સુરક્ષા
ટાળંટોળી છેવટે તો છબી જ બગાડશે
નેતા પ્રતિપક્ષે જેના તરફ ધ્યાન દોરવા માંગ્યું છે તે વિગત બાબતે ટેકનિકલ આડશનો વ્યૂહ રાષ્ટ્રીય સુરક્ષાને મોરચે સલાહભર્યો નથી. નેતૃત્ત્વ ચાહે તો આ મર્યાદાનો ખુલ્લા દિલે સ્વીકાર કરીને દેશને દોષ–દુરસ્તીની રીતે વિશ્વાસમાં લઈ શકે છે.

પ્રકાશ ન. શાહ
28મી જાન્યુઆરીએ રાષ્ટ્રપતિ મુર્મુએ સંસદનાં બંને ગૃહોને વિધિવત સંબોધન તો કર્યું, પણ એમના સંબોધન પરની લોકસભાની ચર્ચા, વિમાન ભલે ચકરાવા પર ચકરાવા લે પરંતુ ઉડ્ડયન ન કરી શકે એવી સ્થિતિમાં આ દિવસોમાં મુકાઈ ગયેલી વરતાય છે. વડા પ્રધાન છેવટે બુધવારે સાંજે બોલી શકશે એમ જણાતું હતું પણ ચાલતે છતે નહીં ચાલેલી તો નહીં ચાલ્યાથી જ ચાલ્યા જેવી ચર્ચા હવે ગુરુવારે અગિયાર વાગ્યે ચકરાવેથી ઉડ્ડયન લગી, વડા પ્રધાનના સંભવિત ઉત્તર સાથે આગળ વધે છે કે કેમ તે જોવું રહે છે.
આ અનિશ્ચિતતાના મૂળમાં નેતા પ્રતિપક્ષ રાહુલ ગાંધીએ ઊભો કરવા ધારેલ મુદ્દો છે કે એ મુદ્દો બાબતે સત્તાવાર ટાળંટાળીનો રવૈયો છે, એમ બેઉ છેડેથી જોઈ શકાય. પણ એક વાત ચોક્કસ છે કે સત્તાપક્ષ એ મુદ્દો ટાળવાની પેરવી ને પેચ પવિત્રામાં છે અને અધ્યક્ષ ઓમ બીરલાની આ ટાળંટાળીમાં કથિત ટેકનિકલ આડશે પ્રધાનમંડળના ભેરુ જેવી છાપ ઊપસી રહી છે. ગૃહને સત્તાપક્ષ સાથે સમીકૃત કરવાનો એમનો આશય ન હોય તો પણ કમનસીબે ચિત્ર તો એવું અને એવું જ ઊપસી રહ્યું છે.
પ્રસ્તાવના જરી લંબાઈ ગઈ, આસપાસ ગાલિબ હાજર હોય તો ગઝલનુમા ડબકો પણ મૂકી દે કે, ‘માજરા કયા હૈ’. ભાઈ, સમજવાનું એ છે કે હાલની સરકાર રાષ્ટ્રીય સુરક્ષા મુદ્દાને પોતાની અનન્યસાધારાણ ઓળખ સરખું મહત્ત્વ આપી રહી છે, આગલી સરકાર દબ્બુ હતી અને પોતે સવા શેર છે એવી એક મૂછેતાવ મુદ્રાના રક્ષણને એ અહોરાત્ર અભિભાષણ પર નેતા પ્રતિપક્ષે કરેલી કિંચિત ચર્ચાકોશિશમાં એને આ ઓળખમાં ગોબો બલકે કાણું પડવાનો કંઈક ભય લાગે છે. છેવટે તો એ આપણી સરકાર છે, અને આપણે ઇચ્છીએ કે આપણી છાપ ખોટી પડે. પણ એ તો ચર્ચા ચાલવા દેવાય અને ધોરણસર જવાબ અપાય તે પછી જ નક્કી થઈ શકે ને.
ઓગસ્ટ 2020માં પૂર્વ લડાખમાં ભારત-ચીન સીમાસંઘર્ષનું ખરું ને પૂરું ચિત્ર આજે છઠ્ઠે વરસે પણ દેશજનતા સમક્ષ નથી આવ્યું એ વિગત ઉજાગર કરી સુરક્ષા મોરચે કિલ્લેબંદીની રીતે આપણે ઊણા પડ્યાના ને ઊણા ન પડવું જોઈએ એની ચર્ચા નેતા પ્રતિપક્ષને અભિમત છે. એ સત્તાપક્ષ અને ખાસ તો રાષ્ટ્રીય નેતૃત્વ પર પ્રહાર કરવા ઇચ્છતા હોય એટલા માત્રથી તો એમને રોકી ન શકાય પણ નેતા પ્રતિપક્ષ પાસે તે વખતના લશ્કરી વડા નરવણે થકી બહાર આવેલ વિગત હુકમના એક્કા જેવી છે. નેતૃત્વ ચાહે તો આ મર્યાદાનો ખુલ્લા દિલે સ્વીકાર કરીને દેશને દોષદુરસ્તીની રીતે વિશ્વાસમાં લઈ શકે છે. પણ જે રીતે ટાળંટાળીનો એનો રવૈયો આપણી સામે આવ્યો છે એ જોતાં હાલ તો ઊભી થતી છાપ કશીક દિલચોરી અને કમજોરીની છે. અલબત્ત, ગુરુવારે ચર્ચા આગળ ચાલે અને વડા પ્રધાન અને એમના સાથીઓ ધોરણસર વાત મૂકે (મૂકી શકે) તો ચોક્કસ કંઈક જુદી વાત પણ બને.
નરવણેનાં સ્મરણો બોલે છે કે જે ઢળતી સાંજે ને બેસતી રાતે ચીની લશ્કરી કારવાઈ સામે તાત્કાલિક સૈનિકી કામગીરીની તાકીદ હતી ત્યારે છેક રક્ષામંત્રી સુધી ને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર વગેરે સુધી મિનિટ બ મિનિટ દરબદર ભટકવાની નિયતિ એમની હતી. લશ્કરી સૂઝસમજ અને સુગ્રધિત ચારિત્ર્ય એ નરવણેની ચિરઓળખ એમની સમગ્ર કારકિર્દીમાં રહી છે. તત્ક્ષણ નિર્ણય લઈ આખી વાતને નિર્ણાયક અંજામ આપવાની એમની કાબેલિયત ચર્ચાતીત છે.
કમનસીબે, જેવી રાહુલ ગાંધીએ નરવણેના આપણે ત્યાં પુસ્તકરૂપે અપ્રકાશિત સંસ્મરણોનો હવાલો ‘ઉપરના હુકમની રાહ જોવાની’ એમની નિરુપયતા રજૂ કરવાની કોશિશ કરી ત્યાં રક્ષા મંત્રી ને ગૃહ મંત્રી બિલકુલ સરહદી મુઠભેડની રીતે ઊભા થઈ ગયા. ‘પુસ્તક પ્રગટ થયું નથી’ (અમે રજા નથી આપી)ની તરજ પર એમણે એનો હવાલો બિનસંસદીય જણાવ્યો હતો. રાહુલ ગાંધી પાસે જે સામગ્રી હતી તેને ઓથેન્ટિકેટ કરાવી આગળ વધી શકાયું હોત, પણ …
Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘પરિપ્રેક્ષ્ય’, “દિવ્ય ભાસ્કર”; 04 ફેબ્રુઆરી 2026
![]()

