Opinion Magazine
Number of visits: 9448851
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

કથની અને કરણીમાં અંતર છે

રમેશ ઓઝા|Opinion - Opinion|26 December 2024

રમેશ ઓઝા

એક પ્રસંગ તો બહુ જાણીતો છે અને કદાચ તમે પણ સાંભળ્યો હશે. ૧૯૪૨ની ભારતછોડો લડત વખતે મુંબઈમાં ગોવાળિયા ટેંક(આજનું ઑગસ્ટ ક્રાંતિ મેદાન)માં પોલીસે સત્યાગ્રહીઓ ઉપર લાઠીચાર્જ કર્યો અને અનેક સત્યાગ્રહીઓની ધરપકડ કરી એમાં એક મહિલા પણ હતી અને તેનાં શરીર પર સોનાનાં આભૂષણ હતાં. એ બહેને તરત એ સોનાનાં દાગીના કાઢીને બાજુમાં ઊભેલા એક ભાઈને આપ્યા અને કહ્યું કે ફલાણી જગ્યાએ મારું ઘર છે એટલે તમે આ દાગીના મારા ઘરે આપી આવજો. એ ભાઈએ અચંબો પામીને એ બહેનને કહ્યું કે, બહેન, તમે મને ઓળખતાં પણ નથી, અને તમે એક અજાણ્યા આદમી પર ભરોસો કરીને મૂલ્યવાન દાગીના આપો છો? એ બહેને કહ્યું કે તમે ખાદી પહેરો છો, ગાંધીજીના માણસ છે અને એટલી ઓળખ પૂરતી છે. મને ખાતરી છે કે આ દાગીના તમે મારા ઘરે પહોંચાડી દેશો.

આને કહેવાય શાખ. અમુક પ્રકારની જીવનદૃષ્ટિ, ફિલસૂફી અને મૂલ્યનિષ્ઠા જે લોકો સ્વીકારે છે તેનાં આચરણમાં તે ઉતરે છે અને એવા લોકો તેને આત્મસાત કરી લે છે. એમાં માનનારાઓનો એક પરિવાર બને છે અને એ પરિવારની એક શાખ બને છે. ગાંધીનો પરિવાર ઉપર કહી એવી એક શાખ ધરાવતો હતો. એમાં ખોટ્ટા સિક્કા ન જ નીકળે એવું નથી, ઘણાં નીકળતા હતા, પણ ગણ્યાગાંઠ્યા. શાખ જે તે સમૂહના એકંદર આચરણ દ્વારા બને છે અને તે સારી અને નરસી બંને હોઈ શકે છે.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતે ૧૯મી ડિસેમ્બરે પૂનામાં ‘ભારત એક વિશ્વગુરુ’ વિષય પર બોલતા કહ્યું હતું કે, “આપણે સદીઓથી એક સાથે સામંજસ્યપૂર્વક રહીએ છીએ અને એ જ તો વિશ્વને આપવા માટેની આપણી પાસે અમૂલ્ય વસ્તુ છે. આપણે આ (સામંજસ્યપૂર્વકનું સહઅસ્તિત્વ) વારંવાર, ફરીફરી જીવી બતાવીને વિશ્વને ઉદાહરણરૂપે આપતા રહેવાનું છે. રામ મંદિર બન્યા પછી કેટલાક લોકોને એમ લાગવા માંડ્યું છે કે તેઓ જ્યાં ત્યાં વિવાદો પેદા કરીને હિંદુઓના નેતા બની જશે. આ સ્વીકાર્ય નથી.” મોહન ભાગવતે આ પહેલાં અનેકવાર કહ્યું છે કે મુસલમાનો વિનાનો દેશ અધૂરો છે. વિરોધ પક્ષ વિરોધ કરવા માટેનો પક્ષ નથી, પણ પ્રતિવાદ કરનારો પ્રતિપક્ષ છે. જ્યાં પક્ષ હોય ત્યાં પ્રતિપક્ષ હોવાનો જ અને તેનું સ્વાગત કરવું જોઈએ. લોકતાંત્રિક સભ્ય સમાજની આ જરૂરિયાત છે.

મોહન ભાગવત વર્ષોથી વખતો વખત ઉપનિષદના ઋષિઓની, બુદ્ધ અને મહાવીરની, વિવેકાનંદ અને ગાંધીની યાદ અપાવે તેવાં નિવેદનો કરતા રહે છે. પણ પેલા ગોવાળિયા ટેંકના સત્યાગ્રહી બહેનને બાજુમાં ઊભેલા ખાદીધારી ગાંધીજન ઉપર જેટલો ભરોસો હતો એટલો ભરોસો તમને બેસે છે? નથી બેસતો, કારણ કે સંઘની શાખ જુદી છે. કથની અને કરણીમાં અંતર છે. ઉપર કહ્યા એવા ઋષિ મુનિ અને સંતોની યાદ અપાવનારાં એક બે નહીં સેંકડો નિવેદનો સંઘ પરિવારના નેતાઓએ કર્યા છે, પણ પ્રત્યક્ષ આચારણ જુદું હોય છે. ‘બંચ ઓફ થોટ્સ’ નામના પુસ્તકમાં ગોલવલકર ગુરુજી જે લખી ગયા છે એ મોહન ભાગવત કહે છે એના સામેના છેડાનું છે તો વિશ્વાસ કોના પર કરવો? ગોલવલકર ગુરુજીના અમુક અમુક વિચારો કાલબાહ્ય છે અથવા તો તે તેમનો અંગત અભિપ્રાય હતો અથવા સંઘે પોતાની વિચારધારા હવે બદલી છે એમ આજ સુધી કોઈએ કહ્યું નથી. ‘બંચ ઓફ થોટ્સ’ તેઓ છાપે છે અને વેચે છે. મોહન ભાગવત જે કહે છે એનાથી બિલકુલ સામેના છેડાના લેખો સંઘના મુખપત્રોમાં છપાતા રહે છે. ખાતરી કરી શકો છો.

દરેક વખતે ચૂંટણી જીતવા માટે જે તે મુદ્દો ચગાવીને કે સળગાવીને મુસ્લિમ વિરોધી વાતાવરણ પેદા કરવામાં આવે છે એ ક્યાં અજાણ્યું છે. લોકસભાની ગત ચૂંટણી વખતે વડા પ્રધાને મુસલમાનોનું નામ લઈને જે પ્રચાર કર્યો હતો એ તો તાજી ઘટના છે. “ખરા અર્થમાં વિશ્વગુરુ બનવું હોય તો સામંજસ્યપૂર્વકના સહઅસ્તિત્વનો ઉજ્વળ દાખલો ભારતે વિશ્વને આપતા રહેવું જોઈએ” એવો મોહન ભાગવતે આપણને જે બોધ આપ્યો એનાથી બિલકુલ વિસંગત પ્રચાર અને પ્રવૃત્તિ તેમનો પરિવાર કરે છે. મને યાદ નથી કે મોહન ભાગવતે ક્યારે ય કોઈને વાર્યા હોય કે ટપાર્યા હોય. ખેલ પૂરો થાય એ પછી ખેલદિલીની વાતો કરવાની, પણ ખેલ ખેલાતો હોય ત્યારે ગમે તે માર્ગ અપનાવવામાં આવે મૂંગા રહેવાનું. લોકસભાની ચૂંટણી પછી આપણને મોહન ભાગવતની મંગલવાણી સાંભળવા મળી હતી.

૧૯૯૨માં અયોધ્યા આંદોલન વખતે તે સમયના સરસંઘચાલક બાળાસાહેબ દેવરસના નાના ભાઈ ભાઉરાવ દેવરસે વડા પ્રધાન નરસિંહ રાવને મળીને ખાતરી આપી હતી કે ચિંતા નહીં કરતા, આ માત્ર પ્રતીકાત્મક કારસેવા છે, મસ્જીદને હાથ લગાડવામાં નહીં આવે. ઉત્તર પ્રદેશના બી.જે.પી.ના મુખ્ય પ્રધાન કલ્યાણ સિંહે સર્વોચ્ચ અદાલતને સોગંદનામું કરીને કહ્યું હતું કે કોઈ પણ સંજોગોમાં મસ્જીદની રક્ષા કરવામાં આવશે. પણ એ પછી ૬ઠ્ઠી ડિસેમ્બર ૧૯૯૨નાં રોજ જે બન્યું એ તમે જાણો છો. લાલકૃષ્ણ અડવાણીએ કહ્યું કે મસ્જીદ તોડી નખાઇ એ તેમના લલાટ પર ન ભૂંસી શકાય એવું લાગેલું કલંક છે. મુરલી મનોહર જોશી જ્યારે મસ્જીદ તોડવામાં આવી ત્યારે રાજી થઈને હસતા હતા. એ પછી તરત જ યોજાયેલી ત્રણ રાજ્યોની વિધાનસભાઓની ચૂંટણીમાં ભા.જ.પ.ના પ્રચારનું સૂત્ર હતું; ‘જો કહા વહ કિયા.’

તો ગાંધીપરિવારથી ઊલટું સંઘપરિવારની આ શાખ છે. તેમણે જે વિચારધારા, જીવનમૂલ્યો અને અભિગમ અપનાવ્યાં છે અને આત્મસાત કર્યા છે એમાં સાધનશુદ્ધિ, ટેકીલાપણું, એકવાક્યતા, પારદર્શકતા નથી. સદ્દગુણ એ માણસની નબળાઈ છે અને સદ્દગુણ ઉપાસ્ય નથી એમ હિન્દુત્વવાદીઓના આદ્ય વિચારક વિનાયક દામોદર સાવરકર કહી ગયા છે. ગાંધીનો માર્ગ જુદો હતો. લોકો હિંસા કરે તો ગાંધીજી ઉપવાસ કરતા. તેમના કોઈ સાથીની શિથિલતા નજરે પડે તો ગાંધીજી પ્રાયશ્ચિત કરતા. પોતાના સગા પુત્ર મણિલાલ ગાંધીએ કરેલી ભૂલ માટે ગાંધીજીએ ઉપવાસ કરેલા.

એક એ પરિવાર હતો, એક આ પરિવાર છે. એક એ શાખ હતી, એક આ શાખ છે.

પ્રગટ : ‘વાત પાછળની વાત’, નામક લેખકની કટાર, “ગુજરાતમિત્ર”, 26 ડિસેમ્બર 2024

Loading

26 December 2024 Vipool Kalyani
← શું ઢોંગી સાધુઓ જ્યાં જાય ત્યાં અંધકાર ફેલાવતા નથી?
વસ્તીગણતરીની મથામણ, માયાજાળ અને મતભેદ →

Search by

Opinion

  • રૂપ, કુરૂપ
  • કમલા હેરિસ રાજનીતિ છોડે છે, જાહેરજીવન નહીં
  • શંકા
  • ગાઝા સંહાર : વિશ્વને તાકી રહેલી નૈતિક કટોકટી
  • સ્વામી : પિતૃસત્તાક સમાજમાં ભણેલી સ્ત્રીના પ્રેમ અને લગ્નના દ્વંદ્વની કહાની

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved