યલ મીડિયાના દુરુપયોગ રોકવાની, સાવધાન રહેવાની અને ઉપાય શોધવાની વાત તો બાજુએ રહી, દેશના વડા પ્રધાનપદના ઉમેદવારે દુરુપયોગ શરૂ કર્યો. જુઠાણાં, ચારિત્ર્ય હનન, ઇતિહાસ વિપર્યાસ વગેરે તમે જેની કલ્પના કરી શકો એ બધાનો રાજકીય ઉપયોગ કરવામાં આવ્યો અને આજે પણ થાય છે. જે દેશનો વડો પ્રધાન ટ્રોલ્સને ફોલો કરતો હોય એ દેશમાં સત્ય અને વિવેકનું શું થાય એની કલ્પના કરવી મુશ્કેલ નથી. આમ દેશમાં નરેન્દ્ર મોદીની સરકાર આવી એ પછીથી સોશ્યલ મીડિયાના નિયમનની વાત બાજુએ હડસેલાઈ ગઈ અને તેનો વધારેમાં વધારે રાજકીય દુરુપયોગ એ ભારતીય રાજકારણનું અનિવાર્ય અંગ બની ગયું. આજે બધા જ રાજકીય પક્ષો, કોર્પોરેટ કંપનીઓ, સાધુ-બાવાઓ, ઊંટ વૈદો વગેરે જે કોઈના સ્થાપિત હિતો છે એ બધા જ સોશ્યલ મીડિયાનો દુરુપયોગ કરે છે. મહાજને અપનાવેલો માર્ગ પ્રજા અપનાવે એ ઉક્તિ જાણીતી છે.

સમસ્યા ગંભીર છે અને તેનો ઉપાય શોધવો પડશે. લોકો વખાના માર્યા અજાણ્યા ગામમાં રોજી-રોટી રળવા જાય છે અને આજકાલ પ્રાણ ગુમાવે છે. મારા મિત્ર દક્ષિણ છારા કહે છે એમ ભારતમાં સાવ અજાણ્યા ગામમાં લોકો રોજી-રોટી રળવા જતા એ કોઈ નવી વાત નથી. સેંકડો વરસ જૂની આ પરંપરા છે. મદારી, ઘંટિયા, ઢોરના સાટા-પાટા કરનારાઓ, મલ્લ વગેરે ભારતભરમાં ગામડાંઓમાં ફરતા હતા અને રોજી કમાતા હતા. આજે પ્રાણી પર કરવામાં આવતા અત્યાચારો રોકવાના નામે કે બાળમજૂરીના નામે એ બધા વ્યવસાયો પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. વૈકલ્પિક રોજગારનાં ઠેકાણાં નથી, પણ પ્રતિબંધો મૂકી દેવામાં આવ્યા છે. બીજું કરંડિયા સાથે ગામમાં પ્રવેશતા મદારીને ઓળખવો મુશ્કેલ નહોતો એટલે લોકોને તેના પર શંકા જતી નહોતી. આજે એ લોકો એટલા જ ભૂખ્યા છે જેટલા પહેલાં હતા, કદાચ વધુ છે. સામે હાથમાં વ્યવસાય નથી અને વ્યવસાયવાચક ચિહ્ન પણ નથી. સામે લોકો પાસે સોશ્યલ મીડિયા નામનો ખતરનાક બોમ્બ છે.

સમસ્યા ગંભીર છે અને તેની ગંભીરતાને સમજવાની કોશિશ કરો. જીવતો જ્વાળામુખી છે જેમાં આવતીકાલે તમારા નિર્દોષ સંતાનો પણ હોમાઈ શકે છે.

સૌજન્ય : ‘કારણ તારણ’ નામક લેખકની કટાર, “ગુજરાતી મિડ-ડે”, 04 જુલાઈ 2018

Loading

4 July 2018 admin
← ઈમા કિથિલ : લલ્લુપ-કાબા, નુપી લાન, ફનેક અને મનોરમા
તું ગરમ મસાલેદાર ખાટીમીઠી વાનગી →

Search by

Opinion

  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની
  • મહિલાઓ હવે રાતપાળીમાં કામ કરી શકશે, પણ કરવા જેવું ખરું?

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved