વિશ્લેષણ −
કટોકટીનો મામલો તત્ત્વતઃ સત્તા વિ. જનતાનો હતો
ચૂંટણીના સઘળા તામઝામ અને શોર વચાળે આપણે ‘ઇલેક્ટોરલ ડેમોક્રસી’ ભણી જઈ રહ્યા છીએ … નકો નકો વિપક્ષ ને હકો હકો સત્તાપક્ષ !

પ્રકાશ ન. શાહ
એક ઓર સંવિધાન હત્યા દિવસ … અને તે પણ દોમ દોમ ગેઝેટેડ! વાત તો દેખીતી રીતે ઠીક જ છે કે પ્રજાસત્તાક ભારતે ટાળવી જોઈતી એક ઇતિહાસચૂક એ હતી. જયપ્રકાશ આદિના પુણ્યપ્રતાપે અને સંજય ગાંધીને લાંઘી જઈ ઇન્દિરા ગાંધીએ જાહેર કરેલી ચૂંટણીની તકે લોકશાહીની ગાડીને પાટે ચડાવી, એનો ઇતિહાસબોધ ભલે દૂઝતા જખમ પેઠે યાદ પણ રહેવો જોઈએ. 1975ના જૂનની 12મીએ અલાહાબાદ – અમદાવાદના ચુકાદાઓ પછી (વ્યક્તિગત સત્તાબચાવની રીતે) ઇંદિરા ગાંધીએ કટોકટીનો રાહ લીધો એમ કહેવામાં ખોટું નથી. પણ કટોકટીરાજનો વિકલ્પ તો છ મહિના પહેલાં વિચારાઈ ચૂક્યો હતો. એ વિગત લક્ષમાં લઈએ ત્યારે સામે આવતું ચિત્ર સત્તામાનસનું છે. જ્યારે જયપ્રકાશે રાષ્ટ્રકવિ દિનકરને ટાંક્યા કે સિંહાસન ખાલી કરો, જનતા આતી હૈ ત્યારે એ મામલો ઇંદિરા વિ. જયપ્રકાશનો નહીં પણ તત્ત્વતઃ સત્તા વિ. જનતાનો હતો.
મુદ્દે, સત્તા વિ. જનતાનો ચિરમહત્ત્વનો બુનિયાદી મુદ્દો લક્ષમાં લઈએ છીએ ત્યારે 25મી જૂનને, હાલની કાઁગ્રેસ સામે હાલના ભા.જ.પ.ના સંઘર્ષમાં સીમિત કરવો તે એક ગંભીર ઇતિહાસચૂક બની રહેશે. માર્ચ 1977ના ચૂંટણીચુકાદા સાથે જનતા પક્ષે (જેમાં જનસંઘ પણ અંગભૂત હતો) બંધારણીય સુધારા વાટે ઇંદિરાઇ દરમિયાનની બંધારણીય તોડમરોડને દુરસ્ત કરી હતી, એ યાદ રાખવું રહે છે તો સાથે સાથે જે જોડી (વાજપેયી-અડવાણી) ત્યારે જનસંઘમાં શીર્ષસ્થાને હતી તે પૈકી અડવાણીનાં એ રેકોર્ડડ ઉદ્દગારો પણ યાદ રાખવાપણું છે કે આ દુરસ્તી છતાં નવેસર કટોકટી ન જ આવી શકે એમ હું માનતો નથી. (આ એમના 2015ના ઉદ્દગારો હતા.)
અડવાણીની આ યાદગાર કેફિયત અને નુક્તેચીનીના ઉજાસમાં મોદી ભા.જ.પ.નાં બાર વરસ સરકારી જાહેરખબરોની આરપાર, વિકાસની આવકને લાંઘી જતી જાxખ જાવકની આરપાર, તપાસીએ તો શું સમજાય છે? ઇંદિરા ગાંધીએ કર્યા હતાં એવા વ્યક્તિગત સત્તાટકાઉ બંધારણીય સુધારાઓ વગર ચાલી શક્તિ સેન્સરશાહી એ એનો એક નાદર નમૂનો છે. પણ તે તો આખા ઘટનાક્રમનું એકદશાંશમું ટોચકું માત્ર છે. ચૂંટણી કમિશનરની નિમણૂકમાં દેશના વડા ન્યાયમૂર્તિને બાકાત રખાયા એવા અનેક દાખલા, સરકારી મનમુરાદશાહીના તમને મળશે. જો કે, પુણ્યાત્માના ઊંડાણ તો આભ જેવાં અગાધ રહ્યાં, અહીં એની શું તપસીલ આપી શકું!
સીમાંકન અને મતાંકનનો સત્તાવ્યૂહ પણ બારીકીથી તપાસવો રહે છે. ‘સર’ બાબતે રાહુલ ગાંધીએ કરેલ અભ્યાસમંડિત પર્દાફાશ લક્ષમાં નહીં લેવાતાં વિપક્ષોમાં શું ખોટું તે નજર સામે છે. તૃણમૂલ – આપ – શિવ સેના, સૌને ફડચામાં લઈ શકતી સત્તાપેરવી નજર સામે છે. વન નેશન, વન ઇલેક્શન પ્રકારનાં નારાઓ કેન્દ્રીય સત્તા તરફે બુલડોઝરી કુમક પૂરી પાડી શકે તેમ છે. જે બધા અધિકારો માટે વિપક્ષ 1975-77માં લડ્યો, એ દરેકનું સંકોચન કરવામાં મોદી ભા.જ.પે. ખંગ મનમોહનસિંહના વારામાં સોનિયા ગાંધીની સલાહકાર સમિતિના સૂચનથી જે લોકલક્ષી સુધારજોગવાઈઓ થઈ તે છેલ્લાં બાર વરસમાં સરેઆમ ટુંપાતી રહી છે. માહિતી અધિકારનું સંકોચન એ રીતે તપાસવા જેવું છે.
1977-78માં આપણે જ્યારે લોકશાહીને ફેરચાલતી કરવામાં પ્રજાસૂય પડકારમાંથી પસાર થઈ રહ્યા હતા એ જ અરસામાં સમાજવિદ્યાઓના શીર્ષ અભ્યાસી જુઆમાં લિન્ઝનો ‘ધ બ્રેકડાઉન ઑફ ડેમોક્રેટિક રેજિમ્સ’ જેવો નોંધપાત્ર અભ્યાસગ્રંથ પ્રગટ થયો હતો જેમાં એમણે ‘નિર્વાચિત મુખત્યારશાહી’(‘ઇલેક્ટેડ ઑટોક્રસી’)ની નવી પરિસ્થિતિ તરફ ધ્યાન ખેંચ્યું હતું. ચૂંટણી જેવા ઉપચારો ચાલ્યા કરે, પણ સરવાળે કેન્દ્રીય સત્તાપક્ષ તરફે નકો નકો વિપક્ષની સ્થિતિ સરજાયેલી હોય. સહેલો દાખલો આપવો હોય તો વર્ગમાં એક જ વિદ્યાર્થી હોય અને એ પહેલે નંબરે આવે, એવું કાંક.
‘ઇન્ડિયા’ની બેઠકનું રાહુલ ગાંધીનું જે વક્તવ્ય પછીથી બહાર આવ્યું એમાં એમણે લોકશાહી પ્રતિકાર પર ‘રેઝિસ્ટન્સ મોડ’ પર, રહેવાની જરૂરત ઘૂંટી હતી તેમાં પ્રાયોજિત ચૂંટણી ચકરાવાથી ઉફરાટે ચાલવાની જિકર હતી એ આ પચાસીએ કાળજે ધરવા જોગ એક બુનિયાદી બોધપાઠ ખસૂસ છે.
Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘પરિપ્રેક્ષ્ય’, “દિવ્ય ભાસ્કર”; 24 જૂન 2026
![]()

