રખમા: ‘મારી જીભે ખારો સ્વાદ છે, અને છતાં દિલમાં ઘૂઘવે છે સાત સમંદર પાર જવાની અવિરત રટણા.’
“કોર્ટના ચુકાદાનો અમલ ન કરું તો છ મહિના માટે જેલમાં જવું પડશે. પણ જો કરીશ તો તો મારે આજીવન કેદની સજા ભોગવવી પડશે. હું છ મહિનાની કેદ ભોગવવા તૈયાર છું.”
રખમાબાઈના આ શબ્દો સાંભળીને સખારામભાઉનું હૈયું વલોવાઈ ગયું હતું. સવારનાં છાપાં વાંચતાં વાંચતાં જ તેઓ વિચારી રહ્યા હતા કે સાપ મરે નહિ, ને લાઠી ભાંગે નહિ એવો ઉપાય શો? કાયદાની બારીકીઓથી પૂરેપૂરા જાણકાર હતા એ. અદાલતનો ચુકાદો હતો : ‘કાં ભિકાજીનું ઘર માંડ, નહિતર છ મહિના માટે જા જેલમાં’. હવે કરવું શું એ જાણવા માટે સીધા ગયા પોતાના વકીલને ત્યાં. વકીલે કહ્યું : “જુઓ, અદાલતે બે જ રસ્તા ખુલ્લા રાખ્યા છે. રખમા કાં ભિકાજીનું ઘર માંડે ને કાં …”એમની વાતને અધવચ્ચે જ કાપતાં સખારામભાઉએ કહ્યું: “રખમા એ ઘરે જવા તો મુદ્દલ તૈયાર નથી. કહે છે કે સાસરે જઈને આજીવન કેદ ભોગવવી એના કરતાં છ મહિનાની જેલ શું ખોટી.”
સહેજ વાર વિચાર કરીને વકીલે કહ્યું : “જુઓ, છ મહિનાના કારાવાસની સજા બોમ્બે હાઈ કોર્ટે કરી છે એ ખરું. પણ તેનો અમલ ત્યારે જ થાય જ્યારે રખમાનો ધણી કોર્ટને જણાવે કે અદાલતના હુકમ પછી પણ રખમાએ મારી સાથે ઘર માંડ્યું નથી. જો ધણી આવી ફરિયાદ ન કરે તો પોલીસ સામે ચાલીને છ મહિનાની કેદની સજાનો અમલ કરી શકે નહિ. કારણ આ ક્રિમિનલ કેસ નથી, સિવિલ કેસ છે.”
સખારામભાઉ : “પણ ભીકાજી જડસુ માણસ છે, લગભગ અભણ છે. વળી હઠીલો છે. એ માનશે કેવી રીતે?”
વકીલ (સહેજ વિચારીને) : “તમે કહો છો તે વાત સાચી તો છે જ. પણ સાથોસાથ એ માણસ ભંગેરી-ગંજેરી પણ છે. અને એને માટે તો ખિસ્સામાં ફદિયાં જોઈએ. એની પાસે એ નથી. તો આપણે એને ફદિયાં આપીએ અને બદલામાં લખાવી લઈએ કે એ બોમ્બે હાઈ કોર્ટમાં ધા નહિ નાખે. હાઈ કોર્ટના હુકમની અમલબજાવણી થઈ નથી એવી રાવ-ફરિયાદ નહિ કરે. અને તે એમ ન કરે તો અદાલત સામે ચાલીને કશું કરે નહિ.”
સહેજ વાર વિચાર કર્યો, સખારામભાઉએ. એક રીતે તો આ લાંચ આપ્યા બરાબર જ ગણાય. પણ છોકરીના ભવિષ્યનો વિચાર વધુ મહત્ત્વનો. સહેજ ગળું ખોંખારીને બોલ્યા : ‘ભલે. જો એ રીતે રખમાનો છુટકારો થતો હોય તો તેમ કરીએ. તમે ભીકાજી સાથે વાત કરી જુઓ.’
વકીલ : ‘ના, જી. હું તેના વકીલ સાથે વાત કરીશ, અને તે ભિકાજીને કહેશે’.
સખારામભાઉ : ‘તમને જેમ યોગ્ય લાગે તેમ કરો. પણ રખમાને આ ‘ઊલમાં કે ચૂલમાં’ની આફતમાંથી બચાવી લો’.
અને બે હજાર રૂપિયાના બદલામાં ભિકાજી માની ગયો. થોડા દિવસ પછી સખારામભાઉએ રખમાને પૂછ્યું : ‘હવે આગળ શું કરવું એ વિચાર્યું છે?’ જાણે આવા સવાલની રાહ જોઈને જ બેઠી હોય તેમ તે તરત બોલી : ‘આપની જેમ ડોક્ટર બનવું છે.’ સખારામભઉને આ સાંભળી આનંદ તો થયો. પણ સાથોસાથ ચિંતા પણ થઈ. તેઓ પોતે ડોક્ટર હતા, મુંબઈની ગ્રાન્ટ મેડિકલ કોલેજમાં પ્રોફેસર હતા. પણ એ વખતે એ કોલેજમાં છોકરીઓને દાખલ કરતા નહિ. દાક્તરીનું ભણવા રખમાને ઇંગ્લન્ડ મોકલવી જોઈએ. પણ આવવા-જવાનું સ્ટીમરનું ભાડું, કોલેજની ફી, હોસ્ટેલની ફી, બીજા નાના મોટા ખર્ચા … કેમ પહોંચી વળાશે?

રખમાબાઈ, લંડનમાં
અને ત્યાં જ તેમના મનમાં ઝબકારો થયો. મેરી એડીથ પીચી. ગ્રેટ બ્રિટનમાં પહેલવહેલી ડોક્ટર થનારી સ્ત્રી. પુરુષપ્રધાન સમાજને હાથે તેણે ઘણું વેઠ્યું હતું. દાક્તરીના અભ્યાસ માટે એ વખતે ‘હોપ સ્કોલરશીપ’ અપાતી. તેને માટે પરીક્ષા લેવાતી. એ પરીક્ષા આપી. તેમાં બધા ઉમેદવારોમાં પહેલી આવી. પ્રો. ક્રમ બ્રાઉન આ પરીક્ષાના ચાર્જમાં હતા. તેમણે વિચાર્યું : ‘આ પરીક્ષા આપનાર આ એક માત્ર છોકરી છે. જો તેને સ્કોલરશીપ આપીએ તો બીજા બધા છોકરાઓ નારાજ થશે. કદાચ વિરોધ પ્રદર્શન પણ કરે’. બીજા કેટલાક પ્રોફેસરોએ પણ તેમને ટેકો આપ્યો. એટલે તેમણે એ સ્કોલરશીપ મેરીને ન આપતાં તેના પછીના ક્રમે પાસ થયેલા છોકરાને આપી. અને કારણ શું આપ્યું હશે આમ કરવા માટે? કહ્યું કે છોકરીઓ અને છોકરાઓ સાથે ભણતાં નથી. છોકરીઓ માટે અલગ ક્લાસ હોય છે. એટલે છોકરીઓ આ યુનિવર્સિટીની વિદ્યાર્થી ગણાય નહિ. અને એટલે કોઈ છોકરીને આ સ્કોલરશીપ આપી શકાય નહિ.
પણ મેરી હારી નહિ, થાકી નહિ. ડોક્ટર બનીને જ રહી. ૧૮૮૩ના ડિસેમ્બરની ૧૨મી તારીખે તે મુંબઈ આવી. થોડા વખતમાં હિન્દી ભાષા શીખી લીધી. અને મુંબઈની કામા હોસ્પિટલના ડિરેક્ટર તરીકે કામ કરવા લાગી. અહીં પણ તે સ્ત્રીશિક્ષણની જોરદાર હિમાયત કરતી હતી. સખારામભાઉને તેની સાથે થોડી ઓળખાણ ખરી. એટલે મળ્યા તેને. છાપાંઓમાં રખમાબાઈનો કેસ બહુ ગાજ્યો હતો એટલે ડો. મેરી આખા કિસ્સાથી પરિચિત હતી. તેણે તો વાત સાંભળીને તરત કહ્યું : ‘તમે રખમાને લંડન મોકલવાની તૈયારી કરો. તેના ભણવાના ખર્ચની જોગવાઈ થઈ જશે’.

એસ.એસ. કૈસરે હિન્દ
આ સાંભળીને સખારામભાઉને તો બત્રીસે કોઠે દીવા થઈ ગયા. પણ ફરી બીજી ચિંતા : ‘મુંબઈથી લંડન સુધીનું સ્ટિમરનું ભાડું?’ અને સખારામભાઉ મળ્યા પંડિતા રમાબાઈ રાનડે અને બહેરામજી મલબારીને. બંનેએ સાથે મળીને રખમાબાઈને કેસ લડવામાં મદદ કરવા એક ફંડ ઊભું કરેલું. તેમાં હજી સારી એવી રકમ બચેલી. બંનેએ સખારામભાઉને કહ્યું : ‘રખમાનો લંડન જવાનો ખર્ચ નીકળી જાય એટલી રકમ હજી એ ફંડમાં જમા છે. અમે એ રકમમાંથી તેની સ્ટીમરની ટિકિટ કઢાવી આપશું’. સખારામભાઉને હાશકારો થયો : ‘ચાલો, હવે રખમા તેની સફરમાં આગળ વધી શકશે. હવે તેને કોઈ રોકી નહિ શકે. અને રખમાએ લંડનની વાટ પકડી.
પણ કઈ રીતે? ક્યારે? ૨૦૨૧માં પ્રગટ થયેલા પુસ્તક The Untold Stories of India’s First Women in Medicineમાં કવિતા રાવ નોંધે છે કે લંડન જવા માટે રખમાબાઈએ ૧૮૮૯ના માર્ચની ૨૪મી તારીખે મુંબઈનો કિનારો છોડ્યો. પણ પછી તેઓ કહે છે કે રખમાબાઈને મુંબઈથી લંડન પહોચતાં ૪૦ દિવસ લાગ્યા. પણ ૧૮૯૦ના અરસામાં કોઈ પણ સ્ટિમરને મુંબઈથી લંડન પહોંચતાં ૨૧થી ૨૮ દિવસ લાગતા. સિવાય કે રખમાબાઈ મુસાફરી દરમ્યાન વચમાં ક્યાં ય રોકાયાં હોય. તો બીજે એક સ્થળેથી એવી માહિતી મળે છે કે રખમાબાઈએ મુંબઈથી લંડનની મુસાફરી પી. એન્ડ ઓ. કંપનીની કૈસર-એ-હિન્દ નામની સ્ટીમરમાં કરી હતી. ૧૮૭૮માં બંધાયેલી આ સ્ટીમરે તેની લંડન અને મુંબઈ વચ્ચેની પહેલવહેલી મુસાફરી ૧૮૭૮ના સપ્ટેમ્બરની ૨૨મી તારીખે શરૂ કરી હતી. અને તે પછી પણ તે લંડન અને મુંબઈ વચ્ચે નિયમિત રીતે આવ-જા કરતી હતી. એટલે રખમાબાઈ આ સ્ટીમર મારફત લંડન ગયાં હોય એ શક્ય છે.

લંડનમાં સહાધ્યાયીઓ સાથે રખમાબાઈ
લંડન પહોંચીને રખમાબાઈ લંડન સ્કૂલ ઓફ મેડસિન ફોર વિમેન એન્ડ રોયલ ફ્રી હોસ્પિટલમાં ભણવા માટે દાખલ થયાં. ભણતર દરમિયાન તેઓ કોલેજના સ્ત્રીઓ માટેના હોલ (હોસ્ટેલ)માં રહ્યાં. પ્રિન્સિપાલ એલનોર ગ્રોવ અને રોઝા મોરિસન, બંને સ્ત્રી વિદ્યાર્થીઓને બને તેટલી સગવડ અને તક આપવામાં માનતાં હતાં.
અભ્યાસ પૂરો કર્યા પછી પરીક્ષામાં બેઠાં, સારી રીતે પાસ થયાં, પણ ફરી તેઓ સ્ત્રી હતાં એ હકીકત આડે આવી. સત્તાવાળાઓએ કહ્યું કે ડોક્ટર તરીકેની ડિગ્રી મેળવતાં પહેલાં કોઈ હોસ્પિટલમાં એક વરસની તાલીમ લેવી પડે. પણ અહીંની કોઈ હોસ્પિટલમાં સ્ત્રીઓને તાલીમ આપવાની જોગવાઈ નથી. એટલે તમે પરીક્ષામાં પાસ થયાં છો, પણ તમને ડોક્ટરની ડિગ્રી મળશે નહિ. અને ડિગ્રી મળ્યા વગર તમે ડોક્ટર તરીકે કામ કરી શકો નહિ. હવે? આ તો મર્યા નહિ ને ભૂત થયા! પણ લંડનમાં જેવો નિયમ હતો તેવો સ્કોટલેન્ડના એડિનબરામાં નહોતો. એટલે ઊપડ્યાં ત્યાં. એક વરસ તાલીમ લીધી, ડિગ્રી મેળવી. હવે? હવે પાછાં ચાલો હિન્દુસ્તાન.

રખમાબાઈ હોસ્પિટલ, સુરત
અહીં આવીને તેમણે મરાઠીભાષી વિસ્તારને બદલે સુરતમાં કામ કરવાનું પસંદ કર્યું. હા, આખા દેશમાં પહેલવહેલાં ડોક્ટર બનનાર રખમાબાઈ નહિ. તેમની પહેલાં આનંદીબાઈ ગોપાળ જોશી અને કાદમ્બિની ગાંગૂલી, એ બંનેને ૧૮૮૬માં ડિગ્રી મળી હતી. પણ તેમાંથી ડોક્ટર તરીકેની પ્રેક્ટીસ ડો.ગાંગુલીએ જ કરી હતી. એટલે રખમાબાઈ બન્યાં આખા દેશમાં પ્રેક્ટીસ કરનાર બીજાં મહિલા ડોક્ટર, અને આખા મુંબઈ ઇલાકામાં પ્રેક્ટીસ કરનાર પહેલાં મહિલા ડોક્ટર. તેઓ સુરતમાં જે હોસ્પિટલમાં કામ કરતાં હતાં તેની સાથે પછીથી રખમાબાઈનું નામ જોડવામાં આવ્યું. આજે પણ એ હોસ્પિટલ રખમાબાઈ હોસ્પિટલ તરીકે ઓળખાય છે. ૧૯૧૧ના દિલ્હી દરબાર વખતે ગ્રેટ બ્રિટનના રાજવી કિંગ જ્યોર્જ પાંચમા અને ક્વીન મેરીને હાથે ‘કૈસર-એ-હિન્દ’ના ઇલકાબ દ્વારા તેમનું બહુમાન કરવામાં આવેલું. ત્યાર બાદ ૧૯૧૮માં તેઓ રાજકોટ જઈ ત્યાંની હોસ્પીટલમાં જોડાયાં. ત્યાં રેડ ક્રોસ સોસાયટીની શાખા પણ શરૂ કરી. ૧૯૨૯માં નિવૃત્ત થયાં ત્યાં સુધી રાજકોટમાં જ કામ કર્યું.

સુરતમાં ડોક્ટર તરીકે રખમાબાઈ (કલ્પનાચિત્ર)
બે હજાર રૂપિયા લઈને પતાવટ કર્યા પછી ભિકાજીએ તો બીજાં લગ્ન કરી લીધાં હતાં. પણ રખમાબાઈએ ફરી ક્યારે ય લગ્ન કર્યાં નહિ. તેઓ અને ભીકાજી એક દિવસ માટે પણ પતિપત્ની તરીકે સાથે રહ્યાં નહોતાં. છતાં ૧૯૦૪માં ભિકાજીનું મૃત્યુ થયા બાદ રખમાબાઈએ કાયમ માટે પરંપરાગત વિધવા જેવાં જ કપડાં પહેર્યાં. નોકરીમાંથી નિવૃત્ત થયા પછી તેઓ ફરી મુંબઈ આવી વસ્યાં. મુંબઈવાસ દરમિયાન તેમણે ‘Purdah – the need for its abolition’ નામની પુસ્તિકા લખી. છેલ્લાં વરસોમાં તેમને ફેફસાંના કેન્સરનો રોગ લાગુ પડ્યો. નેવું વરસની ઉંમરે, ૧૯૫૫ના સપ્ટેમ્બરની ૨૫મી તારીખે મુંબઈમાં તેમનું અવસાન થયું.
એ પછી તો કેટલાં ય વરસ વીતી ગયાં. છતાં આજે પણ નીતા રામૈયાના શબ્દોમાં રખમાબાઈ જાણે કહી રહ્યાં છે :
આ રસ્તે
માનવમોજાંની છાલક ઝીલતો
હું ખડક છું ખડક :
મારી જીભે ખારો સ્વાદ છે,
અને છતાં દિલમાં ઘૂઘવે છે
સાત સમંદર પાર જવાની અવિરત રટણા.
e.mail : deepakbmehta@gmail.com
*** *** ***
પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; “12 સપ્ટેમ્બર 2026
![]()

