
હેમન્તકુમાર શાહ
અમદાવાદમાં ઓઢવ વિસ્તારમાં ગઈ કાલે રવિવારે યોજાયેલી એક માલધારી ચિંતન શિબિરમાં ભાષણ આપતાં જણાવેલા મુખ્ય મુદ્દા :
(૧) ૧૯૪૫ પછી દુનિયામાં લગભગ ૧૨૦ દેશો આઝાદ થયા. એમાંથી એક પણ દેશમાં આઝાદ થતાંની સાથે લોકશાહી આવી નહોતી. માત્ર ભારતમાં જ લોકશાહી આવી તેનું કારણ કાઁગ્રેસ છે. કાઁગ્રેસ કે જવાહરલાલ નેહરુને તાનાશાહી લાવતાં કોઈ રોકી શકે તેમ નહોતું. છતાં લોકશાહી આવી કારણ કે ગાંધી, નેહરુ, સરદાર અને આંબેડકર લોકશાહીમાં માનતા હતા. ભારતની લોકશાહી એ કાઁગ્રેસની દેણ છે, એને ટકાવવા માટે લડત આપવી એ આપણા સૌની ફરજ છે.
(૨) બજાર એકદમ નિર્દય છે. જેની પાસે પૈસા હોય, બજાર એનો જ ભાવ પૂછે છે. ખિસ્સામાં પૈસા ન હોય તો બજાર તમને મારી નાખશે. તો શું જે “અમે ભારતના લોકો”એ આ ભારત બનાવ્યું છે એમાં ગરીબોએ મરી જવાનું? કે પછી સરકારે એમની કાળજી રાખવાની? સરકાર એમની દરકાર રાખે એને કોઈ ભેટ ન કહેવાય, એ તો સરકારની ફરજ છે.
(૩) સરકારની આ ફરજ બંધારણમાં પ્રકરણ ચારમાં લખવામાં આવી છે. ગરીબો, વંચિતો, મહિલાઓ, વિકલાંગો, વૃદ્ધો, બાળકોની દરકાર સરકારે લેવાની છે એમ એ પ્રકરણમાં લખવામાં આવ્યું છે.
(૪) એમાં એમ પણ લખવામાં આવ્યું છે કે બહુ થોડા લોકોના ખિસ્સામાં બહુ બધા પૈસા ભેગા થઈ જાય નહીં. માલેતુજાર લોકોનું ધનીપણું ઓછું કરવું એ સરકારનું કામ છે.
(૫) આપણા જે અધિકારો બંધારણમાં લખેલા છે તે સૌથી મહત્ત્વના છે. લોકમાન્ય તિલકના એ શબ્દો હંમેશાં યાદ રાખો કે “સ્વતંત્રતા એ મારો જન્મસિદ્ધ અધિકાર છે.” આ સ્વતંત્રતા બંધારણ આપતું નથી, આપણે જાતે ભારત નામનું રાજ્ય બનાવીને એના બંધારણમાં આપણી સ્વતંત્રતા લખી છે. આપણે મનુષ્યો છીએ માટે આપણને સ્વતંત્રતા છે જ, એ સરકારો છીનવી ન લે તેની આપણે નિરંતર કાળજી રાખીએ.
(૬) સરકારને સવાલ પૂછવો અને જવાબ મેળવવો એ આપણો હક છે. લશ્કર પણ સરકારનો ભાગ છે. એટલે એને પણ સવાલ પૂછી શકાય. લશ્કર કંઈ પવિત્ર ગાય નથી. સરકારના ૫૦.૬૫ લાખ કરોડ રૂપિયાના બજેટમાં લશ્કરનું બજેટ ૬.૮૧ લાખ કરોડ રૂપિયાનું છે. સૌથી વધુ બજેટ એનું જ છે. એ મારા, તમારા, આપણા સૌના પૈસા છે. એટલે ઉરી, પુલવામા અને પહેલગામ જેવી ઘટનાઓ વિશે અને તેનો પ્રતિકાર કેવી રીતે કેટલો થયો એને વિશે સવાલો પૂછવાનો આપણને સૌને અધિકાર છે.
(૭) ૧૯૯૯-૨૦૦૦માં ગુજરાતમાં ૨૬ લાખ પરિવારો ગરીબ હતા. અત્યારે સરકાર ૭૦ લાખ પરિવારોને દર મહિને પાંચ કિલો મફત અનાજ આપે છે. ગરીબી કેટલી બધી વધી! શું આને વિકાસ કહેવાય?
(૮) સ્વતંત્રતા, સમાનતા, બંધુતા, ન્યાય અને વ્યક્તિનું ગૌરવ લોકશાહીમાં સ્થાપવા માટે આપણે ભારત બનાવ્યું છે કે જેનો આજે જે નકશો છે તે તેના પાંચ હજાર વર્ષના ઇતિહાસમાં કદી નહોતો. આ ભારત કંઈ આપણે ગુલાબજાંબુ ખાવા નથી બનાવ્યું!
તા.૨૨-૦૯-૨૦૨૫
સૌજન્ય : હેમંતકુમારભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર