Opinion Magazine
Number of visits: 9452767
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

રઝા : ભારતીયતાને ભરપૂર ચાહનારા વૈશ્વિક ચિત્રકાર

અનિલ રેલિયા|Opinion - Opinion|7 September 2016

સૈયદ હૈદર રઝાનું તા. ર૩ જુલાઈ, ર૦૧૬ના રોજ અવસાન થયું. (જન્મ : ૨૨-૦૨-૧૯૨૨) પૅરીસમાં રહીને પણ ભારતીયતાને કલામાં પ્રગાઢ રીતે અભિવ્યક્ત કરતા એસ. એચ. રઝાના અવસાનને કારણે ભારતે એક મહાન કલાકાર ગુમાવ્યા છે. રઝા સાથેના અનેક પ્રસંગો, એમની સાથેની અનેક ક્ષણો યાદ આવે છે અને એમના માટે માન વધી જાય છે.

રઝા સંપૂર્ણપણે ભારતીય હતા. કહું કે આ ધરતીના માણસ હતા. પોતાનાં પત્નીને કારણે પૅરિસમાં રહ્યા, પણ લગભગ દર વર્ષે ભારત આવે જ. એમનાં ચિત્રોમાં ભારતીયતા સંપૂર્ણપણે જોવા મળે છે. અહીંની રંગોથી ભરેલી ભાતીગળતાનાં ચિત્રો આપણને ખાસ આકર્ષે છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ, સૌરાષ્ટ્ર વગેરે પ્રદેશનાં જે ચિત્રો થયાં છે, એમાં ભારતીયતાનો પ્રાણ છે. તેઓ ચિત્રસંયોજન, રંગ અને ભારતીય તત્ત્વદર્શનની ‘બિંદુ’ની ભાષાથી પોતાની જાતને વ્યક્ત કરતા રહ્યા છે. રઝા ભારતીય પરંપરાના મૂળને જુદી રીતે વ્યક્ત કરે છે, આથી પણ મને એમના કામમાં રસ પડે છે.

મને રઝાનું કામ ગમતું, એમની અધ્યાત્મની વાતો, ભારતીયતાને લઈને આવતાં ચિત્રો એ બધું ગમતું બન્ને રીતે કે તેઓ પ્રોગ્રેસિવ આર્ટગ્રૂપમાં હતા, તેના વિશે અને એમના કામ વિશે. પરંતુ કોઈ સંપર્ક નહોતો. હુસેન સાથે એમની અનેક વાતો થાય. હુસેન કહેતા કે રઝા ભારત – બહાર રહ્યા એટલે કામની આખી વાત બદલાઈ. હુસેનને કારણે હું કલાકારનાં ચિત્રોના સેરિગ્રાફ તરફ વળ્યો. એમણે કહ્યું કે તને રઝાનાં ચિત્રોના સેરિગ્રાફ કરવા ખૂબ ગમશે, કેમ કે એ કલરફુલ હોય છે. મને રઝાની ઓળખાણ પણ કરાવી હુસેને. કલ્પના શાહની તાઓ આર્ટ – ગૅલેરીમાં ‘અષ્ટનાયક’ નામના હુસેન, રઝા, તૈયબ વગેરે આઠ ચિત્રકારોના પ્રદર્શનમાં રઝાને મળવાનું બન્યું. એમની સાથે ગ્રાફિક પ્રિન્ટ્સ અંગે ચર્ચા થઈ અને તેઓએ મને પૅરિસમાં મળવાનું નિમંત્રણ આપ્યું. થોડા સમય પછી મેં પરિવાર સાથે એમના ઘરની પૅરિસમાં મુલાકાત લીધી. તેઓએ પોતાનાં તાજાં ચિત્રો બતાવ્યાં, પોતાનાં દિવંગત પત્નીનું કામ બતાવ્યું અને પોતાની ચિત્રકલા વિશેનું છપાયેલું પુસ્તક મને ભેટ આપ્યું. બધી ગ્રાફિક પ્રિન્ટ્સની ટેક્નિકલ વાતો થઈ. ભારત આવ્યા પછી એમનું કામ હાથ પર લીધું. પહેલી પ્રિન્ટ મેં બહુ નાની કરી હતી, તે પૅરિસ મોકલી તો ખૂબ ખુશ થયા. મને કહે કે ‘આપ કિતની બડી પ્રિન્ટ બના શકતે હો?’ મેં કહ્યું કે તમે જેટલી કહો તેટલી. પછી તો પાંચ બાય પાંચ ફૂટની પ્રિન્ટ્સ પણ તૈયાર કરી અને તેઓ બહુ રાજી થયા. એ રીતે અમારો સંબંધ બંધાયો, જે છેલ્લે સુધી જળવાયો અને અમારા કૌટુંબિક સંબંધો પણ રહ્યા. આંતરરાષ્ટ્રીય કક્ષાના આ કલાકારનાં ચિત્રોનું પ્રદર્શન યોજવાનું, એમની અનેક પ્રિન્ટ્સ તૈયાર કરવાનું એમની સાથે રહેવાનું બન્યું, એને હું મારા જીવનની ધન્ય પળો માનું છું.

મને સૌથી વધારે યાદ આવે છે એ દિવસ, જ્યારે એમણે કહ્યું કે તમારા ઘરના બગીચામાં જ મારે ચિત્રપ્રદર્શન યોજવું છે. એ ધારે તે ગૅલેરીમાં પ્રદર્શન યોજી શકાય એવી એમની શાખ અને પ્રતિભા હતી, સગવડ પણ હતી. પણ એમણે કહ્યું કે નહીં-નહીં, અહીં તમારા ઘર-આંગણે જ ચિત્રપ્રદર્શન ગોઠવવું છે. મેં તરત જ સાંઠ-સિત્તેર ઇઝલની વ્યવસ્થા કરી, એના પર ચિત્રો ગોઠવ્યાં અને દરેક ચિત્ર પર લેમ્પ ગોઠવ્યા. સાંજે સાડા સાત વાગ્યે ઓપનિંગ કર્યું. રઝા એ વખતે વ્હીલચૅરમાં હતા. ગાર્ડનમાં વ્હીલ ચૅર ચાલે નહીં, તો પણ કહે કે ના, મારે તો આખું પ્રદર્શન જોવું છે. અને એમણે ઊભા થઈને ચાલતાં-ચાલતાં એ પ્રદર્શન માણ્યું. ચિત્રકારો અને મિત્રોને નિમંત્રણ આપ્યું અને એ રીતે એક અંગત અને અવિસ્મરણીય ચિત્રપ્રદર્શન મારા બગીચામાં યોજવામાં આવ્યું. એ પ્રસંગને અનુરૂપ અમે ઇટાલિયન ભોજન બનાવ્યું હતું, પણ એમણે કહ્યું કે ઘર મેં જો ખાના બનતા હૈ વો હી મુઝે દો. તો એમણે ખીચડી ને એવું સાદું ભોજન લીધું.

પ્રથમ વાર રઝાની પ્રિન્ટ્સ તૈયાર કરી હતી, તે પછીના સમયમાં તેઓ મુંબઈ આવ્યા ને ત્યાંથી અમદાવાદ આવ્યા. મારા ઘરે આવીને રહ્યા તો એમને ખૂબ જ ગમ્યું. મને કહે કે બસ, હવે મારે અહીં જ રહેવું છે, અમદાવાદમાં જ રહેવું છે. એ વખતે એમના મનમાં ભારતમાં સ્થાયી થવાનું ચાલતું હતું. કેમ કે એમનાં પત્ની જાનીનનું અવસાન થયેલું. તો મને કહે કે બસ, તમારી પડોશના આ બંગલામાંથી એક હું ખરીદી લઉં. એ આનંદની વાત હતી, પરંતુ દિલ્હીમાં એ મુખ્ય રીતે કામ સાથે સંકળાયેલા, ત્યાં મિત્રો પણ વધારે, વિદેશથી લોકો મળવા આવે, શોને કારણે વારંવાર વિદેશ જવાનું થાય એટલે આખરે દિલ્હીમાં એમણે ઘર લીધું. પણ, એમની એ ભાવના મને સ્પર્શી ગઈ. મારે ત્યાં આવે તો ભારતીય અને સાદું ભોજન જ લે. ખીચડી અને દાળ-રોટી કે એવું કંઈક સાદું ભોજન. પરિવારના બધા સભ્યો સાથે વાતો કરે. એક દિવસ મને કહે કે કલર આપો. મેં એમને કલર આપ્યા. તો એમણે સુંદર શબ્દોમાં લખી આપ્યું કે “સભી શહર જમાત હમરી, સભી ગાઁવ મેં મેલા; હમ સબ મા, સબ હૈ હમ મા, હમ હી બહુરી અકેલા. અનિલ ઔર તનુજા કો, ઇસ દેશયાત્રા કી સ્મૃિત મેં સપ્રેમ. ૧પમી ફેબ, ર૦૦૮.’’ બિંદુના ચિત્ર સાથેનું આ લખાણ મેં અમૂલ્ય મૂડીની જેમ સાચવી રાખ્યું છે.

તેઓ ખૂબ સાદા અને ડાઉન ટૂ અર્થ હતા. એમનું જીવન આધ્યાત્મિક હતું. બધા પર વિશ્વાસ મૂકે. પૅરિસના ઘરમાં કૅરટેકર તરીકે કામ કરનાર લોકો તરફથી મોટી તફડંચી અને છેતરામણીનો ભોગ બન્યા પણ કદી ય તેની વાત ન કરે. મને તો એ બધું બીજા લોકો દ્વારા જાણવા મળ્યું. અહીં આવીને કદી ય ભારત વિશેની ફરિયાદ ન કરે અને પૅરિસ કે વિદેશનાં ગાણાં ન ગાય. એટલે, એમણે આખી જિંદગી ભારતને મિસ કર્યું, પણ પૅરિસમાં રહ્યા છતાં પૅરિસને કદી મિસ ન કરતા. આ બધું મને ખૂબ આકર્ષે. અમિત અંબાલાલે વાત કરી કે અગાઉ મારા ફાર્મ પર આવ્યા તો એટલા બધા અભિભૂત થઈ ગયા કે માટી પર બેસી ગયા, કોડિયામાં માટી મૂકી અને કહે કે હું આને પૅરિસ લઈ જઈશ! એક વાર ‘વિશાલા’ જમવા ગયા, તો વ્હીલચૅરમાં હોવા છતાં નીચે બેસીને જમવાનો આગ્રહ રાખ્યો. નીચે તો ન જ બેસી શકાયું એમનાથી, પણ આ બધી અંદરની સંવેદના આપણને સતત આ ભૂમિ માટેના પ્રેમના રૂપે દેખાયા કરે. અહીંના લોકો, અહીંની માટી, આ દેશ એમને ખૂબ પ્રિય હતાં. અમદાવાદ આવે તો ગાંધીઆશ્રમ ચોક્કસ જાય જ. એક વાર કહે કે મુઝે ગાંધીહાટ લે ચલો. ત્યાંથી સરસ ખાદીનાં કપડાં લીધાં અને પહેર્યાં. મેં એમને ગાંધીજીની છબી સામે આંસુ પાડતાં જોયા છે!

રઝાની સ્મૃિતકથા ‘આત્મા કા તાપ’નો ગુજરાતીમાં ‘આત્માની ધધખ’(પ્રકાશન : ર૦૦૭)ના નામે અનુવાદ પ્રકાશિત કરવાનું મને સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. જનક ત્રિવેદીની સહાયથી, અશોક વાજપેયીનાં લખાણો સાથેની આ કૃતિ ગુજરાતીમાં પ્રગટ કરી. રઝાના હસ્તે એનું વિમોચન કરવાનું વિચારેલું, પરંતુ અનુવાદક જનક ત્રિવેદીનું, પુસ્તકનું પ્રકાશન થવાનું હતું તે જ ગાળામાં અવસાન થયું એટલે એ પ્રમાણે ભવ્ય ગ્રંથાર્પણ કરવું શક્ય ન બન્યું અને સાવ સાદી રીતે એ પુસ્તક ખુલ્લું મૂક્યું. રઝાની ચિત્રસાધના અને સર્જનાત્મકતા વિશે જાણવા ઇચ્છનારે આ પુસ્તક વાંચવા જેવું છે.

રઝા પોતાના જીવનની, અધ્યાત્મની, ચિત્રસર્જનની વાતો કરતા રહેતા. એમને અમદાવાદ, ગુજરાત એટલે ગમતાં, કેમ કે અહીં આડંબર ઓછો છે. એમની સાથે વિતાવેલો સમય એક અમૂલ્ય સંભારણું છે. એમના જીવનમાં ચિત્રકલાના પણ જે તબક્કા આવ્યા, તેમના સાક્ષી પણ થવાનું બન્યું. રઝાનાં ઘણાં બધાં ચિત્રોના સેરિગ્રાફનું કામ મારા સ્ટુડિયોમાં થયું છે, એટલે એમની કલાયાત્રામાં સાથે-સાથે જાણે ચાલ્યો હોઉં એમ લાગ્યા કરે. એમની ‘બિંદુ’ની વિભાવના, વચ્ચે શાંતિને કારણે રચાયેલ મૉનોક્રોમેટિક કલાકૃતિઓ, વળી પાછા ભારતમાં આવતાં શરૂ થયેલ રંગીન ચિત્રાવલી એ બધું જ નજર સામે તરવર્યા કરે છે. મને એમની કલાનો એટલો બધો પરિચય, પ્રેમ અને નાતો કે ત્યાંથી એમણે મોકલાવેલ ચિત્રની ડિજિટલ પ્રિન્ટના કલરમાં કોઈ ફેરફાર થયો હોય તો મને તરત ખબર પડે કે આ કલર રઝાનો ન હોઈ શકે. હું એમને મળું, રંગ વિશે વાત કરું તો તરત જ મને સમજાય કે મારું અનુમાન સાચું હતું. તો, અમારા સંબંધ બહુ જ આત્મીય હતા. આવા, ભારતીય ચેતનાને સતત અભિવ્યક્ત કરનાર ઉમદા કલાકાર એસ. એચ. રઝાને આદરપૂર્વક સ્મરીને હું ભાવપૂર્વક અંજલિ આપું છું. એમને કોટિ-કોટિ વંદન !

e.mail : anil@archerindia.com

સૌજન્ય : “નિરીક્ષક”, 01 સપ્ટેમ્બર 2016; પૃ. 19-20

Loading

7 September 2016 admin
← સ્વતંત્રતા એટલે…
પૂરની ન્યૂઝ સ્ટોરી પાછળની ‘સ્ટોરી’ →

Search by

Opinion

  • સોક્રેટિસ ઉવાચ – ૧૧
  • પન્ના કી તમન્ના હૈ કી હીરા મુજે મિલ જાયે …  અપની જગહ સે કૈસે પરબત હિલ જાયે?
  • મસાણ અને મોક્ષની મોકાણમાં જીવતા વારાણસીના દલિત ડોમ
  • એકલતાની કમાણી
  • સમાજવાદની 90 વર્ષની સફર: વર્ગથી વર્ણ સુધી

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved