Opinion Magazine
Number of visits: 9449061
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સ્વાઈન ફલુમાંથી સાજા થયેલા મુખ્ય મંત્રીને પત્ર

ઉર્વીશ કોઠારી|Samantar Gujarat - Samantar|1 December 2012

ગુજરાત રાજયની સાડા પાંચ કરોડ (માઈનસ અમુક કરોડ) જનતાના લાડીલા મુખ્ય મંત્રીશ્રી,

નમસ્તે.

સાદા નમસ્તે, હા. પેલા ‘નમસ્તે સદા વત્સલે..’વાળા નહીં. આજકાલ બીમારીના બહુ વાવર છે. ‘ડોકટર’ મોહન ભાગવતે ભાજપને કેન્સરનું નિદાન કર્યું અને એ અરસામાં તમને સ્વાઈન ફલુ થયાના સમાચાર સાંભળ્યા એટલે ચિંતા થઈ. ભાજપવિરોધી એટલે કે હિંદુવિરોધી એટલે કે દેશદ્રોહીઓનું આ કાવતરું તો નથી ને? જેની ટીકા કચરાટોપલીમાં નાખીને વખાણ મેડલની માફક લટકાવવામાં આવે છે એ ઈંગ્લિશ મીડિયાનાં કરતૂત તો નથી ને? એવી શંકાકુશંકાઓ મનમાં જાગી.

શંકાની જ વાત નીકળી છે તો તમને ખ્યાલ હશેઃ તમને ખરેખર સ્વાઈન ફલુ થયો છે, એ બાબતે તમારા ઘણા પ્રશંસકો અને ટીકાકારોના મનમાં શંકા હતી. તમે સ્વાઈન ફલુમાંથી બહાર આવી ગયા, પણ ઘણા લોકો એ શંકામાંથી બહાર આવી શકયા નથી. તમારા પ્રશંસકો કહે છે, ‘જોયું? એકલા અમેરિકાને નડનારો બિન લાદેન શી ચીજ છે? આખી દુનિયાને નડી જનારા સ્વાઈન ફલુને સાહેબે કેવો પોતાની સેવામાં લગાડી દીધો?’ છેલ્લાં સાત-આઠ વર્ષમાં તમારી અભિનયપ્રતિભાથી અંજાઈ ચૂકેલા ટીકાકારો ઈર્ષ્યાથી કહે છે, ‘આ તો બધું નાટક છે.’ તમારા લોહીના સેમ્પલનો ટેસ્ટ રમેશ પારેખના નામથી થયો, એ જાણીને કવિ રમેશ પારેખના ચાહકો તેમનો એક શેર યાદ કરે છેઃ

કેટલી કાચી ઉંમરમાં જ્ઞાન આ લાધ્યું રમેશ
દર્દને સમજી શકો તો એ બની જાતું જણસ

સૌથી વધુ મનોરંજન પૂરું પાડનારા કોઈ હોય તો એ તમારા ‘તટસ્થ ભકતો’નો સમુદાય. એ લોકો કહી શકે છે, ‘સાહેબને સ્વાઈન ફલુ એટલે કે સુવ્વર ફલુ થયો એટલે સેકયુલરિસ્ટોની જીભ પર કેવાં તાળાં લાગી ગયાં? હમણાં ‘મેડ કાઉ ડિસીઝ’ થયો હોત તો એ લોકો ગાયો અને હિંદુઓ પર માછલાં ધોવા બેસી જાત. પણ કોઈ સેકયુલરિસ્ટની મજાલ છે કે સુવ્વરની ટીકા કરે? ગોબરું સેકયુલરિઝમ સાડા પાંચ કરોડ વાર મુર્દાબાદ. અમારી તટસ્થ ભક્તિ ઝીંદાબાદ. મહાત્મા ગાંધી ઝીંદાબાદ. મુખ્ય મંત્રી મોદી ઝીંદાબાદ.’

આપણી સંસ્કૃિતમાં બીમારની ખબર કાઢવા જવાનો અને એ રીતે તેના દુઃખમાં સહભાગી થવાનો રિવાજ છે. બીમારનું દુઃખ હળવું કરવાની સૌથી પ્રચલિત પદ્ધતિ છે: એ કેવી રીતે બીમાર પડ્યા તે પૂછવું. દા.ત. તમને પૂછી શકાય કે ‘અરર, કેમ કરતાં થયું? અચાનક જ? હજુ અઠવાડિયા પહેલાં તો તમને રશિયામાં હરતાફરતા જોયા હતા. એ વખતે તમારા મોં પરથી જરા ય લાગતું ન હતું કે તમને સ્વાઈન ફલુ થશે. ખરેખર, વાતાવરણ બહુ સાચવવા જેવું છે. આજકાલ ડબલ સિઝન છે. રાતે ઠંડી ને દિવસે ગરમી લાગે છે.’

તમને જો કે સવાલો ગમતા નથી એવી તમારી છાપ છે. એટલે તમારા પક્ષના કે વિપક્ષના સાથીદારો ‘કેમ કરતાં થયું?’ એવો વ્યવહારિક સવાલ પણ નહીં પૂછી શકે. વ્યવહારિક અને બિનવ્યવહારિક બધા સવાલો નાગરિકોએ જ પૂછવાની ટેવ પાડવી પડશે.

તમારા કિસ્સામાં ખબર નથી, બાકી બીમાર માણોસની સૌથી મોટી તકલીફ એ હોય છે કે ‘કેમ કરતાં થયું?’ એવા ટૂંકા સવાલનો જવાબ એ અઢાર અધ્યાયમાં આપે છે. એકતા કપૂરના એપિસોડ જેવો એમનો જવાબ શરૂ થાય એટલે ખબર જોવા આવનારની તબિયત બગડવા લાગે છે. ઘણા લોકોને ‘જામ-એ-સેહત’ કરતાં ‘જામ-એ-બીમારી’ના ઘુંટડા ભરવામાં એટલી કીક આવે છે કે બીમારી મટી જાય છે, પણ એની કથાઓ મટતી નથી. ‘હજારો વર્ષ ચાલે એટલી બીમારી કથાઓ’ વારે તહેવારે પુનઃપ્રસારિત થતી રહે છે.

બીમારીની ખરી સાર્થકતા તેમાંથી પેદા થતા મહત્ત્વમાં છે. પરિવારનો ગમે તેટલો અણમાનીતો સભ્ય પણ બીમાર પડે એટલે તેનો ભાવ આવી જાય છે. તેની ‘લાઈન’ સીધી છે કે નહીં એ વિશે હંમેશાં શંકા અને ચિંતા સેવતાં માતાપિતા, સહેજ છણકો કરીને પણ ‘દવા લેજે બરાબર ટાઈમસર અને હમણાં રખડીશ નહીં. કયારેક અમારું કહ્યું પણ સાંભળતો જા.’ એટલું કહ્યા વિના રહી શકતાં નથી. સ્વજનો સેવાની સાથે સલાહ આપતાં હોવાથી તે પાણીની સાથે અપાતી ગોળી જેવું કામ કરે છે. પણ ખબર જોવા આવનારા પાણી વગરની કેપ્સૂલ જેવી કોરી સલાહો આપ્યા કરે છે. એ ગળે ઉતારી શકાતી નથી અને કચરાટોપલીમાં ફેંકી શકાતી નથી. કેટલાક અનુભવીઓને આશંકા છે કે ખબર જોવા આવનારની સલાહોમાંથી બચી શકાય એ માટે જ તમે સ્વાઈન ફલુ જેવા એકાંત માગી લેતા રોગ પર પસંદગી ઊતારી. હા, ‘પસંદગી ઊતારી’ કારણ કે તમારા પ્રશંસકો માને છે કે ગુજરાતમાં તમારી ઈચ્છા – અને તમારાં હોર્ડિંગ- વિના પાંદડું પણ હાલતું નથી. કયારેક બોમ્બ ફૂટી જાય, પણ એવું તો કયાં નથી થતું?

રૂબરૂ તમારી ખબર કાઢવા ન આવી શકેલા લોકોએ પૂજા અને યજ્ઞો કરાવીને સંતોષ માન્યો છે. યજ્ઞો સ્થાનિક ધોરણે હતા, એટલે પ્રજાને બહુ રાહત રહી હતી. કારણ કે એસ.ટી.ની એક પણ બસ ચાલુ રૂટ પરથી ખસેડીને યજ્ઞના સ્થળે દોડાવવી ન પડી.

‘સાહેબના આરોગ્ય માટે સુંદરકાંડના પાઠ રાખ્યા છે’ એવું પહેલી વાર એક કાર્યકરે કહ્યું ત્યારે બીજો કાર્યકર ઉત્સાહથી બોલી ઉઠ્યો હતો, ‘શું વાત છે? ગોધરાકાંડના પાઠ રાખ્યા છે? જોરદાર આઈડિયા છે.’ પણ પહેલા કાર્યકરે તરત આંખો કાઢીને તેનું મોં બંધ કરી દીધું અને કહ્યું, ‘મનમાં હોય એ બધું બોલવાની શી જરૂર છે? આવું ને આવું કરશો તો આખી જિંદગી કાર્યકર જ રહી જશો અને તમારા માટે ગરુડપુરાણ સિવાય બીજો કોઈ પાઠ નહીં થાય.’

બીમારી દરમિયાન તમારા એકાંતવાસ વિશે જાણીને ઘણાને ચિંતા થતી હતી. કોઈ ખબર જોવા ન આવે તો સમય શી રીતે જાય? એ વિચારે તમારા ઘણા પ્રશંસકોનો જીવ કચવાતો હતો. ‘નવરું મગજ શેતાનનું કારખાનું છે’ એ કહેણી યાદ કરીને પણ ઘણા લોકો ચિંતા કરતા હતા.

અમારા એક પરિચિત કાર્યકરને સ્વાઈન ફલુ થયો ત્યારે ફલુને તો એ જીરવી ગયા, પણ એકાંતમાં રહેવાનું તેમને આકરું લાગતું હતું. તેમને ફોન પર એકાદ રાજકીય વડિલે સમજાવ્યા કે ‘તમારી અને સાહેબની એક જ બીમારીને લીધે તમારો વટ પડી જશે. વિધાનસભાની ટિકિટની પણ તૈયારી કરવા માંડજો. દિલ્હી હાઈકમાન્ડ નહીં તો ગાંધીનગર ‘આઈ’કમાન્ડ સ્વાઈન ફલુમાંથી ઊભા થયેલાને પહેલી પસંદગી આપે એવી શકયતા છે.’

સત્તાવાર અહેવાલમાં એવું કહેવામાં આવ્યું કે એકાંતમાં તમે બીજા દેશોના વિકાસની ડીવીડી જોઈને સમય પસાર કરો છો. હશે ભાઈ, ભવિષ્યમાં બીમારી સિવાયના કોઈ કારણસર પણ સમય પસાર કરવાનો થાય ત્યારે તમે બીજા દેશોને બદલે ગુજરાતના જ વિકાસની – ફલાયઓવર, બીઆરટીએસ, કિલ્લેબંધ કાંકરિયા ઉપરાંતના વાસ્તવિક વિકાસની – ડીવીડી જોઈને સમય પસાર કરી શકો એવી હાર્દિક શુભેચ્છા.

લિ. સાડા પાંચ કરોડમાંનો એક ગુજરાતી
(સદ્દભાવ : “વૈશ્વીક માનવવાદ”, નવેમ્બર ૨૦૦૯)

Loading

1 December 2012 admin
← રાજ્યમાં મહિલા નીતિની વ્યાપક ચર્ચા જરૂરી
Modi’s McLuhan moment →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved