Opinion Magazine
Number of visits: 9449368
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

પંડિત કુમારગંધર્વનું કબીરગાન

અમર ભટ્ટ|Opinion - Opinion|28 April 2018

‘સપ્તક’ શાસ્ત્રીય સંગીતસંમેલન (પહેલીથી તેરમી જાન્યુઆરી ૨૦૧૮) દરમિયાન એક સાંજે અગ્રગણ્ય શાસ્ત્રીય ગાયક પદ્મવિભૂષણ પંડિત કુમારગંધર્વ (જન્મ : ૮-૪-૧૯૨૪, અવસાન : ૧૨-૧-૧૯૯૨) ઉપર એક ફિલ્મ પ્રદર્શિત થઈ ‘હંસ અકેલા – કુમારગંધર્વ’. એકે ક્ષણ ગુમાવવાનું મન ન થાય એવી સુંદર ફિલ્મ્સ ડિવિઝનની આ દસ્તાવેજી ફિલ્મ યુ-ટ્યુબ પર પણ છે (https://www.youtube.com/watch?v=Fv4ynjy8m04)

૧૯૪૭થી લગભગ પાંચસાત વર્ષ ટીબીના જીવલેણ બીમારીને લીધે ફેફસાં પર વધુ શ્રમ ન પડે માટે ડોક્ટરોએ એમને ગાન બંધ કરવાની સલાહ આપી હતી અને સૂકી આબોહવાવાળા પ્રદેશમાં રહેવા સૂચવ્યું હતું, એટલે મધ્યપ્રદેશમાં દેવાસમાં વસવાટ કરતા હતા. ગાન બંધ થયું પણ મૌનવાસ દરમિયાન ‘કાનનો રિયાઝ’ અને નિર્ગુણ સ્વરૂપનો વિચાર સતત ચાલતો રહ્યો. કુદરતનું સંગીત, પક્ષીના અવાજ, પવનનો સુસવાટ, ફકીરોનું ગાન, ત્યાં લોકસંગીતમાં ગવાતાં કબીરનાં પદો – આ બધું જ કુમારજીએ મૌન રહીને ગ્રહ્યું. ૧૯૫૨માં ભારતમાં ટીબીની દવા પ્રાપ્ત બનતાં એમનો ઈલાજ શક્ય બન્યો. ગાન પુન: શરૂ થયું.

કબીરનાં નિર્ગુણી ભજનો એમણે સ્વરબદ્ધ કરીને પોતાના કાર્યક્રમોમાં રજૂ કરવા માંડ્યાં અને એ રીતે પરંપરાથી ઉફરા જઈને શબ્દ અને સંગીતની દિવ્યતા અને ભવ્યતાનો અનુભવ કરાવ્યો. ફિલ્મનું નામ યથાર્થ રીતે કબીરસાહેબના એક પદ ઉપરથી છે – ‘ઉડ જાયેગા હંસ અકેલા’.

આજે કુમારજીએ ગાયેલાં કબીરનાં બે પદો વિશે વાત કરવી છે. ‘ઝીની ઝીની બીની ચદરિયા’ (https://www.youtube.com/watch?v=YLNBGWpodww) અને બીજું છે ‘સુનતા હૈ ગુરુજ્ઞાની, ગગનમેં આવાજ હો રહી ઝીની ઝીની’ (https://youtu.be/ordi4e72nVY). બંનેમાં ‘ઝીની ઝીની’ શબ્દપ્રયોગ છે.

એકમાં ચાદર વણવા માટે અને બીજામાં ગગનગેબી અવાજ માટે. ગાન સાથે માત્ર તાનપુરા અને તબલાં છે, હાર્મોનિયમની સંગત નથી.

પ્રથમ પદમાં કબીર એમનો વણાટકામનો અનુભવ કવિતામાં લાવે છે.

કહે છે કે કુમારજીએ વણાટકામની સાળનો લય સાંભળીને આત્મસાત કર્યો અને એ લય આ પદમાં છે. (કવિ કલાકારોને ક્યાં ક્યાંથી લય મળે છે? ઉમાશંકર જોશીનાં ‘નિશીથકાવ્યો’માં મુંબઈની લોકલ ટ્રેનનો લય છે.) સાત માત્રાનો અનોખો તાલ છે. પણ એ સાત માત્રાનો પરંપરાગત વાગતો રૂપક તાલ નથી કે નથી એમાં ભરી ભજન ઠેકાનો દીપચંદી. ‘ચદરિયા’ શબ્દનું સ્વરાંકન ઝીણવટથી સાંભળીશું તો એમાં – ‘સા’ અને ‘કોમળ રે’ – નાનકડી તાન રૂપે લીધા છે ને એ રીતે સૂરની ચાદર વણી છે. અંતરામાં ‘ઇંગલાપિંગલા’માં સહેજ ચઢેલો ‘કોમળ ધૈવત’ – બે ધૈવત વચ્ચેનો સ્વર જરૂર ધ્યાન ખેંચે છે. હાર્મોનિયમના શુદ્ધ ધૈવત અને કોમળ ધૈવતની વચ્ચેનો કોઈ ધૈવત, હાર્મોનિયમમાં ક્યાંથી મળે? વળી કોમળ ધૈવત ચઢેલો ને એની સંગતિમાં તારસપ્તકનો કોમળ રિષભ (રે) પણ. એક ઉલ્લેખ કરવાનું મન થાય છે – કવિવર ટાગોર અને ગાન સરસ્વતી કિશોરી અમોનકર સંગત માટે હાર્મોનિયમ પસંદ નહોતાં કરતાં.

બીજું પદ છે ‘ગગન મેં અવાજ હો રહી ઝીની ઝીની’. નરસિંહનું ‘નિરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો’ જરૂર યાદ આવશે. ‘અવાજ હો રહી’ના શુદ્ધ સ્વર પછી ‘ઝીની ઝીની’ કોમળ ધૈવત પર કેવી સુંદર રીતે લીધું છે અને ‘ઝીની અવાજ’નો ભાવપ્રદર્શિત કર્યો છે ! કેરવા તાલનો એકધારો ઠેકો, ગાનમાં ‘હોજી’ના પ્રયોગથી પ્રગટ થતી લોકસંગીતની મસ્તી અને કબીરના શબ્દોમાં ને કુમારજીના ગાનમાં વ્યક્ત થતી બ્રહ્માંડનાં રહસ્યોની ખોજ બે સ્વરો વચ્ચેના અવકાશમાં રહેલા કોઈ સ્વરની શોધમાં થઈ રહેલી સાંગીતિક યાત્રા આપણને જુદા જ સ્તરે લઈ જાય છે.

‘ઝીની ઝીની’ પ્રયોગ અન્ય કેટલી કવિતાઓની યાદ અપાવે છે ! ‘રાજા તારા ડુંગરિયા પર બોલે ઝીણા મોર’ (મીરાંબાઈ), ‘જંગી ઢોલ ઘણા ગડગડે, ઝીણી વાત કાને નવ પડે’ (અખો), ‘ઝીણા ઝરમર વરસે મેહ કે ભીંજે મારે ચૂંદલડી (ન્હાનાલાલ), ‘ઝીણા ઝીણા રે આંકેથી અમને ચાળિયાં’ (અનિલ જોશી) …..

જેમ એકમાંથી બીજી કવિતામાં તેમ જ એકમાંથી બીજાં ગીતમાં સરી પડવું ગમે છે. કુમારજીની અસરમાં મેં આપણી ભાષાનાં કેટલાંક કાવ્યો સ્વરબદ્ધ કરવાનો પ્રયાસ કર્યો. ‘અમને ગુરુ મળ્યા છે ગરવા’ (મનુભાઈ ત્રિવેદી ‘સરોદ’), ‘વજન કરે તે હારે રે મનવા ભજન કરે તે જીતે’ (મકરન્દ દવે), ‘ખાટી રે આંબલીથી કાયા રે મંજાણી’ (રાજેન્દ્ર શાહ) પણ જ્યારે ગાવા જાઉં ત્યારે કુમારજીનું ગાન યાદ આવે છે અને સાથે સાથે ટાગોરની આ કવિતા પણ –

‘હે ગુણીજન તમે કેવી રીતે ગાઓ છો ? હું તો અવાક થઈને સાંભળી રહું છું તમને’. એમ થાય છે કે હું એવા સૂરે ગાઉં પણ મારા કંઠમાં સૂર શોધ્યો ય જડતો નથી … મારી ચોતરફની જાળ ગૂંથીને મને તમે કેવા ફંદામાં ફસાવ્યો છે ?’

ઓમકારનાથ ઠાકુરે કહ્યું છે કે શાસ્ત્રીય સંગીતનું મૂળ લોકસંગીતમાં છે. કુમારજીનાં આ પદોમાં શાસ્ત્રીય અને લોકસંગીતનું ઐક્ય સાંભળો, નાદબ્રહ્મ અને શબ્દબ્રહ્મનો શુભયોગ માણો. આપણે આ ‘ગંધર્વગાન’ને ‘મૌનના ટહુકા’ કહીશું ? આદિલ મન્સૂરીનો શેર છે :

   ‘સમય પણ સાંભળે છે બે ઘડી રોકાઈને ‘આદિલ’,
    જગતના મંચ પર જ્યારે કવિનું મૌન બોલે છે.

સૌજન્ય : “વિશ્વવિહાર”, ફેબ્રુઆરી 2018; પૃ. 20-21

Loading

28 April 2018 admin
← સજન મારી પ્રીતડી …
કૂણાં પાન →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved