Opinion Magazine
Number of visits: 9449336
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

વ્યથિત થવા કરતાં વ્યવસ્થિત થવાની જરૂર વધારે છે…

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|30 August 2024

રવીન્દ્ર પારેખ

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કોલકાતાની હોસ્પિટલમાં ટ્રેઈની ડોક્ટરનાં રેપ અને મર્ડર સંદર્ભે વ્યથિત થઈને પોતાના લેખમાં જે આર્તનાદ કર્યો છે તે આ ઘટનાથી હચમચી ગયેલાં ભારતનો જ રાષ્ટ્રીય પડઘો છે. ‘બસ, બહુ થયું …’એવા રાષ્ટ્રપતિના ઉદ્દગારમાં ઘટના અને પીડાની અવધિ આવી ગઈ હોવાનું અનુભવાય છે. તેમણે પોતે આ અને આવી ઘટનાઓથી નિરાશ અને ભયભીત થવાનું અનુભવ્યું છે. એક રાષ્ટ્રપતિ પોતે પોતાને હતાશ અને ભયભીત અનુભવતા હોય તો દેશની અન્ય મહિલાઓ કેટલી સુરક્ષિત અને સ્વસ્થ હશે તે સમજી શકાય એવું છે. એક તરફ દેશ વૈશ્વિક ઈકોનોમી સંદર્ભે સ્પર્ધામાં હોય અને વિકાસની હરણફાળ ભરવામાં વ્યસ્ત હોય ને બીજી તરફ દેશની અડધી વસ્તી ભયભીત અને અસુરક્ષિત હોય તો વિકાસ અને વ્યક્તિ વચ્ચે મેળ નથી એવું ખરું કે કેમ? ક્યાં તો આપણે વિકાસની એક્ટિંગ કરી રહ્યા છીએ અથવા મહિલાઓ પીડિત હોવાનો અભિનય કરી રહી હોય એમ બને, પણ રાષ્ટ્રપતિ જેવાં જો મહિલાઓ પરના અત્યાચારથી નિરાશ અને ભયભીત હોય તો એટલું સ્પષ્ટ છે કે મહિલાઓ પણ અસુરક્ષિત અને ભયભીત છે.

રાષ્ટ્રપતિએ કોલકાતા રેપ-હત્યાને મુદ્દે જ વાત નથી કરી, દેશના અન્ય ભાગોમાં બાળકીથી લઈને અન્ય સ્ત્રીઓ પણ, જે રીતે અનાચાર અને હત્યાનો ભોગ બની રહી છે, એ મામલે પણ ચિંતા ને વ્યથા વ્યક્ત કરી છે ને જે તે ઘટના બાબતે જેમ જેમ લોકોનો આક્રોશ ઘટતો જાય છે, તેમ તેમ ઘટના પણ ભુલાતી જાય છે એ અંગે અફસોસ પણ કર્યો છે. એટલું છે કે કોલકાતાની આરજે કર હોસ્પિટલની ઘટનાથી દ્રૌપદીજી ખાસા આહત થયાં છે. તેમણે મહિલાઓને તેની ક્ષમતા અને શક્તિ સંદર્ભે ઓછી આંકવામાં આવે છે એ માનસિકતાની ટીકા કરીને તે બદલવાની વાત પણ કરી છે. ટ્રેઈની ડોક્ટર પર 9 ઓગસ્ટે થયેલા રેપ અને મર્ડરની હત્યાને રાષ્ટ્રપતિએ ભયંકર અને બેચેન કરનારી ગણાવીને કોઈ પણ સભ્ય સમાજ આવી બર્બરતાથી આક્રોશિત થાય જ તે વાતને પ્રમાણી છે. ‘વીમેન્સ સેફટી : ઇનફ ઈઝ ઇનફ’ નામના લેખમાં કોલકાતા હોસ્પિટલની ઘટના વિષે પહેલી વખત રાષ્ટ્રપતિએ મોં ખોલ્યું છે.

9 મી ઓગસ્ટ પછી રેપ અને મર્ડરની ઘટનાઓ અટકી ગઈ છે એવું નથી. ગયે અઠવાડિયે જ આસામમાં ટ્યૂશનેથી પરત ફરી રહેલી સગીરા પર ગેંગ રેપની ઘટના બની છે. મહારાષ્ટ્રના રત્નાગિરીમાં 26 ઓગસ્ટે જ નર્સિંગની વિદ્યાર્થિની પર રિક્ષા ડ્રાઇવરે બળાત્કાર કર્યાની વાત છાપે ચડી હતી. મહારાષ્ટ્રનાં થાણેમાં એક સફાઇ કામદારે ત્રણ અને ચાર વર્ષની બાળકીનું યૌન શોષણ કર્યાની વાતે બદલાપુરમાં ભારે હોબાળો થયો હતો. દસેક દિવસ પર છત્તીસગઢની એક 27 વર્ષની આદિવાસી મહિલાનો પણ ગેંગ રેપ થયો હતો. તાજેતરમાં જ ઉમરગામમાં 3 વર્ષની બાળકી સાથે એક વિધર્મીએ દુષ્કર્મ કર્યાની વાતે ઉમરગામ સજ્જડબંધ રહ્યું હતું ને પોલીસે આરોપીને સાથે રાખીને આખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ કર્યું હતું, પણ આ બધું ખાતર પર દિવેલથી વિશેષ કૈં નથી, કારણ કે લાખ કોશિશો છતાં દુષ્કર્મની ઘટનાઓ ઘટતી નથી. રાષ્ટ્રપતિએ વાજબી રીતે જ કહ્યું છે કે જેમ જેમ લોક-આક્રોશ ઘટે છે તેમ તેમ મૂળ ઘટના ભુલાવા માંડે છે.

કોલકાતાની ટ્રેઈની ડોક્ટરની હત્યામાં રાજકારણ પણ ખેલાયું છે. ઘટનાના પુરાવાઓ નષ્ટ થાય એટલે ઘટના સ્થળે 7,000નું ટોળું ત્રાટકયું એટલે કોઈકને તો એવું છે કે ઘટના પર પડદો પડે. બંગાળમાં મમતા બેનર્જીનું શાસન છે ને ભા.જ.પ. ત્યાં કોઈ રીતે પ્રવેશવા ફાંફાં માર્યા કરે છે, પણ મમતાની કિલ્લેબંધી એવી જડબેસલાક છે કે અત્યાર સુધી તો ભા.જ.પ.નો પત્તો ખાધો નથી. એને કારણે મમતા શાસનને કોઈ રીતે ફટકો પડે એની પેરવીમાં ભા.જ.પ. રહે છે ને મમતા બેનરજી પણ આરોપ મૂકવાની ને બચાવ કરવાની એક પણ તક જતી કરતાં નથી. ભા.જ.પે. બંગાળ બંધનો કાર્યક્રમ આપ્યો તો મમતાએ પણ રીતસરની ધમકી આપી છે કે બંગાળ સળગાવ્યું તો આગ દિલ્હી સુધી પહોંચશે. હવે પરસ્પર રાજકીય પક્ષો આરોપો ને પ્રત્યારોપોમાંથી જ ઊંચા ન આવે તો મૂળ ઘટના બાજુ પર જાય અને રાજકારણ જ કેન્દ્રમાં આવી રહે તેમાં નવાઈ નથી. બંગાળનાં મુખ્ય મંત્રીએ તો દસ દિવસમાં પીડિતાને ન્યાય અપાવવાની વાત પણ કરી છે ને તે સાથે જ બળાત્કારીને ફાંસી આપવા કાયદામાં સુધારો કરવાની વાત ઉમેરીને ધમકી પણ ઉચ્ચારી છે કે આ બિલને મંજૂરી ના મળી તો પોતે રાજભવન સામે ધરણાં કરશે.

ધમકીથી કે તુક્કાઓથી જ રાજ થઈ શકે એવી સમજ મમતા બેનરજીએ એવી કેળવી છે કે એમણે પોતાનાં કારભાર અંગે આત્મ નિરીક્ષણ કરવાની જરૂર જ જણાતી નથી. રાષ્ટ્રપતિએ લેખમાં કોલકાતાની રેપ-મર્ડરની ઘટનાથી વ્યથિત હોવાનું જણાવ્યું તો મમતાએ સંભળાવ્યું કે બંગાળની વાત કરી, પણ અન્ય રાજ્યો વિષે કૈં ન કહ્યું. તો, સી.બી.આઇ. સત્તરેક દિવસથી તપાસ કરે છે, પણ ન્યાયનું ઠેકાણું પડતું નથી તે અંગે પણ ટકોર કરી. આ માનસિકતા બદલવાની જરૂર છે. ધારો કે રાષ્ટ્રપતિએ અન્ય રાજ્યોની વાત કરી હોત તો કોલકાતા રેપ અને મર્ડરની ઘટના નથી બની એવું પુરવાર થઈ જતે? જે થયું છે તે થયું જ છે એ સ્વીકારવાને બદલે આ નથી થયું કે તે નથી કહ્યું જેવું કૂટવાથી બન્યું છે તે નથી બન્યું એવું પુરવાર થઈ શકતું નથી. કોણે શું શું નથી કર્યું એવી ખણખોદ કરવાને બદલે, પોતે શું કર્યું છે તે પણ જોવાની જરૂર છે.

એ સાથે જ એ પણ વિચારવાનું રહે કે ફાંસી જેવી મહત્તમ સજા દુષ્કર્મ અને હત્યાને મામલે થતી હોય તો દુષ્કર્મની ઘટનાઓ ઘટવી જોઈએ, પણ એવું થતું નથી. રોજના 86 બળાત્કારના કિસ્સાઓ બનતા હોય તો એટલું નક્કી છે કે ગુનેગારોને ફાંસીની સજાનો ભય રહ્યો નથી. એનો અર્થ એ પણ થયો કે બળાત્કારીઓ સ્ત્રી કે બાળકીને વસ્તુથી વધારે ગણતાં નથી. સ્ત્રીને દેવી ગણવાની કે માતા કે બહેનને માન આપવાની વાતને ગુનેગારો જરા પણ ગણકારતા નથી. તેમણે તો સ્ત્રી માત્ર ભોગવવાની વસ્તુથી વિશેષ કૈં નથી એમ જ માન્યું છે. યાદ રહે યૌન શોષણ અભણ જ કરે છે એવું નથી, એમાં શિક્ષિતો શોષણની વધુ સૂક્ષ્મ રીતો સાથે પ્રવૃત્ત થાય છે. શિક્ષણનું પ્રમાણ વધવાની સાથે દુષ્કર્મની ઘટનાઓ ઘટવી જોઈતી હતી, પણ તેમાં ઉત્તરોત્તર વધારો જ થતો જોવા મળ્યો છે. તો, એમ માનવું કે શિક્ષણ માનવીય સંવેદનાઓ ઉજાગર કરવામાં સફળ થયું નથી?

2020થી નવી શિક્ષણ નીતિ અમલમાં આવી હોય, પછી પણ આ સ્થિતિ હોય તો શિક્ષણથી ફરક પડ્યો નથી એમ સ્વીકારવું પડે. એ પણ જોવાવું જોઈએ કે આજકાલ કેવાં શિક્ષણનો મહિમા વધુ છે? તો જણાશે કે સૌથી વધુ નફો રળી આપે એવું શિક્ષણ અને એવા વ્યવસાય તરફ જ આપણી નજર વધુ છે. કમાવી આપે તે શિક્ષણ, બલકે, તે જ શિક્ષણ એવી શૈક્ષણિક વ્યવસ્થાઓનો મહિમા વધ્યો છે. વ્યથા આપે તેવી વ્યવસ્થા પણ જો નફો રળી આપતી હોય તો તેનો પણ આપણને બહુ વાંધો નથી. અહીં વ્યવસાય કે નફાનો જરા જેટલો પણ વાંધો નથી. વાંધો, કમાવામાં પડેલી વ્યક્તિઓ યંત્ર થઈ રહી છે તેનો છે. રોબોટ માણસને વિકલ્પે હોઈ શકે, પણ માણસ જ રોબોટ થવા લાગે તો એ સંવેદન રહિત કે સંવેદનહીન જ બને તે શક્ય છે. કાલ ઊઠીને એવું બને કે રોબોટને આંસુ આવે ને માણસની આંખો કોરી જ રહે. આપણા વિકાસમાં માણસની આંખો કોરી રહે એ ગુણ ગણાતો હોય તો પણ અનુભવો માણસને સંવેદનહીન બનાવે એ જરા પણ ઇચ્છનીય નથી.

આવું એટલે બને છે કે શિક્ષણ કે રોજિંદા જીવનમાંથી કળા, સાહિત્ય, સંગીત, નૃત્ય વગેરે લુપ્ત થતાં આવે છે. સંસ્કૃત શ્લોકમાં તો કહ્યું જ છે કે જેમને સાહિત્ય, સંગીત, કલા વગેરેમાં રુચિ નથી, તેઓ પૂંછડા અને શિંગડા વિનાના પશુ જ છે. જે કલાથી દૂર છે તે બલાની નજીક છે. એવું નથી કે ફિલ્મો કે સંગીત નાબૂદ થઈ ગયાં છે, પણ આજની મોટે ભાગની ફિલ્મો હિંસાને પ્રાધાન્ય આપે છે. સંગીત ઘોંઘાટનું જ બીજું નામ છે. હિંસા અને ક્રૂરતા એને લીધે જીવનમાં વધી છે. એટલે જ મારી નાખ્યા પછી પણ સંતોષ નથી થતો તો પ્રેમિકાના અસંખ્ય ટુકડાઓ કરીને પ્રેમી જંગલમાં ફેંકી આવે છે. સી.ઇ.ઓ. મા પોતાના જ ચાર વર્ષનાં દીકરાને મારી નાખીને બેગમાં ભરીને કોઈ સામાનની જેમ લઈ જઈ શકે છે. કોઈ પત્ની કે પતિ અન્ય સાથે સંબંધ હોવાની શંકા પરથી મોતને ઘાટ ઉતારે કે સ્કૂલે જતો વિદ્યાર્થી સામાન્ય વાતે કોઈને છરી મારી દે એમાં સંવેદનાનો અભાવ જ વર્તાય છે. આવું પહેલાં ન હતું એવું નથી, પણ અત્યારે વાતાવરણમાં તામસીપણું અમસ્તું જ ઉભરાય છે. કોઈ જાણે ઠરીને વિચારવા જ રાજી નથી. સંવેદન રહિતતા અને સંવેદનહીનતા આપણી નસોમાં વહે છે તે આજનાં વ્યાવસાયિક શિક્ષણ અને નફાખોરીની જ ચાડી ખાય છે. જે વ્યવસાયમાં સંવેદનની જરૂર જ ન પડે એ માણસને નહીં, મશીનને જ મહત્ત્વ આપે છે. વ્યવસાય વ્યક્તિ માટે ને વ્યક્તિને લીધે હોય, તે જો માણસાઈનો જ છેદ ઉડાડે તો કોઈ પણ દુષ્કર્મ સત્કર્મમાં ખપાવી શકાય. અત્યારે જે પ્રમાણ ગુનાખોરીનું વધ્યું છે એમાં કેવળ નફાખોરી અને અમાનવીય વ્યવહાર જ કેન્દ્રમાં છે. વધારે શું કહેવું?

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 30 ઑગસ્ટ  2024

Loading

30 August 2024 Vipool Kalyani
← શું ધર્મ-ધમ્મ પરિષદ, શું પર્યુષણ વ્યાખ્યાનમાળા : ખરી કસોટી નાગરિક પરિમાણની ખીલવણીમાં
ઉમાશંકર જોશીની કાવ્યસૃષ્ટિ (૫)  →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved