Opinion Magazine
Number of visits: 9448649
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

‘હું માનવતાનો પૂજારી નહીં, પણ માનવવાદી છું !’

રમેશ સવાણી|Opinion - Opinion|18 February 2025

ઘણાં વર્ષો પહેલાં હું વઢવાણ ગયો હતો. જૂનું શહેર. લોકવાયકા છે કે પહેલાં એનું નામ વર્ધમાનનગર હતું ને અપભ્રંશ થઈને વઢવાણ થઈ ગયું. પાસેનાં સુરેન્દ્રનગરનો વિકાસ થયો અને વઢવાણ ત્યાંનું ત્યાં જ રહ્યું. ઘસાઈ જવાથી એવું લાગે જાણે કે તેની ભવ્યતા સામંતી ઇતિહાસનાં કોઈ જૂનાં પુસ્તકમાં બંધ થઈને રહી ગઈ હોય. મને કોઈએ કહ્યું કે ‘અહીંની જૂની પાંજરાપોળ જોવા જેવી છે. જ્યાં ગાય, ભેંસ,ઘોડા તો ઠીક; કોઈ જીવજંતુને ય મારી નાખવાનું પાપ કરવાને બદલે તેને ડબ્બીમાં સાચવી જીવદયા પ્રેમીઓ મૂકી જાય છે. અનાજ-લોટમાંથી વીણેલાં ધનેડાં પણ મૂકી જાય છે !’

મૂંગા પશુઓ-જીવજંતુ તરફનો દયાભાવ, તેમને મારવું એ પાપ છે એવી ધાર્મિક ભાવનામાંથી, વિશેષ કરીને જૈન ધર્મમાં જે અહિંસાની વાત છે ત્યાંથી આવેલો છે. પ્રાણી, પક્ષી, મૂંગાજીવ પ્રત્યે દયાભાવ રાખવો એ ખોટું તો હરગીઝ નથી જ પણ પ્રશ્ન ત્યારે થાય કે આવી જ કોઈ પાંજરાપોળ જે વિશાળ જમીનમાં પથરાયેલી હોય કે ગામના ઢોર પશુઓના ચરાણ માટે ગૌચરની મોટી જમીન હોય અને ત્યાં કોઈ ધનપતિ, રાજકીય નેતાઓ અને સંચાલકોના મેળાપીપણામાં તેને ખરીદી લઈ ત્યાં મોટ્ટો મોલ કે કોમર્શિયલ બહુમાળી બિલ્ડિંગો ઊભા કરી દેવા માંડે ત્યારે કેટલા લોકો તેનો ભારોભાર વિરોધ કરવા, સત્તાધારીઓની સામે લડવા મેદાને પડે છે? અને આ ‘સોદા’ને લઈ આંખમિચામણા કરતાં લોકોને, ચૂપ રહેતાં લોકોને કોઈ ‘પાપી’ કહેશે ખરું ? કદાચ એવું જરૂર કોઈ કહેનાર ધાર્મિક વ્યક્તિ નીકળે કે ‘મૂંગા પશુઓની જગા વેચી નાંખનાર, પાપમાં પડનાર મૂઆ નર્કે જશે ! ઉપરવાળો બધું જુએ છે !’ પણ આ બધો ખેલ જોનારા જે આ અગાઉ પાપ ન લાગે એમ માની ખોડાઢોર કે ઘવાયેલાં પંખી કે પ્રાણીઓ પાંજરાપોળમાં મૂકવા ગયા હશે કે જતાં હશે યા આ પાંજરાપોળનાં રખરખાવ માટે નાણાંકીય મદદ કે ઘાસપૂળા ખરીદીને આપ્યાં હશે. એવાં બધાંની ચૂપકીદીને આપણે ‘પાપ’ કેમ નથી કહેતાં ? આ પ્રકારના સવાલ એટલા માટે ઊભા થાય છે કે સમાજમાં આવી ઘણી બાબતો છે. મંદિર બહાર કે રસ્તા પર ભીખ માંગતા કે ભૂખ્યા અજાણ્યા વ્યક્તિને ક્યારે ય આપણે કે કોઈક વાર તહેવારે દાન આપી, ખાવાનું આપી, આપણે સંતોષ અનુભવીએ છીએ કે ગરીબોને દાન આપવું, ભૂખ્યાને અન્ન આપવું એ ‘પુણ્ય’નું કામ છે, માનવતાનું કામ છે અને ધર્મમાં તે લખાયું છે, કહેવાયું છે. આ પ્રકારની માન્યતા અને ખ્યાલો માત્ર આપણા દેશમાં જ છે એવું નથી. દુનિયાના દરેક ખૂણામાં, દરેક ધર્મ પાળતાં લોકોમાં જોવા મળે છે. 

પણ ભીખારીઓ કેમ છે? કેમ આટલાં બધાં લોકો કામધંધા વગરનાં છે ? તમે રસ્તે લારી પર મિત્રો સાથે કંઈક ચટાકેદાર ખાતાં હો ત્યારે કોઈક બાળક ભૂખ્યા પેટે તમારી સામે ટગર ટગર જોયાં કરતું હોય ત્યારે કેમ આપણા મનમાં પ્રશ્ન નથી થતો કે આવાં બધાં બાળકોને કેમ રોજ તેમનાં પોતાનાં ઘરમાં બે ટાઇમ પેટ ભરીને ખાવાનું નહીં મળતું હોય? ધાર્મિક નેતા કે બાવા તો તરત આવા પ્રશ્નનો જવાબ આપી દેશે કે ‘એ તો એમનું ગયા જનમનું પાપ ! કંઈક પાપ કર્યું હશે તે એને ભગવાને આ જનમમાં આવી સજા આપી હશે !’

એક બાજુ ભૂખ્યાંને જમાડવા એ પુણ્યનું કામ અને માનવતાનું કામ ગણાય, અને બીજી બાજુએ બધાં ભૂખ્યાં એટલે છે કે ગયા જનમમાં એ ભૂખ્યાઓએ પાપ કર્યા હશે ! આ બન્ને વાત એકબીજા સાથે મેળ ખાનારી છે ખરી ? આવાં પરસ્પર વિરોધી ઘણા મુદ્દાઓ આપણાં જીવનમાં ડગલે ને પગલે જોવા મળે છે. શાળામાં ભણતાં ગરીબ બાળકોને ચોપડીઓ નોટબુકો ફ્રીમાં વહેંચવી, કડકડતી ઠંડીમાં ફૂટપાથ પર સૂતાં મજૂરો કે ઘરવિહોણા લોકોને ધાબળા વહેંચવા જેવા ઘણા ‘માનવતાનાં કામ’ કરતાં લોકોને આપણે જોઈએ છીએ. આ કામ ખોટું છે કે સાચું, કરવું જોઈએ કે ના કરવું જોઈએ એવી ચર્ચામાં હું અહીં પડવા માંગતો નથી. ખરેખર ક્રૂર વાસ્તવિકતા તો એવી છે, જેમ કે આપણી આંખ સામે ઠંડીમાં ફૂટપાથ પર લોકો સૂતાં છે અને આપણે સ્વેટર-મફલરમાં સજ્જ થઈ ફૂટપાથ પર ફરીએ છીએ કે બંધ ઘરમાં આપણે રજાઈ ઓઢીને સૂતાં હોઈએ છીએ.

મનીષી જાની

આવાં સમયે આપણા દિમાગમાં એવી સ્પષ્ટતા હોય કે આ સભ્યસમાજમાં, માણસજાતે જે વિકાસ સાધ્યો છે એવા સમયે જે જન્મે છે તે દરેકને નાનું કે મોટું શરીરના રક્ષણ માટે ઘર તો મળવું જ જોઈએ. માથે છાપરું તો સૌનો અધિકાર છે. પૂરતું પોષક ભોજન, પેટ ભરીને ખાવાનું દરેકને મળવું જ જોઈએ, એ સૌનો મૂળભૂત હક છે એવું જો આપણે માનતા હોઈએ અને તે માટે મથતાં હોઈએ અને સાથે સાથે આપણી સામે જો કોઈ ભૂખ્યો હોય, પૂરતાં કપડાં વિનાનો હોય એને આપણાં ખોરાકમાં, આપણાં કપડાંમાં હીસ્સેદાર બનાવીએ તો એને હું ધર્મમિશ્રિત માનવતાવાદી નહીં પરંતુ માનવવાદી કહેવાનું પસંદ કરીશ. સાથેસાથે એવું માનવતાનું કામ કરનાર વ્યક્તિએ ભગવાન કે ધર્મના ભયથી, પાપના ભયથી કે આવતા ભવમાં પોતાને સ્વર્ગ મળે એવાં સ્વાર્થથી કે આવતા ભવમાં ભીખારીનુ જીવન મળશે એવાં ભયથી ડરીને કંઈક દયાદાન કરતો હોય તો તેને માનવવાદી તો ન જ કહી શકાય. દુનિયાનો દરેક માણસ સમાન છે, સન્માન્ય છે. જાતિ, જ્ઞાતિ, ધર્મ, રંગ ને સ્ત્રી-પુરુષ એવાં ભેદભાવોની બાદબાકી કરી માણસમાત્ર સરખો છે, દરેકને જીવવાનો સમાન હક છે, દરેકને મુક્ત મને અભિવ્યક્તિની સ્વતંત્રતા છે, દરેકને ગૌરવપૂર્ણ જીવનનો અધિકાર છે એવું આપણે માનતા હોઈએ અને તે પણ કોઇના કહેવાથી નહીં, ક્યાંક વાંચવાથી નહીં પરંતુ વિજ્ઞાનના ટેકે, તર્ક-વિચારણાથી માપીને પારખીએ તો એને આપણે માનવવાદી કહીશું. સાથેસાથે કુદરતનાં દરેક જીવનું મહત્ત્વ છે અને પ્રકૃતિના સંતુલનમાં દરેક જીવની આગવી ભૂમિકા છે એ વૈજ્ઞાનિક સત્યનાં સ્વીકાર સાથે માણસ તરીકે જીવવાની પદ્ધતિને આપણે માનવવાદી કહીશું,માનવતાવાદી નહીં.

ખરેખર માનવતાવાદી જેવો શબ્દપ્રયોગ છે જ નહીં. કેટલાક લોકો અજ્ઞાનવશ કે જાણકારીના અભાવમાં દરેક દયાદાન, કરુણા કે માનવતાના કામ કરનારને માનવતાવાદી ગણે છે. જ્યારે કેટલાક ચાલાક લોકો સભાનતાપૂર્વક માનવવાદનો સાચો અર્થ અને મહિમા લોકો સુધી પહોંચે નહીં અને માનવતાવાદને નામે ગૂંચવાડો ચાલુ રહે એવા આશયથી ‘માનવતાવાદી’ શબ્દ વાપર્યા કરે છે. માત્ર ધર્મ મિશ્રિત દયાદાન અને કરુણા જ માનવતા ન કહેવાય પરંતુ માણસજાતના પરસ્પર આધારિત અને સહજીવનને કારણે વિકસિત થયેલાં સહજ ગુણ તરીકે ‘માનવતા ‘ કે માણસાઈને જોવી ઘટે. કોઈ દિવ્ય કે ચમત્કારિક શક્તિ વિના માનવ જ માનવનો ઘડવૈયો છે, તેણે જ પોતાની મહેનતથી, પોતાની અક્કલથી, સહિયારાપણાની ભાવનાથી, સહિયારા અનુભવો અને સહિયારા શારીરિક અને માનસિક શ્રમથી આ દુનિયા, આ સુવિધાઓ, આ યંત્રો, આ આનંદ ઉલ્લાસ, આ ‘માનવતા’ ઘડી છે એવું સ્વીકારીએ તેને જ માનવવાદ કહેવાય.

વળી પોતાની જાતને અને અન્યોને સતત પ્રશ્નો પૂછતો રહે, મનુષ્યજીવન વિશે ભગવાનના ભય વિના પ્રશ્નો પૂછતો રહે અને માનવજીવનની સમસ્યાઓ યાતનાઓના નિરાકરણ માટે મથતો રહે, દુનિયાના દરેક મનુષ્યનું જીવન વધુને વધુ બહેતર, આનંદમય અને ખુશહાલ બની રહે તે માટે સપનાં સેવતો રહે, માત્ર પોતાનું જીવન નહીં પણ સમગ્ર માનવજીવન સુખમય બને તેવી ઈચ્છા રાખનારને જ માનવવાદી કહી શકાય. બીજા શબ્દોમાં કહીએ તો માનવવાદ એ એક જીવનદિશા છે, જીવનદૃષ્ટિ છે. અને એટલે જ હું કહું છું કે ‘હું માનવતાનો પૂજારી નહીં, પણ માનવવાદી છું !’ 

[સૌજન્ય : મનીષી જાની, ‘માનવવાદ’ પુસ્તકમાંથી]
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

18 February 2025 Vipool Kalyani
← ‘વ્યુફાઇન્ડર’ અમોલ         
પ્રાધ્યાપક ભીખુ પારેખ, બહુસાંસ્કૃતિવાદની પરખ તેમ જ આપણા રોજિંદા પરિસરમાં તેની આગવી પ્રસ્તુતા →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved