Opinion Magazine
Number of visits: 9449306
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ધર્મ-અધ્યાત્મના નામે અવિરત શોષણ

ઉર્વીશ કોઠારી|Opinion - Opinion|15 September 2017


 બહુમતી લોકોએ ગુલામી સ્વીકારી લીધી હોય એટલે આઝાદીની વાત પડતી મૂકી દેવાની ?

દુનિયાના મોટા ભાગના લોકો રાજકીય ગુલામીમાંથી આઝાદ થઈ ચૂક્યા છે, પણ તેમાંથી ઘણા ધર્મસંસ્થાઓની ‘ગુલામી’માંથી મુક્ત થઈ શક્યા નથી. ‘ગુલામી’ શબ્દ પહેલી નજરે બંધબેસતો કે સાચો ન લાગે. કેમ કે, દેખીતી રીતે લોકો સ્વેચ્છાએ ધર્મ-સંપ્રદાયની સંસ્થાઓમાં કે ધર્મગુરુના શરણે જતા હોય છે. આદર્શ રીતે ધર્મ-અધ્યાત્મનો માર્ગ મુક્તિ આપનારો ગણાય છે, પણ અઢળક દાખલા પરથી કહી શકાય કે મોટા ભાગના લોકો માટે તે બંધનકર્તા બની રહે છે.

પરદેશી શાસનના સ્વરૂપમાં આવતી રાજકીય ગુલામી કરતાં પણ ધાર્મિક ગુલામી વધારે આકરી હોય છે. કારણ કે તે ‘પોતાના લોકો’ દ્વારા લાદવામાં આવે છે અને તેનો બાહ્ય દેખાવ સાવ વિપરીત -– એટલે કે ઉદ્ધારનો — હોય છે. ભારતનું અનહદ આર્થિક શોષણ કરનારા અંગ્રેજ રાજકર્તાઓમાંથી ઘણાનો દાવો હતો કે તે ‘અસંસ્કૃત’ ભારતને ‘સુધરેલુંં’ બનાવી રહ્યા છે — તેનો ઉદ્ધાર કરી રહ્યા છે. ઘણા ધર્મગુરુઓ પણ આ બાબતમાં જુદા નથી હોતા.

નજીકના ભૂતકાળનો દાખલો લઈએ તો, ડેરા સચ્ચા સૌદાના હવે જેલવાસી ગુરમીત રામરહીમનો દાવો હતો કે તે મનોરંજન અને સંગીતની મદદથી યુવાનોને આડા રસ્તે જતા અટકાવે છે. અદાલતે વીસ વર્ષની સખત જેલની સજા કરી ત્યારે પણ ગુરમીત તરફથી સમાજકલ્યાણની પ્રવૃત્તિઓનો હવાલો આપીને, સજા ઘટાડવાની વિનંતી કરવામાં આવી હતી. એ તો અદાલત હતી ને વીસ વર્ષની સજા થઈ ચૂકેલી, એટલે વિનંતી. બાકી, ‘એરણની ચોરી ને સોયનું દાન’ના ધોરણે કરાતી સેવાપ્રવૃત્તિઓ ધાર્મિક ગુરુઓનાં બધાં પાપ સંતાડવા માટે હાથવગી હોય છે.

એટલું જ નહીં, સેવાપ્રવૃત્તિની લાકડીથી ટીકાકારને ઝૂડી કાઢવાનું પણ સહેલું છે. ‘શોલે’માં ગબ્બરસિંઘ રામગઢના લોકોને કહે છે, ‘મારા તાપથી તમારું રક્ષણ કરવાના બદલામાં મારા માણસો તમારી જોડેથી થોડું અનાજ લઈ જાય, એ કંઈ જુલમ કહેવાય?’ શોષણ કરતા ધર્મગુરુઓ પણ આવું ‘ગબ્બર-લૉજિક’ વાપરે છે. (હકીકતમાં એમ કહેવું જોઈએ કે ગબ્બરે આવા ધર્મગુરુઓનું લૉજિક વાપર્યું) ‘અમે તમારો ઉદ્ધાર કરીએ, સમાજની સેવા કરીએ ને બદલામાં તમારાં સંપત્તિ કે શરીરનો ઉપભોગ કરીએ, તેમાં આટલો બધો કકળાટ શો?’

અને આ દલીલ તો ભક્તોમાંથી કોઈ સામે થવા જેટલી હિંમત બતાવે તેના માટે. બાકીના ટીકાકારોને ‘એ મારો ને મારા ભક્તો વચ્ચેનો મામલો છે. તેમાં સવાલ કરનારા તમે કોણ?’ એટલું કહીને ચૂપ કરી દેવાય છે. સવાલ એ છે કે બહુમતી લોકોએ ગુલામી સ્વીકારી લીધી હોય ને કેટલાકને તો એમાં સુખભ્રાંતિ પણ થતી હોય, એટલે આઝાદીની વાત પડતી મૂકી દેવાની? કે બાકીના ગુલામોને તેમની ગુલામીનું ભાન કરાવવાનું? ગુરમીતના કિસ્સામાં જોવા મળ્યું તેમ, મહિલાનું શોષણ થતું હોય અને તેના ઘરના સભ્યો જ એ શોષણને છાવરતા હોય — તેની ફરિયાદ પર ભરોસો ન મૂકતા હોય એવું પણ બને. આવા સંજોગોમાં લડત ઓર કપરી બની જાય છેઃ અનુયાયીઓનાં ટોળાં સામે લડવાનું અને ઘરના લોકો સામે પણ લડવાનું. ધર્મના નામે સ્ત્રીનુંું તેની કે તેના કુટુંબીજનોની મરજીથી શોષણ નર્મદ-કરસનદાસ મૂળજીના જમાનાથી પણ જૂનું છે. છતાં તે ભૂતકાળ બન્યું નથી એ શરમજનક છે.

ક્યારેક ગુરમીત કે આસારામ જેવા કિસ્સામાં પાઘડીનો વળ છેડે આવે અને તેમને જેલ ભેગા થવાનો વારો આવે ત્યારે કુદરતી ન્યાયનો આનંદ થાય, પણ એ આશ્વાસનથી વિશેષ કંઈ હોતું નથી. કારણ કે આવી બાબતોમાં કુદરતી ન્યાય કામ કરતો નથી. ન્યાયનો પ્રયાસ માણસે જ કરવો પડે છે. અનુયાયીઓનાં ઝૂંડ તથા આર્થિક-સામાજિક-રાજકીય વગની સામે પડીને ન્યાય મેળવવા કરતાં પણ વધારે અઘરું શું? એ કામ છે આવા કિસ્સા બનતા અટકાવવાનું. કેમ કે, તેમાં દુષ્ટ ધર્મગુરુઓ સામે નહીં, સમાજના લોકોમાં વ્યાપેલી અંધશ્રદ્ધા અને કથિત ધાર્મિક લાગણી સામે લડવાનું આવે છે.

આસારામ કે ગુરમીત જેવાના જેલયોગના કિસ્સા થાય ત્યારે હંમેશાં એ જાણવામા રસ પડે — અને ભાગ્યે જ જાણવા મળે — કે પછી તેમના અનુયાયીઓનું શું થયું? ઘણા અનુયાયીઓ પર કશી અસર થતી નથી અને એ પોતાની ભક્તિ ચાલુ રાખે છે, જ્યારે બીજા કેટલાકને આવા કોઈ ટેકાનો ખપ હોય છે. એટલે એ કોઈ બીજો ‘થડો’ શોધી કાઢે છે. અનુયાયીઓમાંથી ઘણા તો પ્રખ્યાત અને જાહેર જીવનનાં મોટાં નામ હોય છે, જે પોતપોતાની અસલામતીથી કે મહત્ત્વાકાંક્ષાઓથી ગ્રસ્ત હોય છે.

એ લાગણી તેમને આવા લોકોના શરણે જાય છે. નેતાઓ તો તેમાં સૌથી પહેલા. ભા.જ.પ.ના નેતાઓને મુસ્લિમ રૂઢિચુસ્તતાની સગવડિયા ટીકા કરવામાં એવી ‘કીક’ આવી જાય કે હિંદુ ધર્મને વગોવતા ને તેના નામે પાખંડ-દુરાચાર ચલાવતા લોકો દેખાય જ નહીં — અને દેખાય તો તે હિંદુ ધર્મના પ્રતિનિધિ લાગે. એટલે એવા લોકોની ટીકામાં તેમને ‘હિંદુ ધર્મને બદનામ કરવાનું કાવતરું’ દેખાય. કૉંગ્રેસ અને બીજા પક્ષો વાતો સૅક્યુલરિઝમની કરે, પણ મુસ્લિમોની રૂઢિચુસ્ત ધાર્મિકતા સામે તેમને વાંધો ન પડે અને વખત આવ્યે બીજા ધર્મના પાખંડી આગેવાનોનું શરણું લેતાં પણ તેમને જરા ય સંકોચ ન થાય. પોલીસ સ્ટેશનોમાં ઇષ્ટ દેવો ને અનિષ્ટ ધર્મગુરુઓના ફોટા હોય એટલું જ નહીં, આખેઆખા પોલીસ સ્ટેશનનના મકાનના પ્રાયોજક તરીકે કોઈ સંપ્રદાયનું કે ધર્મસ્થાનનું નામ લખેલું પણ જોવા મળે. (સરકાર પાસે પોલીસ સ્ટેશનો બાંધવાના પણ રૂપિયા નહીં હોય?)

મંટોની એક લઘુકથામાં આવતું હતું કે સર ગંગારામના પૂતળાને જૂતાંનો હાર પહેરાવનાર ઘાયલ થાય ત્યારે તેને સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે. ઘણી વાર એવો વિચાર આવે કે અમુક ધર્મસંસ્થાનું નામ ધરાવતા પોલીસ સ્ટેશનમાં એ જ સંપ્રદાયના કોઈની ધરપકડ કરવાનો વારો આવે તો? ઘણાં ધર્મસંસ્થાનો સંપત્તિ અને પ્રભાવની રીતે કૉર્પોરેટનાં પણ દાદા જેવાં હોય છે. તેમની વ્યવસ્થા, ભપકો, ટેક્નોલૉજીનો ઉપયોગ વગેરે જોઈને સામાન્ય માણસ અંજાઈ જાય છે અને એ અંજાવાને ભક્તિ કે શ્રદ્ધા ગણી બેસે છે.

આવાં જૂથો ફક્ત સ્થાનિક નહીં, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ધોરણે પણ વ્યાપ ધરાવતાં હોવાથી, ઘણી વાર તે બિઝનેસ ક્લબ અને એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જનું કામ પણ કરે છે. બદલામાં અનુયાયીઓએ કૉમન સેન્સ લખી આપવી પડે છે. તેનાથી ધાર્મિક અને આર્થિક એમ બન્ને જરૂરિયાતો પૂરી કરવામાં મદદ મળતી હોય અથવા એવી આશા ઊભી થતી હોય અને કેટલાક કિસ્સામાં સામાજિક દરજ્જો પણ મળતો હોય, તો શો વાંધો?

ધર્મ-અધ્યાત્મના નામે નિતાંત ભૌતિક સામ્રાજ્યો ઊભાં કરનારા, ગુંડાગીરી કરનારા કે તેને પોષનારા ભારતના આધ્યાત્મિક વારસાના પ્રતિનિધિ નહીં, ભારત માટે ધબ્બારૂપ છે. આવા ‘ધબ્બા’ને ધર્મ ગણનારાને શું કહેવું?

સૌજન્ય : ‘ઘુંઘટકે પટ ખોલ’, “દિવ્ય ભાસ્કર”, 15 સપ્ટેમ્બર 2017

Loading

15 September 2017 admin
← એક NRI ની ઊલટતપાસ
અર્થકારણ વિ. અનર્થકારણથી હટીને →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved