
રવીન્દ્ર પારેખ
અમેરિકા-ઇઝરાયલ, ઈરાનને ભટકાયાં છે ને 22-23 દિવસ થયા તેનો છેડો આવતો નથી. યુદ્ધનાં કારણો ગમે તે હોય, પણ તેની આડ અસરોથી ભારત મુક્ત નથી. અમેરિકા, ઇઝરાયલ અને ઈરાની યુદ્ધવીરો એકબીજાને પછાડીને પોરસાતા હશે, પણ એમને ભાન જ નથી કે તેમને તો ઘસરકોય પડ્યો નથી, પણ ભારત, તેના કોઈ વાંક વગર અમસ્તું જ દંડાઈ રહ્યું છે. યુદ્ધ ચાલી રહ્યું છે, ત્યાં તો લોહી રેડાયું જ છે ને નિર્દોષોનો ભોગ પણ લેવાયો છે. આ નિર્દોષો દુ:શ્મન દેશના છે, તો યુદ્ધ ખેલનારા દેશના પણ છે. એમણે કોઈ દેશનું કંઇ બગાડ્યું નથી, મરનારને તો ખબર પણ નથી કે તે શું કામ મરી રહ્યો છે, પણ મરે છે. કમ સે કમ નિર્દોષો માટે પણ યુદ્ધ અટકવું જોઈએ. યુદ્ધનાં સરવાળામાં જવાબ તો હાનિમાં જ આવે છે, ભલે પછી એ સરવાળો વિજેતા દેશનો જ કેમ ન હોય ! યુદ્ધ એટલે જ ખોટ ! જે થાય છે, સત્તા કમાવા, પણ કમાણી લોહીમાં આવે છે. દરેક દેશ એ માને છે, પણ રોકાતો નથી. યુગોથી ચાલે છે, યુદ્ધ, પણ તેનો અંત આવતો નથી. યુદ્ધખોર નેતાઓની સત્તાલાલસાઓ માટે કેટલા ય સૈનિકો અને સામાન્ય નાગરિકો કારણ વગર જ મોતને વહાલું કરી રહ્યા છે.
યુદ્ધની બીજી આડઅસરો એ છે કે એમાં સંડોવાનાર દેશો ઉપરાંત અન્ય દેશો સુધી તેની ઝાળ ફેલાતી હોય છે. ઈરાને ઇઝરાયલને ભડકે બાળ્યું છે, તો ઇઝરાયલે પણ ઈરાનના ખોમેનીનાં મૃત્યુ સહિત અન્ય નેતાઓને ઘાયલ કર્યા છે અથવા તો મોતને ઘાટ ઉતાર્યા છે. એમાં ઈરાને નાક દાબીને મોં ખોલાવવા હોર્મુઝ્ની ખાડી પરથી પસાર થનાર તેલના જહાજો પર બ્રેક મારી, એટલું જ નહીં ઇઝરાયલ ને ઈરાને એ મુર્ખામી પણ કરી કે તેણે તેલ ક્ષેત્રોને જ ટાર્ગેટ કર્યાં ને તેલ, ગેસની વૈશ્વિક કટોકટી ઊભી કરી. તેલના કૂવાની નુકસાનીથી ઈરાનને જ નુકસાન નથી થવાનું, જે દેશો તેલ પર નિર્ભર છે, એમની પણ દશા બેસવાની છે, તે એટલે કે ઈરાનના હુમલાથી કતારમાં 17 ટકા એલ.એન.જી. ઉત્પાદન ઠપ થઈ ગયું છે.
22 માર્ચે ઇઝરાયલના વડા પ્રધાન નેતન્યાહૂએ કહ્યું કે 21 માર્ચની રાત્રે ઈરાને સૌથી મોટો હુમલો કર્યો. એ હુમલા પરથી એવી અટકળો ચાલી છે કે ઇઝરાયલ ઈરાન પર પરમાણુ હુમલો કરી શકે છે. ઇઝરાયલને ઈરાનનો હુમલો સૌથી મોટો લાગ્યો તો તે પરમાણુ હુમલા સુધી જઈ શકે એવી સ્થિતિ છે, પણ હુમલા ઘટે તેવું નથી અમેરિકા, નથી ઇઝરાયલ નથી ઈરાન વિચારતું. બધા જ મરવા-મારવા પર આવી શકે છે, પણ બચાવવા કોઈ તૈયાર નથી એ દુ:ખદ છે.
આ કટોકટી લાંબી ચાલવાની છે. બીજી તરફ ઈરાન અડી ગયું છે, હોર્મુઝ સામુદ્રધૂની ખોલવા બાબતે. એટલે 22 દેશો ઈરાન વિરુદ્ધ એક થયા છે. આ દેશોએ હુમલાઓ અંગે ઈરાનને ચેતવણી આપી છે. એમ પણ લાગે છે કે ઈરાન યુદ્ધ આગળ ન વધે તેમ ઇચ્છે છે. ઈરાનના રાષ્ટ્રપતિએ ભારતીય વડા પ્રધાનને કહ્યું કે ઇઝરાયલ, અમેરિકા હુમલાઓ અટકાવે તો શાંતિ થઈ શકે. એક તરફ ઈરાન આવી વાત કરે છે ને બીજી તરફ તે હિંદ મહાસાગરમાં અમેરિકી બેઝ પર હુમલો કરે છે ને નાતાન્ઝ પરમાણુ મથક પર પણ હુમલો કરે છે. આનો નજીકમાં અંત આવે એમ લાગતું નથી. ઈરાને ભારતીય જહાજને હોર્મુઝ ખાડી પરથી પસાર થવા દીધું છે, પણ ગેસ, તેલની વૈશ્વિક તંગીમાં ભારત પણ સપડાયું છે. રાંધણગેસની તંગી સર્જાતાં રાંધણગેસ અને કોમર્શિયલ ગેસના બાટલાઓ પર રેશનિંગ આવ્યું છે.
સરકાર બોલે તો છે કે ગેસની સમસ્યાને પહોંચી વળાશે, પણ લોકોની ગેસના બાટલા માટેની લાઈનો અટકી નથી તે ભૂલવા જેવું નથી. ભારતે એવી ટકોર પણ કરી છે કે ક્રૂડ અને ગેસના કૂવા પર હુમલા અટકવા જોઈએ. સરકારે બધું ઠીક છે એ સૂર બદલીને ગેસ, પેટ્રોલ, ડિઝલની તંગીની વાસ્તવિક સ્થિતિ સ્વીકારી છે. એનો લાભ પણ લીધો છે ને તે પ્રીમિયમ પેટ્રોલ લિટરે 2.35 મોંઘું કરી ને ! આ વધારો પ્રીમિયમ પેટ્રોલ પૂરતો સીમિત નહીં રહે. સરકાર તકની શોધમાં છે, એ મળશે તો સાદું પેટ્રોલ પણ મોંઘુ કરશે એમાં શંકા નથી. એક તરફ તંગી છે ને બીજી તરફ સંગ્રહખોરીમાં પડીને વેપારીઓ હોજરી ભરી રહ્યા છે. ગેસની અછતને કારણે મોરબીના સિરામિક ઉદ્યોગમાં શટ ડાઉન લાગુ પડતાં 16,000 લોકોની નોકરી ગઈ છે તે આડઅસર જ છે.
ગેસની અછતને કારણે ખાદ્ય સામગ્રીઓ મોંઘી થઈ છે, તો કેટલીક હોટેલો ને લારીઓ બંધ થઈ છે ને કેટલીક હવે પછી બંધ થશે ને આવનારા દિવસો બધાંને વિતાડવાના છે એ નક્કી છે. ગેસના વિકલ્પો લાકડાં, કોલસામાં કે ઇન્ડક્શન સ્ટવમાં શોધાયા છે ને બધો ભાર ગ્રાહકો પર આવવાનું શરૂ થઇ ગયું છે. આમાં મરો મધ્યમ અને ગરીબ વર્ગનો થશે. ઝોમેટો એ તેની ફી 2.40 રૂપિયા વધારી દીધી છે. ગેસના ભાવો નિયંત્રિત કરવાના સરકારના પ્રયત્નો છતાં, ગેસના બાટલાઓ બ્લેકમાં ડબલ ભાવે વેચાયા છે. ટૂંકમાં, ગેસની અછત, તેનાથી સંબંધિત બધી ચીજ વસ્તુઓ મોંઘી કરશે ને તે લોકોએ વેઠ્યા સિવાય છૂટકો નથી. આ સંજોગોમાં ઘણાનાં કામ છીનવાયાં છે ને તેમને વતન હિજરત કરવાની ફરજ પડી છે. લડનારા લડે, તેમાં ભારતને શું? પણ એવું નથી. ગેસ, પેટ્રોલ, ડિઝલથી જે દેશો ઈરાન સાથે જોડાયેલાં છે, તે સૌની હાલત કફોડી થઈ છે કે થશે એમ અત્યારે તો લાગે છે. ઈરાનનું યુદ્ધ ભારતને તો ઠીક, લેવાદેવા વગર સુરતને પણ પરચો બતાવી ચૂક્યું છે.
આમ તો આ યુદ્ધ કેવળ અમેરિકાનો અહમ પોષવા ખેલાઈ રહ્યું છે ને અમેરિકી પ્રમુખ પોતાની ઇચ્છાઓ સંતોષવા યુદ્ધ કરી રહ્યા છે. એમાં ઇઝરાયલ જોડાયું તે કેટલું જોડાયેલું રહેશે તે સવાલ જ છે, કારણ ઇઝરાયલ-અમેરિકા વચ્ચે મતભેદો શરૂ થઇ ગયા છે. અમેરિકા પણ અમેરિકી પ્રમુખની ઘણી બાબતો સાથે સંમત નથી, પણ અત્યારે તો અમેરિકા, અમેરિકી પ્રમુખનું કૈં બગાડી શકે એમ નથી. આ શરમજનક છે, પણ તે છે એ સ્વીકાર્યે જ છૂટકો છે.
ઈરાની યુદ્ધની આડઅસર સુરતના કાપડ ઉદ્યોગ પર પણ પડી છે. ટેક્સટાઈલ ઉદ્યોગ કોઈ પણ વાંક વગર મોટી પછડાટ ખાય તેવી સ્થિતિ છે. યુદ્ધનાં કારણે ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો થયો છે, તેથી કાપડ ઉદ્યોગ પ્રભાવિત થયો છે. માત્ર યાર્ન જ નહીં, કોલસાની અછતને કારણે, ભાવ વધ્યા છે, પરિણામે, પ્રોસેસિંગ મિલ બે દિવસ સુધી બંધ રહેશે એમ લાગે છે. ગુજરાત ટેક્સટાઇલ પ્રોસેસર્સ એસોશિએશનના જણાવ્યા પ્રમાણે આંતરરાષ્ટ્રીય અસ્થિરતાને કારણે કાચા માલનો સપ્લાય ખોટકાયો છે. ટૂંકમાં, સ્થાનિક ઉત્પાદન ખર્ચમાં અસહ્ય વધારો થતા મિલમાલિકોને મિલો બંધ રાખવાની ફરજ પડી છે. મિલો પાસે 10થી 20 દિવસ ચાલે એટલો જ કોલસો છે. આ રીતે જ વપરાશ ચાલુ રહે તો આવનારા સમયમાં ઊર્જાનું મોટું સંકટ ઊભું થઈ શકે. આ સ્થિતિમાં ખર્ચને પહોંચી વળવા અને સંસાધનોની બચત કરવા એસોશિએશને અઠવાડિયામાં બે દિવસ મિલો બંધ રાખવાનો નિર્ણય લીધો છે. સુરતની ચારસોથી વધુ મિલોમાં દ્વિદિવસીય સ્વૈચ્છિક લોકડાઉન લાગુ કરવાની જાહેરાત થઈ છે. જેમનું ગુજરાન મિલો પર નિર્ભર છે, તેમની હાલત વધારે કફોડી છે ને આ ચાલુ રહેશે તો વધુ કફોડી થવાની છે. હકીકત એ છે કે ગ્રે કાપડના ભાવ વધારાને કારણે પ્રોસેસિંગ માટે માલ મળતો નથી. એ સ્થિતિમાં મિલ ચાલુ રાખવાનું નુકસાનીમાં વધારો જ કરશે, એટલે આજે મળનારી બેઠકમાં કયા બે દિવસ લોકડાઉન રહેશે તેની જાહેરાત કરવામાં આવશે.
સુરતની ટેક્સટાઇલ મિલ સાથે અઢી લાખ શ્રમિકો જોડાયેલા છે. મિલો લોકડાઉન કરશે તો વેતન ઓછું મળતાં રોજિંદા વ્યવહારો પર અસર પડશે. કામ ન મળવાની સ્થિતિમાં શ્રમિકોનું પલાયન વધશે. આમે ય મોંઘવારી અને સિલિન્ડરની અછતથી હજારોની સંખ્યામાં કામદારો વતન તરફ રવાના થઈ રહ્યા છે. આવું લાંબો સમય ચાલશે તો ઉદ્યોગને લેબરની ભારે અછતનો સામનો કરવો પડે એમ બને ને એ બધું સુરતના અર્થતંત્રના લાભમાં નહીં જ હોય તે કહેવાની જરૂર નથી.
હવે સ્થિતિ એવી છે કે યુદ્ધ જે તે વિસ્તારો પૂરતું સીમિત નથી રહ્યું. લડાઈ બીજે ચાલતી હોય, પણ તેની અસરો જ્યાં યુદ્ધ નથી ત્યાં પણ વર્તાતી હોય છે. એક તરફ વિકાસની વાતો ચાલતી હોય ને બીજી તરફ યુદ્ધ એ વિકાસ પર પાણી ફેરવતું હોય તો આપણે કયા વિકાસથી ફુલાઈએ છીએ તે નથી સમજાતું. થોડાક મુઠ્ઠી ભર માણસો પોતાની ઘેલછાઓ પૂરી કરવા આખું જગત બાનમાં લે અને બીજા તે ચાલવા દે તો પેલા મુઠ્ઠીભર માણસો, બીજા કરોડો લોકોની શક્તિ કરતાં વધુ શક્તિશાળી છે એમ સ્વીકારવું પડે. યુદ્ધ કદી કોઈના લાભમાં નથી તે આટલાં યુદ્ધો પછી પણ માણસ જાતને નથી સમજાતું એ વૈશ્વિક કટોકટી જેવી જ કમનસીબી છે.
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 23 માર્ચ 2026
![]()

