Opinion Magazine
Number of visits: 9446862
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

માતૃભાષાનું ગૌરવ : આપણા હાથની વાત

મનસુખ સલ્લા|Samantar Gujarat - Samantar|17 March 2017

જીવનભારતી (સુરત) સંસ્થા એની ઉત્તમ અને ઉજ્જવળ પંરપરાઓ અને મૂલ્યોથી જાણીતી છે. ચંદ્રવદનભાઈ શાહ અને સાથીઓએ અહીં શૈક્ષણિક આબોહવા સર્જી હતી. માણસ મૃત્યુશીલ હોવાથી ભલે જાય, પરંતુ ઉત્તમ પરંપરાઓ અખંડ રહેવી જોઈએ. આજના ટ્રસ્ટીઓ અને સંચાલકો એ માટે સક્રિય છે, એ જોઈને હૈયું ઠરે છે. બહેન મીતાબહેન ઝવેરીનાં માર્ગદર્શનમાં આપે ભાષા ઑલમ્પિયાડનું આયોજન કર્યું અને એમાં સુરત શહેરની આટલી બધી શાળાઓને સાંકળી તથા ભાષાનાં પણ વીસ જેટલાં ક્ષેત્રોને આવરી લીધાં તે ભાષા માટેની પ્રીતિ ઊભી કરવામાં જરૂર મદદરૂપ થશે. માતૃભાષાદિન નિમિત્તે આ કાર્યક્રમ યોજાયો છે તેનું વિશેષ મહત્ત્વ છે. કારણ કે ભાષા જીવે છે, એને માટેના ગૌરવને કારણે અને ભાષા મરે છે એની અવગણના અને ઉપેક્ષાને કારણે.

એક પ્રજા તરીકે આપણે જાગૃત થવાનું છે કે ભાષા એ કેવળ વ્યવહારનું સાધન નથી, પરંતુ એમાં એક આખી સાંસ્કૃિતક પરંપરા સચવાયેલી હોય છે. જેમ એક વૃક્ષ જીવંત રહે છે તેનાં મૂળિયાં જમીનમાં ઊંડે જઈને પોષણ મેળવે છે તેથી. માતૃભાષાને જીવંત રાખવી એનો અર્થ આપણાં સાંસ્કૃિતક મૂળિયાંને જાળવવાં અને પોષણ આપવું. આજે ધંધો, કમાણી અને પ્રતિષ્ઠાની દૃષ્ટિએ અંગ્રેજીનું પ્રભુત્વ એટલું વધ્યું છે કે માતૃભાષાની અવગણના થઈ રહી છે. આ પ્રશ્ન કેવળ ગુજરાતી ભાષાનો જ નથી, તમામ ભારતીય ભાષાઓનો છે. ગઈ ૨૧મી માર્ચે દિલ્હીમાં સાહિત્ય અકાદમીના ‘માતૃભાષાનું રખોપું’ અંગેના સેમિનારમાં એક વિદ્વાને કહ્યું કે ભારતમાં ભાષા અને બોલીઓની સંખ્યા ૧૦૦૦ જેટલી છે, પરંતુ હવે જો કાળજી નહીં લેવામાં આવે તો આવતાં પચાસ વર્ષમાં એમાંથી ૮૦૦ જેટલી ભાષાઓ કે બોલીઓ નાશ પામશે. ભાષાને જીવંત રાખવી, એનો અર્થ એ કે એ ભાષામાં બોલો, લખો અને વાંચો.

આ મુદ્દો અંગ્રેજી ભાષાના નકારનો નથી. અંગ્રેજીનું સ્થાન છે અને સ્વીકાર્ય છે, પરંતુ માતૃભાષાના ભોગે નહીં. સ્વરાજ પહેલાં રવીન્દ્રનાથ ટાગોરે કહ્યું હતું કે ‘માતૃભાષા અને ભણવાની ભાષા વચ્ચે છૂટાછેડા કેવળ ભારતમાં જ છે. એને પરિણામે બાળકની સર્જનાત્મકતાને ગંભીર હાની પહોંચે છે.’ માતૃભાષા બાળકને પોતાનો સાંસ્કૃિતક વારસો આપે છે. આપણે માતૃભાષાને કેવળ ગુણગાન રૂપે જ જોઈએ એ પૂરતું નથી. એની પાછળનાં વૈજ્ઞાનિક-સંશોધનાત્મક કારણો અને તારણો સમજવાં પડશે.

મૂળમાંથી એમ પૂછી શકાય કે શિક્ષણરચના શા માટે છે ? તેનો જવાબ એ છે કે શિક્ષણને પરિણામે મનુષ્યમાં ત્રણ બાજુઓનો વિકાસ થવો જોઈએ :

૧. માનવતાનો વિકાસ. માનવતા વગરના ડિગ્રીધારીઓ આજે સમાજ અને રાષ્ટ્રને પારાવાર નુકસાન પહોંચાડી રહ્યા છે. માનવતાનો વિકાસ એટલે સંવેદનશીલતાનો વિકાસ. પોતાનાથી પાછળ રહેલાઓ, સહન કરનારાઓ, અન્યાય વેઠનારાઓ, ધર્મ-પંથ-જાતિ-વર્ણ-લિંગની ભેદની દીવાલો વેઠવાની આવે છે, તે સૌ માટેની આત્મીયતા એ સંવેદનશીલતાનો વિકાસ છે. આવી સંવેદનશીલતાના વિકાસમાં કલા અને સાહિત્ય સૌથી મોટો ભાગ ભજવે છે. એમાં માતૃભાષા જે સંસ્કાર- પોષણ કરે છે, એની અસરો અમીટ હોય છે, માટે આપણે માતૃભાષાનો મહિમા કરીએ છીએ.

૨. બીજું તત્ત્વ છે સર્જનાત્મકતાનો વિકાસ. આજે આપણે શિક્ષણમાં બીબાંમાં ઘડેલાં ચોકઠાંઓ તૈયાર કરીએ છીએ. બધાં એકસરખાં, જાણે અમુક કામ માટે જ સર્જેલાં પૂતળાં. વિકાસ માત્ર સ્મૃિતવ્યાપારનો, એથી મનુષ્યમાં વિકાસની જે અનેકવિધ શક્યતાઓ (અવલોકન, તાર્કિકતા, તારણશક્તિ, વિરોધી વસ્તુઓ / બાબતો વચ્ચે રહેલી સમાનતા પારખવી, પ્રયોગશીલતા, નાના એકમને વ્યાપક ભૂમિકામાં સમજવું, જીવનનું અખંડ દર્શન વગેરે) રહેલી છે તે પ્રગટ જ નથી થતી. સર્જનાત્મકતા એ કેવળ કવિતા, ચિત્ર કે સંગીતના રાગ પૂરતી મર્યાદિત નથી, પરંતુ પ્રત્યેક ઘટનામાં વ્યવહારમાં, સંબંધમાં સર્જનાત્મકતા સક્રિય બને. મનુષ્યનો એ સાચો વિકાસ છે. આજે જાણે હૃદયહીન, પૈસા કમાનારા, રૉબોટ તૈયાર થાય છે. આને દૃષ્ટાંત દ્વારા સમજીએ તો ૧૦૦ વૉટના બલ્બમાં એટલો પ્રકાશ આપવાની ક્ષમતા હોય છે. જો એ બલ્બ ૧૦ વૉટ જેટલો જ પ્રકાશ આપે, તો ૯૦ વૉટની ખોટ જાય છે એ આપણને પરખાતું નથી. વિદ્યાર્થીઓનું પણ આવું થાય છે. આ ખોટ સમગ્ર રાષ્ટ્રની છે. આમાં માતૃભાષા વિદ્યાર્થીને પોષણ આપે છે. દા.ત., બધાં વાલીઓ ઇચ્છે છે કે પોતાના બાળકને ગણિતમાં ૧૦૦માંથી ૯૯ માર્ક્સ આવે. આ અંગે દુનિયાભરમાં સંશોધનો થયાં છે. તેનાં તારણો એવાં મળ્યાં છે કે આપણા મગજમાં એવા સેન્સર્સ છે જેમાંથી ગણિતની અમૂર્ત વિભાવનાઓ પસાર થાય છે અને વિષય ગ્રહણ થાય છે. જો બાળક માતૃભાષા દ્વારા શીખતો હશે, તો તેની ગ્રહણશીલતા અનેક ગણી વધી જશે. મગજનાં સેન્સર્સ વધુ સક્રિય રહેશે. આ અંગે તો આપણે વિચાર જ નથી કર્યો. આપણે એક બે નહિ, હજારો વિક્રમ સારાભાઈ, એ.પી.જે. કલામસાહેબ, ઉમાશંકર જોશી કે મનુભાઈ પંચોળી – દર્શકની જરૂર છે. આ વિરાટ દેશના હજારો મૂંઝવતા પ્રશ્નો છે. તેના ઉકેલો શોધનારા, માનવતાપ્રેરિત ઉકેલો શોધનારાની આપણે જરૂર છે. એ માટે સર્જનાત્મકતાનો વિકાસ જરૂરી છે.

૩. ત્રીજું તત્ત્વ છે જે કાંઈ કરીએ, તે શ્રેષ્ઠ રીતે કરીએ. સફાઈ કરવાથી લઈને વિમાન ચલાવવું કે એક ઉદ્યોગગૃહ સંભાળવાથી લઈને આંખનું સૂક્ષ્મ ઑપરેશન કરવા સુધીનાં તમામ કાર્યો શ્રેષ્ઠ રીતે થવાં જોઈએ. આજે આપણે ચોતરફ બેદરકારી, કામચોરી, બગાડ, ઉપેક્ષા, ભ્રષ્ટાચાર જોઈએ છીએ. એ અધૂરા કે ખોટા શિક્ષણનું પરિણામ છે. ગુણવત્તા અને શ્રેષ્ઠતાની ઉપેક્ષા કદી કોઈ રાષ્ટ્ર કરી ન શકે. આ ત્રણે તત્ત્વોના વિકાસમાં માતૃભાષાની પણ મદદ મળે છે.

આજે શિક્ષણ ઊલટી દિશામાં ચાલી રહ્યું છે, એટલે આખા રાષ્ટ્રમાં પ્રશ્નો જ પ્રશ્નો છે. એટલે હિંસા, શોષણ, અન્યાય, અત્યાચાર, લાંચરુશ્વત જોવા મળે છે. આ ઘણા મોટા પ્રશ્નો છે. પ્રશ્નો વિશે બે પ્રકારના પ્રતિભાવો હોય છે : (૧) શાહમૃગની જેમ થાકીને રેતીમાં મોં નાખી દઈને માનવું કે કોઈ પ્રશ્ન (આફત) છે જ નહીં. આ પલાયનવાદ છે. એમાં પ્રશ્નોનો ઉકેલ નથી, વિનાશ તરફની ગતિ હોય છે. (૨) પ્રશ્નનો ઉકેલ શોધો. આર્નોલ્ડ ટૉયન્બી વીસમી સદીના મહાન ઇતિહાસકાર ગણાય છે. તેમણે જગતભરની સંસ્કૃિતઓનો અભ્યાસ કર્યો અને તારણ કાઢ્યું કે, જે સંસ્કૃિત અને સભ્યતા સમસ્યાઓ સામે હાર સ્વીકારવાને બદલે એના ઉકેલો શોધો છે તે મહાન બને છે. આ વાત ખૂબ સાચી છે. આપણે ઉકેલો શોધવાના છે.

આજે તો અંગ્રેજી માધ્યમમાં પણ અંગ્રેજી ખરાબ રીતે શીખવાય છે અને ગુજરાતી તો મુદ્દલ ભણાવતા નથી. ગુજરાતી માધ્યમમાં પણ ગુજરાતીની દશા અત્યંત કંગાળ અને કરુણ છે. ગુજરાતી એટલી ખરાબ અને નીરસ રીતે શીખવાય છે કે એ માટે પ્રીતિ જાગતી નથી. ઊલટાનો બોજ લાગે છે. આમાં મોટી જવાબદારી શિક્ષકોની છે. એક જાણીતો વિચાર છે કે જેનાથી પોતે હલી ગયો નથી એ બીજાના હૈયાને હલાવી શકતો નથી. માતૃભાષાના મોટા ભાગના શિક્ષકોની સજ્જતા અત્યંત કંગાળ છે. તેમાં ય વળી (સરકારથી સંચાલકો સુધી) એવી માન્યતા છે કે ગુજરાતી વિષય તો ગમે તે ભણાવી શકે. એટલે ચિત્ર, સંગીત, રમતગમત, સમાજવિદ્યા કે કોઈ પણ વિષયના સરપ્લસ થયેલા શિક્ષકોને ગુજરાતી શીખવવાનું સોંપાય છે. એટલે ગુજરાતીનું શિક્ષણ વધુ કથળ્યું છે. આ રીત જ ખોટી છે. આપણે સરકાર પાસે માગણી કરવી જોઈએ કે માતૃભાષા શીખવવા માટે અમારાં બાળકોને સજ્જ અને ગુજરાતી ભણેલા સારા શિક્ષકો આપો. તમે સૌ વાલીઓ દર અઠવાડિયે આવી માગણી કરતું પોસ્ટકાર્ડ લખો. જો શિક્ષણમંત્રીશ્રીના ટેબલ ઉપર દર અઠવાડિયે આવા દસ હજાર પત્રોનો ઢગલો થશે, તો તેઓ જરૂર વિચાર કરશે.

આપણે શહેરી જીવનશૈલીમાં વડીલો ગુમાવ્યા છે. બાળકોને દાદા-દાદીનો ખોળો મળે, તો માતૃભાષાનો સાચો વિકાસ થાય. માતા અને પિતા બંને કામ કરે છે, એથી સમય આપી શકતાં નથી. એટલે આપણાં બાળકો સંસ્કાર અને સંસ્કૃિતથી દૂર થતાં જાય છે. શાળાઓ આ અંગે પોતાની જવાબદારી ગણતી બંધ થઈ છે એ મોટી કરુણતા છે. કારણ કે હવે શાળાઓમાં સરસ્વતીનું સ્થાન લક્ષ્મીજીએ લીધું છે. એટલે મર્યાદિત કે દેખાવ પૂરતું જ શિક્ષણ થાય છે. અહીં જીવનભારતીમાં એની કાળજી લેવાય છે, એટલે આપણને જીવનભારતીના સંચાલકો અને શિક્ષકો માટે આટલો ભાવ જાગે છે. અહીં પ્રામાણિક પ્રયત્ન થઈ રહ્યો છે. કેતનભાઈ શેલત અને સૌ અગ્રણીઓ આ માટે જાગૃત છે.

માતૃભાષાના મહિમાનો, પુરસ્કારનો, ગૌરવનો આ કાર્યક્રમ આપણા ચિત્તમાં ઠરે અને વાલીઓ આ અંગે જાગૃત થાય એ જરૂરી છે. વાલીઓ દેખાદેખીથી નહીં વિચારીને નિર્ણય કરે. આજે અહીં ભાષાનાં વિવિધ પાસાંઓ વિશે ઉત્તમ કામગીરી કરનારા ૫૫ જેટલા વિદ્યાર્થીઓને પુરસ્કાર અને શીલ્ડ અપાશે એ સૌને અભિનંદન પાઠવું છું. વાલીઓ આટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત છે. તેમને ધન્યવાદ પાઠવું છું.

(જીવનભારતી, સુરતમાં માતૃભાષાદિન નિમિત્તે યોજાયેલ ભાષા ઑલમ્પિયાડમાં મુખ્ય મહેમાન તરીકે આપેલું વક્તવ્ય, સુધારા-વધારા સાથે, તા. ૨૮-૨-૨૦૧૭)

સૌજન્ય : “નિરીક્ષક”, 16 માર્ચ 2017; પૃ. 08-09

Loading

17 March 2017 admin
← આનંદીબાઇ અને મોતીબાઇઃ બ્રિટિશ રાજમાં ‘મેડિકલ’ના પ્રયોગો
વિદ્યાર્થીઓ ગુજરાતીમાં મોટી સંખ્યામાં કેમ નાપાસ થાય છે? →

Search by

Opinion

  • લોકો પોલીસ પર ગુસ્સો કેમ કાઢે છે?
  • એક આરોપી, એક બંધ રૂમ, 12 જ્યુરી અને ‘એક રૂકા હુઆ ફેંસલા’ 
  • શાસકોની હિંસા જુઓ, માત્ર લોકોની નહીં
  • તબીબની ગેરહાજરીમાં વાપરવા માટેનું ૧૮૪૧માં છપાયેલું પુસ્તક : ‘શરીર શાંનતી’
  • બાળકને સર્જનાત્મક બનાવે અને ખુશખુશાલ રાખે તે સાચો શિક્ષક 

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved