Opinion Magazine
Number of visits: 9448725
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

આ તે ગઠબંધન કે ઠગબંધન?

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|17 January 2025

રવીન્દ્ર પારેખ

2024ની લોકસભા ચૂંટણી વખતે ભા.જ.પ.ને ટક્કર આપવા વિપક્ષો એક થયા અને ‘ઇન્ડિયા’ ગઠબંધન અસ્તિત્વમાં આવ્યું. ગઠબંધનથી ભા.જ.પ.ને તો બહુ વાંધો ન આવ્યો, પણ ત્રીજી વખત પૂર્ણ બહુમતની સરકાર રચવાનું ભા.જ.પ.નું સપનું વહેંત છેટું રહી ગયું. ઇન્ડિયા ગઠબંધનની એટલી અસર તો પડી જ ! ભા.જ.પે. પણ સરકાર રચવા નીતીશકુમાર અને એન. ચંદ્રબાબુ નાયડુનો ખભો લેવો પડ્યો. ‘ઇન્ડિયા’ ગઠબંધનથી એટલું થયું કે સંસદમાં વિપક્ષનો અવાજ આછો હતો તે એટલો બુલંદ થયો કે સરકાર ઈચ્છે તો પણ તેની ઉપેક્ષા ન કરી શકે. 5 ફેબ્રુઆરી, 2025ને રોજ દિલ્હી વિધાનસભાની ચૂંટણી છે ને 8મીએ મત ગણતરી છે. અગાઉ દિલ્હીમાં આપની સરકાર બે વખત પૂરી ક્ષમતાથી આવી ચૂકી છે, એટલે હવે તે ન આવે એ માટે ભા.જ.પે. એડીચોટીનું જોર લગાવ્યું છે. એ જ રીતે આપની અને ભા.જ.પ.ની સરકાર ન આવે એટલે કાઁગ્રેસ પણ એ બંનેની સામે પડી છે, તો તૃણમૂલ કાઁગ્રેસ, આર.જે.ડી., શિવસેના (ઉદ્ધવ ઠાકરે), એન.સી.પી. (શરદ પવાર), સમાજવાદી પાર્ટી આપનાં સમર્થનમાં ઊભી છે. આમ તો તૃણમૂલ કાઁગ્રેસ, સમાજવાદી પાર્ટી, રાષ્ટ્રીય જનતા દળ જેવા પક્ષોનાં સમર્થનથી આપને બહુ ફેર પડે એમ નથી, પણ ઇન્ડિયા ગઠબંધનના આ પક્ષો કાઁગ્રેસ સાથે નથી એટલું તો બહાર આવ્યું જ છે. હરિયાણા, મહારાષ્ટ્ર અને દિલ્હી વિધાનસભામાં કાઁગ્રેસનો પનો ટૂંકો પડ્યો છે, બીજી તરફ આપ પાર્ટી દિલ્હી વિધાનસભામાં (70માંથી) 2015માં 67 અને 2020માં 63 સીટ પર વિજયી નીવડી હતી. એ ઉપરાંત દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં પણ ગયે વર્ષે ભા.જ.પ. અને કાઁગ્રેસને હારનો સ્વાદ આપે ચખાડ્યો હતો, એ પરથી પણ કાઁગ્રેસે સમજી લેવું જોઈએ કે તેનું તેજ ઓસરતું જાય છે. 

ઇન્ડિયા ગઠબંધનમાં 26 પાર્ટીઓ જોડાઈ હતી, જેમાં કાઁગ્રેસ ઉપરાંત આપ, સમાજવાદી પાર્ટી અને તૃણમૂલ કાઁગ્રેસ સહિત અન્ય પક્ષોનો સમાવેશ થાય છે. જે પક્ષો ઇન્ડિયા ગઠબંધનમાં 2024ની લોકસભા ચૂંટણી વખતે સાથે હતા તે દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં સામસામે છે. કાઁગ્રેસી સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી સાથે હવે આપના રાષ્ટ્રીય સંયોજક અને પૂર્વ મુખ્ય મંત્રી કેજરીવાલ નથી. રાહુલ ગાંધીએ તો કેજરીવાલને વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે સરખાવીને સ્પષ્ટ કર્યું કે બંનેમાં બહુ ફરક નથી. કાઁગ્રેસે ત્યાં સુધી કહ્યું કે ભા.જ.પ. અને આપની નિષ્ફળતાને કારણે દિલ્હી અપરાધની પણ રાજધાની બની છે. તો, આમ આદમી પાર્ટી પણ ચૂપ રહે એમ નથી, તેના પૂર્વ મુખ્ય મંત્રી કેજરીવાલે પણ ચોપડાવ્યું કે કાઁગ્રેસ અને ભા.જ.પ.ની જુગલબંધી ચાલી રહી છે ને રાહુલ ગાંધી કાઁગ્રેસને બચાવવા મથે છે, પણ પોતે દેશને બચાવવાની કોશિશ કરે છે.

બાકી હતું તે કાઁગ્રેસનાં નવાં મુખ્યાલયનાં ઉદ્ઘાટન પ્રસંગે રાહુલ ગાંધીએ રોકડું કર્યું કે આપણે હવે ભા.જ.પ., આર.એસ.એસ. અને ખુદ ઇન્ડિયા સ્ટેટ (ભારત દેશ) સામે લડી રહ્યા છીએ. દેખીતું છે કે ભા.જ.પ. આટલું સાંભળીને બેસી ન રહે. ભા.જ.પ. અધ્યક્ષ જે.પી. નડ્ડાએ છુપાયેલું સત્ય બહાર આવ્યું એમ કહ્યું તો, કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારામને પૂછ્યું કે રાહુલ ગાંધી ભા.જ.પ., આર.એસ.એસ. અને ઇન્ડિયા સ્ટેટ સામે જ પડ્યા છે, તો તેઓ હાથમાં બંધારણની નકલ કેમ રાખે છે? એ જ રીતે કાઁગ્રેસ પણ પાણીમાંથી પોરાં કાઢતી રહે છે. એ તો કાઢે, પણ જે સાથી પક્ષો ઇન્ડિયા ગઠબંધનનાં છે તે પણ તો એકબીજાને નહોર ભરાવતા રહે છે. આવું હોય ત્યાં ગઠબંધનનો મૂળ વિચાર – ભા.જ.પ.ને સત્તાથી દૂર રાખવાનો – કઈ રીતે ફળીભૂત થાય તે સમજાતું નથી. 

વધારામાં આપ પર ભા.જ.પે. FIR દાખલ કરીને તેનું જોર ધીમું પાડવાની કોશિશ કરી છે. આપનાં આતિશી પર, પ્રચારમાં સરકારી ગાડી વાપરવાનો આરોપ છે. ચૂંટણી નજીક આવશે, તેમ તેમ ઇન્ડિયા ગઠબંધનના કાઁગ્રેસ અને આપ વચ્ચે ખેંચાતાણી વધવાની છે એ નક્કી છે. સામસામે આરોપો મૂકવાથી જનતાનું તો કરમુક્ત મનોરંજન જ થાય છે, બાકી પાણી વલોવવાથી કૈં સિદ્ધ થતું નથી તે તો નાનું છોકરું ય જાણે છે. વિચિત્રતા એ છે કે ઇન્ડિયા ગઠબંધનને નામે એક થયેલા વિપક્ષો હવે અંદરોઅંદર સ્પર્ધામાં શત્રુતા જ વધારી રહ્યા છે. તો, તૃણમૂલ કાઁગ્રેસ અને સમાજવાદી પાર્ટી ઇન્ડિયા ગઠબંધનમાં કાઁગ્રેસની સાથે હતી, તે હવે આપની સાથે છે. એટલું છે કે કોઈને જ સિદ્ધાંત, આદર્શ કે નીતિ જોડે બહુ લેવાદેવા નથી, એટલે કોણ કેટલું ઉઘાડું પડે છે એ જ જોવાનું રહે છે. એમ લાગે છે આ 26 વિપક્ષો 2024ની લોકસભાની ચૂંટણી પૂરતા જ સાથે હતા ને એ ચૂંટણી પૂરી થતાં જ જાણે લક્ષ્ય પૂરું થયું ને દિલ્હી વિધાનસભાની ચૂંટણી આવતાંમાં તો સ્પર્ધક થઈ ઊઠ્યા. 

એથી જ કદાચ જમ્મુ-કાશ્મીરના મુખ્ય મંત્રી ઓમર અબ્દુલ્લાએ કહેવું પડ્યું કે ઇન્ડિયા ગઠબંધન લોકસભાની ચૂંટણી પૂરતું જ જરૂરી હતું, તો હવે તેનું વિસર્જન કરી દેવું જોઈએ. કાઁગ્રેસે એની આગેવાની લીધી હતી, પણ ઇન્ડિયા ગઠબંધનની એક મીટિંગ બોલાવવાની તસ્દી પણ લેવામાં આવી નથી. ‘ઇન્ડિયા’નો આટલો વહેલો રકાસ થશે એવું કમ સે કમ એમાં જોડાયેલા પક્ષોએ તો ધાર્યું નહીં જ હોય. ઇન્ડિયા ગઠબંધનમાં પડેલી તિરાડનો પડઘો મુંબઈના સંજય રાઉત સુધી પડ્યો છે. શિવસેના (યુ.બી.ટી. – ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે) સાંસદ સંજય રાઉતે એલાન કર્યું છે કે મુંબઈ અને નાગપુર મહાનગરપાલિકાની ચૂંટણી શિવસેના (યુ.બી.ટી.) એકલી જ લડશે. ઇન્ડિયા ગઠબંધન ચાલુ રહેશે કે બંધ થશે, તેની કોઈ સ્પષ્ટતા નથી. મીટિંગ બોલાવીને તે ચાલુ રહેશે કે બંધ થશે તેનો ખુલાસો પણ થવો જોઈએ. એ કેવી કરુણતા છે કે ભા.જ.પ.ની સામે પડેલું ‘ઇન્ડિયા’ ભા.જ.પ.ની સામે તો છે જ પણ, સાથી પક્ષો પણ એકબીજાની સામે પડ્યા છે ને એથી ભા.જ.પ.ને હરાવવાનો સંકલ્પ અભરાઇ પર ચડી ગયો હોય તેવું લાગે છે.

ઓમર અબ્દુલ્લાની ઇન્ડિયા ગઠબંધનને વિસર્જિત કરવાની વાત એટલે આવી હતી કે દિલ્હીમાં આપ અને કાઁગ્રેસ વચ્ચે તડ પડતી અનુભવાઈ હતી. વિપક્ષોમાં પણ પાછા વિપક્ષો સર્જાય તો એનો અર્થ એ કે વિપક્ષી એકતા જોખમમાં છે. ખરેખર તો સાથે ઊભેલા વિપક્ષો સામે આવી ગયા છે ને એકતા જેવું ખાસ રહ્યું નથી. આવું હોય ત્યારે ભેદભાવ ભૂલીને એકતાને વધુ મજબૂત કરવાની રહે અથવા એમ લાગે કે વિપક્ષો એક રહી શકે એમ જ નથી તો ગઠબંધન પર ચોકડી મારી દેવી જોઈએ. કાઁગ્રેસે એ યાદ રાખવું જોઈએ કે ‘ઇન્ડિયા’નાં નેજા હેઠળ જમ્મુ-કાશ્મીર, મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભાની ચૂંટણીઓ લડાઈ છે. એમાં હરિયાણા એટલે બાદ રહ્યું કારણ, કાઁગ્રેસે આમ આદમી સાથે મળીને ચૂંટણી લડવાનો નન્નો ભણ્યો હતો. એ ખરું કે કાઁગ્રેસે દિલ્હીમાં વર્ષો સુધી પોતાની રાજનીતિક જમીન પર શાસન કર્યું છે, એટલે અહીં પણ એ આપ સાથે ન બેસે ને ઢીલ દેખાડીને એવું તો ન જ કરે કે થોડી ઘણી બચેલી જમીન પણ ખોવાનો વારો આવે. કાઁગ્રેસ એવી જમીન ખોઈ પણ ચૂકી છે. એ પણ છે કે ઇન્ડિયાના ઘણા પક્ષો કાઁગ્રેસની વોટ બેન્ક આંચકીને બેઠા છે. એ પક્ષો જો કાઁગ્રેસ તરફ ઉદાર થવા જાય તો પોતાની વોટ બેન્ક ગુમાવે જે એક કાળે કાઁગ્રેસ પાસેથી તેમણે જ આંચકી હતી. 

એક બાબત સ્પષ્ટ છે કે ઇન્ડિયા ગઠબંધનના પક્ષો કુદરતી રીતે સાથે આવ્યા નથી. તેમનામાં કશુંક સામાન્ય હોય તો એ જ કે એ સૌ ભા.જ.પ.ને હરાવવા નજીક આવ્યા હતા. કોઈ નીતિગત સ્પષ્ટતા ન હોવાને કારણે તેમને સાથે રાખનારું કોઈ પરિબળ જ નથી. એવું ભવિષ્યમાં પણ કૈં હોય એવું લાગતું નથી. એ સ્થિતિમાં તે આપોઆપ જ એકતા સાધી રહે એવું શક્ય જ નથી. ભૂતકાળમાં મોરચાને નામે વિપક્ષોની સાથે આવવાની કોશિશો થઈ જ છે, પણ નેતૃત્વ કરનાર પક્ષનું પ્રભુત્વ ન હોવાને કારણે તે ઝાઝું ટક્યા નથી. લોકસભાની 2024ની ચૂંટણીમાં ભા.જ.પ.ને હરાવવા વિપક્ષો એક તો થયા, પણ સત્તા પર તો ભા.જ.પ.નું જ આવવાનું થયું, એટલે હવે દિલ્હીમાં ફરી સૌ પોતપોતાનો કક્કો ખરો કરવા મેદાને પડ્યા છે, પણ એમાં ભા.જ.પ.ને બહુ ફેર પડે એમ નથી. હા, વિપક્ષો એકબીજાના વિપક્ષોની જેમ ઊભરી રહ્યા છે એ ખરું ને એનો લાભ લેવાનું ભા.જ.પ. ચૂકે એટલું ભોળપણ તો તેનામાં ક્યારે ય ન હતું …..  

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 17 જાન્યુઆરી 2025

Loading

17 January 2025 Vipool Kalyani
← क्या नारायण गुरु सनातन धर्म का भाग हैं?
મુસાજી ઈસપજી હાફેસજી ‘દીપક બારડોલીકર’ લખ્યું એવું જીવ્યા →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved