અરે, સાંભળ્યું નહીં? આપણા આચાર્યે હુકમ કર્યો છે. માનવો પડશે, નહીં તો વર્ગની બહાર અથવા શાળાની બહાર ઊભા રાખશે અને આખેઆખું રાષ્ટ્રીય ગીત નહીં આવડી જાય ત્યાં સુધી ઉપલા ધોરણમાં જવા નહીં દે.
કંઈક અંશે આવા જ શબ્દોમાં તાજેતરમાં ભારતના ગૃહ મંત્રાલય તરફથી એક હુકમનામું બહાર પડ્યું છે. દરેક જાહેર કાર્યક્રમમાં ‘વંદે માતરમ્’ રાષ્ટ્રીય ગીત પૂરેપૂરું ગાવું જોઈશે અને હાજર રહેલા તમામ લોકોએ એક સાથે ઊભા રહેવું જોઈશે. નહીં તો તેમને દેશદ્રોહી ગણવામાં આવશે કે દેશ નિકાલ કરવામાં આવશે કે નહીં એ સ્પષ્ટતા નથી કરી.
આ પ્રકારના વટહુકમો બહાર પાડનારાઓ અજ્ઞાનથી સભર હોવાને કારણે આવી ભૂલો કરી બેસે તે સમજાય. આપણે ખરી માહિતી મેળવી લઈએ.
બંકિમચંદ્ર ચેટર્જીએ 1875માં આ ગીતની શબ્દ રચના અને સ્વર રચના કરેલી, જે 1882માં તેમણે લખેલી નવલકથા ‘આનંદ મઠ’માં ઉમેરી હતી. અહીં ખાસ નોંધ લેવા જેવી બાબત તો એ છે કે ધાર્મિક ભાવના અને દેશભક્તિનો જુસ્સો ધરાવનારા કેટલાક સાધુઓ માટે એ ગેય કાવ્યની રચના કરવામાં આવી હતી. એ ગીતમાં માતૃભૂમિને દેવી માતાના રૂપમાં જોવામાં આવી છે; જેમાં માતાને ભભકાદાર અને મહિમા મંડિત રૂપમાં જોવામાં આવી. સાથે સાથે વિદેશી શાસન દરમિયાન ગરીબી અને દારિદ્ર્યમાં પોતાની કાંતિ ખોઈ બેઠેલી દર્શાવાઈ છે, પરંતુ એ પોતાની મૂળ સમૃદ્ધિમાં પુનઃ સ્થાપિત થશે એવો ભાવ પણ નિરૂપિત હતો. માતૃભૂમિમાં સજીવારોપણ કરવા પાછળનો હેતુ હતો સશસ્ત્ર બળવો કરનારને દમનકારી બ્રિટિશ સામ્રાજ્ય અને બંગાળના નવાબ સામે લડાઈ કરવાની પ્રેરણા મળે. આઝાદી બાદ એક સ્વતંત્ર દેશ તરીકે ભારતના સંયોગો બદલાતાં તેની પહેલી બે કડી જ ઉપયુક્ત જણાઈ હતી.
1896માં ઇન્ડિયન નેશનલ કાઁગ્રેસ સંમેલનમાં રવીન્દ્રનાથ ટાગોરે પહેલીવાર જાહેરમાં તેનું ગાન કરેલું. 1905માં નેશનલ કાઁગ્રેસે આ કાવ્ય ભારત માતાનું પ્રશસ્તિ ગાન કરે છે તેથી ભારત દેશનું અભિવાદન કરવા એ ગીતને અપનાવેલું અને 1950માં ભારત જ્યારે પ્રજાસત્તાક રાજ્ય બન્યું ત્યારે ‘જન ગણ મન અધિનાયક’ને રાષ્ટ્રગીત અને ‘વંદે માતરમ’ની પ્રથમ બે કડીને રાષ્ટ્રીય ગીત તરીકે બંધારણમાં સ્વીકારવામાં આવ્યું. એ બંને ગીતને પૂરેપૂરા સ્વીકારવાને બદલે જેટલી કડીઓ સમગ્ર દેશને લાગુ પડે તેટલી જ કડીઓ સર્વસંમતિથી લેવામાં આવી. સામાન્ય રીતે કોઈપણ દેશનું રાષ્ટ્રગીત એક-બે મિનિટથી વધુ લાંબુ હોતું નથી, જેથી એ સહેલાઈથી શીખી શકાય અને બધા લોકો એટલો સમય પૂરેપૂરા સન્માન સાથે તેનું ગાન કરી શકે.
‘વંદે માતરમ્’ ગીતની પહેલી બે કડી કોઈ ધર્મ વિશેષને અભિપ્રેત કાર્ય વિના માતૃભૂમિનો અમૂર્ત સંદર્ભમાં ઉલ્લેખ કરે છે; જ્યારે બાકીની ચાર કડીઓમાં દુર્ગા, સરસ્વતી અને લક્ષ્મી જેવી દેવીઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, તેથી જ ગાંધીજી અને રવીન્દ્રનાથ ટાગોરના સૂચનથી પ્રથમ બે કડીઓને જ રાષ્ટ્રીય ગીત તરીકે સ્વીકારવામાં આવી.
વાયર દ્વારા નિર્ભીક રહીને વિવિધ હસ્તીઓની મુલાકાતો લઈને ભારતની જનતાને હાલની પરિસ્થિતિની સાચી બાજુ દર્શાવનાર કરણ થાપરે વકીલ સંજય હેગડેની ‘વંદે માતરમ્’ના મુદ્દા વિષે મુલાકાત લીધી, જેમાં શ્રી હેગડેએ ગૃહમંત્રાલયના વંદે માતરમ્ની છ કડીઓ ગાવાની ફરજ પાડવાના હુકમને ‘બંધારણીય ભાંગફોડ’ કરવાના કૃત્ય તરીકે ગણાવી. વધુમાં તેમણે કહ્યું કે કોઈ લોકશાહી દેશનો કાયદો તેના નાગરિકને રાષ્ટ્રીય ગાન કે ખુદ રાષ્ટ્રગીતને પણ ફરજજિયાત ગાવાનો હુકમ ન કરી શકે.
તો વર્તમાન સરકાર એવો હુકમ બહાર પાડે તેનું કારણ શું હોઈ શકે? બે ચાર શક્યતાઓ છે. એક તો કેટલાક શહેરના અને રસ્તાઓનાં નામ બદલવાની સાંકળનો આ એક મણકો હોઈ શકે. ‘હિન્દુત્વ’ની સ્થાપના કરવાની ધગશમાં આ પગલું ઉપયોગી થશે એવી માન્યતા હોઈ શકે. દેશના વહીવટ અને સંચાલનને સુદૃઢ બનાવવા એક પણ કાર્ય હાથ ન લાગતું હોવાને કારણે એક પછી એક તુક્કા (તઘલખી તુક્કા તરીકે ઓળખાય) વહેતા મૂકીને બંધારણને ક્ષત વિક્ષત કરવાનું અભિયાન આદર્યું હોય. ગમે તે કારણ હોય, આ હુકમ તદ્દન ગેર કાનૂની, બંધારણના નિયમોની બહારનો અને તદ્દન બિનજરૂરી છે એ નક્કી.
જો ભારતની પ્રજામાં હીર હોય તો દેવ-દેવીઓમાં શ્રદ્ધા ન ધરાવતા દરેક ધર્મમાં માનનારા સહુએ આ નિયમનો અસહકાર કરવો રહ્યો.
e.mail : 71abuch@gmail.com
![]()

