Opinion Magazine
Number of visits: 9447238
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ઝીણાં ઝીણાં રે આંકેથી અમને ચાળિયાં : નારીસંવેદનાની પરાકાષ્ઠા

નંદિની ત્રિવેદી|Opinion - Opinion|29 March 2018

હૈયાને દરબાર

ફિલ્મ-ટેલિવિઝન-થિયેટરના એક સુપ્રસિદ્ધ વરિષ્ઠ કલાકાર સાથે ફિલ્મ-સાહિત્ય વિશે અનૌપચારિક વાતો થઇ રહી હતી, ત્યારે એમણે બહુ ગર્વપૂર્વક કહ્યું, "એક જમાનો હતો જ્યારે ગુજરાતી તખ્તા પર અદ્ભુત નાટકો આવતાં અને ફિલ્મો પણ કેવી રસપ્રદ! ઝેર તો પીધાં જાણી જાણી, કંકુ, ગુણસુંદરીનો ઘરસંસાર, જેસલ-તોરલ, લીલુડી ધરતી, માલવપતિ મુંજ, કાશીનો દીકરો, ભવની ભવાઈ …! ઓહો, કેટલી સુંદર કથાઓ, કેવો જાનદાર અભિનય અને કેવું શાનદાર સંગીત! જેમ આપણા વડીલો કહે છે ને કે અમારા જમાનામાં અમે સાચુકલું ઘી અને કઢિયેલ દૂધ પીધાં છે એમ અમે ગૌરવપૂર્વક કહી શકીએ કે અમે ગુજરાતી ફિલ્મ-થિયેટરનો સુવર્ણકાળ જોયો છે."

૮૦ના દાયકા પછી મોટાભાગની ગુજરાતી ફિલ્મોનો કરુણ રકાસ જેમણે જોયો છે, તેમને તો આ વાત સ્વપ્નવત્ લાગે, પરંતુ, ઉપરોક્ત ફિલ્મોનાં નામ વાંચીએ, ત્યારે થાય કે વાતમાં ખરેખર દમ તો છે. તમારામાંના કેટલા ય વાચકો ફિલ્મના આ સુવર્ણકાળના સાક્ષી હશે અને કેટલાયને એનાં લાજવાબ ગીતો હૈયે વસેલાં હશે, પરંતુ, શક્ય છે દોડતી-ભાગતી જિંદગીના કોલાહલમાં એ ક્યાંક વિસરાઈ ગયાં હોય. ‘હૈયાને દરબાર’ કોલમમાં આવાં જ હૈયે વસેલાં, ગમતીલાં ગીતોની વાત શરૂ કરી અને વાચકોના સરસ પ્રતિભાવો મળવા લાગ્યા છે. હેતુ એ જ છે કે આ મજાનાં ગુજરાતી ગીતો આપણે ફરીથી સ્મરણપટ પર વહેતાં કરીએ. તો ચાલો, આજે વાત કરીશું ફિલ્મ ‘કાશીનો દીકરો’ના ગીતની.

જેના શબ્દે શબ્દે સંવેદનશીલતા પ્રગટે છે, જેનો સૂર તમારા હૃદયને પરિતૃપ્ત કરે છે એવી અવિસ્મરણીય રચનાઓથી પરિચિત કરાવવાના આ ઉપક્રમમાં આજે એક ખૂબ સંવેદનશીલ ગીત વિશે વાત કરવી છે. કાંતિ મડિયા વિષે સંજય છેલે સંકલિત કરેલું પુસ્તક ‘મુઠ્ઠી ઊંચેરા કાન્તિ મડિયા’ વાંચી રહી હતી, ત્યારે મડિયાએ ડિરેક્ટ કરેલી સીમાચિહ્નરૂપ ફિલ્મ ‘કાશીનો દીકરો’નાં ગીતોનો એમાં ઉલ્લેખ હતો. પુસ્તક ખોલતાં જ અનાયાસ એ ગીતો લખેલું પાનું ઉઘડ્યું અને ગુજરાતી ફિલ્મોનો આખો ઇતિહાસ જાણે સજીવન થઇ ગયો. ક્ષેમુ દિવેટિયાનાં મધુર સ્વરાંકનો મનમાં ગૂંજવા લાગ્યાં. જેમણે આ ફિલ્મ જોઈ હશે એમને આ બધાં કર્ણપ્રિય ગીતો યાદ હશે જ. ગુજરાતી સાહિત્યની હૃદયસ્પર્શી કવિતાઓને જે રીતે ફિલ્મની કથા સાથે ગૂંથવામાં આવી છે, એ મડિયાનો ઉચ્ચ સાહિત્યપ્રેમ દર્શાવે છે. ફિલ્મનાં એવાં રે મળેલાં મનનાં મેળ, ગોરમાને પાંચે આંગળીએ પૂજ્યાં કે નાગલા ઓછા પડ્યાં રે લોલ, આંખે કંકુના સૂરજ આથમ્યા … ગીતો તો ખૂબ લોકપ્રિય થયાં હતાં, પણ એક ગીતે જરા જુદી રીતે ધ્યાન ખેંચ્યું હતું. એ ગીત હતું ઝીણાં ઝીણાં રે આંકેથી અમને ચાળિયાં …!

૧૯૭૯માં રજૂ થયેલી આ ફિલ્મમાં ગુજરાતી સંગીતની અગ્રગણ્ય ગાયિકાઓનો તાજો અને મધુર અવાજ આ ગીતમાં સાંભળવા મળ્યો, એટલે મજા પડી ગઈ હતી. આ બંને ગાયિકાઓ એટલે તાજેતરમાં જ ગુજરાત ગૌરવ પુરસ્કૃત આદરણીય કૌમુદી મુનશી અને અમદાવાદનાં સૂરીલાં વિભા દેસાઈ. આપણે ત્યાં ફિમેલ ડ્યુએટ પ્રમાણમાં ઓછાં સાંભળવા મળે છે, ત્યારે આ બંને ઉત્તમ ગાયિકાઓને કંઠે આ ગીત સાંભળવું એ લહાવો છે. આ ગીતને સમજવા માટે ખરેખર તો ‘કાશીનો દીકરો’ ફિલ્મ જોવી પડે. નહીં તો, ગીતના શબ્દો સમજવા અઘરા બની જાય. ‘કાશીનો દીકરો’ એ સ્વચ્છ-સુઘડ મનોરંજક ગુજરાતી ફિલ્મ હતી. લેખિકા વિનોદિની નીલકંઠની એક વાર્તા ‘દરિયાદિલ’ પરથી બનેલી આ ફિલ્મમાં સંગીત એનું જમાપાસું હતું.

હવે વાંચો ગીતની કથા અને નારી સંવેદનાની પરાકાષ્ઠા. આજથી ૭૦-૮૦ વરસ પહેલાંની આ વાત હશે એવું લાગે છે. કાશી (રાગિણી શાહ) નામની એક સમજુ, રૂપાળી અને બ્રાહ્મણ કુટુંબમાં પરણેલી સ્ત્રીને એની સાસુ નાના દીકરા કેશવ(રાજીવ)ની જવાબદારી સોંપીને મરણ પામે છે. કાશી પોતાના દિયર અને સગા દીકરા બન્નેને ખુશીથી મોટા કરે છે. કાશીને પોતાને ઘણાં વર્ષે દીકરો અવતર્યો હોય છે, એટલે એ માટે તો સમાજની નિંદાનો ભોગ બનેલી જ છે, વળી નાનકા દિયરને પણ સગા દીકરાની જેમ જ ઉછેરે છે, એટલે ય એને સમાજની કૂથલીનો ભોગ બનવું પડે છે. કાશી પોતાના દિયર કેશવનાં લગ્ન રમા (રીટા ભાદુરી) સાથે કરાવે છે, પરંતુ લગ્નની પહેલી રાતે મધુર મિલન પહેલાં જ દિયરને સાપ કરડવાથી તેનું મૃત્યુ થાય છે. લગ્નજીવનનાં તમામ સપનાં રમાની આંખે છિન્નભિન્ન થતાં હોય છે, ત્યારે ફિલ્મમાં કારુણ્યના શિરમોરસમું રાવજી પટેલનું અમર ગીત ‘મારી આંખે કંકુના સૂરજ આથમ્યા’ આવે છે, જે રમાની વિક્ષુબ્ધ મનોસ્થિતિનું વર્ણન કરે છે.

કાશી ત્યાર પછી પુત્રવધૂ રમાને દીકરીની જેમ રાખે છે, પણ એક સમયે એવી દુર્ઘટના બને છે જેમાં બપોરના એકાંતમાં કાશીનો પતિ અંબાલાલ (ગિરેશ દેસાઈ) સંયમ ગુમાવે છે-પુત્રવધૂ રમા પર બળાત્કાર કરી બેસે છે. રમાને પોતાના સસરાથી જ ગર્ભ રહે એ કેવી વિવશ કરુણતા! હલબલાવી મુકતી આ ઘટનાની કાશીને ખબર પડે છે, ત્યારે કુટુંબની આબરૂ બચાવવા એ રમાને લઈને જાત્રાએ ચાલી નીકળે છે. આડોશ-પડોશ, સગાં-સ્નેહીઓને કાશી એમ જ કહે છે કે પોતે ગર્ભવતી છે અને એને પોતાને જ બાળક અવતરવાનું છે, એટલે એ પિયર જઈ રહી છે. બહારગામમાં રમાની સુવાવડ પછી કાશી રમા અને તેના બાળકને ઘરે લાવે છે, અને બાળકને પોતાના દીકરા તરીકે જ ઉછેરે છે! એક સ્ત્રી સિવાય આટલું મોટું સમર્પણ કોણ કરી શકે? પીઢ અને પાકટ પતિનાં કારનામાં છુપાવીને પરિવાર અને પુત્રવધૂની આબરૂને બચાવી લેનાર કાશી પર શું વીત્યું હશે એ કલ્પનાતીત છે! આ સિચ્યુએશન પર ગીત આવે છે, ઝીણાં ઝીણાં રે આંકેથી અમને ચાળિયાં .. જે રમા અને કાશી બન્ને સ્ત્રીઓની મનોવેદના આબેહૂબ દર્શાવે છે.

ફિલ્મનાં નાયિકા રાગિણી શાહ આ સિચ્યુએશન વિશે કહે છે, "આ ફિલ્મ જ્યારે મેં સાઇન કરી ત્યારે હું બીજી ત્રણ ફિલ્મોનાં શૂટિંગમાં વ્યસ્ત હતી. એક ગામથી બીજે ગામ શૂટિંગ માટે રોજ ભાગવું પડતું. ઝીણાં ઝીણાં રે … ગીતનું શૂટિંગ ગુજરાતનાં જુદાં જુદાં તીર્થસ્થળોએ થઈ રહ્યું હતું, પરંતુ મારા બિઝી શેડ્યુલને લીધે આ ગીતમાં મહદ્ંશે મારા બોડી ડબલ(ડુપ્લિકેટ)નો ઉપયોગ કરવો પડ્યો હતો. લોંગ શોટ કે પીઠ દેખાડવાની હોય ત્યારે ક્યારેક કાંતિ મડિયાનાં પત્ની તો ક્યારેક ગિરેશ દેસાઈનાં વાઈફ ડુપ્લિકેટ તરીકે ગોઠવાઈ જતાં. એ જમાનાની વાત જ જુદી. બધાં એકબીજાને ખૂબ સપોર્ટ કરતાં. જો કે, આ હૃદયસ્પર્શી ગીતને મારી વ્યસ્તતાને લીધે હું સ્વયં ના અનુભવી શકી એ રંજ તો રહી જ ગયો.

એક સ્થાને નાટ્યકાર રાજુ પટેલે આ વિષે બહુ સરસ લખ્યું છે, "આ ગીત હકીકતમાં માત્ર રમા માટે કે માત્ર કાશી માટે નથી. કેશવની અણધારી વિદાય રમા માટે સંસારની ભગ્નતા છે, તો કાશી માટે લૂંટાઈ ચૂકેલી મમતા છે, અને આ બંને જુદા જુદા છેડાના દુ:ખને દુર્ભાગ્યે મળે છે. ગીત આ અનન્ય સ્થિતિમાં મુકાઈ ગયેલી બંને સ્ત્રીઓની વેદનાને નિરૂપે છે. દુ:ખની ચાળણી એવા સૂક્ષ્મ છિદ્રોની છે કે કાયા લોટ થઇ જાય છે. આ કઈ કાયા છે? નિશ્ચિતપણે અહીં દેહની વાત નથી. કાયાના પડઘા સમાન ઇચ્છાઓની વાત છે. કાયા લોટ થઈને ઊડી માયા તોય હજી ના છૂટી ..! મનુષ્યની માયા કદી ય છૂટતી નથી. આ પૂર્વભૂમિકા સાથે ગીત સાંભળીએ તો ગીતનું ઊંડાણ ખબર પડશે કે સૂની મેડીને જોઈ પૂછશો ના કોઈ અવસરિયાં કેમ નથી આવતાં …! આ પંક્તિ સાથે લોન્ગ શોટમાં સફેદ સાડીમાં ચાલતી બે સ્ત્રીઓનું દૃશ્ય હલબલાવી મૂકે એવું છે. નોંધપાત્ર વાત અહીં એ છે કે "કાશી પણ વિધવાની જેમ સફેદ સાડીમાં છે. રમા કાળ સંયોગથી વિધવા છે તો કાશી કર્મ સંયોગથી.”

કાગડો જાણી ના ઉડાડજો, ખાંપણ (કફન)નો ઉલ્લેખ, એકલી સળીનો માળો

વળી, માળામાં કોઈ ઈંડું ના મૂકશો, પણ મૂકશો તો હાલરડાં ગાઈશું …

પંક્તિમાં રહેલો વિરોધાભાસ પણ કેવો કઠિન છે! ખૂબ સંવેદનશીલ ગીત બન્યું છે. આ ગીત બે સ્ત્રીઓ પર ફિલ્માવાયું છે એટલે બે ગાયિકાઓ તો લેવી જ પડે. વિભાબહેનનો અવાજ કોન્ટ્રાલ્ટો પ્રકારનો, જેમાં ગાવાની પીચ નોર્મલ હોય અને કૌમુદીબહેનનો અવાજ સોપ્રનો કહેવાય જેમાં કલાકારની ગાવાની રેન્જ ઊંચી હોય. ગીતનું સ્વરાંકન એ રીતે થયું હોવાથી અવાજની તદ્દન વિપરીત રેન્જ ધરાવતી ગાયિકાઓને પસંદ કરવામાં આવી હતી અને બંનેએ અદ્ભુત એ ગીતને નિભાવ્યું.

કવિ અનિલ જોશીએ આ ગીત ફક્ત એક કલાકમાં લખીને આપ્યું હતું એ કિસ્સો પણ રસપ્રદ છે. મડિયાએ એમને મુંબઈમાં આવેલી મરીનલાઇન્સની એક હૉટેલમાં ગીતની સિચ્યુએશન સમજાવવા બોલાવ્યા હતા. કવિએ કહ્યું કે બે-ત્રણ દિવસમાં લખી આપીશ. હજુ એ વાક્ય પૂરું કરે એ પહેલા જ મડિયાએ કહ્યું, "મારે હમણાં જ ગીત જોઈએ છે. કલાઈમેક્સ શૂટ કરવાની છે ને ક્ષેમુભાઈના સાજીંદાઓ રાહ જોઈને બેઠા છે. કવિને એક રૂમમાં પૂરી દીધા અને એમણે માત્ર એક કલાકમાં નારી સંવેદનાનું આ અદ્ભુત ગીત રચી આપ્યું. આવી તો અનેક કથાઓ-સંવેદનાઓ ગુજરાતી ગીતોમાં આલેખાઈ છે. કથાતત્ત્વ કદાચ કોઈને બળકટ ના પણ લાગે, પણ ફિલ્મ જોઈએ ત્યારે એની વાસ્તવિકતા, નારીસંવેદના, માનવતા, ફિલ્માંકનની કલા વગેરે હૃદયને સ્પર્શ્યા વિના રહે જ નહીં. આ ફિલ્મને ઘણા એવૉર્ડ્ઝ મળેલા છે.

અને હા, યુ ટ્યુબ પર આ ગીત સાંભળવાનું ચૂકતાં નહીં. ગુજરાતી કાવ્યસંગીતની મોંઘી મિરાંત છે આ બધી. [નીચે આ ગીતની લિંક આપી છે. : વિ.ક.]

———————————–

ઝીણાં ઝીણાં રે આંકેથી અમને ચાળિયાં
કાયા લોટ થઇને ઊડી
માયા તો ય હજી ના છૂટી
ડંખે સૂની મેડી ને સૂના જાળિયા
સૂની ડેલીને જોઇ પૂછશો ન કોઇ
કે અવસરિયા કેમ નથી આવતા
પાંદડું તૂટે તો લોહી નીકળશે ડાળને
એટલે તોરણ નથી બાંધતા
છાપરે ચડીને મારું જીવતર બોલે
તો ઇને કાગડો જાણીને ના ઊડાડજો
કાયાની પૂણીમાંથી નીકળે જે તાર
ઇને ખાંપણ લગી રે કોઇ પૂગાડજો
એકલી સળીને કોયલ માળો માનીને
જીવતર જીવી ગઇ હવે થાય શું
ઇ રે માળામાં કોઇ ઈંડું ના મૂકજો
મૂકશો તો હાલરડાં ગાઇશું …

સ્વર : વિભા દેસાઇ – કૌમુદી મુન્શી * સંગીતકાર : ક્ષેમુ દિવેટિયા * ગીતકાર : અનિલ જોશી

https://www.youtube.com/watch?v=vz6C5kLmP0U

————————————————

સૌજન્ય : ‘લાડલી’ પૂર્તિ, “મુંબઈ સમાચાર”, 29 માર્ચ 2018

Loading

29 March 2018 admin
← Rewriting of History and Sectarian Nationalism
કૅમ્બ્રિજ ઍનૅલિટિકાના ક્રિસ્ટોફર વાઇલીની જુબાની →

Search by

Opinion

  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની
  • મહિલાઓ હવે રાતપાળીમાં કામ કરી શકશે, પણ કરવા જેવું ખરું?

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved