
રવીન્દ્ર પારેખ
આપણામાં હવે નાનમ, સંકોચ કે શરમ શોધવાં પડે એ સ્થિતિ છે. એનું મુખ્ય કારણ પ્રજા તરીકેનું આપણું મૌન છે. ગમે તે થાય, પણ એની સાથે કોઈ લેવાદેવા ન હોય એમ આપણે કતરાતું જીવીએ છીએ. એમ જીવવાનો પુરાવો જ એ કે શ્વાસ ચાલે છે. એથી વધારે જીવવાની જરૂર ન હોય એમ આ દેશના વિકાસમાંથી, તેના વ્યવહારમાંથી, તેનાં પરિણામોમાંથી આપણે, આપણી જાતને બહાર કાઢી લીધી છે. દેશ, દુનિયામાં કંઇ પણ થાય, આપણને કોઈ ફરક પડતો નથી. આપણને ચશ્માંની જેમ જ સંવેદનનાં નમ્બર આવ્યા હોય તેમ, કંઇ જ સ્પર્શતું નથી. એમાં પણ શિક્ષણની બાબતમાં આપણે સર્વનાશને જ નોતર્યો હોય એવી હાલત છે. કોઈ ઇચ્છતું નથી કે આપણે શિક્ષિત થઈએ. તે એટલે કે ભણે તો સામે શિંગડાં કરે, એટલે પ્રજા ભણે જ નહીં એવું તંત્ર ગોઠવાયેલું છે. સરકાર લોકશાહીનું મહોરું પહેરીને પ્રજાને બોલતી બંધ કરવા માંગે છે ને અત્યારે તો બોલે તો બે ખાય એવી સ્થિતિ છે. સરકારને કદાચ વિરોધ ખપતો નથી. નથી ખપતો એટલે ખુશામત કેન્દ્રમાં આવી રહે છે.
કેન્દ્ર સરકાર કે ઇવન રાજ્ય સરકારો પ્રમાણિક રીતે આંકડાઓ આપીને વિકાસ કે પ્રગતિનો ખ્યાલ આપતી રહે છે, પણ હકીકત કહી દેવાથી જે હાનિ પહોંચે છે, એમાં ફેર પડતો નથી. ઘાની જાણકારી, તે ઘાનો ઈલાજ નથી. આજનું વાતાવરણ નબળાઈઓને બચાવમાં ફેરવનારું છે. એક સમયે ગુનો ગણાતું કૃત્ય ગુણ ગણાય ને તેને સમર્થન આપનારા મળી રહે એ પણ બુદ્ધિની બલિહારી જ ને ! ઘણીવાર તો કોઈ પ્રતિક્રિયા પણ આવતી નથી. ગુજરાત રાજ્ય એમાં અવ્વલ નંબરે આવે એમ છે. થોડા વખત પર શિક્ષણ સંદર્ભે એવી વાત બહાર આવી કે ગુજરાત શિક્ષણ સંદર્ભે શ્રેષ્ઠ દસમાં તો નથી જ, પણ નબળા દસમાં પણ છેલ્લે છે. આવી સ્થિતિમાં સરકાર તરફથી કોઈ ખુલાસો નથી આવ્યો, એટલું જ નહીં, જે સ્થિતિ છે એમાં સુધાર થશે એવું આશ્વાસન પણ ક્યાંયથી મળ્યું નથી.
શિક્ષણની બાબતમાં શિક્ષણ વિભાગનું મૌન ઘાતક છે. દુનિયા કંઇ પણ કહે, તેને ફરક પડતો નથી. તેને જીવ જ બચ્યો ન હોય તેમ, ગમે તે થાય, કોઈ અસર નથી. લખલૂટ ખર્ચ થતો રહે, અધિકારીઓનાં પગાર પેન્શન થતાં રહે, રોજ પરિપત્રો ને ડેટાનો કારભાર ચાલ્યા કરે, ત્યારે જ શિક્ષણ વિભાગ સજીવ હોય છે, છતાં શિક્ષક અને શિક્ષણની ગુણવત્તા અંગે કોઈ ખુલાસો થતો નથી તે પ્રજાનું કમભાગ્ય છે.
વિદ્યાર્થીઓ નથી મળતા એવા બહાના હેઠળ સરકારી સ્કૂલો બંધ થતી રહે છે ને કોઈનું રૂંવાડું ય ફરકતું નથી. કોઈ પુરસ્કારની જાહેરાત હોય તેમ સ્કૂલો બંધ થવાના આંકડા અપાતા રહે છે ને એની કોઈ ચિંતા ગુજરાતમાં નથી. ગુજરાત સૌથી વધુ ઉદાસીન શિક્ષણ બાબતે છે. વસ્તી વધે છે, બાળકો વધે છે ને સ્કૂલો બંધ થાય છે. ડ્રોપ આઉટ રેશિયો વધતો જ આવે છે ને તેની ટકાવારી પણ સરકાર જ આપે છે. ગુજરાતમાં કરોડોની વસ્તી છતાં, વિદ્યાર્થીઓ નથી મળતા, એ બહાના હેઠળ સ્કૂલો બંધ થાય છે તે ચિંત્ય છે.
યુનિફાઈડ ડિસ્ટ્રિકટ ઇન્ફર્મેશન સિસ્ટમ ફોર એજ્યુકેશન (UDISE+) તરફથી ૩ સપ્ટેમ્બર, 2025ને રોજ વિગતો આવી તે જોઈએ. યુનિવર્સિટી મિનિસ્ટ્રી દ્વારા 2024-’25નાં શૈક્ષણિક વર્ષ માટે જાહેર થયેલ ડેટા એવું કહે છે કે દેશભરમાં 2021માં 15,09,136 સ્કૂલો હતી, જે છેલ્લાં પાંચ વર્ષમાં ઘટીને 14,71,473 થઈ છે. મતલબ કે 37,663 સ્કૂલો બંધ થઈ છે. આમાં 23,000 સરકારી અને ગ્રાન્ટ પર નભતી સ્કૂલો છે. 2024-‘25માં 5,30૩ સરકારી અને સહાય પર નભતી સ્કૂલો બંધ થઈ છે.
ગુજરાતમાં છેલ્લાં 8 વર્ષમાં 525 સરકારી સ્કૂલો બંધ થઈ છે, તે ઉપરાંત વિદ્યાર્થીઓની સંખ્યા નહિવત હોવાને બહાને સરકાર 5,912 સ્કૂલો બંધ કરવાની વેતરણમાં છે. વિદ્યાર્થીઓમાં ડ્રોપ આઉટ રેશિયો ગુજરાતમાં સૌથી વધુ છે. 2024-’25માં 54,541 બાળકો શાળા છોડી ગયાં હતાં. આમ તો એ આંકડો 2,40,486 હતો, પણ સરકારે 2,30,196 વિદ્યાર્થીઓને ફરી જોડ્યા એવું કહેવાય છે. એવું હોય તો એ સારી વાત છે. એ આંકડો 2025-’26માં ભારે ઉછાળા સાથે 2,40,809 પર પહોંચ્યો છે. એનો સાદો અર્થ એવો થાય કે ગરીબ અને આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓને તો શિક્ષણની કોઈ તક જ રહેતી નથી. ક્યાં તો એમણે ભણતર છોડવું પડે અથવા તો ખાનગી સ્કૂલોમાં ભારે ફી ભરીને એડમિશન લેવું પડે. હવે એટલી તાકાત હોત તો તે ગરીબ કે નબળો હોત જ શું કામ?
એક તરફ સરકારી અને ગ્રાન્ટેડ સ્કૂલો બંધ થઇ રહી છે, તો બીજી તરફ ખાનગી સ્કૂલો શરૂ થઈ રહી છે. 2024-‘25માં જ 5,30૩ સ્કૂલો બંધ થઇ છે, તો સામે 8,475 ખાનગી સ્કૂલો શરૂ થઈ છે. આ આંકડો 2023 -’24માં 7,678 હતો. મતલબ કે એક વર્ષમાં 797 પ્રાઇવેટ સ્કૂલો ખૂલી અને 5,30૩ સ્કૂલો બંધ થઈ. એવું નથી લાગતું કે શિક્ષણ વિભાગની જ દાનત નથી કે સ્કૂલો ચાલુ રહે? વિદ્યાર્થીઓ નથી એમ સરકાર કહે છે, તો 797 ખાનગી સ્કૂલો એક જ વર્ષમાં ખૂલે એવું બને ખરું? સરકારી સ્કૂલોમાં મફત ભણવાનું છે ને ત્યાં વિદ્યાર્થીઓ જતાં નથી ને ખાનગી સ્કૂલોમાં મોંઘી ફી ભરીને દાખલ થાય એમાં કયો તર્ક કામ કરે છે, તે નથી સમજાતું. લોકોના ટેક્સમાંથી સરકારી સ્કૂલો ચાલે છે, તે દયા દાન ધરમથી નથી ચાલતી ને તોય સરકારી સ્કૂલો બંધ થાય છે, એમાં સરકારની દાનત એ છે કે સરકારી સ્કૂલો બંધ થવા દેવી ને ખાનગી સ્કૂલોને ઉત્તેજન આપવું. જેથી સરકારી સ્કૂલો ગમે ત્યારે ઓવારી દઈ શકાય.
વારુ, દેશમાં જે સરકારી સ્કૂલો ચાલે છે તેમાં પ્રાથમિક સુવિધાઓનાં પણ ઠેકાણાં નથી. 1.54 લાખ સ્કૂલોમાં પુસ્તકાલય નથી. 14.21 લાખ સ્કૂલોમાંથી 13.72 લાખમાં જ કન્યાઓને શૌચાલયની સગવડ છે. છોકરાઓ માટે 13.90 લાખ સ્કૂલોમાં શૌચાલય છે, પણ ચાલુ હાલતમાં 13.34 લાખ જ છે. 14,432 સ્કૂલોમાં પીવાના પાણીની સગવડ નથી. 2,48,822 સ્કૂલોને રમતનું મેદાન જ નથી. 850થી વધુ શાળાઓ 1-1 શિક્ષકથી ચાલે છે. કાયમી શિક્ષકોની ભરતી થતી નથી અને બીજી તરફ સ્કૂલોમાં ભણાવવા પૂરતા શિક્ષકો નથી. બધી જ અછત ને કરકસર શિક્ષણમાં જ છે ને કેન્દ્ર કે રાજ્ય સરકારોને એનો જરા ય અફસોસ કે સંકોચ નથી તે દુ:ખદ છે. સ્કૂલ હોય ને શિક્ષક ન હોય એ તે કેમ ચાલે? વગર શિક્ષકે ભણાવવાનો સરકાર વિક્રમ કરવા માંગતી હોય તેમ તે વર્તે છે. છેલ્લે ૩ ફેબ્રુઆરીએ એક પ્રશ્નના જવાબમાં કેન્દ્રીય શિક્ષણ રાજ્ય મંત્રીએ જે આંકડાઓ જાહેર કર્યા છે તે જોવા જેવા છે. મંત્રીશ્રીએ જણાવ્યું કે છેલ્લાં 10 વર્ષમાં 93,00૦ શાળાઓ બંધ થઈ છે. એમાં ઉત્તર પ્રદેશમાં સૌથી વધુ 24,60૦ છે. બીજા નંબરે મધ્ય પ્રદેશમાં એ આંકડો 22,40૦નો છે. આ આંકડાઓ વસ્તીનાં પ્રમાણમાં અન્ય રાજ્યોમાં પણ દયનીય છે. આવા બધા આંકડા સરકાર જાહેર કરે છે, એમાં અફસોસ કે હતાશાનો સૂર નથી. એમાં સચ્ચાઈ હોય તો પણ, તે એવી રીતે રજૂ થાય છે કે દેશે જાણે કોઈ સિદ્ધિ પ્રાપ્ત કરી હોય. 93,00૦ સ્કૂલો બંધ થાય ને ચામડી તતડે નહીં તો એમાં નીમ્ભરપણું જ પ્રગટ થાય છે. એ આંકડાઓ ઘટે એ માટે કોઈ પ્રયત્ન થતા હોય એવું લાગતું નથી. એવું હોત, તો આંકડાઓ વધવાને બદલે ઘટ્યા હોત, પણ એવું લાગતું નથી.
શિક્ષણને મામલે આખો દેશ ખંધો પુરવાર થઈ રહ્યો છે. શરમ તો દૂર દૂર સુધી ક્યાં ય જણાતી જ નથી. આટલી નિર્લજ્જતા ને નફ્ફટાઈ દેશમાં અગાઉ ક્યારે ય ન હતી …
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 06 ફેબ્રુઆરી 2026
![]()

