
રવીન્દ્ર પારેખ
આજે 5,25૩મો જન્મોત્સવ. કૃષ્ણનું વ્યક્તિત્વ રાજરાજેશ્વરનું લાગે, પણ તેને પણ અજવાળાં અંધારાં જોવાનાં આવ્યાં છે. જન્મથી લઈને મૃત્યુ સુધી જીવન સામાન્ય માણસનું જ રહ્યું. વિષ્ણુનો એ આઠમો અવતાર. વિષ્ણુએ મત્સ્યાવતાર, નૃસિંહ અવતાર, વરાહ અવતાર, રામ અને કૃષ્ણના અવતારો લીધા, પણ રામ અને કૃષ્ણના અવતારોમાં કૈંક એવું છે જે ભગવાનને ઓછા ને મનુષ્યને વધુ પ્રગટ કરે છે. જો કે, મનુષ્યને દેવ તો ઠીક, મનુષ્ય રહેવું પણ બહુ ગમતું નથી, નહિતર મનુષ્ય મટીને તે પશુ શું કામ બને? વિષ્ણુએ પશુથી મનુષ્ય સુધી વિક્સવાનું સ્વીકાર્યું, તો મનુષ્યે માનવીય ગુણોને બદલે પાશવી આચરણનો મહિમા કર્યો. બધા જ મનુષ્યો કંઇ પાશવતાના પૂજારી નથી, પણ માણસ ઊર્ધ્વગામી બનવાને બદલે અધોગામી બનવા તરફ વધુ ઉત્સુક છે. કહેવાનું તાત્પર્ય એ છે કે મનખા દેહ બહુ નસીબદારને મળે છે, એટલે જ કદાચ ભગવાન પણ મનુષ્ય થવા મથે છે. તે એટલે કે દેવોને કદાચ દુ:ખ નથી ને મનુષ્યને છે.
રામ વનવાસ ભોગવે છે અને કૃષ્ણ મનવાસ ભોગવે છે. રામ પિતૃ સુખ ગુમાવે છે, જ્યારે કૃષ્ણ તો જન્મતાં જ માતૃ અને પિતૃ સુખ ગુમાવે છે. જન્મ જેલમાં થાય છે, પણ તે બંધનમાં રહેતો નથી. જશોદા પણ તેને બાંધે છે, પણ તે બંધાઈ રહેતો નથી. તે પાલક માતાપિતાને ત્યાં પહોંચે છે ને પાલક માતાપિતા પણ મૂળ માતાપિતા જેટલાં જ મૂલ્યવાન છે એ આદર્શ સ્થાપે છે. એનું નિમિત્ત મામા કંસ બને છે. કમાલ એ છે કે બે જ મામા કંસ અને શકુનિ વધુ ખ્યાત છે ને બંને નકારાત્મક ગુણો ધરાવે છે. પહેલાં શું હતું કે દેવ, અસુર ને મનુષ્યની સ્પષ્ટ ઓળખ હતી. રામ અને કૃષ્ણનું ધર્મકાર્ય જ અસુરોના નાશનું હતું, પણ હવે અસુરોનો નાશ થઈ શકે એમ નથી. કારણ તે કદાચ મનુષ્યમાં વસી ગયા છે.
રામ વનવાસી છે, તો કૃષ્ણ મનવાસી છે. કૃષ્ણ ગોકુળના હૈયામાં વસે છે. તે માખણ ચોરે છે, પણ ગોવાળોમાં વહેંચે પણ છે. ગોપીઓની મટુકી ફોડે છે, તે એટલે કે કંસને ભરાતાં દૂધદહીં ગોકુળમાં જ રહે. આજના ડેરી ઉદ્યોગના મૂળ ગોકુળમાં પડેલાં છે. ગોકુળમાં ગોવાળો સાથે રહે છે તો ઇન્દ્રના કોપથી ભયંકર વરસાદ વચ્ચે ગ્રામજનોનું રક્ષણ પણ કરે છે – ટચલી આંગળીએ ગોવર્ધન ઊંચકીને ! ગોવર્ધન જેવડી મુશ્કેલીમાં જે આફતથી બચાવે છે તે કૃષ્ણ છે. માટીમાં રમનારો માટી ખાય છે, તો જશોદાને મુખમાં બ્રહ્માંડ દર્શન કરાવીને પોતાની શક્તિનો પરચો પણ આપે છે. યમુનાનાં ઝેરીલા જળમાંથી કાલીય નાગને દૂર કરીને એ સંકેત કૃષ્ણ આપે છે કે કાલીય નાગ દરેકમાં છે ને તે જળ ઝેરી કરે તે પહેલાં તેનું દમન થવું જોઈએ.
બરસાનાની રાધા પણ ગોકુળમાં મળે છે. આમ તો રાધા હતી જ નહીં એવું પણ કહેવાય છે, પણ એના વગરનાં કૃષ્ણની કલ્પના પણ થઈ શકે એમ નથી. જરા વિચારો કે રાધા હોય જ નહીં તો વર્ષો પછી પણ રાધાકૃષ્ણનાં આટલાં મંદિરો કેમ છે? વાંસળીને લીધે જ રાધાને કૃષ્ણનો પરિચય થયો એ વાત તે ભૂલતી નથી. કૃષ્ણ રાધા સાથે રાસ રમે છે ત્યારે રસ છલકે છે ને રસ જ રાસ બની રહે છે. કૃષ્ણને કંઇ પણ છોડવું કે સ્વીકારવું સહજ છે. તે પ્રાણ પ્રિય રાધાને છોડે છે. વાંસળી છોડીને સુદર્શન ધારણ કરવાનું આવે છે તો તે પણ તે કરે છે. આપણને ગોપીઓનાં ચીર હરતો કૃષ્ણ નટખટ લાગે, પણ એ જ દ્રૌપદીનાં ચીર પૂરે પણ છે. કૃષ્ણ સહેલાઈથી હૈયે વસી જાય એમ છે, પણ તે પકડમાં ન આવે એટલો દૂર પણ છે. તે રાધાને પ્રેમ કરે છે, પણ કર્તવ્ય પ્રેમથી ઉપર છે, એટલે જ રાધાને અનંત વિરહિણી બનાવી મૂકે છે. રાધાને ચડેલી રીસ, પછી તો ચિરકાલીન ટીસમાં પરિવર્તિત થઈ જાય છે. મથુરામાં કંસ વધ પછી તેનો રાજા કૃષ્ણ પોતે થતો નથી ને રાજપાટ ઉગ્રસેનને સોંપી દે છે.
એ પછી કૃષ્ણ પાંડવોના હિત સાથે જોડાય છે. આદિપર્વમાં કૃષ્ણ પહેલી વાર દ્રૌપદી સ્વયંવર વખતે પાંડવોને જુએ છે. કૃષ્ણ પોતે સત્યભામા, રુક્મિણી જેવી પટરાણીઓ સહિત 16,108 રાણીઓ કરે છે ને કહેવાય છે બ્રહ્મચારી ! કૃષ્ણ વિષે જેટલું પણ વિચારો તેનો ધરવ થતો નથી. રામ મર્યાદાઓથી બંધાયેલા છે. કૃષ્ણને, ધર્મને પક્ષે રહેવા સિવાય કોઈ મર્યાદા નથી. કૃષ્ણ માટે કર્મ જ સર્વોપરિ છે ને તેને માટે જે કરવું પડે તે, તે કરે છે. એટલે જ તો એ પૂર્ણ પુરુષોત્તમ છે.
કૃષ્ણમાં U-TURN નથી. ગોકુળ છોડ્યું પછી તે ફરી ત્યાં આવતો નથી. એમ જ્યાં જ્યાંથી તે આગળ વધે છે, ત્યાં તે ફરી દેખાતો નથી. તે એ બધી જ ભૂલો કરે છે જે એક માનવી કરી શકે. તે છળકપટ પણ કરે છે, પણ આમાંનું કંઇ પણ તે પોતાને માટે કરતો નથી. તેનામાં વિરોધાભાસ પણ છે. ગીતામાં તે અર્જુનને શસ્ત્ર ઉઠાવવા માટે તૈયાર કરે છે ને પોતે મહાભારત યુદ્ધ વખતે શસ્ત્ર ન ઉપાડવાની પ્રતિજ્ઞા લે છે. દ્રોણને પરાજિત કરવા યુધિષ્ઠિર પાસે ‘અશ્વત્થામા’ મરાયો એવું ખોટું પણ બોલાવે છે. કર્ણને તે કુંતીનો મોટો પુત્ર છે એમ કહીને પાંડવો તરફ ખેંચવાનો પ્રયત્ન કરે છે ને એ જ કૃષ્ણ, રથ જમીનમાં ધસી જાય છે તો નિશસ્ત્ર કર્ણને મારવાનો આદેશ પણ અર્જુનને આપે છે. કર્ણ ત્યારે કહે પણ છે કે આમ કરવું નિયમ વિરુદ્ધ છે, તો કૃષ્ણ કહે છે કે અભિમન્યુને માર્યો તે નીતિયુક્ત હતું? અર્જુન માટે કર્ણએ સાચવી રાખેલું અમોઘ શસ્ત્ર ઘટોત્કચ પર છોડાવીને અર્જુનને બચાવી લેવાનો પેંતરો પણ કૃષ્ણ જ કરે છે. શિશુપાલનો વધ કરતા પહેલાં તેની સો ગાળો સાંભળી લે છે, એ જ ગાંધારીનો શાપ માથે ચડાવે છે. યુદ્ધમાં જયદ્રથ વધમાં પણ સૂર્યાસ્ત અકાળે કરાવ્યો. આ બધું જ ધર્મને પક્ષે રહીને કૃષ્ણે કર્યું. કૃષ્ણ જાણે છે કે યુદ્ધમાં પાંચ પાંડવો સિવાય કોઈ બચવાનું નથી ને એ વાત તે દ્રૌપદીને, વારંવાર પુછાતાં કૃષ્ણ કહે છે, છતાં દુ:શાસનના લોહીથી વાળ ધોવાની પ્રતિજ્ઞા માટે યુદ્ધ ન ટળે એમ દ્રૌપદી ઇચ્છે છે.
કૃષ્ણે જન્મ જેલમાં લીધો તો મૃત્યુ પણ સામાન્ય માણસનું જ સ્વીકાર્યું. યુદ્ધના થાક અને યાદવકુળના સર્વનાશથી પીડિત કૃષ્ણ અશ્વત્થ નીચે વિશ્રામ કરે છે, ત્યારે પગની પાનીને હરણ માનીને પારધી તીર છોડે છે ને તે દેહોત્સર્ગનું કારણ બને છે. અહીં સવાલોનો સવાલ એ થાય કે પગમાં તીર વાગવાથી કોઈ સામાન્ય માણસ પણ ન મરે, તો કૃષ્ણ કઈ રીતે મૃત્યુ પામે? આ એક જ ભગવાન એવો છે જે માણસ વધારે છે. એટલે જ એણે સામાન્યથી પણ સામાન્ય માણસનું મૃત્યુ સ્વીકાર્યું ને એમ એક જીવ જ્યોતિ થયો.
કૃષ્ણે ગીતા કહી એ વાતને હજારો વર્ષ થયાં. તે પછી તો અનેક દિશાઓમાં શિક્ષણનો વ્યાપ વધ્યો. કેટલી ય શોધો થઈ. આજે તો AI સુધી આપણે આવ્યા છીએ, પણ ગીતાને ભૂલતા નથી. આજે પણ દાર્શનિકો અને ચિંતકોનું દર્શન અને ચિંતન ગીતાની ફરતે જ ફરતું લાગે છે. સવાલ એ છે કે આટલાં વર્ષમાં ગીતાને વળોટી જાય એવું કોઈ પુસ્તક હાથે કેમ ચડતું નથી? મતલબ કે અગાઉ જે થયું તે એટલું ઉત્તમ હતું કે તેની બરાબરીનું આજે ખાસ હાથે ચડતું નથી. ગીતાનું આજે પણ મહત્ત્વ ઘટ્યું નથી, મતલબ કે શિક્ષણના આટલાં વ્યાપ પછી પણ એ સ્થિતિ છે કે રામાયણ, મહાભારત કે ગીતાનું તેજ ઝાંખું પડતું નથી. કૃષ્ણ ભલે કહે, ‘યદા યદા હી ધર્મસ્ય …’ પણ આજ સુધી કૃષ્ણ ફરી આવ્યો નથી. આવ્યો હોત તો ગીતાથી ચડિયાતું કમ સે કમ એક પુસ્તક તો બીજું આવ્યું હોત ને !
બીજો એક સવાલ આ સૃષ્ટિમાં એ ફરતો રહ્યો છે કે રામ ને કૃષ્ણ હકીકતમાં થઈ ગયેલા કે તે કાલ્પનિક છે? ધારો કે એ કાલ્પનિક છે, તો પણ, વાલ્મીકિ અને વ્યાસને આટલાં અદ્દભુત ચરિત્રો સર્જવા માટે પ્રણામ કરવા ઘટે. રામ, કૃષ્ણ પછી પણ ઘણા મહાનુભાવો આ ધરતી પર આવ્યા છે, પણ એ યાદ નથી ને 5,25૩ વર્ષનાં કૃષ્ણની ભક્તિ આપણે આજેય કરીએ છીએ. સવાલ તો એ પણ છે કે કૃષ્ણ કાલ્પનિક છે, તો 525૩નો દાખલો ગણ્યો કોણે? બીજું, વાલ્મીકિ પોતે લવ કુશના ઉછેરમાં હાજર છે. હવે જો સર્જક તરીકે વાલ્મીકિ હાજર હોય ને લવ અને કુશ પણ ઉપસ્થિત હોય તો રામ કાલ્પનિક કઈ રીતે હોય? એવી જ રીતે વ્યાસ પોતે મહાભારતમાં પાત્ર તરીકે હાજર હોય, એટલું જ નહીં, કૌરવકુળનો વંશ પણ એમના દ્વારા આગળ વધ્યો હોય, તો ગાંધારી, શકુનિ, દુર્યોધન … કાલ્પનિક કેવી રીતે હોય? દુર્યોધન હોય તો પાંડવો પણ હોય. પાંડવો હોય તો અર્જુન પણ હોય. અર્જુન હોય તો કૃષ્ણ પણ હોય જ કારણ એણે જ તો અર્જુનને ગીતા કહી છે ને એ પુસ્તકરૂપે હજી આપણી પાસે હોય તો એ પુરાવો જ આપણને કૃષ્ણ સુધી લઈ જઈ શકે એમ છે …
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 04 સપ્ટેમ્બર 2026
![]()

