Opinion Magazine
Number of visits: 9563504
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

26 જાન્યુઆરી, 1950 માત્ર ઉજવણી નહીં, મંથન

ઉર્વીશ કોઠારી|Opinion - Opinion|28 January 2018

વધુ એક પ્રજાસત્તાક દિન ઉર્ફે ગણતંત્ર દિન વીત્યો, સરકારી રાહે તેની ઉજવણી થઈ, પણ મોટા ભાગના લોકો માટે આ દિવસનું મહત્ત્વ ફરજિયાત રજાથી વિશેષ નથી હોતું. સરકાર પણ એમાં રાજી રહે છે. બલકે, સરકારો ઘણીખરી ઉજવણી જ એ આશયથી કરે છે કે તેની ઝાકઝમાળમાં મહાલતા લોકો સવાલો ન પૂછે. તેની સરખામણીમાં પહેલા પ્રજાસત્તાક દિવસ 26 જાન્યુઆરી, 1950 નિમિત્તે કેવો માહોલ હતો?

દેશના ભાગલાથી નિરાશ ગાંધીજી સ્વતંત્રતા દિવસની ઉજવણી વખતે દિલ્હીથી દૂર રહ્યા હતા અને તેમને કશી ઉજવણી કરવાપણું લાગ્યું ન હતું. દેશનું બંધારણ અમલમાં આવે ત્યાર પહેલાં તે સવાયા રાષ્ટ્રવાદનો દાવો કરતી વિચારધારાની ગોળીઓથી વીંધાઈને મૃત્યુ પામ્યા હતા. પરંતુ તેમણે ગુજરાતી, હિંદી અને અંગ્રેજી ભાષામાં શરૂ કરેલાં હરિજનપત્રો ચાલુ હતાં. તેમાંથી ગુજરાતી સાપ્તાહિક “હરિજનબંધુ”ના તંત્રી કિશોરલાલ મશરૂવાળાએ 22 જાન્યુઆરી, 1950ના અંકમાં ‘આપણો નવો દરજ્જો’ એવા મથાળા સાથે એક પાનાનો લેખ લખ્યો હતો.

તકલાદી/તકવાદી નહીં, મૌલિક ચિંતક તરીકે જાણીતા કિશોરલાલે કોઈ પણ જાતની શબ્દચાલાકી કર્યા વિના લખ્યું હતું કે ‘વ્યવહારદૃષ્ટિએ આ જાહેરાતથી ભારત સરકારને 1947ના ઑગસ્ટની 15મીએ કાયદામાં ન મળેલા એવા કોઈ નવા હકની પ્રાપ્તિ થતી નથી. પરદેશો સાથેના વહેવારમાં ભારત સરકારના સ્વરૂપમાં અને નામમાં ફેરફાર થશે એ સિવાય આજની ભારત સરકાર અને 26મી જાનેવારી પછીની ભારત સરકાર વચ્ચે કશો તાત્કાલિક તફાવત જોવા નહીં મળે. પુખ્ત વયના મતાધિકાર તળે આવતે વરસે જ્યારે નવી ચૂંટણીઓ થશે ત્યારે લોકોને નવા બંધારણની અસરો વહેવારમાં જોવા મળશે.’

પરંતુ તેમણે પ્રજાસત્તાકનો મહિમા દર્શાવતો એક મહત્ત્વનો અને ઐતિહાસિક મુદ્દો એ લેખમાં ઊભો કર્યો. તેમણે લખ્યું, ‘જાનેવારીની 26મી તારીખથી નિઃશંકપણે એક નવા યુગનું મંગલાચરણ થાય છે … રાજા વિનાના રાજ્યની કલ્પના કરવી એ જ આપણા લાખો બલકે કરોડો લોકો માટે તદ્દન નવો અનુભવ છે. તેમના મનમાં એવો સંસ્કાર ઘર કરી ગયો છે કે રાજા વિનાનું રાજ્ય હોઈ ન શકે.

ઇતિહાસકારો ભલે કહે કે ભારતના ઇતિહાસમાં એક વખત પ્રજાસત્તાક રાજ્યો હતાં પરંતુ લોકોમાં આવી પ્રજાસત્તાક રાજ્યતંત્રની હસ્તીની દંતકથા સરખી રહી નથી. હિંદમાં આજેયે એવા લાખો લોકો છે, જેમને ગવર્નર જનરલ કે ગવર્નર અને તેમના પ્રધાનો વચ્ચે કેવો સંબંધ છે અને તેમના હોદ્દાઓમાં શો ફેર છે તેનો જરાયે ખ્યાલ નહીં હોય. અને એવા ભોળા પ્રધાનો પણ છે, જેઓ તેમનાં દર્શન કરવા જમા થયેલી લોકોની મેદનીને પોતાની લોકપ્રિયતાની નિશાની માની લે છે …. ગામડાંમાં પણ એવા માણસોની સંખ્યા ઓછી નથી કે જેઓ બે વર્ષ પર ગાંધીજીની દોરવણી નીચે કૉંગ્રેસે બ્રિટિશ રાજ્યને હરાવ્યું અને પંડિત જવાહરલાલ નેહરુને હિંદની ગાદી પર રાજા તરીકે બેસાડ્યા એવી ભોળી માન્યતા ધરાવે છે. તેથી પંડિત નહેરુ જ્યારે જાહેરમાં દેખાય છે, ત્યારે લોકો હજારોની સંખ્યામાં ભેગા થાય છે અને રાજાનું દર્શન શુકનભર્યું મનાતું હોવાથી તેમનાં દર્શનથી પોતાને કૃતાર્થ થયેલા માને છે.’

આવા સામાન્ય લોકો પ્રત્યે ચૂંટાયેલા પ્રતિનિધિઓની શી ફરજ છે? કિશોરલાલે લખ્યું હતું, ‘આપણે ભાષાવાર કે બહુભાષી પ્રાંતોની ચળવળ કરીએ, ઉદ્યોગીકરણનો કે હાથઉદ્યોગનો પક્ષ લઈએ … ઘી કે વનસ્પતિના ગુણદોષ જોઈએ, જૂના હિંદુ કાયદાની હિમાયત કરીએ કે તેને સુધારવાની, દારૂબંધીની નીતિ રાખીએ કે દારૂ છૂટની, વંદેમાતરમ્ ગાવા માગીએ કે જનગણમન … દરેક ચર્ચામાં આપણે એ કસોટી રાખીએ કે આ મૂંગી અને નિરાધાર જનતાનાં જીવન અને સગવડો તથા તેમનાં ચારિત્ર્ય અને પ્રગતિ પર તે દરેકની શી અસર પડશે.’

ગાંધીજીની ગૂજરાત વિદ્યાપીઠના વિદ્યાર્થીમાંથી તેજસ્વી સર્જક તરીકે પ્રતિષ્ઠિત ઉમાશંકર જોશીએ તેેમના માસિક ‘સંસ્કૃિત’ના ફેબ્રુઆરી, 1950ના અંકમાં समानो मन्त्रः। એ શીર્ષક હેઠળ, આનંદ કરતાં વધારે જવાબદારી અને ભયસ્થાનો ચીધ્યાં. ભારત હજુ કૉમનવેલ્થનું સભ્ય હોવાથી તે ઇંગ્લેન્ડના રાજાનો વડા તરીકે સ્વીકાર કરે છે, પ્રજાએ બંધારણસભાના પ્રતિનિધિઓ ચૂંટવા બાકી છે, એવા મુદ્દા ઊભા કરીને તેમણે લખ્યું, ‘જે રીતે સત્તાની સંક્રાન્તિ થઈ છે અને જે રીતે એ સત્તાનો ઉપયોગ થાય છે એ જોતાં માત્ર ઘોષણા કરવાથી પ્રજાને હસ્તક જેની સત્તા હોય એવું રાજ્ય અસ્તિત્વમાં આવી ગયું એમ માનવું પણ મુશ્કેલ બને છે.

પસાર થયેલા બંધારણમાં … નાગરિકની સલામતી માટેના હેબિયસ કોર્પસની યોજના સંતોષકારક રીતે થઈ નથી. કામ મેળવવાનો હક્ક અને કેળવાવાનો હક્ક તેની ઉપર પણ જોઈતું ધ્યાન અપાયું નથી.’ ગાંધીજીને રાજકીય આઝાદી કરતાં સામાજિક આઝાદીની ખેવના અનેક ગણી વધારે હતી. એવી લાગણીનો પડઘો પાડતાં ઉમાશંકર જોશીએ લખ્યું હતું, ‘રાજકીય સ્વાતંત્ર્ય એ આજના યુગની ફૅશન લાગે છે. આર્થિક અને સામાજિક મુક્તિનો જ કાંઈ અર્થ છે.

એને માટેની મોટી વ્યવસ્થા કે ઝુંબેશ હિંદમાં દેખાતાં નથી. મૂડીને પંપાળવામાંથી નેતાગારી ઊંચી આવતી નથી. પીછેહટવાદીઓને છૂટો દોર અપાઈ રહ્યો છે. હિંદુ કોડબિલ જેવી બાબતમાં ડૉ. રાજેન્દ્રપ્રસાદ અને પં. નહેરુ જેવા પણ ઢીલું વલણ લઈ શકે છે. આર્થિક અને સામાજિક અન્યાયોને ભરખી જતી પ્રજાચેતનાની જ્વાલાઓ ક્યાં ય નજરે ચઢતી નથી. કાગળ પરના બંધારણથી શો સંતોષ લેવો?’ એમ કહીને તેમણે બીજા દેશોમાં રચાયેલાં ને નિષ્ફળ ગયેલાં બંધારણોનું ઉદાહરણ આપ્યું છે.

પ્રજાસત્તાકનો મહિમા તેમણે લખ્યું, ‘હિંદની યાત્રામાં 26મી એક મહત્ત્વનો મજલથંભ છે. રાજા સાથેનો સંબંધ ઘણો ઘસાયો છે. દેશમાં પ્રથમ વાર એકતા અને સાર્વભૌમતા સ્થપાય છે … આખા દેશમાં એક વિશાળ ગણરાજ્યની સ્થાપના પ્રથમ વાર હવે જ થાય છે’ અને તેને સફળ કેવી રીતે બનાવવું તેની ચાવી સૂચવતાં લખ્યું, ‘સૉક્રેટીસે કહ્યું છે કે પૈસો અને કીર્તિ જેને આકર્ષી ન શકે તેને સજાનો ડર બતાવીને રાજકાજમાં આકર્ષવા જોઈએ. સૌથી મોટી સજા ખરાબ માણસો આપણી ઉપર રાજ કરે એ છે. એમાંથી છૂટવું હોય તો સારા માણસોએ રાજકાજનો બોજ ઉઠાવવા આગળ આવવું જોઈએ. मा नो दुःशंस ईशत।— દુષ્ટ તત્ત્વોનું આપણી ઉપર શાસન ન હો! વીરપૂજા અને ઉચ્ચનીચના ભાવ છોડીને અને સમૂહવૃત્તિ કેળવીને પોતાને મળેલા મતને દરેક પ્રજાજન સાર્થક બનાવી રહો!’

ઉમાશંકરની આવી કડક અભિવ્યક્તિ છતાં કોઈએ તેમને દેશદ્રોહી ગણાવ્યા નહીં એ યાદ રાખવા જેવું છે અને કિશોરલાલ-ઉમાશંકરની ઘણીખરી ટીકા, અપેક્ષા અને લાગણીઓ 2018માં પણ બંધ બેસે છે, તે ભૂલવા જેવું નથી.

સૌજન્ય : ‘નવાજૂની’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘રસરંગ’ પૂર્તિ, “સન્ડે ભાસ્કર”, 28 જાન્યુઆરી 2018

Loading

28 January 2018 admin
← ચાલો રમીએ ગાંધી ગાંધી
.. અને જ્યાં કોઈ ના પહોંચી શક્યું, ત્યાં એક ગુજરાતી પહોંચ્યો →

Search by

Opinion

  • કિસ : એક સ્પર્શ જેમાં મિલનની મીઠાશ અને વિદાયની વ્યથા છુપાયેલી છે
  • આને કહેવાય ગોદી મીડિયા!
  • ‘ધુરંધર’માં ધૂંધળું શું?: જ્યારે સિનેમા માત્ર ઇતિહાસ નહીં પણ ભૂગોળ બદલે ત્યારે …
  • લક્ષ્મીથી લેક્મે સુધી : ભારતીય સૌન્દર્ય જગતમાં સિમોન ટાટાની અનોખી કહાની
  • મનરેગા : ગોડસે ગેંગને હેરાન કરતો પોતડીધારી ડોસો

Diaspora

  • દીપક બારડોલીકરની પુણ્યતિથિએ એમની આત્મકથા(ઉત્તરાર્ધ)ની ચંદ્રકાન્ત બક્ષીએ લખેલી પ્રસ્તાવના.
  • ગાંધીને જાણવા, સમજવાની વાટ
  • કેવળ દવાથી રોગ અમારો નહીં મટે …
  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ

Gandhiana

  • સરદાર પટેલ–જવાહરલાલ નેહરુ પત્રવ્યવહાર
  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 

Poetry

  • કક્કો ઘૂંટ્યો …
  • રાખો..
  • ગઝલ
  • ગઝલ 
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved