Opinion Magazine
Number of visits: 9449148
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ઇતિહાસ નથી તો ઓજાર કે નથી એ સંપ્રદાય : સમાજને સારુ સ્વશિક્ષણની એ તો શાળા છે

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|23 November 2024

બિરસા સાર્ધ શતાબ્દી

અંગ્રેજ અમલના ઉત્તરકાળે આરંભાયેલ રાષ્ટ્રીય ઇતિહાસલેખને સાંસ્થાનિક દૃષ્ટિકોણમાં બદલાવ આણ્યો અને માર્ક્સવાદી ઇતિહાસલેખને ચોક્કસ મર્યાદામાં એમાં આર્થિક – સામાજિક પરિમાણનો પ્રવેશ કરાવ્યો : સહૃદય સ્વાધ્યાય અને સમીક્ષાને કારણે આ પ્રક્રિયા અનવરત રહેશે.

બિરસા મુંડા

હાલના સત્તા પ્રતિષ્ઠાને બિરસા મુંડાની સાર્ધ શતાબ્દીનો રંગેચંગે પ્રારંભ કીધો અને રાષ્ટ્રપતિ, વડા પ્રધાન તથા ગૃહ પ્રધાને પોતપોતાને સ્તરેથી તે અંગે ઘટતા અવાજો પણ કાઢ્યા એ તો જાણે કે ઠીક જ થયું. ચોક્કસ રાજકીય-સામાજિક અગ્રવર્ગની ફરતે રમતે ભમતે આપણું ઇતિહાસચિંતન ચાલતું હોય છે તે વિસ્તરે અને આટલા મોટા લગભગ ખંડસદેશ દેશમાં જે નાનાવિધ સમુદાયો છે એ સૌને અંગે એક સહૃદય એવો સમાવેશી અભિગમ વિક્સે એ અલબત્ત ઇષ્ટ છે. રાજ્યોમાં ચૂંટણીદોર જારી હતો અને એમાં વળી ઝારખંડ તો સુવાંગ આદિવાસી ઇલાકો, એ જોતાં રાજકીય-શાસકીય અગ્રવર્ગ બિરસા મુંડા નિમિત્તે વરસી પડે એ ય સમજી શકાય એવું છે.

પ્રકાશ ન. શાહ

પણ આ બધા શોરની કળ વળે (બલકે, મૂર્છા ઉતરે) ત્યારે કેટલીક પાયાની બાબતો સહવિચારની દૃષ્ટિએ સમજવી જરૂરી બને છે. નહીં કે અન્યથા પણ આ ચર્ચા ન કરવી જોઈએ, પરંતુ વડા પ્રધાને અને ગૃહ પ્રધાને બિરસા-બિરસા નાદ વચ્ચે જે એક એવી છાપ ઉપસાવવાની કોશિશ કરી કે અમે આગળનાઓએ ઇરાદાપૂર્વક બાજુએ રાખેલ મહાનાયકોને સંભારી રહ્યા છીએ તેને કારણે સહવિચારની તાકીદ ઓર વધી જાય છે.

પહેલાં તો, સમતાપૂર્વક આપણે સૌએ એટલું સમજવું અને સ્વીકારવું પડે કે ઇતિહાસ બધો વખત આખો ને આખો આપણી સામે ઊઘડતો નથી હોતો. સરજાતા ઇતિહાસમાં કેટલીક પરત ખૂલે છે, કેટલીક અધખૂલી રહે છે. બહુ જ જાડો, સાવ સાદો દાખલો આપવો હોય તો હજુ સૈકા બે સૈકા પર લખાતો ઇતિહાસ રાજાઓ અને રાજવંશોને તેમ જ તેમનાં આપસી જુદ્ધોનો મુખ્યત્વે હતો. ધીરે ધીરે આપણે પ્રજાઓના ઇતિહાસલેખનમાં પ્રવેશ્યા. સામાન્યપણે આ લેખન પણ જે અગ્રવર્ગ હોય એની ફરતે થતું હશે, ક્રમે ક્રમે એમાં આમ આદમીનો પ્રવેશ થયો. વળી, આપણે ત્યાં જેમ અગ્રવર્ગ તેમ અગ્રવર્ણનોયે સ્વાભાવિક પ્રશ્ન રહે. અંગ્રેજ કાળમાં આપણે જે ઇતિહાસલેખન જોયું તે સ્વરાજ આવતે આવતે સ્વાભાવિક જ જુદા ફલક પર મૂકાયું. રાષ્ટ્રીય ઇતિહાસલેખનની દૃષ્ટિએ અંગ્રેજ અમલના ઉત્તરકાળમાં રાજેન્દ્રપ્રસાદની અધ્યક્ષતામાં જે સમિતિ બની એણે બહુ સરસ અભિગમ લીધો હતો કે ‘રાષ્ટ્રીય’નો અર્થ એ નથી કે આપણી મર્યાદાઓ અને ક્ષતિઓને આ અભ્યાસમાં ઢાંકવી. આપણો આશય આ ક્ષતિઓ ઢાંકવાનો નહીં પણ તેની દુરસ્તીનો છે.

આ જ રાષ્ટ્રીય ઇતિહાસલેખનની ધારામાં (ક્વચિત તેને સમાંતર પણ) માર્કસવાદી ઇતિહાસલેખન આવ્યું. સ્વાતંત્ર્યચળવળ ઉત્કર્ષકાળની મુખ્ય ધારા એટલે કે કાઁગ્રેસ ને ગાંધી જેવાં ને જેટલાં ઊપસતાં હશે એમાં એમણે વંચિત સમુદાયો અથવા મુખ્યધારામાં દેખીતા ન જણાય તેવા કિસાનમજદૂર ઉઠાવોને ઊંચક્યાં. બિરસા પ્રકારના આદિવાસી – કિસાન ઉઠાવોને અંગે એમાં ખાસું કામ થયું. બિપનચંદ્ર જેવા માર્ક્સવાદી ઇતિહાસકારે ડાબેરીઓ રાષ્ટ્રીય ચળવળમાં ગાંધીના યોગદાનને સુપેરે સમજી શક્યા નહીં હોવા બાબતે ખખડાવીને લખ્યું પણ ખરું.

નમૂના દાખલ, બિરસાની જ વાત લઈએ તો એમની ભૂમિકા સારુ એકાએક કોઈ આસમાની નવજાગૃતિ પેરેશૂટ પેઠે ઊતરી પડી હોય એવું નથી. 1885-90 બિરસા પ્રકરણ વખતે ત્યારનો વિધાનગૃહમાં સુરેન્દ્રનાથ બેનરજીએ ઉઠાવેલ સવાલો ને છેડેલ ચર્ચા ઇતિહાસદર્જ છે. તત્કાલીન અખબારોમાંયે તે ઝિલાયેલી છે. હાલ ઝારખંડમાં પણ સાંથાલ પરગણાનો બંગાળ સાથે સીધો સંબંધ એટલે બંગાળ સાથે સીધો સંબંધ એટલે નેતાજી અને એમનો ફોરવર્ડ બ્લોક ખાસ બિરસા જયંતીનો આયોજનો કરતાં. 1940ની રામગઢ કાઁગ્રેસે પોતાના મુખ્ય પ્રવેશદ્વાર સાથે બિરસાના નામને સાંકળ્યું હતું. સંસદ પરિસરમાં (હવે જેને પ્રેરણાસ્થળ કહેવાય છે, ત્યાં) પચીસ વરસથી બિરસાની પ્રતિમા સ્થાપિત થયેલી છે.

ઘણાં અણગાયાં પાત્રો હજુ પ્રજાસૂચ પુજાપાની પ્રતીક્ષામાં છે. હાલનું સત્તા-પ્રતિષ્ઠાન ગમે તે ક્ષણે જેને ‘વોક’માં ખપાવી શકે એવા એક સમર્પિત કર્મશીલ પત્રકાર પી. સાઇનાથે એમનાં પૈકી કેટલાંક જીવંત ચિત્રોની હજુ એકબે વરસ પર જ ‘ફૂટપ્રિન્ટ્સ’ રૂપે અક્ષર રજૂઆત કરી છે. ઇતિહાસલેખનમાં આર્થિક-સામાજિક પૃષ્ઠભૂ એ ડાબેરી લેખનનો વિશેષ છે જે હવે મુખ્યધારામાં સ્વીકારાયેલો છે.

ઇતિહાસને ઓજાર કે સંપ્રદાય તરીકે નહીં પણ વ્યાપક સ્વશિક્ષણની અભિનવ સાધનારૂપે જોવા ઘટાવવાપણું છે.

Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘પરિપ્રેક્ષ્ય’, “દિવ્ય ભાસ્કર”; 20 નવેમ્બર 2024

Loading

23 November 2024 Vipool Kalyani
← ચલ મન મુંબઈ નગરી—264
વ્યથા →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved