Opinion Magazine
Number of visits: 9449313
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

જેલમાં લખાયેલું એક અનોખું નાટક 

દીપક મહેતા|Opinion - Literature|3 July 2025

ગ્રંથયાત્રા : 7

અઢાર-ઓગણીસ વરસનો એક ટીનએજર છોકરો. નાશિકની જેલમાં પુરાયો છે. ના, હોં! કાળાધોળા કરીને જેલમાં નહોતો ગયો એ. ગાંધીજીની રાહબરી નીચેની દાંડી કૂચમાં ભાગ લીધેલો એટલે ત્રણ મહિનાની જેલની સજા થયેલી. જેલની દીવાલ ખાસ્સી ઊંચી. બહારની દુનિયા તો દેખાય જ નહિ. પણ જેલની બહાર એક વડનું ઝાડ. એ પણ કાંઈ આખું દેખાય નહિ. પણ એ હતું ખાસ્સું ઊંચું, એટલે તેની ડાળીઓનો જાણે કે એક ટુકડો પેલા યુવાન કેદીને જોવા મળતો. એ જોતાં એનું મન થોડાં વર્ષો પાછળ ચાલ્યું જાય. એનું વતન તો ભાવનગર, પણ એક-બે વરસ જૂનાગઢની સ્કૂલમાં ભણેલો. ત્યારે મજેવડી દરવાજે એક ખાસ્સો મોટો વડ. એની ડાળીઓ પર દોસ્તારો સાથે ઝૂલેલો, ધીંગામસ્તી કરેલા. એ બધું યાદ આવે. રાજકીય કેદી હતો એટલે લખવા-વાંચવાની છૂટ હતી. જેલર પાસે કલમ ને કાગળ માંગ્યા, અને જાણે ઝોડ વળગ્યું હોય તેમ માંડ્યો લખવા. લખ્યા પછી જેલમાંના સાથીઓ આગળ વાંચી ગયો. બધાને ગમ્યું. જેલમાંથી બહાર આવ્યો તે પછી ૧૯૩૧માં ચોપડી રૂપે છપાવ્યું એ લખાણ. 

એ ચોપડી હતી એક નાટકની. એનું નામ ‘વડલો.’ અને તેનો યુવાન લેખક તે કૃષ્ણલાલ શ્રીધરાણી. ૧૯૧૧ના સપ્ટેમ્બરની ૧૬મી તારીખે તેમનો જન્મ. આવતી કાલે એ વાતને ૧૦૨ વર્ષ પૂરાં થશે. જૂનાગઢના અભ્યાસનાં વર્ષ બાદ કરતાં ભાવનગરની દક્ષિણામૂર્તિમાં અને પછી ગુજરાત વિદ્યાપીઠમાં ભણેલા. આવો છોકરડો પહેલી વાર નાટક લખતો હોય ત્યારે ઘણુંખરું બીજા કોઈ મોટેરા નાટકકારનું અનુકરણ નહિ, તો ય અનુસરણ કરે. પણ ‘વડલો’ને થોડુંઘણું પણ મળતું આવે તેવું બીજું કોઈ નાટક આપણી ભાષામાં તો ત્યાં સુધીમાં લખાયું નહોતું, આજે પણ લખાયું નથી. ભારતની મરાઠી-બંગાળી જેવી બીજી ભાષાઓના સાહિત્યનો, અંગ્રેજી કે યુરોપીય સાહિત્યનો, એ વખતે શ્રીધરાણીને પરિચય હતો કે નહિ, હતો તો કેટલો, તે આપણે જાણતા નથી. પણ બીજી ભાષાઓમાં પણ એ વખતે આવું નાટક મળવું મુશ્કેલ. જેલમાં બેઠેલા કેદી માટે તો લગભગ અસંભવ. એટલે, લેખકે બીજા કોઈને નહિ, પણ પોતાની જાતને પૂછી પૂછીને આ નાટક લખ્યું છે. નાટકમાં પાત્રો તો ઘણાં છે, પણ માણસો તો ગણ્યાગાંઠ્યા જ છે. ભથવારી, એનો પતિ ગોવાળિયો, નિશાળના તોફાની છોકરાઓ અને એમને મારવા દોડતા આવતા માસ્તરને બાદ કરતાં આ નાટકની સૃષ્ટિમાં માણસો જોવા નથી મળતા. તો પછી નાટકમાં પાત્રો તરીકે આવે છે કોણ? પહેલવહેલો, નાટકનો નાયક વડલો. હા, વડનું ઝાડ. અને ખલનાયક કહી શકાય એવો ઝંઝાવાત. સૂત્રધાર છે કૂકડો. ધીરોદાત્ત નાયકનું ખલનાયકને હાથે મોત થાય છે. એટલે જ કદાચ લેખકે આ નાટકને ‘શોક પર્યવસાયી’ નાટક તરીકે ઓળખાવ્યું છે. ચંદ્રવદન મહેતાએ એમની લાક્ષણિક શૈલીમાં કહ્યું છે : “કહે. કવિ છે. એને ફાવે તેમ કહે. શેનો શોક – શેની ગ્લાનિ – વડલો વાયુએ વિંઝાઈ ગયો એનો? દરેક માણસ મરે છે. એથી આજના અર્થમાં દરેકની ટ્રેજેડી નથી થતી. વડલો લાંબુ જીવે છે, પણ આખરે તો ભલભલાનાં મૂળિયાં ઊખડી જવાનાં છે. પણ વડલો ધીરગંભીર સમભાવશાળી સંવેદનશીલ કૃતિનાયક છે.” નાટકનો અંત પણ નિરાશાપ્રેરક નથી. જુઓ ઝરણીના આ શબ્દો : “વડદાદાનો દેહ પડ્યો છે, પણ પ્રાણ તો હજી અણનમ છે. અને જે ઝંઝાવાતે વડદાદાના મહાન જીવનનો અંત આણ્યો છે તે જ ઝંઝાવાતે વડદાદાના અસંખ્ય ટેટાઓ ગાઉઓના ગાઉ સુધી પ્રસારી દીધા છે. એ ટેટાઓમાંથી વડદાદા જેવા બીજા અસંખ્ય વડલાઓ ફૂટી નીકળશે.” ‘પુનરપિ જનનમ્, પુનરપિ મરણમ્…’ એ શંકરાચાર્યના શબ્દો યાદ આવી જાય એમ છે.

અમાનવીય પાત્રોને આગવું વ્યક્તિત્ત્વ આપવું મુશ્કેલ. પણ અહીં લેખકે એ મુશ્કેલ કામ કરી બતાવ્યું છે. અહીં જે પાત્રો જોવા મળે છે તે છે કોયલ, પોપટ, કાગડો, કાબર, મેના, મોરલો, રાજહંસ, બપૈયો, સૂડો જેવાં પંખીઓ, કમલિની, સૂર્યમુખી, ચંપો, જેવાં ફૂલો, ભાદરવાનો ભીંડો, આકાશી શુક્ર, ચંદ્ર, દેવયાની, મંગળ, ગુરુ, શ્રવણ; અને કિરણ, ઝરણી, ઝાકળ, સમીર, વાદળાંઓ, વીજળી, જેવાં પ્રાકૃતિક તત્ત્વો. ભલે લાંબુ, પણ વડલો છે પાછું એકાંકી. અને કોઈ પણ એકાંકીમાં આટલાં બધાં પાત્રો હોય તો દરેકને આગવું વ્યક્તિત્ત્વ આપવું મુશ્કેલ. અહીં પણ નથી અપાયું. પણ વડ, ઝંઝાવાત, કમલિની, ભીંડો, ઝરણી, જેવાં કેટલાંક પાત્રોને પોતીકું કહી શકાય તેવું વ્યક્તિત્ત્વ લેખકે સફળતાપૂર્વક આપ્યું છે. અને બધાં પાત્રોમાં શિરમોર જેવું તો છે ભથવારીનું પાત્ર. ચંદ્રવદનભાઈએ સાચું જ કહ્યું છે : “આ કલ્પના નીતરની કૃતિમાં નાટ્યતત્ત્વથી ભર્યું ભર્યું પાત્ર તો એક જ છે, અને તે પણ હૃદયંગમ છે. કોણ એ વારુ, પારખી શકો છો? રસપ્રવાહમાં વણાયા-તણાયા હશો તો તરત અંતરથી હોઠે આવશે: ગોધણ ધણીની ભથવારી.” આ ભથવારી જે ગીત ગાય છે તેના પર ચંદ્રવદનભાઈ એટલા તો આફરીન થઇ ગયેલા કે પોતાનું નાટક ‘રમકડાંની દુકાન’ પોતે ભજવતા ત્યારે આ ગીત ઉછીનું લઈને બીજા અંકને છેડે તેનો રાસ જમાવતા. લખે છે: “રમકડાંની દુકાન કદીક ક્યાંક ભજવાય છે, પણ ભથવારીના એ ગીત વિના દુકાનની બરકત દીપી નીકળતી નથી.”

માત્ર એક આ ગીત જ નહિ, નાટકમાં આવતાં ઘણાં બધાં ગીતો તેનું આગવું આકર્ષણ અને આભૂષણ બની રહે છે. શ્રીધરાણીને કવિ તરીકે ભાવકોના મનમાં વસાવવા-ઠસાવવામાં પણ આ ગીતોનો ફાળો નાનોસૂનો નથી. આરંભે અને અંતે આવતું કૂકડાનું ‘અમે તો સુરજના છડીદાર,’ હંસગાન ‘દરિયાના બેટથી ઊડ્યા અમે તો, હિમાળા ડુંગર જાવાં જી!,’ તારાઓનું ગીત ‘સંધ્યા આવી પૂરે કોડિયાં, આભ અટારી શણગારે’, કેટલાં ગણાવવાં. અને પાછાં બધાં ગીતો એવાં છે કે નાટયગીત તરીકે એકદમ બંધ બેસતાં, અને સ્વતંત્ર ગીત તરીકે, કવિતા તરીકે પણ ઊભાં રહી શકે એવાં. ટોટલ થિયેટરની વિભાવનાથી એ વખતે લેખક પરિચિત હશે કે નહિ એની તો ખબર નથી, પણ ભજવાય ત્યારે આ નાટક ટોટલ થિયેટરનો અનુભવ કરાવે એવું છે. મરાઠીનાં કે બીજી ભાષાઓનાં સફળ નાટકોની પાંચમી કાર્બન કોપી જેવાં નાટકો પર નભતી આજની આપણી ધંધાદારી રંગભૂમિ પર આજે કોઈ ન ભજવે, પણ ‘પ્રયોગાત્મક’નો ફાંકો રાખનારાઓએ ભજવી જોવા જેવું છે. 

નાટક લખાયું ૧૯૩૦માં, પહેલી વાર છપાયું ૧૯૩૧માં. પણ આજે ય તાજું અને સોજ્જું લાગે છે. ૧૯૫૨માં ‘સંસ્કૃતિ’ માસિકમાં પ્રગટ થયેલ ‘હું અને કવિતા’ નામના લેખમાં ડૉ. શ્રીધરાણીએ કહ્યું છે: “આમ તો વડલો એક નાટક છે, પણ મારે મન એ એક સોનેટ સિક્વન્સ છે. ઉંમર વધતી જાય તેમ તેમ આપણે પહેલાં લખેલું સુધારવાનું મન થાય, પણ વડલો મારી એક એવી કૃતિ છે જેમાં એક કાનો ઉમેરવાનું મન નથી થતું. હું એને મારું એક ધન્ય ક્ષણનું દર્શન માનું છું. વડલોથી હું કૃતાર્થતા અનુભવું છું.”

XXX   XXX   XXX

03 જુલાઈ 2025
e.mail : deepakbmehta@gmail.com

Loading

3 July 2025 Vipool Kalyani
← ‘જેટલાં ઘર એટલાં મંદિર !’
કવિ કાન્ત : રાષ્ટ્રીય પુરસ્કાર પ્રાપ્ત કરી શકે એવી જય ખોલિયાની ફિલ્મ →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved