
સોનલ પરીખ
મારી દીકરી, એના મેડિકલના અભ્યાસક્રમના ભાગ રૂપે મુંબઈથી વીસપચીસ કિલોમીટરના અંતરે આવેલા એક ગામડામાં હેલ્થ ઑફિસર તરીકે કામ કરતી હતી. સિસ્ટમ એવી હતી કે એનો અને એના જેવા અનેકનો પગાર થાણાની સરકારી ઑફિસમાંથી થાય. દર મહિને જઈને ચેક લઈ આવવાનો. કારકુનને પૈસા ખવડાવો તો એ ચેક આપે, નહીં તો ‘આજે તૈયાર નથી, પછી આવજો’ કહી ચેક ન આપે. રકમ પણ નક્કી. પાછો કહે, ‘મારા એકલાના ખિસ્સામાં નથી જતા. છેક ઉપર સુધી બધાનો ભાગ છે.’ એને ખબર હોય કે પોતપોતાના હેલ્થ સેન્ટરમાંથી બેત્રણ કલાકની મુસાફરી કરીને ગયેલા લોકો ચેક માટે બીજો ધક્કો ખાવા ભાગ્યે જ તૈયાર હોય. એ વખતે મારી દીકરીએ કહેલું એક વાક્ય મને યાદ રહી ગયું છે, ‘લોકો બીજી કોઈ સેવા ન કરે, માત્ર જેને માટે પગાર લે છે એ કામ બરાબર કરે તો પણ આપણો દેશ ઊંચો આવી જાય.’ આ સરકારી હેલ્થ સેન્ટરોમાં સેવા આપવાનો પગાર મળે, છતાં અનેક હેલ્થ ઑફિસરો ગામડાના દર્દીઓ પાસેથી પૈસા લે. દર્દીઓ બિચારા જાણતા ન હોય, એમને થાય, ‘ડાગટર જોઈ દ્યે તો પૈસા તો લ્યે જ ને!’ આ દર્દીઓ પાછા પોતપોતાના ક્ષેત્રમાં શોષણ કરતા હોય કે પછી શોષણનો ભોગ બનતા હોય. અનેક આરાવાળું વિષચક્ર ફરતું રહે.
આ ભારતમાં હું વસું છું, શ્વસું છું. કેવું ભારત આપવું છે મારે મારાં સંતાનોને, કેવું ભારત આપવું છે આપણે આપવી નવી પેઢીને ?
મારાં સ્વપ્નોનું પણ એક ભારત છે, જેમાં ધનની રેલમછેલ ન હોય, પણ દરેક, ગરિમાપૂર્વક જીવવા મળે એટલું સ્વમાનભેર કમાઈ શકે એવો અવકાશ હોય, જ્યાં દરેકને તંદુરસ્ત રહી શકાય એવાં ખોરાક-પાણી અને હવા-ઉજાસવાળું સુઘડ રહેઠાણ મળતું હોય, દુનિયામાં પોતાના જોરે પગ મૂકી શકાય એવું ને એટલું શિક્ષણ સરળતાથી પ્રાપ્ત હોય, સર્વસુલભ એવી પાયાની આરોગ્યસેવાઓ હોય, જ્યાં એકબીજાના ખભે ચડીને નહીં, એકબીજાના હાથ પકડીને આગળ વધવાનું હોય.
મારાં સ્વપ્નોનું પણ એક ભારત છે, જ્યાં શોષણ, ભ્રષ્ટાચાર, અન્યાય અને સ્વાર્થ ઓછામાં ઓછા હોય, જ્યાં સમાનતા હોય, જ્યાં માણસને માણસ તરીકેનું ગૌરવ મળતું હોય – પછી એ ગરીબ હોય કે અભણ, સ્ત્રી હોય કે પુરુષ, કોઈ પણ વર્ણનો હોય, કોઈ પણ જ્ઞાતિનો હોય, કોઈ પણ ધર્મ પાળતો હોય, કોઈ પણ ભાષા બોલતો હોય, કોઈ પણ પ્રદેશમાં વસતો હોય. પરસ્પર સદ્દભાવનું વાતાવરણ હોય. વિકસવાની સમાન તક હોય. કોઈએ કોઈથી ડરવાપણું ન હોય.
આ સ્વપ્ન એટલું મોટું તો નથી કે સાકાર ન થાય. આ સ્વપ્ન મારા જેવા અનેકે જોયું હશે, જોતા હશે. એને માટે મહેનત પણ કરતા હશે. પણ હકીકત એ છે કે આ સ્વપ્ન સાકાર થાય એવા ચિહ્નો ભાગ્યે જ દેખાય છે. હકીકત એ પણ છે કે સમજદારોને, બુદ્ધિશાળીઓને, જાણકારોને આ સ્વપ્ન જોનારા બાલિશ, ગાંડા, કલ્પનાઓમાં રાચનારા અને એટલે ગંભીરતાથી ન લેવા જેવા લાગે છે.
કેમ આવું થયું છે ? કેમ કે આપણે ત્યાં જવાબદાર અને ઈમાનદાર નાગરિકોની અછત છે. રાજકારણીઓ પર બધું ઢોળી નહીં શકાય. તેઓ આપણામાંથી જ આવે છે. ખુરશી ઉપર આપણે જ તેમને બેસાડીએ છીએ ને પછી અમર્યાદ સત્તા ભોગવવા દઈએ છીએ. બેદરકાર રહીએ છીએ, ભોળવાઈએ છીએ, ટૂંકા સ્વાર્થમાંથી નીકળતા નથી, દેશ માટે ઝાઝી મહેનત કરતા નથી. બહુ થાય તો સરકારને ગાળો આપી દઈએ છીએ. આપણો દેશ જેવો છે એવો આપણા જ પાપે અને આપણા જ પુણ્યે બન્યો છે.
અમે રોજ ગાઈએ છીએ, ‘કંગાલોને માનહીણાં કરું ના, જાલિમોને પાય ઝૂકી પડું ના, ઊંચે માથે ક્ષુદ્રતાની વચાળે, ચાલું એવી શક્તિ આપો પ્રભુજી’ આ સીધીસાદી દેખાતી પંક્તિઓમાં જીવનનો અર્ક છુપાયેલો છે. આ રીતે જીવવા માગતા અને દેશને શોભાવતા નાગરિકો આપણે બની શક્યા છીએ ? જે આપણા કૂવામાં નથી તે નવી પેઢીના હવાડામાં કેમનું આવશે ?
શિક્ષણ, શાસન અને વ્યક્તિગત શિસ્ત આ ત્રણે મોરચે પ્રાથમિકતા શાને અપાય છે તે પર ઘણો બધો આધાર છે. મને એમ થાય કે આપણી શાસન-વ્યવસ્થા, આપણી શિક્ષણ-વ્યવસ્થામાં આવું નાગરિકત્વ ખીલવવાને અગ્રિમતા મળવી જોઈએ. અક્ષરો અને અંકો શીખવીએ છીએ તેમ મૂલ્યો પણ શીખવીએ. રાજનીતિનું, શિક્ષણસંસ્થાઓનું માળખું જ એવું હોવું જોઈએ કે ઉછરતાં બાળકોમાં શિસ્ત, મૂલ્યો, મહેનત અને જવાબદારીની ભાવના ખીલે. મોટા આદર્શો કે મોટા શબ્દો નહીં, માત્ર એટલો આગ્રહ કે પરિવાર, સમાજ અને પ્રકૃતિને નુકસાન થાય એવું હું નહીં કરું – બસ છે.
નઈ તાલીમ સ્પર્ધા કે સરખામણીમાં નહીં; સૌના સહિયારા વિકાસમાં માને છે, એનું સીધુંસાદું જગત છે, સીધુંસાદું આકર્ષણ છે અને નક્કર પરિણામો છે. પ્રચલિત શિક્ષણ ગળાકાપ સ્પર્ધા અને ઢગલો નાણાંના કિનારાઓ વચ્ચે થોડાક નસીબદારોની ઝોળીમાં કહેવાતી સફળતા ઠાલવે છે ને આ નસીબદારો દેશની કમનસીબ જનતાના સુખદુ:ખના મહાપ્રવાહ પર પોતાના ટાપુ બનાવી જીવ્યે જાય છે. આ બે છેડાઓ વચ્ચે પસંદગી કરવી અઘરી નથી, પણ બહુ સરળતાથી, બહુ બેદરકારીથી, બહુ દેખાદેખીથી અને પ્રચારોથી, સરકારોની નીતિઓથી દોરવાઈ આપણે ખોટી દિશામાં દોડી ગયા છીએ. એના ફળ ભોગવવા તો પડશે જ.
નવી પેઢી માટે જે મૂકી જવું હોય તે પહેલા વર્તમાન પેઢીએ ઊભું કરવું પડે. એવું લાગે છે કે આપણે અનેક બાબતે સ્પષ્ટ થયા વિના, સમજ્યા વિના, સાવધ થયા વિના, સંતુલિત થયા વિના આપણને મળેલા સમયને બસ, પસાર કરી ગયા છીએ. એનું એક કારણ ત્રીજા વિશ્વમાં હોવાને કારણે કરવા પડતા સંઘર્ષ છે. પોતાને બે પગ પર ઊભા કરવામાં અને પરિવારને ઠીકઠાક પોષવામાં આપણે ખલાસ થઈ જઈએ છીએ. એથી આગળનું વિચારવા નથી સમય મળતો, નથી શક્તિ બચતી. પણ આ સંઘર્ષ સાથે પણ થોડી સક્રિય વિચારશીલતાનું હોવું અશક્ય નથી. એ નથી એટલે ચિત્ર જુદું થયું છે, એ હોત તો ચિત્ર જુદું હોત. આપણે જેને બગાડ્યું છે એ ચિત્ર નવી પેઢી વધારે બગાડે એવો જ સંભવ તો છે.
માટે આંખો ખોલીએ, સમજીએ, સુધરીએ. ઓશો કહેતા, હું તમને આમ કરો એમ નથી કહેતો. આમ કરવાનું છોડો એમ પણ નથી કહેતો. હું તમને એટલું જ કહું છું કે જાગો. જાગશો એટલે બાકીનું બધું આપોઆપ થઈ જશે.
તો જાગીએ. નવી પેઢીને બહેતર દેશ આપીએ.
e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 09 ઑગસ્ટ 2026
![]()

