
રવીન્દ્ર પારેખ
સુપ્રીમ કોર્ટે રાજ્યોની ચૂંટણી પહેલાં થતી મફત સુવિધાઓ(ફ્રી બીઝ)ની વહેંચણી અંગે નારાજગી વ્યક્ત કરી છે. કોર્ટનું કહેવું છે કે ફ્રી બીઝ આપવાને બદલે લોકોને નોકરી આપો, કામ આપો જેથી જે તે વ્યક્તિ પૈસા રળીને સ્વમાનથી જીવી શકે. કોર્ટની ટકોર બહુ સમયસરની છે. એ જરા પણ ઠીક નથી કે લોકોને મફત વીજળી, ગેસ, અનાજ આપો છો ને મફતની ટેવ પાડો છો. એ મામલે સુપ્રીમે રાજ્ય સરકારો અને કેન્દ્રની ઝાટકણી કાઢી છે. સુપ્રીમના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત, ન્યાયમૂતિ જયમાલ્ય બાગચી અને વિપુલ પંચોલીની બેન્ચે TAMILNADU POWER DISTRIBUTION COMPANY દ્વારા દાખલ કરાયેલ અરજીની સુનાવણી દરમિયાન આવી ટકોર કરી હતી. કંપનીની બધા ગ્રાહકોને મફત વીજળી આપવાની વાત છે. કોર્ટનું કહેવું છે કે જે લોકો ખર્ચી શકે એમ છે તેમને અલગ તારવ્યા વગર, બધાંને જ લહાણી કરવાનું યોગ્ય નથી. જે ખર્ચી શકે છે એને પણ મફતનું ખાવાની ટેવ પાડવી, કોઈ રીતે યોગ્ય નથી. સરકારે અડધી પ્રજાને મફતિયું શોધતી કરી છે. આ રીતનું વિતરણ તુષ્ટિકરણથી વિશેષ કંઇ નથી. કોર્ટની આ ટકોર માત્ર તમિલનાડુ પૂરતી નથી. એ સમગ્ર દેશ માટે છે. સુપ્રીમને જે ચાલે છે તે સામે વાંધો પાડતો સવાલ એ છે કે આપણે આ કયા પ્રકારની સંસ્કૃતિ ઊભી કરી રહ્યા છીએ? કોર્ટે ઉમેર્યું કે થઈ રહેલી લહાણીને મુદ્દે ઘણી અરજીઓ પેન્ડિંગ છે. તમિલનાડુ પાવર કંપનીની અરજી પર સુપ્રીમે મામલાની તપાસ કરવા સંમતિ આપી છે ને કેન્દ્ર સરકારને આ મામલે નોટિસ પાઠવી છે.
આખા મામલામાં બધાંને એક જ લાકડીએ હાંકવા સામે સુપ્રીમ નારાજ છે. જે ખર્ચી શકતા નથી એમને સરકાર મદદ કરે તે સમજી શકાય, પણ જે સાધન સંપન્ન છે, એમને બધું મફત ન આપવું જોઈએ. તમિલનાડુમાં વિધાનસભાની ચૂંટણી છે, એટલે રેવડીનો લાભ પ્રજાને અપાય છે. એ પહેલાં રાજ્ય સરકારે મફત ભોજન, મફત સાઈકલ અને મફત વીજળીની યોજના બનાવી હતી. એ ઉપરાંત ખાતામાં હવે તો સીધી રોકડ પણ જમા થવા લાગી છે. એમાંના કેટલાં તેને પાત્ર છે તે સરકાર જાણે, પણ જે થાય છે, તે ઠીક નથી. આવી મફત યોજનાઓ કરતાં લોકોને રોજગારીનો લાભ મળતો હોય તો તે જોવાવું જોઈએ. આમ સરકારી સહાયના ગુલામ કરીને મફતનો મહિમા કરવાની જરૂર નથી. એક તરફ નાણાંકીય ભંડોળનો રાજ્યો સામનો કરી રહ્યા હોય, ત્યારે મફતની યોજનાઓ રાજ્યોની આર્થિક સ્થિતિ વધારે ખરાબ કરી રહી છે. દેખીતું છે કે એમ થતાં વિકાસનું ગાડું ઘોંચમાં પડે. કર્મચારીઓના પગાર અને મફત યોજનાઓને લીધે બોજ એટલો વધી ગયો છે કે વિકાસ માટે ભંડોળની જ ટાંચ પડે છે.
હકીકત એ છે કે ઘણી ખરી મફત યોજનાઓ ચૂંટણી નજીક હોય ત્યારે જ જાહેર થાય છે, એ બતાવે છે કે આ નિ:સ્વાર્થ ભાવે થતું નથી. સ્પષ્ટ હેતુ તો લાચાર, ગરીબ પ્રજાના મત ઉઘરાવવાનો જ છે. આ જાણે છે તેમણે આ રમત ને રાજકારણની ચુંગાલમાં ન ફસાવું જોઈએ, તેમાં પણ જે સાધન સંપન્ન છે, તેમણે તો ખાસ ! લોકોની નબળાઈઓનો લાભ લેવામાંથી, સરકાર, રાજકીય પક્ષો અને રાજકારણીઓ નથી જ ચૂકતાં. સી.જે.આઈ.નું સ્પષ્ટ કહેવું છે કે આ અંગે ફેરવિચારણાઓ તાત્કાલિક અસરથી થવી ઘટે. એ સમજી લેવાનું રહે કે આમ જ મફત બધું ખટાવાતું રહેશે, તો દેશનો વિકાસ અટકી જશે. એ પણ કમાલ છે કે એક તરફ રાજ્યોને માથે દેવું છે ને બીજી તરફ સરકારો કે પક્ષો મફતની લહાણીઓ કરતાં રહે છે, પૈસા વહેંચાતા રહે છે. આ પૈસો ક્યાંથી આવે છે? જો રાજ્ય રેવન્યૂ સરપ્લસ હોય તો આ પૈસા વિકાસમાં વપરાવા જોઈએ. રસ્તાઓ, હોસ્પિટલો અને સ્કૂલો બનાવવાને બદલે ભોજન કપડાં કે રોકડ વહેંચવાનું કોઈ રીતે દેશહિતમાં નથી, એટલું જ નહીં, જેમને વહેંચાય છે, એમના હિતમાં પણ નથી. સી.જે.આઈ.એ સંતાપ કરતા હોય તેમ કહ્યું છે કે દેશમાં આ બધું શું ચાલી રહ્યું છે?
સાચું તો એ છે કે કેટલા ય વિદ્યાર્થીઓ એવા છે, જે શિક્ષણનો ખર્ચ ઉઠાવી શકે એમ નથી કે ઘણાં એવાં છે જે એન્જિનિયરિંગ-મેડિકલનો આર્થિક બોજ ઉપાડી શકે એમ નથી, તો એવાઓનો હાથ સરકાર ઝાલે તો લેખે પણ લાગે, તેનાં કરતાં તમામ રાજકીય પક્ષો કે સરકારો ચૂંટણીલક્ષી લહાણી કરે છે તે બરાબર નથી. આ સેવા નથી, સ્વાર્થ છે. ખરેખર તો સમગ્ર રેવડી સંહિતાની ફેરવિચારણા કરવાની જરૂર છે.
19 રાજ્યોનાં કુલ સબસીડીના 53 ટકા વીજળી પાછળ ખર્ચાઈ રહ્યા છે. રાજકોષીય ખાધની વાત કરીએ તો 2024-‘25માં તે GDPનાં ૩.૩ ટકા હતી. ૩વર્ષથી તે ૩ ટકાની નીચે હતી. માર્ચ 2025 સુધીમાં રાજ્યોનું કુલ દેવું GDPના 27.5 ટકા હતું, તે માર્ચ 2026 સુધીમાં 29.2 ટકા સુધી પહોંચે એમ બને. તમિલનાડુમાં સબસિડી બજેટના 60 ટકા બસો, વીજળી અને PDS પાછળ ખર્ચાય છે. પંજાબ કુલ સબસિડીના 90 ટકા વીજળી પાછળ ખર્ચે છે. ટૂંકમાં, રાજકોષીય ખાધ છાતી પર હોવા છતાં, રેવડીનો મહિમા ઘટવો જોઈએ, પણ તેવું થતું નથી, બલકે રેવડીમાં વધારો થતો અનુભવાય છે.
અનેક રાજ્યોનો ખર્ચ, આવક કરતાં વધુ છે, એવા રાજ્યો પણ મફતની યોજનાઓ ચાલુ રાખે છે, તે ખરેખર તો ખાતર પર દિવેલ જેવું જ છે. આ લહાણી કોઈ દાનમાંથી નથી થતી. એ તાગડધિન્ના કરદાતાઓના ભરાયેલા ટેક્સ પર થાય છે. મફતની યોજનાઓનો લાભ પ્રજાને એ રીતે મળતો થયો છે કે લોકો કામ કરવા બહુ ઉત્સુક નથી હોતા ને શું કામ હોય, જો વગર મહેનતે પૈસા કે અનાજ મળી રહેતાં હોય, તો? આજે તો એ મુશ્કેલી છે કે નાનાં કામ માટે માણસો નથી મળતા ને શોધવા જતાં તેઓ સ્પષ્ટ કહે છે કે અમને તો સરકાર તરફથી બધું મળી રહે છે તો કામ કરવાની જરૂર જ શી છે?
જેમને જરૂર છે, એમને સરકાર મદદ કરે તે સમજી શકાય, પણ જે ધરાયેલા છે, એવા લોકોને મદદ, તો જરૂરિયાત મંદના મોંમાંથી કોળિયો કાઢી લેવા જેવી છે. દેશના 81.35 કરોડથી વધુ લોકોને માટે પ્રધાન મંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના (PMGKAY) હેઠળ મફત અનાજની યોજના અમલમાં છે. દેશની અડધીથી વધારે વસ્તીને મફત અનાજ પૂરું પાડવું પડતું હોય, તો કઈ રીતે માનવું કે આપણે વિકાસને પંથે છીએ? એવી ભારોભાર શંકા છે કે વિદેશોમાં ભારતનું નાક ઊંચું રહે એવું હવામાન છે, બાકી, અંદરથી પોલંપોલ હોય એવું વધારે છે. મફત અન્ન યોજના 2028-’29 સુધી ચાલુ રહેવાની છે, એમાં પણ ચૂંટણી સુધી સહાય આપીને મત આંચકી લેવાની વૃત્તિ જ કામ કરે છે. ટૂંકમાં, સરકાર કે પક્ષોની સહાયની યોજનાઓ ચૂંટણીલક્ષી જ છે. ચૂંટણીમાં મત મેળવવાની ગણતરી ન હોય તો સરકાર કે પક્ષો કેવી ને કેટલીક મફત યોજનાઓ આ દેશમાં ચલાવે તે પ્રશ્ન જ છે.
ખરેખર તો ચૂંટણી વખતે કોઈ પણ સરકાર કે પક્ષ રેવડી ન વહેંચે એવો કાયદો કરવો જોઈએ. રેવડી વહેંચનાર કોઈ પણ હોય, તેને તાત્કાલિક અસરથી અટકાવવા જોઈએ. ચૂંટણી પછી નવી સરકાર રચાય તે પછી જ રેવડી વહેંચવી હોય તો, ભલે વહેંચાય, તે પહેલાં નહીં. આવું થશે તો ચૂંટણી પહેલાં જે મતલબી હેતુથી રેવડી વહેંચાય છે, તેના પર બ્રેક લાગશે. એ સાથે જ મફતનું ખાવાની ટેવ પડી છે ને જેમનામાં કામચોરી કે આળસ ઘર કરી ગઈ છે, એ લોકો પણ પોતાને વિષે, પોતાનાં સ્વમાન અંગે ગંભીર થશે. અસ્તુ !
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 23 ફેબ્રુઆરી 2026
![]()

