Opinion Magazine
Number of visits: 10,200,409
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

નારી શક્તિને વંદન કે માત્ર શબ્દોની રમત ?

રમેશ ઓઝા|Opinion - Opinion|20 September 2026

રમેશ ઓઝા

કાયદા પંચે તેના ૨૦૧૮ના અહેવાલમાં નોંધ્યું છે કે સમાન નાગરિક ધારો (યુનિફોર્મ સિવિલ કોડ) હોવા ન હોવાથી કોઈ મોટો ફરક પડવાનો નથી કારણ કે સમાન નાગરિક ધારાનો ઉદ્દેશ જો સ્ત્રીને ન્યાય આપવાનો હોય અને અન્યાય ન જ કરવાનો હોય તો મહત્ત્વ એ વાતનું નથી કે અલગ અલગ સમાજમાં  સ્ત્રીનું તુલનાત્મક શું સ્થાન છે. મહત્ત્વ એ વાતનું છે કે તમારા પોતાનાં પરિવારમાં અને તમારા પોતાનાં સમાજમાં સ્ત્રીનું શું સ્થાન છે? (અંગ્રેજીમાં કહ્યું છે; within family and within community and not between communities.) અને આ વાત હિંદુ સહિત દરેક કોમને લાગુ પડે છે. 

આ નિરીક્ષણ હજુ એકવાર વાંચી લો, કારણ કે પોતાને બીજાં કરતાં મહાન, ન્યાયપ્રિય અને સુધરેલા માનનારા લોકો સામે આ કથન દર્પણ ધરવાનું કામ કરે છે. ડૉ રામ મનોહર લોહિયાએ પણ તેમની પ્રસિદ્ધ નાનકડી પુસ્તિકા ‘હિંદુ વિરુદ્ધ હિંદુ’(હિન્દીમાં હિંદુ બનામ હિંદુ)માં આ જ વાત કહી છે. તેમણે કહ્યું છે કે હિંદુ સમાજમાં પરિવર્તન ઈચ્છનારાઓ અને પરિવર્તન નકારનારાઓ વચ્ચે હજારો વરસથી એક પ્રકારનો આંતરિક સંઘર્ષ ચાલી રહ્યો છે. ક્યારેક કોઈ વ્યક્તિને અને ક્યારેક સમાજના કોઈ એક હિસ્સાને કોઈ ને કોઈ પ્રકારના સામાજિક-ધાર્મિક રિવાજ અનુસાર બહાર રાખવા એ હિંદુ પીંડનો અંતર્ગત હિસ્સો છે અને તેને અંદર લેવા એમાં પરિવર્તન રહેલું છે અને પરિવર્તનશીલતાની એ અંતિમ કસોટી છે. તેમણે ચાર માપદંડ આપ્યા છે. ૧. જ્ઞાતિ, ૨. પરિવારમાં સ્ત્રીનું સ્થાન (આદર પ્રેમ નહીં, સ્થાન) ૩. સંપત્તિ અને વારસાહક અને ૪. સહિષ્ણુતા. 

પોતાને ઉચ્ચકુલીન, ઉચ્ચશિક્ષિત, આધુનિક, સભ્ય, સંસ્કારી તરીકે ઓળખાવનારા કેટલા હિંદુ મળી આવશે જે પોતાની દીકરી જો કોઈ દલિત યુવક સાથે કે મુસ્લિમ યુવક સાથે પરણવા માગતી હોય તો હોંશે હોંશે પરણાવશે? દીકરી પુખ્ત વયની છે, પોતાની રીતે અને પોતાની પસંદગીના યુવક સાથે તે જિંદગી જીવવા માગે છે તેનો તે અધિકાર છે અને હું કોણ અનુમતિ આપનાર એમ કેટલા લોકો સમજે છે? અરે, મુસલમાન અને દલિત તો બાજુએ રહ્યા ઉચ્ચશિક્ષિત માંસાહારી હિંદુ પરિવારમાં પણ દીકરીને નહીં પરણાવે. આવી છે સમાનતાની સમજ અને સમાનતા સ્વીકારનારી સહિષ્ણુતા. આવી જ રીતે કેટલા કહેવાતા સુધરેલા હિંદુ પોતાની દીકરીને પરિવારમાં એટલું જ સ્થાન આપે છે જેટલું એ દીકરાને આપે છે અને મુખ્યત્વે સંપત્તિમાં તેના હકનો પૂરેપૂરો હિસ્સો આપે છે? કેટલા ભાઈ કહે છે કે બહેન કરતાં હું એક રૂપિયો વધારે નહીં લઉં. બહુ પોરસાઈને અને સંસ્કારિતાના ભાગરૂપે કહેશે કે દીકરી (કે બહેન) તેના સાસરે સુખી છે અને સંતોષી છે, તેને કશું જોઈતું નથી. દીકરીને ડાહી અને સંતોષી તરીકે ઓળખાવવી એ ઉદારતા અને સંસ્કાર નથી, તેને તેનું સ્થાન અને સંપત્તિમાં હિસ્સો આપવો એ ખરી કસોટી છે, સહિષ્ણુતા છે. સહિષ્ણુતા, ઉદારતા અને સંસ્કારિતાનો અંતિમ માપદંડ છે. 

સરેરાશ હિંદુ માણસાઈના માપદંડની આ એરણ પર નિષ્ફળ નીવડે છે એટલે એ તરત પરિવારની અંદર અને પોતાના સમાજની અંદર ડોકિયું કરવાની જગ્યાએ અથવા આત્મનિરીક્ષણ કરવાની જગ્યાએ બીજા સાથે તુલના કરવા લાગે છે અને માટે કાયદા પંચે કહ્યું છે within family and community and not between communities. અને આ એક એવી તુલના છે જેમાં તુલના કરનારની સર્વોપરિતા પૂર્વનિશ્ચિત છે. મુસલમાન હિંદુ કરતાં પોતાને મહાન સમજે છે અને હિંદુ મુસલમાન કરતાં અને બન્નેમાંથી કોઈ પોતાની અંદર નજર કરવા તૈયાર નથી. એ ખોટનો ધંધો છે. 

કેન્દ્રના ગૃહ પ્રધાન અમિત શાહે કહ્યું છે કે ભા.જ.પ. શાસિત ૨૧ રાજ્યોમાં ૨૦૨૯ની સાલ સુધીમાં સમાન નાગરિક ધારો લાગુ કરવામાં આવશે. ઉત્તરાખંડમાં ૨૦૨૫થી આ ધારો લાગુ છે. ગુજરાત, આસામ અને મધ્ય પ્રદેશમાં ખરડો પસાર કરવામાં આવ્યો છે અને રાષ્ટ્રપતિની મંજૂરીની રાહ જોવાઈ રહી છે. આની યાદ આવવાનું કારણ સ્ત્રીઓ માટેની મમતા અને ન્યાય છે? તમને યાદ અપાવું કે ૨૦૨૩ની સાલમાં બંધારણમાં સુધારો કરીને નારી શક્તિ વંદન અધિનિયમ ઘડવામાં આવ્યો હતો જેમાં રાજ્યો અને કેન્દ્રનાં લોકપ્રતિનિધિગૃહોમાં સ્ત્રીઓ માટે ૩૩ ટકા બેઠકો અનામત રાખવાની જોગવાઈ છે જેને હજુ સુધી લાગુ કરવામાં આવ્યો નથી. સરકાર તેને પરિસીમન ખરડાની સાથે તેમ જ હવે પછી થનારી વસ્તી ગણતરી સાથે જોડે છે. શા માટે? “નારી શક્તિ”ને “વંદન” કરવા માટે રાહ જોવાની હોય! ભારી ભરખમ શબ્દો અને આપવાનું કશું જ નહીં. દીકરીનાં ખોટાં વખાણ કરનારાઓમાં અને નારી શક્તિને વંદન કરનારાઓમાં કોઈ ફરક નથી, બન્ને એક સરખા ખોટા છે. 

તમને કદાચ જાણ હશે કે ૧૧મી એપ્રિલ ૧૯૪૭ના રોજ (આઝાદી મળી તેના ચાર મહિના પહેલાં) કેન્દ્રના કાયદા પ્રધાન ડૉ આંબેડકરે એ સમયની બંધારણસભા જે સાથે સાથે લોકસભા તરીકે પણ કામ કરતી હતી તેમાં હિંદુ કોડ બીલ રજૂ કર્યું હતું. હિંદુ સ્ત્રીઓને એક સાથે દરેક રીતે ન્યાય આપનારો એ ખરડો ત્યારે પસાર થઈ શક્યો નહોતો. પ્રચંડ વિરોધ થયો હતો અને મોટા ભાગના વિરોધ કરનારાઓ ઉચ્ચ કુલીન ઉચ્ચશિક્ષિત હિંદુ બ્રાહ્મણો હતા. લોકસભાની અંદર કાઁગ્રેસી હિંદુઓ અને લોકસભાની બહાર સનાતની હિંદુઓના અનેક સંગઠન, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, રામરાજ્ય પરિષદ વગેરેએ તેનો વિરોધ કર્યો હતો. ગૃહમાં અને ગૃહની બહાર એ સમયે થયેલી ચર્ચા ઉપલબ્ધ છે. તેમણે શું દલીલો કરી હતી એ જોઈ જશો તો ખ્યાલમાં આવશે કે એ સમયે સમાન નાગરિક ધારો બંધારણનો હિસ્સો કેમ નહોતો બની શક્યો. સમાન નાગરિક ધારાનો મુસલમાનોએ વિરોધ કર્યો હતો એટલે તે સમયે તેને બંધારણમાં આમેજ કરવામાં નહોતો આવ્યો અને તેને માર્ગદર્શક સિદ્ધાંતોની યાદીમાં ધકેલી દેવો પડ્યો એમ કહેવું એ સંપૂર્ણ સત્ય નથી. મુસલમાનોએ વિરોધ કર્યો હતો એ ખરું, પણ હિંદુઓએ ક્યાં હિંદુ કોડ બીલ પસાર થવા દીધું હતું. 

સવર્ણ હિંદુઓનું વલણ જોઇને ડૉ આંબેડકર ઉશ્કેરાઈ ગયા હતા અને સવાલ કર્યો હતો જે લોકો પોતાનાં ઘરની, તેમની પોતાની મા બહેન અને દીકરીઓને ન્યાય આપતા નથી એ દલિતોને શું ખાખ ન્યાય આપવાના છે! કોઈ જવાબ છે તમારી પાસે ડૉ આંબેડકરને આપવા માટે?  એ સમયે જવાહરલાલ નેહરુએ ડૉ આંબેડકરને કહ્યું હતું કે સમય અને સમજાવટને પણ એક મોકો આપવો જોઈએ. ધીરજ ધરો, એક સાથે સ્ત્રીઓને ન્યાય આપવાનો વિરોધ થઈ રહ્યો છે તો આપણે ટૂકડે ટૂકડે, આસ્તે આસ્તે સમજાવીને, અનુકૂળ ભૂમિકા બનાવીને એ બીલ પસાર કરીશું. ડૉ આંબેડકરે તો ગુસ્સામાં આવીને નેહરુના પ્રધાનમંડળમાંથી રાજીનામું આપી દીધું, પણ નેહરુએ ૧૯૫૬ સુધીમાં ધીરે ધીરે ખરડાઓ પસાર કરાવતા જઇને હિંદુ સ્ત્રીઓને ન્યાય આપ્યો હતો. મૂળ હિંદુ કોડ બિલમાંથી કશું જ બાકી નહોતું રાખ્યું. 

ન્યાય માટે પ્રતિબદ્ધતા હોય, માણસાઈ માટે નિસ્બત હોય, પરિવારની અંદર કોઈને અન્યાય થતો જોઇને દિલ દુભાતું હોય તો નેહરુને જે સફળતા મળી એ અત્યારના શાસકોને પણ મળે. પણ એને માટે કાયદા પંચે કહ્યું એમ પરિવારની અંદર અને આપણા પોતાના સમાજની અંદર નજર કરવી જોઈએ અને સુધારા કરવા જોઈએ. આવા સુધારા કરવા માટે ભૂમિકા બનાવવી જોઈએ. મોટાભાગના પારિવારિક કાયદાઓ (પર્સનલ લોઝ) સ્ત્રીઓને અન્યાય કરનારા છે. અલગ અલગ કોમમાં અન્યાયનું સ્વરૂપ માત્ર અલગ અલગ છે, પણ તેનાથી મુક્ત કોઈ નથી. કોઈ પણ પ્રકારના કોમી એજન્ડા વિના આમ કહેતા શીખવું જોઈએ. Between નહીં within. 

પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 20 સપ્ટેમ્બર 2026

Loading

20 September 2026 Vipool Kalyani
← ચલ મન મુંબઈ નગરી—359
દસ મિનિટનો ફોટોગ્રાફ →

Search by

Opinion

  • દસ મિનિટનો ફોટોગ્રાફ
  • ચલ મન મુંબઈ નગરી—359
  • આપણે કયા ગુજરાતની વાત કરી રહ્યા છીએ?
  • દશમી ભાષા-સાહિત્ય પરિષદ :
  • સ્કૂલમાં ન ભણાવે તે શિક્ષક છે …

Diaspora

  • આપણે કયા ગુજરાતની વાત કરી રહ્યા છીએ?
  • દશમી ભાષા-સાહિત્ય પરિષદ :
  • યુ.કે.માં ડ્રાઇવિંગની પરીક્ષા
  • અમીના પહાડ (1918 – 1973) 
  • છ વર્ષનો લંડન નિવાસ

Gandhiana

  • આતંકવાદ અને અસમતોલ યુદ્ધના માહોલમાં ગાંધી 
  • શાંતિની સ્થાપના અને જાળવણી શક્ય છે.
  • कौमी संवादिता की मधुशाला[1]
  • શું આ જ કળિયુગની પરિભાષા હશે ? 
  • આંતરિક શક્તિ : હિંમત, અંતરાત્માનો અવાજ અને અહિંસક પ્રતિકાર 

Poetry

  • ને ,પાળ તૂટી! !
  • હળવે હળવે હળવે
  • બગલ ખંજવાળો
  • નિષ્ક્રમણ
  • ગઝલ

Samantar Gujarat

  • ઇન્ટર્નશિપ બાબતે ગુજરાતની યુનિવર્સિટીઓ જરા પણ ગંભીર નથી…
  • હર્ષ સંઘવી, કાયદાનો અમલ કરાવીને સંસ્કારી નેતા બનો : થરાદના નાગરિકો
  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!

English Bazaar Patrika

  • State-Sponsored Communal Profiling : The Gujarat Government Must Be Held Accountable
  • My mother cries on the phone’: TV’s war spectacle leaves Indians in Israel calming frightened families
  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory

Profile

  • તપસ્વી સારસ્વત ધીરુભાઈ ઠાકર
  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved