Opinion Magazine
Number of visits: 9506220
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

નીતીશકુમારે ૨૪ કલાકમાં સેક્યુલરિઝમથી ફાસીઝમની યાત્રા કરીને ઉઘાડા સત્ય પર સીલ મારી આપ્યું છે કે રાજકારણીઓ માત્ર સત્તાનું રાજકારણ કરે છે

રમેશ ઓઝા|Opinion - Opinion|29 July 2017

એમ કહેવાય છે કે લાલુ યાદવે કેન્દ્ર સરકારના બિહારના બે પ્રધાનોનો સંપર્ક કરીને ઑફર કરી હતી કે જો ચારાકૌભાંડમાં રાંચીની વડી અદાલતના ચુકાદા સામે CBIએ સર્વોચ્ચ અદાલતમાં જે અપીલ કરી છે એને મોળી પાડે તો વળતરમાં તેઓ નીતીશનું માથું વધેરીને તાસક પર આપવા તૈયાર છે, રાષ્ટ્રીય જનતા દલ નીતીશને આપેલો ટેકો પાછો ખેંચશે અને સરકાર તોડી પાડશે. ઑફર રસપ્રદ હતી, પરંતુ BJPએ બીજી ચાલ ચાલી. ઑફરની જાણ નીતીશને કરી દીધી અને વળતી ઑફર કરી કે જો નરેન્દ્ર મોદી સાથે સુવાણ કેળવવા તૈયાર હો તો લાલુને સપડાવીને તેમનાથી છુટકારો કરી આપીએ

નીતીશકુમારને નરેન્દ્ર મોદી અને લાલુ પ્રસાદ યાદવ એમ બન્ને માટે અણગમો છે. લાલુ માટેનો અણગમો એટલો તીવ્ર હતો કે ૧૭ વરસ પહેલાં તેમણે જનતા દલ છોડીને સમતા પાર્ટીની સ્થાપના કરી હતી અને BJP સાથે હાથ મેળવ્યા હતા. અણગમાનું મુખ્ય કારણ મનોવૈજ્ઞાનિક હતું. જયપ્રકાશ નારાયણના નેતૃત્વમાં બિહારમાં થયેલા આંદોલનમાં બન્ને સાથી હતા અને લાલુ યાદવ નેતા હતા. લાલુ-નીતીશનો સંબંધ ગુરુ-શિષ્ય જેવો, લાલુના ખાસ વિશ્વાસુ પડછાયા જેવો અને કહો કે ખાંધિયા જેવો હતો. લાલુની લોકપ્રિયતા વિદ્યાર્થીઓમાં અને રાજકારણમાં પ્રવેશ્યા પછી લોકોમાં પ્રચંડ હતી. આ ઉપરાંત લાલુ યાદવની બોલવાની અને મજાકમસ્તી કરવાની પોતાની અનોખી શૈલી છે.

આવા લોકો એ ભૂલી જતા હોય છે કે વખત જતાં દરબારીઓ પણ મોટા થવા લાગે છે. તેમની અંદર પણ માન-મરતબાની ઇચ્છા જાગે છે. લાલુ યાદવ નીતીશને એક અનુયાયી, પડછાયો કે દરબારી તરીકે જોતા હતા અને વર્તતા હતા એ હવે બિહારના કૅબિનેટપ્રધાન બનેલા નીતીશને ગમતું નહોતું. આ ઉપરાંત નીતીશકુમાર કુર્મી સમાજમાંથી આવે છે જે બિહારમાં યાદવ પછી સંખ્યાની દૃષ્ટિએ સૌથી મોટી જ્ઞાતિ છે. બિહારમાં જ્ઞાતિનાં સમીકરણોમાં નીતીશકુમાર પણ તાકાત ધરાવતા હતા એ લાલુના ધ્યાનમાં આવ્યું નહોતું અને આવ્યું હતું તો એના તરફ ધ્યાન આપ્યું નહોતું, કારણ કે તેમને મન નીતીશકુમાર એક આંગળિયાત વિશ્વાસુ દરબારી હતા. જ્યૉર્જ ફર્નાન્ડિસ સાથે મળીને નીતીશકુમારે એક દિવસ બળવો કર્યો અને બિહારમાં બે ધ્રુવીય રાજકારણ શરૂ થયું જેમાં નીતીશકુમાર એક ધ્રુવ બની ગયા.

વીતેલી સદીના છેલ્લા દાયકામાં રાષ્ટ્રીય રાજકારણ પણ દ્વિધ્રુવીય બની ગયું, એમાં એક ધ્રુવ BJPના નેતૃત્વમાં NDAનો હતો. અટલ બિહારી વાજપેયી NDAનું નેતૃત્વ કરતા હતા એટલે સમાજવાદી ધારામાંથી આવતા નીતીશકુમારને શરમ અને સંકોચનો અનુભવ નહોતો થતો. નીતીશકુમાર હિન્દુત્વવાદીઓની મહેફિલમાં અટલજીના નેતૃત્વને કારણે કમ્ફર્ટેબલ હતા. આ બાજુ નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્ય પ્રધાન બન્યા પછી રાષ્ટ્રીય નેતૃત્વ માટે નજર દોડાવી હતી. ગુજરાતનો નરસંહાર તેમના કપાળે લાગેલું કલંક હતું જેના તરફ નીતીશકુમારે આંખ આડા કાન કર્યા હતા, પરંતુ નરેન્દ્ર મોદીની ઉઘાડી સત્તાવાસના અને એના માટે શરમ-સંકોચ વિના કોઈ પણ માર્ગ અપનાવવાની નિર્લજ્જતા નીતીશ માટે અકળાવનારી હતી. ૨૦૦૯માં લુધિયાણામાં યોજાયેલી NDAની રૅલીમાં અચાનક નરેન્દ્ર મોદીએ દોડી આવીને નીતીશકુમારનો હાથ પકડીને હવામાં ઉઠાવ્યો હતો અને એવો દેખાવ કર્યો હતો કે નીતીશને પણ મોદીના નેતૃત્વ સામે વાંધો નથી. ૨૦૧૦માં BJPની રાષ્ટ્રીય કારોબારીની બેઠક બિહારમાં મળી ત્યારે નરેન્દ્ર મોદીએ પેલા લુધિયાણાવાળા ફોટો સાથે બિહારનાં અખબારોમાં જાહેર ખબર આપી હતી. કોસી નદીની હોનારત વખતે ગુજરાત સરકારે બિહારને પાંચ કરોડ રૂપિયાનો ચેક આપ્યો હતો એની પણ ચેકના ફોટો સાથે બિહારનાં અખબારોમાં જાહેરાત છપાવી હતી. આમ પરાણે કોઈના ખોળામાં બેસી જવાની અને પરાણે કોઈને ખોળામાં બેસાડવાની નરેન્દ્ર મોદીની હરકતો નીતીશકુમાર માટે અસહ્ય બનતી જતી હતી.

૨૦૧૩માં નરેન્દ્ર મોદીએ વિધિવત BJPના વડા પ્રધાનપદના ઉમેદવાર તરીકે સ્વીકૃતિ મેળવી એ પછી નીતીશકુમારે NDAના ઘટક તરીકે નિર્ણય લેવાનો હતો કે મોદી સાથે જવું કે નહીં. ૨૦૧૪ના અંતમાં નીતીશકુમારે NDA સાથે છેડો ફાડ્યો અને એ પછી જે બન્યું એ નજીકનો ઇતિહાસ છે. એમાં વળી ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં બિહારમાં BJPને સૌથી વધુ બેઠકો અને મત મળ્યાં હતાં. એનાથી વધુ નહીં તો એટલી જ અકળાવનારી વાત નીતીશ માટે એ હતી કે તેમના પક્ષ કરતાં લાલુ યાદવના પક્ષ રાષ્ટ્રીય જનતા દલને વધુ બેઠકો અને વધુ મત મળ્યા હતા. BJPનો બિહારમાં પ્રવેશ થઈ રહ્યો છે એ સ્પષ્ટ થઈ ગયું હતું.

હવે નીતીશકુમાર માટે સંકટ પેદા થયું. NDAનો દરવાજો તેણે પોતે બંધ કર્યો હતો અને UPAમાં પ્રવેશ કરવો હોય તો UPAના બિહારના દરવાન લાલુને સલામ ઠોકવી પડે. આગળ કહ્યું એમ લાલુ યાદવ સાથે તેમને જરા ય સુવાણ નહોતી, પણ કરવું શું? લાલુ-નીતીશે કૉન્ગ્રેસ સાથે મળીને ૨૦૧૫ના નવેમ્બર મહિનામાં બિહાર વિધાનસભાની ચૂંટણીમાં BJPનાં સૂપડાં સાફ કરી નાખ્યાં અને નીતીશકુમાર બિહારના મુખ્ય પ્રધાન બન્યા પણ પેલી સુવાણની સમસ્યા એમ ને એમ હતી. ખબર આવતા હતા કે બધું સમુંસૂતરું નથી. એક બાજુ નીતીશની ક્લીન અને એફિશ્યન્ટની ઇમેજ અને બીજી બાજુ લાલુનાં જેટલાં સંતાનો એટલાં કૌભાંડ. એમાં ચારાકૌભાંડમાં સર્વોચ્ચ અદાલતમાં વળાંક આવ્યો કે લવાયો અને BJPને મહાગઠબંધન તોડવાની તક મળી ગઈ.

એમ કહેવાય છે કે લાલુ યાદવે કેન્દ્ર સરકારના બિહારના બે પ્રધાનોનો સંપર્ક કરીને ઑફર કરી હતી કે જો ચારાકૌભાંડમાં રાંચીની વડી અદાલતના ચુકાદા સામે CBIએ સર્વોચ્ચ અદાલતમાં જે અપીલ કરી છે એને મોળી પાડે તો વળતરમાં તેઓ નીતીશનું માથું વધેરીને તાસક પર આપવા તૈયાર છે. રાષ્ટ્રીય જનતા દલ નીતીશને આપેલો ટેકો પાછો ખેંચશે અને સરકાર તોડી પાડશે. ઑફર રસપ્રદ હતી, પરંતુ BJPએ બીજી ચાલ ચાલી. ઑફરની જાણ નીતીશને કરી દીધી અને વળતી ઑફર કરી કે જો નરેન્દ્ર મોદી સાથે સુવાણ કેળવવા તૈયાર હો તો લાલુને સપડાવીને તેનાથી છુટકારો કરી આપીએ.

નીતીશકુમારે બે અણગમતા માણસોમાંથી એકની પસંદગી કરવાની હતી અને એકથી છુટકારો મેળવવાનો હતો. એમાં લાલુની ઑફરની વાત કાને આવી જેમાંથી બુધવારની ઘટના બની. નૈતિકતા અને અંતરાત્માની નીતીશની વાતો બોગસ છે. અંતરાત્માના અવાજથી પ્રેરાઈને નીતીશે રાજીનામું આપ્યું હોત તો BJP સાથે મળીને સરકાર ન રચી હોત. તેઓ મતદાતાઓ સાથે વિશ્વાસઘાત કરી રહ્યા છે એમ તેમનો અંતરાત્મા નથી કહેતો? જાહેર જીવનમાં સ્વચ્છતા અભિયાનમાં જોડાવા માટે નીતીશને અભિનંદન આપનારા નરેન્દ્ર મોદીને યાદ અપાવવી જોઈએ કે તેઓ જ્યારે ગુજરાતના મુખ્ય પ્રધાન હતા ત્યારે ભ્રષ્ટાચારના આરોપમાં તકસીરવાર ઠરેલા તેમની કૅબિનેટના પ્રધાન બાબુ બોખીરિયા પાસેથી તેમણે રાજીનામું નહોતું માગ્યું. લાલુના પુત્ર સામે તો માત્ર આરોપનામું દાખલ થયું છે, જ્યારે બોખીરિયા તો ગુનેગાર સાબિત થયા હતા. આમ નૈતિકતા એ ઢોંગ માત્ર છે. હમામમાં બધા જ નાગા છે અને કોઈ પ્રામાણિક નથી.

પણ સેક્યુલરિઝમનું શું? એ પણ ઢોંગ માત્ર છે? જી હા, આ ઉઘાડું સત્ય છે, અનેક વાર સાબિત થઈ ગયું છે અને હવે નીતીશકુમારે ચોવીસ કલાકમાં સેક્યુલરિઝમથી ફાસીઝમની યાત્રા કરીને ઉઘાડા સત્ય પર સીલ મારી આપ્યું છે કે રાજકારણીઓ માત્ર સત્તાનું રાજકારણ કરે છે. સેક્યુલરિઝમની ખેવના કરનારાઓએ હવે અન્યત્ર નજર દોડાવવાની જરૂર છે.

સૌજન્ય : ‘કારણ-તારણ’ નામક લેખકની કોલમ, “ગુજરાતી મિડ-ડે”, 28 જુલાઈ 2017

Loading

29 July 2017 admin
← શાસક અને રખેવાળ એક જ વિચારધારાના છે અને એ ભારતીય રાજ્ય માટે નિર્ણાયક ઘડી છે. આઇ ઍમ કીપિંગ માય ફિંગર ક્રૉસ્ડ
લાઇબ્રેરીઓ રૂપી ભર્યા ભંડારો ન હોત તો આજનો માહિતીયુગ વામણો રહી ગયો હોત, ઇન્ટરનેટ માયકાંગલું રહી ગયું હોત →

Search by

Opinion

  • Scrapyard – The Theatreની દસમી વર્ષગાંઠની ઉજવણી
  • ચલ મન મુંબઈ નગરી—313 
  • પ્રદૂષણ સૌથી મોટું હત્યારું તો છે સાથે અર્થવ્યવસ્થા માટે ઘાતક છે !
  • અતિશય ગરીબીને નાબૂદ કરનારું પ્રથમ રાજ્ય કેરાલા
  • સહૃદયતાનું ઋણ

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • રાજમોહન ગાંધી – એક પ્રભાવશાળી અને ગંભીર વ્યક્તિ
  • ભારતીય તત્ત્વજ્ઞાન અને ગાંધીજી 
  • માતા પૂતળીબાઈની સાક્ષીએ —
  • મનુબહેન ગાંધી – તરછોડાયેલ વ્યક્તિ
  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ

Poetry

  • ગઝલ
  • ખરાબ સ્ત્રી
  • ગઝલ
  • દીપદાન
  • અરણ્ય રૂદન

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved