Opinion Magazine
Number of visits: 9449871
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ડિમેન્શિયા અથવા સ્મૃિતભ્રંશ

આશા બૂચ|Opinion - Opinion|15 October 2017

તાજેતરમાં ડિમેન્શિયા વિષે એક ઓનલાઇન કોર્સ મેં કર્યો. એ કોર્સ અને એ દર્દ વિષે મળેલ માહિતી ‘ઓપિનિયન’ના વાચકોને ઉપયોગી થશે અને તેમને રસપ્રદ લાગશે, તેમ માની પ્રસ્તુત કરું છું.

ડિમેન્શિયા વિષે 2013ની સાલમાં ટાસ્મેિનયા યુનિવર્સિટી દ્વારા એક ઓનલાઇન કોર્સ શરૂ કરવામાં આવેલ. નવ અઠવાડિયા દરમ્યાન ત્રણ યુનિટમાં વિભાજીત આ કોર્સ કરનાર ડિમેન્શિયા એટલે શું તેનો પરિચય મેળવે, મગજની રચના અને તેનાં અટપટાં કાર્યો વિષે વૈજ્ઞાનિક માહિતી મેળવે, ડિમેન્શિયા રોગ વિષે વધુ જાણકારી મેળવે અને છેવટ એ રોગનો ભોગ બનેલ વ્યક્તિના કેસીસ વિષે ચર્ચા કરે, તેવો એ અભ્યાસક્રમ છે.

ટાસ્મેિનયા યુનિવર્સિટીના સ્વાસ્થ્ય વિભાગના રિસર્ચ ડિપાર્ટમેન્ટ, ડોક્ટરો અને દર્દીઓની સંભાળ રાખનારાઓ દ્વારા આ કોર્સ તૈયાર કરવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં 170 દેશોમાંથી લગભગ એક લાખ લોકોએ તેનો લાભ લીધો છે. આ કોર્સનો હેતુ એ છે કે મેડિકલ વ્યવસાયમાં પડેલા, કેર હોમ કે નર્સીંગ હોમમાં કામ કરનારા, કેરર તરીકે કામ કરનારા, સરકારની હેલ્થ વિષયક નીતિ ઘડનારા, સોશ્યલ સાયન્ટીસ્ટ અને સામાન્ય રસ ધરાવનારાઓમાં આ રોગ વિશેની સમજ વધારવી અને તેમ કરીને એ રોગનો ભોગ બનેલ વ્યક્તિઓના જીવનની ગુણવત્તા  જળવાઈ રહે તેમાં મદદરૂપ થવાની છે.

આ કોર્સ કરતાં પહેલાં મારી એ રોગ વિષે કેટલીક ધારણાઓ હતી, એ સ્પષ્ટ કરવા માંગુ છું. હું એમ માનતી કે ડિમેન્શિયા એ માત્ર ન્યુરોલોજિકલ પ્રશ્ન છે. મોટી ઉંમરે જ એ તકલીફ થઇ શકે અને આગળ જતા તે આલ્ઝાઈમરનું રૂપ પકડે. વળી એક એવી સામાન્ય માન્યતા પણ સાંભળેલી કે પશ્ચિમના દેશોમાં આ રોગનું પ્રમાણ વધુ છે કેમ કે ત્યાંની સમાજ વ્યવસ્થા વ્યક્તિ આધારિત છે, જ્યાં વડીલોની સંભાળ રાખવામાં નથી આવતી. આ અભ્યાસ પૂરો કરતાં સુધીમાં માલુમ પડ્યું કે હા, ડિમેન્શિયા એ ન્યુરોલોજિકલ પ્રશ્ન જરૂર છે, પરંતુ તેના ચોક્કસ કારણો હજુ સુધી પકડાયાં નથી. વળી આલ્‌ઝાઇમર એ ડિમેન્શિયા થવા માટે કારણભૂત હોઈ શકે, નહીં કે તેનું અંતિમ પરિણામ. વળી એમ પણ જાણવા મળ્યું કે આ હવે એક ખરા અર્થમાં વૈશ્વીક પ્રશ્ન છે, પશ્ચિમની માફક પૂર્વના દેશોમાં પણ તેનો ફેલાવો વધતો જાય છે. માત્ર તે વિશેની જાગૃતિ અને જાણકારી ઓછી જોવા મળે છે.

કોઈ પૂછે કે ડિમેન્શિયા એટલે શું? તેની વ્યાખ્યા આપવી મુશ્કેલ છે કેમ કે એ કોઈ એક જ પરિસ્થિતિ નથી, એ એક કરતાં વધુ લક્ષણો અને ચિન્હોનો સમૂહ છે. તો એ શું સ્મૃિતભ્રંશ માત્ર છે? ડિમેન્શિયાની એક વ્યાખ્યા કઇંક આવી છે: “ડિમેન્શિયા એ એક એવી જીવલેણ બીમારી છે જે એક કરતાં વધુ રોગોને કારણે થતી હોય છે. તેમાં પ્રથમ માનસિક અને છેવટ શારીરિક શક્તિઓ ક્ષીણ થતી જાય છે અને છેવટ વ્યક્તિ એ શક્તિઓ તદ્દન ગુમાવી બેસે છે, જે મગજના સેલ્સના સતત અને રોકી ન શકાય તેવા નાશને પરિણામે બનતું હોય છે.”

આથી જ આપણા મગજની રચના કેવી હોય છે, તંદુરસ્ત મગજ કેવી રીતે કામ કરે છે અને શી રીતે વ્યક્તિની કાર્યશક્તિને ગોઠવે છે, તેમાં વિક્ષેપ થતાં માનવીને વર્તન અને સ્વાસ્થ્ય પર કેવી અસર થાય છે તે સમજવું જરૂરી છે. ડિમેન્શિયા થવા પાછળ આલ્ઝાઈમર, હંટીન્ગટન ડીઝીઝ, પાર્કિન્સન્સ ડીઝીઝ અને વાસ્ક્યુલર ડીઝીઝ જેવા રોગો કારણભૂત હોઈ શકે. 65 વર્ષથી ઉપરના લોકોને આ મુશ્કેલી થવાની શક્યતા વધુ.

મગજની બિમારી વિષે સમજવા પહેલાં મગજની રચના અને સામાન્ય સ્વસ્થ મગજ શી રીતે કામ કરે તે પણ સ્પષ્ટ રીતે સમજાવું જરૂરી છે. તો જ ડિમેન્શિયા કયા કયા રોગને કારણે થાય તે સમજવાનું સરળ પડે. એક એવી સામાન્ય માન્યતા છે કે દરેક વૃદ્ધ વ્યક્તિ ડિમેન્શિયાનો ભોગ બને છે. પરંતુ એ હકીકત ખરી નથી. જે દેશોમાં આયુષ્ય મર્યાદાનો આંક ઊંચો છે ત્યાં આ રોગના ભોગ બનેલાની સંખ્યા જરૂર વધુ જોવા મળે છે. ઉંમર વધવાની સાથે સામાન્ય રીતે મગજમાં શા ફેરફાર થાય તે વિષે સમજીએ તો એ માન્યતા શાના ઉપર બંધાઈ તેનો ખ્યાલ આવે.  આમ જુઓ તો નાની ઉંમરની વ્યક્તિને પણ વાસ્ક્યુલર ડિમેન્શિયા થઇ શકે જે જિનેટિક વારસાને કારણે થાય કે સામાન્ય રીતે લકવો પડે કે હૃદય રોગનો હુમલો આવે પછી સર્જાતી પરિસ્થિતિ હોય છે. ડિમેન્શિયાના દરેક તબ્બકે દર્દીનું વર્તન અને જરૂરિયાત કેવા હોય તે જાણવાથી તેને આપવાની સારવાર અને સહાય વિષે સમજ કેળવી શકાય અને તે દર્દીના કુટુંબીઓ માટે ખૂબ જરૂરી છે.

ડિમેન્શિયા વિષે જરા વધુ વિગતે જોઈએ. ડિમેન્શિયા એ સ્મૃિતભ્રંશથી વધુ ગંભીર અને ગૂંચવાડાભરી સ્થિતિ  છે. મગજની લાખો સેલ્સની બનેલ નર્વ્સ સિસ્ટમ આપણા દરેક કાર્ય માટે જવાબદાર હોય છે, જેમ કે વિચારવું, આયોજન કરવું, આસપાસના જગતને સમજવું અને અનુભવો કરવા. પોતાના અનોખા વ્યક્તિત્વ અને વર્તનભાતને ઘડવાનું કામ એ કરે એટલે જ્યારે નર્વ્સ સિસ્ટમ પડી ભાંગે, ત્યારે વ્યક્તિ વ્યક્તિ ન રહે. એટલે કે આ નર્વસ સિસ્ટમ જ આપણી સાચી સાહેબ છે. આ નર્વસ સિસ્ટમ આપણી પાંચેય ઇન્દ્રિયોને કાર્યરત રાખે છે જેને પરિણામે આપણે આસપાસના વાતાવરણ અને ઘટનાઓ પ્રત્યે પ્રતિક્રિયા કરી શકીએ છીએ, આપણા શરીરમાં ચાલતી પ્રક્રિયાઓ એ પર કાબૂ રાખે છે અને ઉચ્ચ કક્ષાનાં કાર્યો જેવા કે વિચારવું, આયોજન કરવું અને તેને આધારે નિર્ણય લેવા માટે શક્તિમાન બનાવે છે. આ ન્યુરૉન્સ એકબીજા સાથે જોડાઈને કામ કરે છે તેથી આપણી એક વર્તનભાત ઘડાય છે અને એક અનોખું વ્યક્તિત્વ વિકસે છે. હવે જો આ ન્યુરોન્સના એકબીજા સાથેના જોડાણમાં વિક્ષેપ આવે, તો સીધો ઘા આપણા વ્યક્તિત્વ ઉપર પડે તે સમજી શકાય તેવું છે.

ડિમેન્શિયા થવા માટે જોખમી પરિબળોમાંનું સહુથી મોટું પરિબળ છે, વૃદ્ધાવસ્થા. આ ઉપરાંત જેને બદલી શકાય કે કાબૂમાં લાવી શકાય તેવાં બીજાં સાત પરિબળો છે; ધુમ્રપાન, શારીરિક પ્રવૃત્તિઓનો અભાવ, ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર, મેદસ્વીપણું, હતાશા અને શિક્ષણનો નીચો આંક. જોવાનું એ છે કે ડિમેન્શિયાના નિદાન માટે લોહીની તપાસ કે અન્ય તપાસ નથી હોતી. સામાન્ય વર્તણુકમાં જણાતાં ચિન્હો જેવાં કે યાદદાસ્ત ઓછી થવી, ભાષા પરનો કાબૂ ગુમાવવો, વર્તન બદલાય, વ્યક્તિત્વ લોપ તથા લાગણીની ભેળસેળથી આ રોગની જાણ થાય છે. સામાન્ય વૃદ્ધાવસ્થાને કારણે થતો સ્મૃિતલોપ ડિમેન્શિયાથી અલગ છે કેમ કે તેમાં વ્યક્તિ પહેલાં જે સ્થિતિમાં હતી, તેનાથી તેની માનસિક અને અંતે શારીરિક સ્થિતિમાં ફેર દેખાતો હોય છે.

ડિમેન્શિયાના પાંચ મુખ્ય ક્ષેત્રો છે : કોગ્નિટિવ, ફંક્શનલ, માનસિક, વર્તનને લાગતું અને શારીરિક. કોગ્નિટિવ ક્ષતિને કારણે દિશાભાન ન રહે, ટૂંકા સમયની યાદદાસ્ત ઓછી થાય, આયોજન કરવાની શક્તિ અને શું કરવું જોઈએ તેનું ભાન ન રહે, કાર્ય-કારણ સંબંધનો ખ્યાલ વગેરે ઓછા થાય તે શક્ય છે. એ જ રીતે માનસિક ચિન્હોમાં ચિત્તભ્રમ અને દિવાસ્વપ્ન જેવી સ્થિતિનો સમાવેશ થાય છે. હતાશાનો ભોગ બનેલાને ડિમેન્શિયા થયેલ છે એમ માનવામાં આવે છે.

આમ તો મોટી ઉંમરની વ્યક્તિને ડિમેન્શિયા થવાની શક્યતા વધુ રહે, તેમ હમણાં જ જોયું, પરંતુ 65 વર્ષથી નીચેની ઉંમરની વ્યક્તિને પણ આલ્ઝાઇમર અને ફ્રન્ટોટેમ્પોરલ ડિઝીઝને કારણે ડિમેન્શિયા થઇ શકે. મોટી ઉંમરની વ્યક્તિને થાય તેના કરતાં નાની ઉંમરના લોકોને થતા રોગને કારણે તેની કૌટુંબિક, સામાજિક અને આર્થિક અસરો તેમના કુટુંબ અને સમાજ પર ઘેરી થતી હોય છે. ઘણી વખત નાનાં બાળકોને અથવા વૃદ્ધ માતા-પિતાને પોતાના સ્વજનની સંભાળ રાખવાની જવાબદારી આવી પડતી હોય છે. વળી આ બાબત સાથે સંકળાયેલ કેટલાક ખ્યાલો પણ દર્દી અને તેના સહાયકો માટે મુશ્કેલી ઊભી કરતા હોય છે.

ડિમેન્શિયાને ત્રણ તબક્કામાં વહેંચી શકાય: પહેલો તબક્કો જેને ‘માઈલ્ડ’ ડિમેન્શિયા કહે છે, તેમાં વ્યક્તિનું કોગ્નિશન અને વિચાર કરવાની શક્તિ નોંધપાત્ર રીતે અસર પામે છે. તેમાં યાદશક્તિ, નિર્ણય કરવાની શક્તિ, આયોજન કરવાની ક્ષમતા અને દ્રષ્ટિ પર અસર થવાનો સમાવેશ થાય છે. આ તબક્કે પરિવારના સભ્યો આ સ્થિતિના નિદાન માટે ડોક્ટરનો સંપર્ક કરતા હોય છે. બીજા તબક્કામાં – કે જેને ‘મોડરેટ ડિમેન્શિયા તરીકે ઓળખવામાં આવે છે તેમાં પ્રથમ તબક્કાના ચિહ્નોમાં વધારો થતો જોવામાં આવે છે અને નવાં ચિન્હો પણ દેખાય છે. યાદશક્તિ વધુ નબળી થવાને કારણે વાતચીત કરવામાં મુશ્કેલી નડે, કઈ દિશામાં જવું તેનો ખ્યાલ ન રહે, આસપાસની દુનિયાને જોવાની દ્રષ્ટિ બદલાય (જેમ કે લોકો મારી વસ્તુઓ ચોરી જાય છે, મારા સંતાનો મારી મિલકત પડાવી લેવા માગે છે તેવા વિચારો આવે) અને વર્તન દિન બ દિન વધુ સમજી ન શકાય તેવું બનતું જાય છે. ત્રીજો તબક્કો તે ‘એડવાન્સ ડિમેન્શિયા’નો ગણાય, જેમાં સ્નાયુઓની શક્તિ ઘટે જેને પરિણામે હલનચલન, ખોરાક ચાવવો, ગળે ઉતારવો, કુદરતી હાજતો પર કાબૂ રાખવો વગેરે મુશ્કેલ બનતું જાય છે. દર્દીને રોજિંદા જીવનમાં સહાયની જરૂર પડવા માંડે. દર્દીઓને બીજા રોગનો ચેપ લાગી જવાની શક્યતા વધે તેવું પણ બને.     

ઉંમર વધતાં, સામાન્ય રીતે વ્યક્તિનાં નામ ભુલાઈ જાય કે કોઈ સ્થળ જોયાંનું કે વ્યક્તિને મળ્યાંનું યાદ ન રહે, તે વધતી ઉંમરને કારણે થતો સામાન્ય સ્મૃિતભ્રંશ છે. જ્યારે જે માનસિક સ્થિતિથી વ્યક્તિ પોતાની સંભાળ ન રાખી શકે, રોજિંદાં કાર્યો સ્વતંત્ર રીતે કરી ન શકે,  તેના મનમાં દરેક વાતે ગુંચવાડો પેદા થાય, અને છેવટ નાના મોટા નિર્ણયો જાતે લઇ ન શકે, ત્યારે ચેતી જવું સારું. આ એક એવો રોગ છે જેનાં કારણો હજુ ચોક્કસ પણે જાણી શકાયાં નથી, તે વિષે સંશોધનો થઇ રહ્યાં છે. એ માટે કોઈ ચોક્કસ સારવાર નથી, પણ દર્દીને થેરેપ્યુિટક સારવાર અને અમુક ડ્રગ્સ આપીને એ રોગના ચિન્હોને આગળ વધતાં રોકી શકાય એટલી પ્રગતિ થઇ છે. એટલે આમ જુઓ તો આ રોગથી કોઈ છુટકારો નથી, તેમાંથી સાજા થવાની શક્યતા નથી. સામાન્ય રીતે ડિમેન્શિયાના નિદાનથી મૃત્યુ સુધીનો સમય ગાળો પાંચ વર્ષનો અપાય છે. જો કે કયા કારણોસર ડિમેન્શિયા થયું છે અને વ્યક્તિનું સ્વાસ્થ્ય સાધારણતયા કેવું છે તેના પર તેના આયુષ્યનો આધાર છે. કોઈ દર્દી નિદાન પછી વીસ વર્ષ સુધી પણ જીવિત રહી શકે અને કોઈ છ મહિને મૃત્યુ પણ પામે.

ડોક્ટરોની સલાહ છે કે હાઈ બ્લડ પ્રેશર અને કાર્ડિયો વાસ્ક્યુલર ડિઝીઝ ન થાય તેની કાળજી રાખવાથી ડિમેન્શિયાને હાથ વેંત દૂર રાખી શકાય. એટલે એક એવો મંત્ર અપાયો છે: જે તમારા હૃદય માટે સારું છે તે તમારા મગજ માટે પણ સારું છે. તેથી જ તો કેટલીક જીવન પદ્ધતિ જેમ કે તમાકુનું સેવન ન કરવું, આલ્કોહોલનું પ્રમાણ ઘટાડવું, બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ અને સ્યુગરનું પ્રમાણ નિયંત્રણમાં રાખવું, સમતોલ આહાર લેવો અને નિયમિત કસરત કરવી એ બંને, હૃદયના દર્દો અને માનસિક તેમ જ ન્યુરોલોજિકલ દર્દોને રોકવા માટે અપનાવવાની સલાહ અપાય છે. માંસાહાર અને આલ્કોહોલના સેવનને ડિમેન્શિયા સાથે શો સંબંધ છે તેના પર પણ સંશોધન થઇ રહ્યું છે. આ દર્દને કોઈ રેઇસ સાથે સંબંધ નથી. પણ ધનાઢ્ય દેશોમાં ખાણી-પીણી સારી, સ્વચ્છતાનું ધોરણ ઊંચું એટલે આયુષ્ય મર્યાદા વધુ તેથી 65થી વધુ ઉંમરના લોકોની સંખ્યા વધુ હોવાથી ત્યાં આ રોગનું પ્રમાણ વધુ હોવાનું નોંધાયું છે. ઓસ્ટ્રેલિયાની ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ એન્ડ વેલ્ફેરનો અંદાજ છે કે દુનિયામાં કુલ આશરે 45 કરોડ લોકો આ રોગથી પીડાય છે જેમાંના ઓસ્ટ્રેલિયામાં ત્રણ લાખ અને ત્રીસ હજાર કેઈસીસ નોંધાયા છે. ભારતમાં 2010ની મોજણી મુજબ 37 લાખ કેઈસીસ નોંધાયા જેમની સંભાળનો ખર્ચ 14 કરોડ રૂપિયાનો હતો, જે 2030 સુધીમાં વધીને 74 લાખ જેટલા કેઈસીસનો થઇ જશે, જેનો સંભાળનો ખર્ચ ત્રણ ગણો આવશે. એટલે કે આ રોગ હવે વિશ્વવ્યાપી થતો જાય છે. દિલ્હી પાસે બાલાઘર નામના ગામડામાં પિટ્સબર્ગ યુ.એસ.એ.ના વૈજ્ઞિકોએ 2010માં એક અભ્યાસ કરેલો, જેમાં ત્યાંના લોકોમાં ડિમેન્શિયા નહિવત્‌ હોવાના કારણોમાં એ પ્રજાનું જિનેટિક પરિબળ કામ કરતું હોવાનું સાબિત થયું છે. વળી જે સમાજોમાં કુટુંબ વ્યવસ્થા ખૂબ નિકટની હોય છે ત્યાં પણ તેની તીવ્રતા ઓછી જોવા મળી છે.

જો આ જીવલેણ બીમારી છે અને તેની કોઈ અસરકારક સારવાર હજુ ઉપલબ્ધ નથી થઇ તો પછી ડિમેન્શિયાના દર્દી કે એ દર્દ પર શા માટે આટલું બધું ધ્યાન આપવું જોઈએ, એવો એક સવાલ ઊઠે ખરો. પરંતુ જરા વિચાર કરતાં સમજાશે કે મગજની ક્ષમતા ઘટે એટલે તેની અસર વ્યક્તિના સમગ્ર જીવન પર પડે અને તેના જીવનની ગુણવત્તા પહેલાં જેવી ન રહે. માનવી અન્ય પ્રાણીઓ કરતાં અલગ તરી આવે છે, તે તેની બુદ્ધિ શક્તિને કારણે. તેનું વ્યક્તિત્વ, તેની પ્રતિભા અને તેની ઓળખ એ માત્ર તેના મસ્તિષ્કના કુશળ કાર્ય પર નિર્ભર રહે છે. બિનજરૂરી ઔષધો અને શસ્ત્રક્રિયાઓ કે જેનાથી દર્દીને રોગમાંથી છુટકારો મળવાની શક્યતા નહીંવત્‌ છે તેના અખતરાઓ કરવાને બદલે તેમના જીવનની ગુણવત્તા જળવાઈ રહે તેવા ઉપાયો કરવા તે આવશ્યક છે. ડિમેન્શિયાથી પીડાતી વ્યક્તિના વર્તનને તેના સ્વભાવદોષ કે ઈરાદાપૂર્વકના બદલાવનું પરિણામ સમજવાની ભૂલ કરીએ તો આપણો તેમના પ્રત્યેનો વર્તાવ જુદો રહે અને તેમના જીવનને સરળ રીતે ચલાવવા માટે મદદરૂપ ન થઇ શકીએ. આ એક મગજની બીમારી છે એ સમજવું અત્યન્ત આવશ્યક છે જેથી તેમને માટે યોગ્ય નિદાન, સારવાર અને મદદગાર સંસ્થાઓનો સંપર્ક કરી શકાય.

ડિમેન્શિયા થવાનાં કારણો, તેનાં લક્ષણો, ચિન્હો અને તેના દરેક તબક્કે જરૂરી સહાય વિષે વધુ અધિકૃત માહિતી મેળવવી એ આ યુગમાં જરૂરી મનાવા લાગ્યું છે, જેથી કરીને ન કરે નારાયણ વ્યક્તિને પોતાને કે તેના પરિવારજનને કે તેમની આસપાસના પરિચિતોમાંથી કોઈને પણ આ રોગનાં લક્ષણો જણાય તો તરત તે માટે પગલાં લઇ તેમને મદદરૂપ થઇ શકે. મજાની વાત એ છે કે શરીરના કુલ વજનના માત્ર 2% જેટલું જ વજન આપણા મગજનું હોય છે, પણ એ શરીરને જોઈતા કુલ પ્રાણવાયુ અને શક્તિનો 20% ભાગ વાપરે છે! આપણે જાણીએ છી કે માનવીની બુદ્ધિશક્તિ અને યાદશક્તિ એ તેની મહામૂલી મૂડી છે અને તેમાં ય મગજનો એક ભાગ હિપોકૅમ્પસ તો નવી યાદશક્તિ ઘડવામાં, તેને વ્યવસ્થિત ગોઠવવામાં અને લાંબા સમય સુધી સાચવવામાં અતિ મહત્ત્વનો ભાગ ભજવે છે, તેથી તેની ખૂબ સંભાળ રાખવી તેટલું સમજી છું.

વધુ રસ ધરાવનારો માટે નીચે વેબ લિંક આપી છે તે ઉપયોગી થશે તેમ માનુ છું.

[1] www.varishta.org. blog & video in Gujarati. [2] www.dementiacare.in [3] www.dementiahindi.in

e.mail : 71abuch@gmail.com

Loading

15 October 2017 admin
← અંત્યોદય અને જૉબલેસ ગ્રોથની વચ્ચે
દીપ-આવલી: જગતનાં ઝેર પીવાને હવે શંકર નહીં આવે →

Search by

Opinion

  • एक और जगदीप ! 
  • દેરિદા અને વિઘટનશીલ ફિલસૂફી – ૭ (સાહિત્યવિશેષ : માલાર્મે)
  • શૂન્યનું મૂલ્ય
  • વીર નર્મદ યુનિવર્સિટીએ એક્સ્ટર્નલ અભ્યાસક્રમો ચાલુ રાખવા જોઈએ …..
  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved