Opinion Magazine
Number of visits: 9524360
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

‘15, પાર્ક એવન્યુ’: ખોવાયેલા આશ્રયની શાશ્વત શોધ 

સોનલ પરીખ|Opinion - Opinion|16 November 2025

નોર્મલ અને એબ્નોર્મલની સીમા આખરે કઈ છે? જેને માટે ભ્રમણાઓનું વિશ્વ જ સાચું છે એનો અનુભવ, એ આપણા કરતાં જુદો છે એટલા માત્રથી એને નકારવાનો આપણને અધિકાર મળી જાય? ‘15, પાર્ક એવન્યુ’માં અપર્ણા સેન માનસિક બીમારી સાથે દર્શકોને જોડે છે અને એ યાદ અપાવવામાં સફળ થાય છે કે સ્વપ્નમાં કે જાગતાં આપણે બધા આપણા એક ખોવાયેલા ઘરને શોધવા મથતા હોઈએ જ છીએ …

દર વર્ષે 10 ઑક્ટોબરે વિશ્વ માનસિક આરોગ્ય દિન ઊજવાય છે. વર્ષ ૧૯૯૨માં વર્લ્ડ ફૅડરેશન ફૉર મેન્ટલ હૅલ્થ દ્વારા આ શરૂઆત કરવામાં આવી હતી. થોડા વખત પહેલાં પ્રગટ થયેલા એક રિપૉર્ટ ‘હાઉ ઇન્ડિયા પર્સિવ્સ મેન્ટલ હૅલ્થ’માં આઠ ભારતીય શહેરોમાં લોકો માનસિક આરોગ્યને કઈ રીતે જુએ છે એ સંદર્ભે થયેલો સર્વે હતો. જાણવા મળ્યું કે 87 ટકા લોકો સ્કિઝૉફ્રેનિયા અને ઑબ્સેસિવ કમ્પલ્ઝિવ ડિસઑર્ડર જેવી માનસિક બીમારીઓ સાથે વત્તાઓછા અંશે જોડાયેલા છે. 50 ટકા લોકો માનસિક તકલીફો પ્રત્યે તિરસ્કારથી જુએ છે. 60 ટકા લોકો માને છે કે માનસિક બીમારીવાળા લોકોનો ચેપ તંદુરસ્ત લોકોમાં ન ફેલાય તે માટે તેમનાં પોતાનાં જૂથો હોવા જોઈએ અને 68 ટકા લોકો માને છે કે આવા લોકોને કોઈ જવાબદારી ન સોંપાવી જોઈએ. 

ખરેખર તો માનસિક રીતે બીમાર વ્યક્તિ પ્રત્યે જવાબદાર, જાગૃત ને પરિપક્વ દૃષ્ટિકોણથી જોવું જોઈએ અને એને સંભાળનારને પણ અનેક પડકારોનો સામનો કરવો પડે છે તે સમજવું જોઈએ. આપણે એવું કરીએ છીએ, કરી શકીએ છીએ? આ પ્રશ્નનો જવાબ કદાચ ‘15, પાર્ક એવન્યુ’ નામની અપર્ણા સેનની નેશનલ અવૉર્ડવિનિંગ ફિલ્મમાં મળે. આ ફિલ્મ બન્યાને દોઢ દાયકાથી વધારે સમય થયો. પણ એ પહેલા કે એ પછી આજ સુધીમાં આટલી સંવેદનશીલતાથી, આટલી ચોકસાઈથી અને આટલી સુંદર રીતે માનસિક બીમારી પર ભાગ્યે જ કોઈ ભારતીય ફિલ્મ બની છે.

ફિલ્મની શરૂઆત અનુ (શબાના આઝમી) અને તેની નાની બહેન મીઠી (કોંકણા સેન) કારમાં એક ઘર – 15, પાર્ક એવન્યુ શોધી રહ્યા છે, એ દૃશ્યથી થાય છે. દરમિયાન એક ફોન આવે છે. અનુ કહે છે, ‘મીઠી, વી હેવ ટુ ગો બેક. મારે કોલેજ જવાનું છે, વિદ્યાર્થીઓ રાહ જુએ છે.’ મીઠી કહે છે, ‘તો મારાં બાળકો પણ મારી રાહ જુએ છે ને.’ ધીરે ધીરે આપણને સમજાતું જાય છે કે મીઠી જેને શોધે છે એવું કોઈ ઘર છે જ નહીં. રાહ જોતાં પતિ અને બાળકો એના સ્ક્રીઝોફેનિક મનનું અધૂરું સ્વપ્નમાત્ર છે. 

તે રાત્રે અનુને એક લેખ લખવાનો છે અને મીઠી આવીને એના ઘરની, રાહ જોતા પતિ અને પાંચ બાળકોની વાત માંડે છે. અકળાયેલી અનુ કહે છે, ‘એ બધું તારો ભ્રમ છે. એવી કોઈ જગ્યા, એવા કોઈ લોકો ક્યાં ય છે જ નહીં.’ ત્યારે મીઠી તેને વીંધી નાખે તેવો સવાલ કરે છે, ‘આ કેવી વાત? તને કોઈ કહે કે તું પ્રોફેસર છે તે તારો ભ્રમ છે, તો?’ અને એને સ્તબ્ધ મૂકીને ચાલી જાય છે. મોડી રાત્રે તેને તેનાં બાળકો રોતાં હોય એમ લાગે છે, એ ઘરનો દરવાજો ખોલી બહાર જવાની કોશિશ કરે છે, નથી જઈ શકતી ત્યારે પોતાના કાંડા પર બ્લેડ ફેરવી દે છે. અનુ, એની મા (વહીદા રહેમાન) અને આયા તેને લઈને હૉસ્પિટલમાં દોડે છે. 

મીઠી અન્ડર ટ્રીટમેન્ટ છે ત્યારે અનુ (શબાના આઝમી) સાઈક્યાટ્રિસ્ટ ડૉ. કુનાલ(ધૃતિમાન ચેટર્જી)ને પૂછે છે, ‘મીઠી તેના કાલ્પનિક વિશ્વમાંથી જે આનંદ મેળવે છે તેને છીનવી લેવાનો આપણને શો અધિકાર છે?’ ત્યારે આપણે વિચારતા થઈ જઈએ છીએ. નોર્મલ અને એબ્નોર્મલની સીમા આખરે કઈ છે? જેને માટે ભ્રમણાઓનું વિશ્વ જ સાચું છે એનો અનુભવ, એ આપણા કરતાં જુદો છે એટલા માત્રથી એને નકારવાનો આપણને અધિકાર મળી જાય? 

એક આઘાતજનક ‘સિક્વન્સ’ પણ ફિલ્મમાં છે – અનુ કૉલેજમાં ક્વૉન્ટમ ફિઝિક્સ શીખવતી હોય છે ત્યારે ઘરમાં એક તાંત્રિક મીઠીનો ‘ઈલાજ’ કરતો હોય છે. આપણા દેશમાં સાઈક્યાટ્રિસ્ટ પાસે આવતા પહેલા દર્દીઓ આવા અનુભવમાંથી પસાર થયા જ હોય છે. પણ મીઠીને સ્ક્રીઝોફેનિયા કેવી રીતે થયો? અનુ ડૉક્ટરને જણાવે છે, ‘મીઠી નાની હતી ત્યારથી એકલી ફર્યા કરતી, પોતાનામાં ડૂબેલી રહેતી અને ગભરુ હતી. પછી તો સારું ભણી, જર્નાલિસ્ટ થઈ, સરસ બૉયફ્રેન્ડ હતો. સામૂહિક બળાત્કાર થયા પછી તેને સ્ક્રીઝોફેનિયા થયો.’ ડૉક્ટર કહે છે, ‘એ અર્થઘટન ખોટું છે. સ્ક્રીઝોફેનિયા આ રીતે થતો નથી. એને સ્ક્રીઝોફેનિયા હતો જ, લક્ષણો એ પછી દેખાયાં.’ 

આ બાજુ મીઠીનો પ્રેમી જોયદીપ (રાહુલ બૉઝ), બળાત્કાર પછીની મીઠીની અને પોતાની સ્થિતિને સંભાળી શકતો નથી અને એક ચિઠ્ઠી લખી ચાલ્યો જાય છે. અનુ સંજીવ(કંવલજિત)ને ચાહે છે, પણ એની જવાબદારીઓ એને સંજીવથી દૂર કરતી રહે છે. માને એની પોતાની અસહાયતા છે. 

અગિયાર વર્ષ બાદ અચાનક જોયદીપ દેખા દે છે. એ હવે પરિણીત છે, બે સુંદર બાળકોનો પિતા છે. મીઠી એને ઓળખી શકતી નથી, પણ એને કહે છે કે 15, પાર્ક એવન્યુમાં એનો પતિ અને બાળકો એની રાહ જુએ છે અને એને કોઈ ત્યાં લઈ જતું નથી. જોયદીપને ખ્યાલ આવે છે કે મીઠીનો કાલ્પનિક પતિ એ પોતે જ છે અને બાળકો, જોયદીપે એક વાર મજાકમાં બાળકોની કલ્પના કરીને નામ પાડેલાં એ જ છે. 

મીઠીએ પોતાને ઓળખ્યો નથી, પણ વિશ્વાસ તો મૂક્યો છે એ જોઈ જોયદીપ અનુને કહે છે કે એકવાર હું મીઠીને લઈ 15, પાર્ક એવન્યુ શોધવા જાઉં. બન્ને જાય છે, કારમાંથી ઊતરી ઘર શોધે છે. લોકો મજાક ઉડાવવા માંડે છે, જોયદીપ મીઠીને લઈ પાછો જવાની તૈયારી કરે છે ત્યાં મીઠીને 15 નંબરનું ઘર દેખાય છે, આંગણામાં એનાં બાળકો રમતાં દેખાય છે. સૌથી નાના બાળકને લઈને બેઠેલો પતિ દેખાય છે. મીઠી આનંદથી એમને ભેટી પડે છે અને સૌ હસતાંરમતાં અંદર ચાલ્યા જાય છે. ગુમ થઈ ગયેલી મીઠીને શોધતા જોયદીપ, કુનાલ અને અનુનાં દૃશ્યો સાથે ફિલ્મ પૂરી થાય છે. 

ભારતીય સિનેમાને માનસિક બીમારીને પણ રોમેન્ટિસાઈઝ કરવાની ટેવ છે. એની સામે 15, પાર્ક એવન્યુ એને નોર્મલાઈઝ કરે છે. મીઠીનું વર્તન, તેને અલગ કે એકલી પાડવાને બદલે દર્શકોને એની સાથે જોડે છે ને એના મગજના સ્તરોને સમજવા પ્રેરિત કરે છે. અપર્ણા સેન એ યાદ અપાવવામાં સફળ થાય છે કે સ્વપ્નમાં કે જાગતાં આપણે બધા જ આપણા એક ખોવાયેલા આશ્રયને શોધવા મથતા હોઈએ જ છીએ.

મે મહિનાને માનસિક આરોગ્ય માસ ગણવામાં આવે છે. યુ.કે.ના પત્રકાર હેટ્ટી ગ્લેડવેલે ‘મારી માનસિક બીમારી વિશે લોકોએ કહેલી વાતો’ને વર્ણવતા હૅશટેગ સાથે ટ્વિટર થ્રૅડ શરૂ કરેલો. એક નરુલ નાસીરે લખ્યું કે ‘મેં આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો ત્યારે ડૉક્ટરે મને તપાસીને મારી અમ્મીને એવું કહ્યું કે તે પોતાની તરફ ધ્યાન ખેંચવા આવું કરે છે. કાઇલી લૉવીએ લખ્યું કે ‘થેરપિસ્ટને બતાવતા પહેલાં મારી માએ મને કહ્યું કે અમે (માતાપિતા) તને મારીએ છીએ તેવું તારે ડૉક્ટરને નહીં કહેવાનું. મારા પિતા હકીકતે ખૂબ જ મારપીટ કરે છે.’ ઇડા વૈસનેને લખ્યું કે ‘કોઈને માનસિક બીમારીવાળી વ્યક્તિ સાથે સંબંધ(એટલે કે લગ્ન)માં રસ નથી. મારું કોઈ નથી.’ 

નિમ્ન અને મધ્યમ સ્થિતિના દેશોના 75થી 95 ટકા માનસિક અસ્વસ્થ લોકો પૂરતી સારવાર મેળવી શકતા નથી અને ભેદભાવ અને ઉપેક્ષાનો ભોગ બને છે. તેમને તાલીમ, સ્નેહ, શિક્ષણ અને આવકની તકો ખૂબ ઓછી મળે છે. ઘણીવાર શારીરિક બીમારીની અસર પણ મન પર પડે છે. કમનસીબે સરકારો શરીરના આરોગ્યમાં કરે છે એની સરખામણીએ માનસિક સ્વાસ્થ્ય પર ઘણું ઓછું રોકાણ કરે છે. દર વર્ષે માનસિક સ્વાસ્થ્ય દિનની જુદી જુદી થીમ હોય છે. 2025ની થીમમાં આપત્તિ અને કટોકટીમાં માનસિક તંદુરસ્તી પર ભાર છે. 

e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 05 ઑક્ટોબર  2025

Loading

16 November 2025 Vipool Kalyani
← ચલ મન મુંબઈ નગરી —315
ચલા મુરારી હીરો બનને : ‘કોમેડિયન’ની ‘હીરો’ બનવાના સંઘર્ષની કહાની →

Search by

Opinion

  • પ્રજાએ હવે અસહમતિ અને વિરોધ વચ્ચેની ભેદરેખા પારખવી પડશે
  • ભારતમાં અઢળક રાજકીય પક્ષો સામે રાષ્ટ્રીય પક્ષો છ જ છે !
  • ચલા મુરારી હીરો બનને : ‘કોમેડિયન’ની ‘હીરો’ બનવાના સંઘર્ષની કહાની
  • ચલ મન મુંબઈ નગરી —315
  • યુદ્ધ રોકવા સેક્સની હડતાળ!

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 
  • રાજમોહન ગાંધી – એક પ્રભાવશાળી અને ગંભીર વ્યક્તિ
  • ભારતીય તત્ત્વજ્ઞાન અને ગાંધીજી 

Poetry

  •  ૨૧ સદીને સ્મૃતિપત્ર
  • ભૂખ
  • ગઝલ
  • નદી
  • ગઝલ

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved