Opinion Magazine
Number of visits: 9449321
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ગુજરાતમાં અર્વાચીનતાના સૂરજના છડીદાર : ફાર્બસ (11)

દીપક મહેતા|Opinion - Opinion|17 July 2024

૧૧

ગુજરાત બહાર ફાર્બસ ઓળખાય છે તે મુખ્યત્ત્વે ‘રાસમાળા’ના લેખક તરીકે. ૧૮૫૬માં લંડનની રિચર્ડસન બ્રધર્સ નામની પુસ્તક પ્રકાશક કંપનીએ આ પુસ્તક બે ભાગમાં પ્રગટ કર્યું હતું, અલબત્ત, તેના લેખક ફાર્બસને ખર્ચે. પુસ્તકમાં ફાર્બસે દોરેલાં ચિત્રો પણ મૂકવામાં આવ્યાં હતાં. તેમાંનાં કેટલાંક બ્લેક એન્ડ વ્હાઈટ હતાં, તો થોડાં બહુરંગી પણ હતાં. આ પુસ્તકનો વાચક વર્ગ મર્યાદિત જ રહેવાનો એ હકીકતથી ફાર્બસ પૂરેપૂરા સભાન છે. તેમ જ પોતાની મર્યાદાઓ પણ તેઓ સારી રીતે જાણે છે. આથી જ તેઓ પ્રસ્તાવનામાં કહે છે :

“આ પુસ્તકનો વિષય હિન્દુસ્તાન છે, બલ્કે તેના ય એક ચોક્કસ વિસ્તાર પૂરતો મર્યાદિત છે. એટલે સામાન્ય વાચકને તેમાં ભાગ્યે જ રસ પડે તેમ છે એ અંગે હું પૂરેપૂરો સભાન છું. એ વિષયનું નિરૂપણ કરવા માટે મારામાં જે ઉણપો રહેલી છે તેનાથી પણ હું સભાન છું. પણ ગુજરાતમાં કરેલો આઠ વર્ષનો વસવાટ, તાપીથી બનાસ વચ્ચેના ત્યાંના લોકો સાથેનો જાહેર તેમ જ અંગત સંબંધ, કદાચ મારે માટે થોડો લાભદાયક નીવડ્યો હોય એમ બને.”૨૪

ફાર્બસે દોરેલું ચિત્ર, રાસમાળા, આવૃત્તિ ૧, ૧૮૫૬ (પુસ્તકમાં બહુરંગી છાપ્યું છે.)

પ્રસ્તાવનામાં ફાર્બસે નિખાલસતાથી દલપતરામનો ઋણસ્વીકાર પણ કર્યો છે. કહે છે :

“મારે સારે નસીબે મને કવીશ્વર દલપતરામનો પરિચય પ્રમાણમાં વહેલો થયો. અને ૧૮૪૮થી મેં તેમની સેવાનો લાભ લેવાનું શરૂ કર્યું. ત્યારથી મારા આ સહકાર્યકર લગભગ સતત મારી સાથે રહ્યા છે. સ્થાનિક તવારીખો, રૂઢિઓ, હસ્તપ્રતો, અને લેખો મેળવવા માટે કે તેમની નકલ કરાવી લેવા માટે તેમણે ગુજરાતના ઘણા ભાગોનો પ્રવાસ કર્યો – અલબત્ત, તે માટેની સગવડો મેં તેમને કરી આપી હતી – તેને પરિણામે અમને ધીમે ધીમે સફળતા મળી.”૨૫

પહેલા ભાગની પહેલી આવૃત્તિનું મુખપૃષ્ઠ

હિન્દુસ્તાનનો, અને ખાસ કરીને ગુજરાત-મહારાષ્ટ્રનો ઇતિહાસ લખનારા બીજા લેખકો કરતાં ફાર્બસ એક મહત્ત્વની બાબતમાં જૂદા પડે છે. બીજા ઇતિહાસ લેખકોએ મોટે ભાગે મુસ્લિમ લખાણો, દસ્તાવેજો, વગેરેને આધારે ઇતિહાસ લખ્યો છે. જ્યારે ફાર્બસે મુખ્ય આધાર હિંદુ લેખકોનાં લખાણોનો તથા સ્થાનિક શીલા લેખો, દંતકથાઓ, વહીવંચાના ચોપડા, લોકકથાઓ, શિલ્પ-સ્થાપત્ય વગેરેનો લીધો છે. આ અંગે ઝવેરચંદ મેઘાણીએ યોગ્ય રીતે જ ફાર્બસની વિશિષ્ટતા બતાવતાં કહ્યું છે : “ગુજરાતની ઇતિહાસદૃષ્ટિને નવું જીવન શ્રી એલેક્ઝાન્ડર કિન્લોક ફાર્બસસાહેબે જ આપ્યું. ‘રાસમાળા’ના એ ચિરસ્મરણીય અંગ્રેજ કર્તાએ ગુજરાતના ઇતિહાસનું સંશોધન કરવા બેસતાં ઇતિહાસના બે ઉપેક્ષિત રક્ષકોને લક્ષ્યમાં લીધા : એક તો વહીવંચાઓને કે ચારણોને, અને બીજા જૂના જૈન પ્રબંધ લેખકોને. સાંપ્રદાયિક દ્વેષ અને વિદ્વત્તાનો ઘમંડ, એ બે જાતના આંખે પાટા બાંધીને બેસનાર દેશીઓ જે ન કરી શક્યા તે એક વિદેશી અમલદારે કર્યું, કેમ કે આ બેઉ અવગુણોથી તે મુક્ત હતો … તામ્રલેખો, શીલાલેખો તેમાં જ રીતસરની તવારીખ-નોંધોનો જ્યાં અભાવ વર્તે છે, ત્યાં આવા લોકકવિઓના રાસો અને પ્રબંધો ઇતિહાસના અન્વેષણ સારુ ઘણા માર્ગદર્શક થઇ પડે છે. ફાર્બસસાહેબે આવી સામગ્રીને આધારે ‘રાસમાળા’ રચી ગુજરાતના ઇતિહાસનું સ્પેડ વર્ક – પ્રાથમિક ખોદાણકામ તો કર્યું જ છે.” (પરિભ્રમણ, નવ સંસ્કરણ, ખંડ ૧, પા. ૫૩૨. લે. ઝવેરચંદ મેઘાણી; સંપાદકો જયંત મેઘાણી, અશોક મેઘાણી. ૨૦૦૯)

ફાર્બસના સંગ્રહમાની ‘જગદેવ પરમારની વાત’ની હસ્તપ્રત

અલબત્ત, ફાર્બસે બધો આધાર આ પ્રકારનાં સાધનો પર રાખ્યો નહોતો. તેમણે જ કહ્યું છે :

“મેં માત્ર લિખિત સાધનો પર જ બધો મદાર બાંધ્યો નથી. પણ હિન્દુઓના રીત રિવાજો, રૂઢિઓ વગેરેનાં અવલોકન અને અભ્યાસ કર્યાં છે અને મંદિરો, કૂવા-વાવ, ખાંભીઓ, પરનાં લખાણોની નકલો મેળવી છે અને શક્ય હોય તેટલા હિંદુ સ્થાપત્યોની મુલાકાત લઇ તેનો અભ્યાસ કર્યો છે.”૨૬  

ફાર્બસના સંગ્રહમાની ‘પૃથુરાજ રાસો’ની હસ્તપ્રતનું એક પાનું 

આ માટે જરૂર પડી ત્યાં સ્થાનિક લોકોની મદદ પણ તેમણે લીધી હતી. આવી મદદ કરનારાઓનો આભાર માનતાં તેમણે પ્રેમચંદ સલાટ તથા ત્રિભુવનદાસ અને ભૂધર દયારામ નામના બે સુતારોનો ખાસ ઉલ્લેખ કર્યો છે. હું તો મોટો સાહેબ છું અને મને તો બધી વાતની ખબર છે એવા આડંબર સાથે ફાર્બસે આ પુસ્તક લખવાનું કામ હાથમાં લીધું નહોતું. અંગ્રેજી ભાષા ન જાણતા હોય તેવા કારીગરો અને જાણકારોની મદદ લેતાં પણ તેઓ અચકાયા નહોતા. આ ઉપરાંત દલપતરામના બે નિબંધો – ભૂત નિબંધ અને જ્ઞાતિ નિબંધ – નો પણ તેમણે આધાર લીધો હતો અને તેનો પણ ઋણ સ્વીકાર પ્રસ્તાવનામાં કર્યો છે. હકીકતમાં પુસ્તકના ચોથા ખંડનાં પહેલાં ત્રણ પ્રકરણો જ્ઞાતિ નિબંધને આધારે તથા પ્રકરણ ૯ અને ૧૦ ભૂત નિબંધને આધારે લખાયાં છે.

આપણે અગાઉ જોયું તેમ રાસમાળા લખવા માટે જ નોકરીમાંથી ખાસ રજા લઈને ફાર્બસ બ્રિટન પાછા ગયા હતા. પણ આનો બીજો એક ફાયદો તેમને થયો. જે એ વખતે હિન્દુસ્તાનમાં રહીને લખનારા બીજા કોઈ ઇતિહાસ લેખકને થયો નહોતો. ઇન્ડિયા હાઉસમાંના દસ્તાવેજો જોવાની પરવાનગી તેમણે ઈસ્ટ ઇન્ડિયા કંપની પાસેથી મેળવી હતી જેને પરિણામે તેમનું લખાણ વધુ શ્રદ્ધેય બન્યું હતું. ફાર્બસ કહે છે : “ભલે મર્યાદિત સમય માટે, પણ હું ઇંગ્લન્ડ પાછો આવ્યો અને ઇસ્ટ ઇન્ડિયા કંપનીના માનનીય ડિરેક્ટરોએ કંપનીના દસ્તાવેજો જોવાની મંજૂરી આપી તેથી મારા પરિશ્રમના ફળને હું વધુ વ્યાપક રૂપ આપી શક્યો છું.”૨૭

આ બધા ઉપરથી એટલું તો સ્પષ્ટ થાય છે કે ‘રાસમાળા’ લખવા માટે માત્ર દલપતરામે એકઠી કરી આપેલી સામગ્રી પર જ ફાર્બસે બધો મદાર નહોતો બાંધ્યો.

કવિ નાનાલાલે દલપતરામનું જે વિસ્તૃત જીવન ચરિત્ર લખ્યું છે તેમાં તો એવી છાપ ઊભી કરવાનો પ્રયત્ન કર્યો છે કે દલપતરામે પહેલાં ગુજરાતીમાં ‘રાસમાળા’ પુસ્તક લખ્યું અને ફાર્બસે તો કેવળ તેનો અંગ્રેજી અનુવાદ કર્યો. ફાર્બસની સૂચના પ્રમાણે ગુજરાતી તેમ જ ડિંગલમાં લખાયેલી કૃતિઓની નકલ દલપતરામ ચોપડાઓમાં કરતા હતા અથવા કરાવી લેતા હતા. નાનાલાલે આ જીવન ચરિત્ર લખ્યું ત્યારે તેમને આ ચોપડાઓ હાથવગા હશે. આ ચોપડાઓમાં લખેલાં કેટલાંક લખાણો સાથે તેઓ ફાર્બસની અંગ્રેજી રાસમાળાના લખાણની સરખામણી કરે છે અને એવા નિષ્કર્ષ પર આવે છે કે રાસમાળા લખવાનું ખરું શ્રેય તો દલપતરામને ફાળે જવું જોઈએ. એ પુસ્તકના બીજા ભાગમાં દલપતરામ અને ફાર્બસ વચ્ચેના છેલ્લા મેળાપનું વર્ણન નાનાલાલ કરે છે. “છેલ્લે દિવસે રાસમાળાના અસલ દલપત લખ્યા ગુજરાતી પ્રકરણોના બે ચોપડા, જાણે જગત ઉંબરે ઊભી દલપત ભણાવ્યું દલપતરામને પાછું સોંપતો હોય તેમ દલપતરામને પાછા આપીને ફારબસે કહ્યું કે આ પ્રકરણો ગોઠવીને યથાસ્થિત છપાવાય તો મારાં બધાં કામ પૂરાં થયાં હું લેખીશ. એ ચોપડા તે દલપત રાસમાળા, જેના ઉપરથી ફારબસ રાસમાળા લખાઈ ને છપાઈ.” (કવીશ્વર દલપતરામ, ભાગ ૨, ઉત્તરાર્ધ, પા. ૧૧૨-૧૧૩)

પણ આ તો એક પિતૃભક્ત કવિની અહોભાવ પ્રેરિત કલ્પના છે, તેને હકીકત સાથે ભાગ્યે જ કશી લેવાદેવા છે. ફાર્બસે જે બે ચોપડા દલપતરામને પાછા આપ્યા હતા તે ફાર્બસના અવસાન પછી થોડા વખતે દલપતરામે ‘ગુજરાત વર્નાક્યુલર સોસાયટી’ના સેક્રેટરી ટી.બી. કર્ટિસને સોંપ્યા હતા. સોસાયટી તેને પુસ્તક રૂપે પ્રગટ કરે એવી દલપતરામની ઈચ્છા હતી. દલપતરામે આ પુસ્તકની પ્રસ્તાવના પણ લખી રાખી હતી જેમાં તેમણે તેને ‘ગુજરાતી રાસમાળા’  તરીકે ઓળખાવ્યું હતું. પણ સોસાયટીએ તે પ્રગટ કરવાને બદલે ૧૮૬૮માં એ બે ચોપડા ‘ફાર્બસ ગુજરાતી સભા’ને મોકલી આપ્યા. ૧૮૯૮ના માર્ચની ૨૫મી તારીખે ૭૮ વર્ષની વયે દલપતરામનું અવસાન થયું ત્યાં સુધી ‘ફાર્બસ ગુજરાતી સભા’એ એ ચોપડા પુસ્તક રૂપે છપાવ્યા નહિ. તેનું એક કારણ સંસ્થાની નાજુક આર્થિક પરિસ્થિતિ હતું. પણ બીજું કારણ એ પણ હોવાનો સંભવ છે કે ‘ગુજરાતી રાસમાળા’ તરીકે આ સામગ્રી પ્રગટ કરી શકાય એમ નથી એવું સંસ્થાના જાણકાર સંચાલકોને લાગ્યું હોય. તો બીજી બાજુ સંસ્થાએ અંગ્રેજી રાસમાળાનો ગુજરાતી અનુવાદ રણછોડભાઈ ઉદયરામ પાસે કરાવી ૧૮૬૯માં બે ભાગમાં પ્રગટ કર્યો હતો.

e.mail : deepakbmehta@hotmail.com

Loading

17 July 2024 Vipool Kalyani
← गोली की बोली 
Rahul Gandhi’s Hinduism versus BJP-RSS’s Hindutva →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved