બાબાસાહેબ ડો. આંબેડકર ભારતના ઇતિહાસનું ‘ઉપેક્ષાથી ઇશ્વરીકરણ’ સુધીના તમામ તબક્કાઓમાંથી પસાર થઈ ચૂકેલું વ્યક્તિત્વ છે. ચંદ્રકાન્ત બક્ષીના યાદગાર શબ્દોમાં “ડૉ. આંબેડકરનું જીવન મૂલ્યાંકનની 2000⁰ (ડિગ્રી) ગરમીમાંથી પસાર થઇ શકે એવું છે. કોઇપણ અભ્યાસીને મજા પડી જાય એવું અને કોઇપણ અભ્યાસીની તાકાત મપાઇ જાય એવું છે.”
આપણે મહાપુરુષોની કાં તો ભક્તિભાવપૂર્વક પૂજા કરતી કાં તો એકાંગી ટીકા કરતી પ્રજા છીએ. એમના જીવન – વિચારનું મૂલ્યાંકન ભાગ્યે જ થાય છે. આઝાદી પછી અમુક અભ્યાસુઓ અને દલિત ચિંતકો સુધી સીમિત રહેલા ડૉ. આંબેડકર એમની જન્મ શતાબ્દી પછી વાયુવેગે રાષ્ટ્રીય ફલક પર છવાઇ ગયા છે. એમનું લખાણ વિવિધ સરકારો દ્વારા ‘સંપૂર્ણ અક્ષરદેહ’ સ્વરૂપે પ્રકાશિત થતાં અભ્યાસુઓ અને જિજ્ઞાસુઓને એમના વિચારદેહને નવી દૃષ્ટિએ જોવા-મૂલવવાની તક મળી. વિદેશી વિદ્વાનો ગેલ ઓમવેટ, ક્રિસ્તોફ જેફ્રલે અને એલીનોર ઝેલીએટ આંબેડકરી જીવન અને વિચારના અભાસ્યુઓ તરીકે જાણીતાં છે. જો કે ગુજરાતીમાં આ પ્રકારનો અભ્યાસ જોઇએ એટલો થયો નથી.
બાબાસાહેબના જન્મની સવા શતાબ્દી નિમિત્તે દલિત – સામાજિક ચળવળોના જાણતલ, વિદ્વાન અભ્યાસુ અને આ ક્ષેત્રના અધિકારી લેખક ચંદુ મહેરિયાએ બાબાસાહેબનાં વિવિધ પાસાંઓ ઊજાગર કરતું પુસ્તક ‘સમતાના સેનાની : ડૉ. આંબેડકર’ સંપાદિત કરીને સ્તુત્ય કાર્ય તો કર્યું જ છે. ઉપરાંત આંબેડકરી અભ્યાસની ગુજરાતીમાં ખોટ પણ પૂરી કરી છે.
ઇતિહાસ, અર્થશાસ્ત્ર, નૃવંશશાસ્ત્ર, શિક્ષણશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, પત્રકારત્વ, રાજનીતિશાસ્ત્ર, બંધારણ, રેશનાલિઝમ, સમાજ સુધારા, મજૂર અધિકારો, મહિલા અધિકારો, દલિત અધિકારો વગેરે અનેક ક્ષેત્રે ડૉ. આંબેડકરે ચિંતન, મનન, લેખન કર્યું છે. તેઓ દલિત અધિકારોના લડવૈયા તો હતા જ. બાબાસાહેબના વિવિધક્ષેત્રના વિચારોનું મૂલ્યાંકન, સમીક્ષા અને આલોચના કરતા, ગુજરાતના વિવિધ ક્ષેત્રના અને વૈચારિક રીતે મતાંતર ધરાવતા ચાલીસ અભ્યાસુઓના લેખો, આ સંપાદનમાં સમાવિષ્ટ છે.
લેખકોના નામના અકારાદિક્રમે ૪૦ લેખો છે. બહુચર્ચિત ગાંધી – આંબેડકર વૈચારિક સંઘર્ષ અને સત્યાગ્રહોનું મૂલ્યાંકન કરતો મકરંદ મહેતાનો અને બાબાસાહેબના જીવનધ્યેય સમાન જ્ઞાતિનિર્મૂલન, આંબેડકર અને સામ્યવાદી ચળવળ વિશેનો આનંદ પરમારનો લેખ છે. ઇન્દુકુમાર જાનીએ બાબાસાહેબની સમાજ સુધારણાની ચળવળ અંગે, અરુણ વાઘેલાએ બાબાસાહેબના ઇતિહાસ ચિંતન તથા વિષ્ણુ પંડ્યાએ ઇતિહાસકાર તરીકે ડો. આંબેડકરને મૂલવતા લેખો લખ્યા છે.
ડો. આંબેડકરના ‘થૉટ્સ ઓન પાકિસ્તાન’ ગ્રંથની તલસ્પર્શી સમીક્ષા કરતો પંદર પાનાંનો ઉર્વીશ કોઠારીનો લેખ નોખી ભાત પાડે છે. ઇલિયાસ મનસૂરીના લેખ ‘બાપુ, બાપા અને બાબાસાહેબ : રસ્તા અલગ, લક્ષ્ય એક’માં અસ્પૃશ્યતા નિવારણ માટે ગાંધીજી, ઠક્કર બાપા અને બાબાસાહેબના વિચારો, વલણો અને એ માટેની તીવ્રતાની વિશદ રીતે સમીક્ષા છે. ઇતિહાસ, પુરાકથાઓના પરિપ્રેક્ષ્યમાં ભારતીય સ્ત્રી અને સ્ત્રી અધિકારો સંબંધે બાબાસાહેબના વિચારો- કાર્યોનું મૂલ્યાંકન કરતો લેખ પ્રવીણ ગઢવીનો છે. જ્ઞાતિના પ્રશ્ને ડો. આંબેડકરના ઐતિહાસિક દૃષ્ટિકોણની તપાસ લક્ષ્મણ વાઢેરે કરી છે. બાબાસાહેબના જીવનમાં છત્રપતિ શાહુ મહારાજનું અપ્રતિમ પ્રદાન રહ્યું છે. બાબાસાહેબ અને શાહુ મહારાજ વચ્ચેના સંબંધોના તાણાવાણા કિશોર મકવાણાએ વર્ણવ્યા છે.
દલપત ચૌહાણનો બાબાસાહેબ પર લખાયેલાં અંજલિ કાવ્યો વિશેનો, સાહિલ પરમારનો એમની કવિતા – લખાણો સાથે આંબેડકરનો નાતો વર્ણવતો અને નીરવ પટેલનો ‘ હિંદુ ધર્મનું તત્ત્વજ્ઞાન અને આંબેડકર વિશે મૂલ્યાંકન કરતો લેખ અહીં છે. બાબાસાહેબે વિવિધ સામયિકોના પ્રકાશન દ્વારા પોતાના વિચારો અને કાર્યોનો પ્રસાર કર્યો હતો. તેનો પરિચય અને સમીક્ષા કરતા લેખમાં નટુભાઇ પરમારે બાબાસાહેબને ઉચિત રીતે જ ભારતીય પત્રકારત્વના નવપથપ્રદર્શક ગણાવ્યા છે. ડંકેશ ઓઝાએ આંબેડકરના જીવન અને આજના યુવાનો વિશે લખતાં ‘આંબેડકરની ઉપેક્ષા ભારતીય લોકશાહીને ભારે પડશે’ એવું અવલોકન કર્યું છે. બાબાસાહેબનો વાચન પ્રેમ અને પુસ્તકપ્રીતિ જાણીતાં છે. ભૂખ્યા રહીને, દેવું કરીને પણ એમણે પુસ્તકો ખરીદ્યાં હતાં અને ખાસ પુસ્તકો માટે જ એમણે મુંબઈમાં ઘર બંધાવ્યું હતું. એ વખતના દેશના ખૂબ ઓછા નેતાઓ પાસે હોય એવી સમૃદ્ધ અંગત લાઇબ્રેરી તેમની હતી. બાબાસાહેબના વાચન અને પુસ્તકપ્રેમનો પરિચય સંજય ભાવેએ કરાવ્યો છે. બાબાસાહેબના સૌથી જાણીતા પાસા કાનૂનવિદ અને કાનૂનદાતા ડૉ. આંબેડકરની વિગતો પુસ્તકના સંપાદક ચંદુ મહેરિયાના લેખમાંથી મળે છે. ‘સમાજશાસ્ત્રી’ઓને આંબેડકરના વિદ્યાર્થી બનવા આવાહ્ન કરતો લેખ સમાજશાસ્ત્રી આંબેડકર વિષે ગૌરાંગ જાનીનો છે.
સનત મહેતા, અશ્વિનકુમાર કારીઆ, એન.વી. ચાવડા, કનુભાઇ વ્યાસ, દિનેશ શુક્લ, નાથાલાલ ગોહિલ, નિમેશ શેઠ, ફાધર વર્ગીસ પોલ, પી.કે. વાલેરા, બાલકૃષ્ણ આનંદ, મણિલાલ રાનવેરિયા, મૂળચંદ સ. રાણા, મંજુલા લક્ષ્મણ, યશવંત મહેતા, યાસીન દલાલ, રતિલાલ રોહિત, રાજેશ મકવાણા, રોહિત શુક્લ, સિદ્ધાર્થ નરહરિ ભટ્ટ, સુનીલ જાદવ, હરપાલ રાણા અને હરીશ મંગલમના બાબાસાહેબના જીવન- વિચારના વિવિધ પાસાઓ અંગેના લેખો પણ પુસ્તકમાં છે.
આરંભે નેપથ્યે ઉપેક્ષિત રહેલા ડૉ. આંબેડકર આજે વધુને વધુ પ્રસ્તુત બની વ્યાસપીઠે વિરાજે છે. વર્તમાનમાં બાબાસાહેબ પર થતા અભ્યાસો તેઓ જેના અધિકારી છે તે તેમના જીવનકાર્ય અને વિચારોના ઉચિત મૂલ્યાંકનથી સમજાય છે. ડો. આંબેડકરે આજીવન તમામ ક્ષેત્રે વ્યાપેલી અસમાનતા સામે સતત અને સખત સંઘર્ષ કર્યો હતો. આ સંઘર્ષે જ તેમને સમતાના સેનાની તરીકે પ્રસ્થાપિત કર્યા છે. ગઈ કાલના, આજના અને આવતી કાલના આંબેડકરવિદોને અર્પણ થયેલું, આંબેડકર સવાસો નિમિત્તે પ્રકાશિત આ સંપાદન ગુજરાતના અલ્પ આંબેડકરી અભ્યાસોમાં નોંધપાત્ર ઉમેરણ છે.
સમતાના સેનાની ડૉ. આંબેડકર – સંપાદક. ચંદુ મહેરિયા, પૃષ્ઠ. 12 + 356, પ્રથમ આવૃતિ.- 2015, કિંમત – રૂ. 350, પ્રકાશક – સંસ્કાર સાહિત્ય મંદિર, 5, N.B.C.C. હાઉસ, સહજાનંદ કોલેજ પાસે, પોલિટેકનિક, અમદાવાદ-૩૮૦ ૦૧૫
e.mail : viragsutariya@gmail.com
![]()

