Opinion Magazine
Number of visits: 9447404
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ઇતિહાસ નોટબંધીની ઘટનાને દિલ્હીથી દૌલતાબાદની ઘટના સાથે એક પંક્તિમાં મૂકશે, લખી રાખજો

રમેશ ઓઝા|Opinion - Opinion|9 November 2017

મને એમ લાગે છે કે નોટબંધીનો નિર્ણય વડા પ્રધાનનો પોતાનો હતો અને એકલાનો હતો.

કોઈ સમજદાર અર્થશાસ્ત્રી આવી સલાહ આપે નહીં. વિશ્વપ્રસિદ્ધ અર્થશાસ્ત્રી જગદીશ ભગવતી અને નીતિ આયોગના ત્યારના અધ્યક્ષ અરવિંદ પનગઢિયાએ નોટબંધીનું સ્વાગત કર્યું હતું, પરંતુ એ સ્વાગતમાં વૈચારિક દૃઢતા કરતાં મજબૂરી વધારે હતી. જગદીશ ભગવતીએ તો માત્ર એક નિવેદન બહાર પાડ્યું હતું અને અરવિંદ પનગઢિયાએ ‘ટાઇમ્સ ઑફ ઇન્ડિયા’માં બચાવ ખાતર બચાવ કરનારો લેખ લખ્યો હતો.

આ સિવાય મને યાદ નથી કે કોઈ લબ્ધપ્રતિષ્ઠ અર્થશાસ્ત્રીએ નોટબંધીના નિર્ણયનું સ્વાગત કર્યું હોય. વળી સ્વાગત કરતું ભગવતીનું નિવેદન અને પનગઢિયાનો લેખ નિર્ણય લેવાયો એના મહિના પછી આવ્યાં હતાં જે બતાવે છે કે ફસાઈ ગયેલી સરકારે આ બે જમણેરી અર્થશાસ્ત્રીઓને કહ્યું હશે કે તેઓ બહાર આવીને બોલીને મદદ કરે. જો એમ ન હોત તો જગદીશ ભગવતીએ પોતે જ નોટબંધીનો નિર્ણય લેવાયો એ પહેલાં નોટબંધીની સલાહ આપી હોત. જગદીશ ભગવતીને નરેન્દ્ર મોદી આર્થિક બાબતોમાં ગુરુ માને છે. ગુરુએ ચેલાને એ પહેલાં કયારે ય આવી મૂલ્યવાન સલાહ આપી નથી, બલ્કે ભગવતીએ કોઈ દેશના કોઈ અર્થકારણ માટે નોટબંધીને અકસીર ઇલાજ તરીકે સૂચવ્યો નથી. ચેલાએ કોઈને પૂછ્યા વિના પોતાની જાતે જ દવાઓ ખાઈ લીધી અને એ પણ શરીર પચાવી શકે એના કરતાં વધુ પ્રમાણમાં એટલે ગુરુએ કહેવું પડ્યું હતું કે એ તો શિલાજિત છે એટલે કોઈ નુકસાન થવાનું નથી.

આવી શિલાજિતની ગોળીઓનો ફાકડો શા માટે ભર્યો? જ્યારે ખાવાની જાહેરાત થઈ ત્યારે આખો દેશ હેબતાઈ ગયો હતો, પણ દરેકે એમ માની લીધું હતું કે વડો પ્રધાન જેવો માણસ બૂકડો ભરી જાય તો વિચાર તો કર્યો જ હશે. જાણકાર માણસોની સલાહ લીધી હશે, સમજી-વિચારીને દવાનું પ્રમાણ નક્કી કર્યું હશે, એની આડઅસર થાય તો શું કરવું એની તૈયારી કરી હશે, આડઅસરની મારક દવાઓ પથારીની પાસે રાખવામાં આવી હશે, વૈદો ખડેપગે ઊભા હશે. આખરે વડા પ્રધાન છે અને વડો પ્રધાન એમ ને એમ થોડો બૂકડો ભરે! આવું વિચારીને આ લખનાર સહિત કેટલાક લોકોએ નોટબંધીનું સ્વાગત કર્યું હતું અને અરુણ શૌરી જેવાઓ ચૂપ રહ્યા હતા. ગયા વર્ષે શરૂઆતમાં ચૂપ રહ્યા એ લોકો પણ એમ જ વિચારતા હતા કે સામાન્ય સમજ મુજબ તો આવડો મોટો બૂકડો ભરવો તો ન જોઈએ, પણ ભર્યો છે તો કોઈક તૈયારી કરી હોવી જોઈએ એટલે જોઈએ શું થાય છે?

ઘણા લોકો કહે છે કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના આઇડિયોલોગ એસ. ગુરુમૂર્તિએ વડા પ્રધાનને આવી સલાહ આપી હતી. ગુરુમૂર્તિ સંઘના સ્વદેશી જાગરણ મંચના સર્વેસર્વા છે. મને એવું લાગતું નથી. પહેલી વાત તો એ કે ગુરુમૂર્તિ અર્થશાસ્ત્રી નથી, ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ છે અને સ્વદેશીઓને કોઈ ગંભીરતાથી લેતું નથી. રોજ ત્રિકાળસંધ્યા કરવી જોઈએ એવા કોઈ જુનવાણી વિચારો ધરાવતા બ્રાહ્મણની સલાહને જેટલી ગંભીરતાથી લેવામાં આવે છે એટલી જ, કદાચ એનાથી પણ ઓછી ગંભીરતાથી સ્વદેશીઓની સલાહને લેવામાં આવે છે. બાબા રામદેવે તો સો રૂપિયાની નોટને સુધ્ધાં રદ કરવાની સલાહ આપી હતી. ભલું થયું કે વડા પ્રધાન એક બૂકડે માત્ર ૮૬ ટકા દવા ખાઈને અટકી ગયા, નહીંતર આ દેશનું શું થાત?

બીજું, નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્ય પ્રધાન હતા ત્યારે તેઓ રામદેવબાબાને કે ગુરુમૂર્તિને સાંભળતા નહોતા. ત્યારે તેઓ જગદીશ ભગવતીને સાંભળતા હતા અથવા અમર્ત્ય સેન સામે ભગવતીનો બચાવ કરીને તેઓ જમણેરી વિકાસવાદી રાજપુરુષ છે એવો દેખાવ કરતા હતા. ડૉ. જગદીશ ભગવતીના પ્રિસ્ક્રિપ્શનને વિકાસનો એક માત્ર અને અંતિમ ઉપાય માનનારાઓ ૨૦૧૪ પહેલાં નરેન્દ્ર મોદીના ફૅન બની ગયા હતા. તેમને એમ લાગતું હતું કે દેશને એવા શાસકની જરૂર છે જે ભગવતીના ઇલાજને વિચલિત થયા વિના, કોઈના દબાણમાં આવ્યા વિના, નિ:શંકપણે લાગુ કરે અને નરેન્દ્ર મોદી આવી શક્તિ ધરાવે છે. દેખાવ પણ એવો જ હતો. ૨૦૧૪માં વિકાસવાદીઓએ જે ભરોસો મૂક્યો હતો એ ભગવતીના અર્થશાસ્ત્રીય મૉડલ પરનો હતો અને નરેન્દ્ર મોદીને એના વાહક માનવામાં આવ્યા હતા. ડૉ. મનમોહન સિંહ ભગવતી અને સેન એમ બન્નેને સાંભળતા હતા અને એને કારણે નિર્ણય નહોતા લઈ શકતા. દેશને એકલા ભગવતીને સાંભળનારા વડા પ્રધાનની જરૂર છે અને નરેન્દ્ર મોદીના સ્વરૂપમાં દેશને એ મળી ગયા છે.

તેમને બિચારાને ત્યારે જાણ નહોતી કે નરેન્દ્ર મોદી ઇતિહાસ રચવા માટે અને ઇતિહાસમાં અમર થવા માટે કંઈ પણ કરી શકે છે. નરેન્દ્ર મોદી વડા પ્રધાન બન્યા એ પછી એક વરસે અરુણ શૌરીએ કહ્યું હતું કે આપણા વડા પ્રધાન હેડલાઇનને ધ્યાનમાં રાખીને કામ કરે છે. આજે હું એવું શું કરું કે કાલે દેશનાં છાપાંઓમાં પહેલે પાને અને રાતે ટીવી-ચૅનલોમાં પ્રાઇમ ટાઇમમાં છવાયેલો રહું. તેમના કામકાજનું કારક એટલે કે પ્રેરણાબળ તેઓ પોતે, સ્વયં, તેમનો હું હોય છે; કામની પ્રાથમિકતા અને મેરિટ નથી હોતાં. નોટબંધીની પૂર્વસંધ્યાએ ગુજરાતની મુલાકાતે આવેલા ભૂતપૂર્વ વડા પ્રધાન ડૉ. મનમોહન સિંહે કહ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સતત પ્રશંસાની શોધમાં ભટકતા વડા પ્રધાન છે. તમે સારાં કામ કરશો તો જગત આપોઆપ પ્રશંસા કરશે; પરંતુ નરેન્દ્ર મોદી વાહ-વાહ મેળવવા માટે ગજા બહારની વાતો કરે છે, બે જગ્યાએ બે અવસરે સાવ વિરોધાભાસી વાતો કરે છે, અવ્યવહારુ યોજનાઓ જાહેર કરે છે, પાકું હોમવર્ક કર્યા વિના કાર્યક્રમો જાહેર કરે છે અને પછી ફસાય છે. દેશભરમાં વડા પ્રધાનની ઠેકડી ઉડાડવામાં આવી રહી છે એનું કારણ આ છે.

ઓછું બોલનારાઓ જ્યારે બોલે છે ત્યારે જગત સાંભળે છે અને ભરડનારાઓ ભરડે છે ત્યારે જગત હસે છે. આજે દેશમાં આવું થઈ રહ્યું છે. ટૂંકમાં, એ બાબતે કોઈ શંકા નથી કે નોટબંધીની દવાનો બૂકડો ભરી જવાનો નિર્ણય વડા પ્રધાનનો પોતાનો હતો અને એકલાનો હતો. આની પાછળનું કારણ કીર્તિ મેળવવાનું અને ઇતિહાસમાં અમર થઈ જવાનું હતું, જવાહરલાલ નેહરુ અને ઇન્દિરા ગાંધીથી આગળ નીકળી જવાનું હતું.

આવી જ ગણતરીએ રાતના બાર વાગ્યે સંસદનું ખાસ અધિવેશન બોલાવીને અટપટા ગુડ્સ ઍન્ડ સર્વિસિસ ટૅક્સ (GST)ને લાગુ કરવામાં આવ્યો હતો. મામૂલી ટૅક્સ-રિફૉર્મની ઘટનાને આઝાદીની ઘટના સાથે સરખાવવામાં આવી હતી. જવાહરલાલ નેહરુ રાતે બારના ટકોરે સંસદને સંબોધીને અમર થઈ જાય અને હું કેમ પાછળ રહી જાઉં. બસ, આ માત્ર એક કારણે અત્યારના અટપટા સ્વરૂપમાં GST લાગુ કરવામાં આવ્યો છે અને હવે ગળાનું હાડકું બની ગયો છે. જેની સરખામણી આઝાદીની ઘટના સાથે કરવામાં આવી હોય એ GSTમાં પીછેહઠ કરનારા મોટા સુધારા કઈ રીતે કરવા? નોટબુકમાં છેકછાક કરાય, ભગવદ્ગીતામાં થોડી કરાય? તો વાતનો સાર એ છે કે વડા પ્રધાન અમર બનવાના અભરખામાં હાસ્યાસ્પદ બની રહ્યા છે.

ઇતિહાસ દિલ્હીથી દોલતાબાદની ઘટનાને અને નોટબંધીને એક પંક્તિમાં મૂકશે.

સૌજન્ય : ‘કારણ-તારણ’ નામે લેખકની કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 09 નવેમ્બર 2017

Loading

9 November 2017 admin
← પૂર્વ સંધ્યા
Dave Brown →

Search by

Opinion

  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની
  • મહિલાઓ હવે રાતપાળીમાં કામ કરી શકશે, પણ કરવા જેવું ખરું?

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved