Opinion Magazine
Number of visits: 9448701
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

એક નાટય-દિગ્દર્શકની કલમે લખાયેલો સંચય : રંગવિમર્શ

અભિજિત વ્યાસ|Opinion - Literature|21 May 2016

આપણે ત્યાં નાટ્યકલા વિશે ઓછું લખાય છે. જે નાટકો લખાય છે તેમાંથી બહુ ઓછાં તખ્તા સુધી પહોંચે છે. જે નાટકો ભજવાય છે તેમાંનાં બહુ ઓછા પ્રગટ થાય છે. ગુજરાતી રંગભૂમિની પોતાની આગવી કહી શકાય તેવી કોઈ ઓળખ નથી. શા માટે આવી પરિસ્થિતિ છે, તે અંગે પણ કોઈ વિચારણા થતી નથી. આ બહુ દુઃખદ પરિસ્થિતિ છે. આવા સંજોગોમાં નાટ્યકલા અંગે કોઈ સંચય પ્રગટ થાય એ અત્યંત આવકારીય ઘટના છે. આવી ઘટનાને પોંખવી એ ખરેખર પ્રત્યેક નાટ્યકલારસિકનું કાર્ય છે.

આપણે ત્યાં નાટ્યકલાના ક્ષેત્રે અનેક લોકો કાર્ય કરે છે, પણ તેમાંથી ભાગ્યે જ કોઈ પોતાના સર્જન વિશે કે નાટ્યકલા વિશે કશું જ લખે છે. કેટલાક નાટ્યકારોએ પોતાની જીવનકથા જેવું લખ્યું છે, પણ એથી વિશેષ તેમની અનુભવકથા કે તેમના સર્જનની પાછળ રહેલી મથામણો, મંચન પ્રક્રિયા કે મંતવ્યો વિશે પણ બહુ ઓછું જાણવા મળે છે. પહેલાના કલાકારો સ્વયંશિક્ષિત હતા, પણ એ પછી અનેક શિક્ષિત કલાકારો, અને નાટ્યનો જ ખાસ અભ્યાસ કરીને આવેલાઓ અનેક લોકો આજ કાર્યરત હોવા છતાં તેમની પાસેથી કશું વાચકોને મળ્યું નથી. એવા સંજોગોમાં જાણીતા નાટ્ય-દિગ્દર્શકનું એમના સર્જનને, એમની માન્યતાને તથા અભ્યાસને પ્રસ્તુત કરતું પુસ્તક મળે એ ખરે જ આવકાર્ય ઘટના છે. આ ઘટના ભરત દવેના પુસ્તક ‘રંગવિમર્શ’ના પ્રકાશનથી સર્જાઈ છે.

ભરત દવે એક સમયે ગુજરાતની રંગભૂમિ ઉપર એક દિગ્દર્શક તરીકે સક્રિય હતા. એમણે ગુજરાતીમાં લખાયેલાં જ નહીં પણ અન્ય ભાષામાં લખાયેલાં કેટલાંક ઉત્તમ નાટકો પ્રસ્તુત કરેલાં છે. તેઓ એન.એસ.ડી.ના સ્નાતક પણ ખરા. પરિણામે વિશ્વ-રંગભૂમિનો પરિચય જ નહીં, અભ્યાસ પણ ખરો. એ બધાના પરિણામે નાટ્યજગત વિશે એમણે જે અભ્યાસ-વિચાર કર્યો, તેના પરિણામે જે લેખો લખાયા તે બધા અહીં સમાવિષ્ટ થયા છે. એટલે એ બધા લેખોમાં વિવિધતા જોવા મળે છે. પ્રસ્તુત સંચયમાં ગુજરાતી રંગભૂમિની વાત તો વાંચવા મળે જ છે, પણ એ ઉપરાંત હેરોલ્ડ પિન્ટર, ચેખોવ, ઇબ્સન જેવા વિદેશી નાટ્યલેખકોનાં નાટકોની વાત પણ વાંચવા મળે છે. આ લેખો આમ તો, કોઈ નિમિત્તે અલગ અલગ જગ્યાએ પ્રવચન-રૂપે અપાયેલા છે. આ બધાનો સંચય એટલે ‘રંગવિમર્શ’.

પ્રસ્તુત સંચયનાં બાર પ્રકરણમાં બે પ્રકરણો (‘ગુજરાતી રંગભૂમિ : રાષ્ટ્રીય પરિપ્રેક્ષ્યમાં’, ગુજરાતી એકાંકીનો વિકાસ’)માં ગુજરાતી નાટકોની તથા બે પ્રકરણોમાં નાટ્યસર્જકોની વાત વિગતે થઈ છે. તેમાં ‘દર્શકનાં નાટકોની મંચનક્ષમતા’ અને ‘શ્રીકાન્ત શાહઃ પ્રયોગશીલ નાટ્યકાર’ને અંગે પણ વાંચવા મળે છે. આ બંને પ્રકરણોમાં સર્જકોને ભજવાતા નાટકની દૃષ્ટિએ વર્ણવવામાં આવ્યા છે. તેમાં પણ ઉપેક્ષિત એવા શ્રીકાન્ત શાહનાં નાટકોની યોગ્ય સમીક્ષા કદાચ ગુજરાતીમાં પ્રથમ વખત જ વાંચવા મળે છે. અહીં શ્રીકાન્ત શાહ ઉપર ચર્ચા કરતાં લેખક લખે છે :

એક ચેતવા જેવી વાત છે કે મોટા ભાગના દિગ્દર્શકો કે કલાકારો શ્રીકાન્ત શાહનાં નાટકોનાં માત્ર વિલક્ષણ પાત્રો, ચબરાકિયા સંવાદ અને અજીબોગરીબ પરિસ્થિતિના જાદુ હેઠળ ઉપરછલ્લી રીતે આવી જઈ તેમનાં નાટકોની પસંદગી કરી બેસે છે. પણ તેમ કરવા જતાં મનોરંજનની પાછળ રહેલ મનોમંથન, ગમ્મત પાછળ રહેલ ગૂંગળામણ, હાસ્ય પાછળ રહેલ માનવજીવનના હ્રાસની અભિવ્યક્તિ સાવ અજ્ઞાત-અધૂરી છૂટી જાય છે. શ્રીકાન્ત શાહનાં નાટકો ભજવવા શ્રીકાન્ત શાહથી પણ બમણી મહેનત કરવી પડે તેમ છે, એ બધા નવા યુવાન કલાકારો યાદ રાખે. (પૃ. ૮૬)

ધર્મવીર ભારતી લેખિત કાવ્યનાટક ‘અંધાયુગ’ વિશે લખતા લેખકે નાટકમાં વર્ણવાયેલા પૌરાણિક સમયને ભારતની આઝાદીના સમય સાથે જોડી દીધું છે. ભરત દવે લખે છે :

આ નાટક મહાભારતના કુરુક્ષેત્રમાં યુદ્ધ પૂરું થયા પછીની ઘટનાઓ, પાત્રો અને તેમની ભાવનાને આધારે – તેને એક રૂપક સ્વરૂપે આપણી નજર સમક્ષ રાખીને રચાયું છે. તેમાં જો ઊંડું વિશ્લેષણ કરો, તો પામશો કે નાટકનાં પાત્રો, તેના પ્રસંગો, તેમાંથી ઊઠતો સૂર, બધું જ જાણે કે દેશમાં આઝાદીકાળે બની ગયેલી ઘટનાઓને સમાંતર જાય છે. (પૃ. ૧૫૦)

નાટક ‘અંધાયુગ’નું એક અવતરણ ભરતભાઈએ નોંધ્યું છે, એ આમ તો હાલની પરિસ્થિતિમાં પણ એટલું જ મહત્ત્વનું જોવા મળે છે.

“ધર્મ, નીતિ, મર્યાદા, યહ સબ હૈ કેવલ આડંબર માત્ર,
હસ સબ કે મન મેં કહીં એક અંધ ગહ્‌વર હૈ
બર્બર પશુ, અંધા પશુ વહીં વાસ કરતા હૈ, સ્વામી જો હમારે વિવેક કા,” (પૃ. ૧૫૧)

‘દર્શક’ના નાટકોની મંચનક્ષમતા’ પ્રકરણમાં ભરત દવે લખે છે, ‘પરિત્રાણ’ જ્યારે છપાયું ત્યારે અનેક ગુજરાતી વિવેચકો તેને નાટક માનવા જ તૈયાર નહોતા. આવું જ કંઈક હિન્દી સાહિત્યમાં ધર્મવીર ભારતીના કાવ્યસંવાદ ‘અંધાયુગ’ બાબતે પણ બનેલું.’ (પૃ. ૧૧૨) (દર્શકની નવલકથા ‘સૉક્રેટિસ’નું નાટ્યરૂપાંતર પણ ભરત દવેએ કર્યું છે.) એટલે કોઈ નાટ્યકાર કે દિગ્દર્શક કે રંગકર્મી નહીં પણ આપણાં નાટકો અંગે વધુ તો આપણા વિવેચકો તેની મંચનક્ષમતા અંગે મત વ્યક્ત કરે છે. અહીં એક અન્ય અવતરણ પણ નોંધવા જેવું છે તે, ‘ગુજરાતી નાટ્યકારો – લાભશંકર, સિતાંશુ કે શ્રીકાન્ત શાહ જેવા લેખકોનાં નાટકોને નથી તો મદદ મળતી સમર્થ કલ્પનાશીલ દિગ્દર્શકોની કે નથી મદદ મળતી તખ્તાના કલા-કસબના જાણકાર એક જ અભ્યાસી આવા કોઈ ઊંચેરા નાટક-સમીક્ષકોની.’ (પૃ. ૮૭) ગુજરાતી નાટ્યસાહિત્ય કે તેની ભજવણી અંગે ખાસ કશું જ નથી લખાતું અને લખાય છે તે પણ ફક્ત સાહિત્યિક વિવેચકો દ્વારા. આ વિવેચકો નાટ્યકલાને જાણવા-માણવા કે નાણવામાં નિષ્ફળ ગયા છે. આ ખરે જ વિચારણીય મુદ્દો છે. ભરત દવેએ એક સમગ્ર પ્રકરણ ‘નાટક અને સાહિત્ય’ને અંગે લખ્યું છે, જેમાં આ બંને માધ્યમોનો તુલનાત્મક અભ્યાસ વાંચવા મળે છે. વિશ્વના કેટલાક મહાન નટોની દૃષ્ટિએ અભિનયકલા અંગે પણ એમણે ચર્ચા કરી છે.

પ્રસ્તુત સંચયમાં ત્રણ વિદેશી નાટ્યલેખકો અંગે ‘ઇબ્સન અને ડૉલ્સ હાઉસ’, ‘ચેખોવ – મારો ગમતો સર્જક’ અને ‘હેરોલ્ડ પ્રિન્ટરઃ આધુનિક બ્રિટિશ નાટ્યકાર’ રૂપે વિસ્તૃત લેખો વાંચવા મળે છે. ચેખોવ વિશેના પ્રકરણમાં લખે છે, ‘લેખક કેવો હોવો જોઈએ તે અંગે ચેખોવ ટૉલ્સ્ટૉયની વાર્તા ‘તૃષ્ણા’નો દાખલો આપે છે. વાર્તાના અંતમાં ટૉલ્સ્ટૉય કહે છે : “માણસને કેટલી જમીન જોઈએ?” જવાબ મળે છે “ફક્ત” (કબરમાં સૂવા પુરતા) છ હાથ. “Rubbish”, ચેખોવ અસંમતિ દર્શાવતા કહે છે, “It’s a corpse that needs six feet of land, but the living needs the entire globe, and particularly the writer …” અહીં લેખકનું વિશ્વ કેટલું વિશાળ હોવું જોઈએ, તે વાતનો ચેખોવનો સંદર્ભ મળે છે.

પ્રસ્તુત સંચય ‘રંગવિમર્શ’માં પ્રેક્ષકોને અંગે ભરત દવે દ્વારા કરવામાં આવેલું નિરીક્ષણ વિચારણીય છે. ભરતભાઈ લખે છે, “આપણને બૌદ્ધિકોને ટેવ છે કે ખ્યાતનામ લેખકોની કૃતિઓ અથવા તો કુમાર સહાની કે મણિ કૌલ જેવાઓની ફિલ્મો સમજાય – ન સમજાય તો પણ તેમની ખ્યાતિના પ્રભાવમાં આવી જઈને બહારથી વાહ વાહ કરતાં ફરીએ છીએ. હમણાં જ એક પુસ્તકમાં મેં ક્યાં ય જ્હૉન ગાસનરનું એક સૂચન વાંચેલું. તે કહે છે કે “નાટ્યકારનું નામ જાણ્યા વગર જ તેનું નાટક જોવાવું જોઈએ, જેથી કરીને કોઈ જ પ્રકારના પૂર્વગ્રહ વગર, ફક્ત નાટકના મેરિટ્‌સને આધારે જ આપણે નાટકને મૂલવી શકીએ.” બેકેટનું નાટક છે એટલે ન સમજાય તો પણ બેકેટની વિશ્વવિખ્યાતિને ધ્યાનમાં રાખીને આપણે આપણને જ અધૂરા ગણીએ છીએ, નાટકને નહીં, પરંતુ આવો જ આપણે આપણા સર્જકોને આપવા ઝટ તૈયાર નથી હોતા.”

‘રંગવિમર્શ’માં નાટ્યકલા અંગેનો એક વિચારણીય સંચય છે. આ સંચય પૂર્વે લેખકને ‘મારી રંગયાત્રા’ પુસ્તકમાં પોતાના જીવનમાં જે જોયું, માણ્યું તેની વાત લખી ચૂક્યા છે. આ પુસ્તકના પ્રાગટ્ય સમયે આપેલું પ્રવચન પણ અહીં છેલ્લા લેખ તરીકે સમાવાયું છે. ભરત દવે લેખિત ‘રંગવિમર્શ’ નાટ્યકલાના જ નહીં, પણ નાટ્યસાહિત્યના પ્રેક્ષકો, વાંચકો અને રસાસ્વાદકો માટે વાંચવા-માણવા જેવો સંચય છે. આ બધું વાંચતાં ભરત દવે પાસે નાટ્યકલાવિષયક હજી વધુ લખાય તેવો આગ્રહ જરૂર રાખી શકાય.

e.mail : abhijitsvyas@gmail.com

સૌજન્ય : “નિરીક્ષક”, 16 મે 2016; પૃ. 13-14 

Loading

21 May 2016 admin
← પછાતવર્ગની અનામતનો પેચીદો પ્રશ્ન
મહિલાઓએ અન્યાય-અત્યાચારનો સામનો કરવો પડે છે ત્યારે ઇલાબહેનનો ‘અવાજ’ યાદ આવે →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved