Opinion Magazine
Number of visits: 9449039
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ચા કરતાં કીટલી ગરમ…

રવીન્દ્ર પારેખ|Opinion - Opinion|24 June 2024

રવીન્દ્ર પારેખ

એન.ડી.એ.ની સરકાર રચાયા પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદી વારાણસી પહોંચ્યા, ત્યારે ત્યાંની સંબંધિત નેતાગીરીને પોતાની ઘટેલી લીડ અંગે પૂછ્યું કે બધું જ આપણું હતું તો આમ કેમ થયું? તેમણે ફરીથી લોકોમાં જઈને કામ કરવા સૂચવ્યું. કોઈ બળાપો ન કાઢ્યો કે ન તો મતદારોનો વાંક કાઢ્યો. 2019માં મળેલી 303 સીટ પરથી 2024માં 240 પર આવી જવાનું આશ્ચર્ય ન થાય એવું તો ન બને, પણ એ પછી એન.ડી.એ.ની સરકાર સફળતાપૂર્વક રચાઈ તે હકીકત છે. એક તરફ ચંદ્રાબાબુ નાયડુ અને નીતીશકુમારનો ટેકો લીધો હોય ને બીજી તરફ મુખ્ય ખાતાંઓ ભા.જ.પ.ની પાસે જ હોય એવી યોજના કરવાનું સહેલું નથી. આમ તો 400 પાર-ની ધારણાને ધક્કો બેઠો હોય ને બહુમત પણ ન મળ્યો હોય, એવામાં સરકારને ગતિમાં મૂકવામાં વડા પ્રધાનની કુનેહ ને સ્વસ્થતા જ કામ કરી ગઈ છે.

પણ, કમનસીબે છેલ્લી ચૂંટણીમાં આવેલાં પરિણામોથી કેટલાક વિજેતા સાંસદો ઘવાયા છે. એ ખરું કે પૂરતા મત મળ્યા હોત, તો ભા.જ.પે. 240 પર અટકવાનું કોઈ કારણ ન હતું, પણ જનાદેશ જ એવો રહ્યો કે એકલી ભા.જ.પ.ની સરકાર ન બને. એ બન્યું એમાં હિન્દુઓ જ એવું ઇચ્છતા હતા કે એન.ડી.એ.ની સરકાર બને. એ જો બહુમતની સરકાર ઇચ્છતા હોત તો બધા હિન્દુઓએ મત આપ્યા હોત, પણ એવું ન થયું. એવે વખતે કોઈને પણ દોષી ગણવાને બદલે એ જાણવાની કોશિશો થવી જોઈએ કે મત ઓછા કેમ પડ્યા? મતદાતાઓને મોટી મોટી યોજનાઓ, રસ્તાઓ, વિદેશમાં થતી ભારતની પ્રશંસા વગેરે ગમતું ન હતું? ગમતું તો હતું, પણ સાધારણ માણસની નજર તો વધતા ભાવ અને બેકારી પર જ વધુ રહે. એટલે જેમને એની અપેક્ષા હતી, એમનો હાથ મત આપતા તંગ થયો હોય એમ બને.

જૂનાગઢ લોકસભાની બેઠક પર ત્રીજી વાર વિજેતા બનનાર ભા.જ.પ.ના સાંસદ રાજેશ ચૂડાસમાએ આભાર દર્શનના કાર્યક્રમમાં ઉપસ્થિતોને રોકડું પરખાવ્યું કે છેલ્લી બે ટર્મનાં 10 વર્ષ દરમિયાન તમને જે ખાટા ઓડકારો આવ્યા છે તે આગામી પાંચ વર્ષમાં નહીં આવવા દઉં. ભા.જ.પ. એનો હિસાબ કરે કે ન કરે, પણ જેઓ મને નડ્યા છે એમને આવતાં પાંચ વર્ષમાં હું મૂકવાનો નથી. લોકસભાની ચૂંટણીમાં તાલાલા વિધાનસભા બેઠક પર ચૂડાસમાને માત્ર 33 મતની જ લીડ મળી તે તેમના આક્રોશનું કારણ છે. આ બેઠક પર ભા.જ.પ.ને 2019માં 12,000 મતની લીડ મળી હતી અને વિધાનસભા 2022માં તો 22,000 મતની લીડ મળી હતી. એની સામે 2024માં માત્ર 33 મતની લીડ મળે તો કોઈ પણ ઉશ્કેરાય. આમ થવાનું એક કારણ આ વખતની ચૂંટણીમાં જૂથવાદ સપાટી પર આવ્યો તે પણ છે. 2019માં 12,000 મતની લીડ ચૂડાસમાને કાઁગ્રેસના ભગવાન બારડ સામે મળી હતી, પણ તે પછી ભગવાન બારડ પક્ષપલટો કરીને ભા.જ.પ.માં આવ્યા. આ ભરતીને કારણે ભા.જ.પ.ના પાયાના કાર્યકરો નારાજ થયા ને તેને કારણે ભા.જ.પ.ની લીડ 33 પર આવી હોવાનું રાજકીય વિશ્લેષકો માને છે. ચૂડાસમાએ એ આશ્વાસન લેવું જોઈએ કે ભલે 33 મતે, પણ જીત તો થઈ, નહિતર 33 મતે હાર પણ થઈ હોત. રાજેશ ચૂડાસમાની જેમ જ અમરેલીના સાંસદ ભરત સૂતરિયાએ પણ પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ કરનારને સુધરી જવા ટકોર કરતાં કહ્યું કે આજે મારો વારો છે, તો કાલે તમારો પણ આવી શકે છે. આ ઉપરાંત ભા.જ.પ.ના પૂર્વ ધારાસભ્ય કાળુ વિરાણીનો એવો વીડિયો બહાર આવ્યો છે, જેમાં તેઓ મોબાઇલ પર એવી અપીલ કરે છે કે લોકસભાની ચૂંટણીમાં કાઁગ્રેસના ઉમેદવાર જેનીબહેન ઠુમ્મરને મત આપજો. અમરેલી રાજરમતોનું આવું કેન્દ્ર બન્યું હોય ત્યાં ભા.જ.પ.ની સ્થિતિ કેવી હોય તે સમજી શકાય એવું છે.

એક વાત બહુ સ્પષ્ટ છે કે પક્ષપલટુઓને ટિકિટ આપીને ભા.જ.પે. તેના જ વફાદાર કાર્યકરોનો અસંતોષ વધાર્યો છે. ભા.જ.પ.ની જીત થઈ, પણ લીડ ઘટી એ ભૂલવા જેવું નથી. કાઁગ્રેસમાંથી જવાહર ચાવડાને ભા.જ.પ.માં લીધા પછી કેન્દ્રીય મંત્રી બનાવાયા, પછી તેમને સાઈડ લાઇન કરી દેવાયા. માણાવદર પેટા ચૂંટણીમાં પણ એ સ્થિતિ કાયમ રહી અને કાઁગ્રેસમાંથી આવેલા અરવિંદ લાડાણીને ટિકિટ અપાઈ. દેખીતું છે કે જવાહર ચાવડાના ટેકેદારોને એ ન ગમે, એટલે ચૂંટણી દરમિયાન જવાહરભાઈના પુત્ર રાજ ચાવડાએ હિસાબ બરાબર કરવા વેપારીઓને કહ્યું ને એ વાત પક્ષ વિરોધી પ્રવૃત્તિમાં ખપી. આ વાતને ધ્યાને લઈ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ વંથલીના અભિવાદન સમારોહમાં નામ દીધા વગર જવાહર ચાવડાને ટાર્ગેટ કરીને ત્યાં હાજર સૌને પૂછ્યું કે ભા.જ.પ.નો કાર્યકર્તા પોતાનાં નામ પાછળ ભા.જ.પ. લગાડતો હોય તો તેણે ભા.જ.પ.નું કામ કરવું જોઈએ. આ વાતે જવાહરભાઇનો પિત્તો ગયો ને એમણે ફેસબુક પરથી ભા.જ.પ.નું નિશાન જ નહીં, તેને લગતી બધી માહિતી હટાવતાં કહ્યું કે મારી ઓળખને ભા.જ.પે. પોતાની ઓળખ બનાવી છે. ભા.જ.પ.માં રહીને ખેડૂતોના પ્રશ્નો માટે હું લડ્યો છું. સરકાર પાસેથી 600 કરોડ લેવાના થયા ત્યારે આંદોલન મેં કર્યું છે. ડાર્ક ઝોન હટાવવાનુ કામ કે 75,000ને બી.પી.એલ. કાર્ડનો લાભ મેં અપાવ્યો છે. જવાહરભાઈએ એ પણ માંડવિયાને પરખાવ્યું કે આ ચૂંટણી પહેલાં બોલ્યા હોત તો અર્થ હતો. બીજી તરફ ધારાસભ્ય અરવિંદ લાડાણીએ કમલમ્‌માં પત્ર લખીને એવી માંગ કરી કે પેટા ચૂંટણીમાં પક્ષવિરોધી પ્રવૃત્તિ કરવા બદલ જવાહર ચાવડા અને તેમના પુત્ર સામે પગલાં ભરવાં જોઈએ. તો, આ સ્થિતિ છે. ભા.જ.પ.માં આંતરિક વિવાદ શમવો જોઈએ. ભા.જ.પ. જીત્યું તો છે, પણ તેની લીડમાં ફરક પડવાનું મુખ્ય કારણ કાર્યકર્તાઓની અવગણના અને પક્ષપલટુઓનું બહુમાન છે. આ નીતિ નહીં બદલાય તો ભા.જ.પ.માં ડખા વધશે. આ વાત વિજેતાઓ ન સમજે ને મતદારોને દોષ તે પણ ઠીક નથી.

બિહારના જે.ડી.યુ. સાંસદ દેવેશચંદ્ર ઠાકુર સીતામઢી બેઠક પરથી ચૂંટણી જીતે તો છે, પણ માર્જિન ઓછો હોવાથી નારાજ છે. 2019માં તેમને અઢી લાખની લીડ મળી હતી, તે હવે ઘટીને એકાવન હજાર પર આવી ગઈ છે. તેમણે જાહેર કર્યું કે હવે તેઓ યાદવો અને મુસ્લિમોનાં કામ નહીં કરે. તેઓ કુશવાહા સમાજના મતો કપાવાથી પણ નારાજ છે. તેમની પાસે મુસ્લિમ સમાજની એક વ્યક્તિ કામ કરાવવા ગઈ તો તેમણે કહ્યું કે તમે લાલટેનને મત આપ્યો છે. હું તમારું કામ નહીં કરું. આર.જે.ડી.એ દેવેશનાં નિવેદન સામે વાંધો ઉઠાવતા કહ્યું કે આવા જનપ્રતિનિધિની સદસ્યતા સમાપ્ત થવી જોઈએ. સીતામઢીના પૂર્વ આર.જે.ડી. સાંસદ અર્જુન રાયે પણ કહ્યું કે ઠાકુરની આ વાત લોકશાહી અને બંધારણની વિરુદ્ધ છે, તેમણે એ ન ભૂલવું જોઈએ કે જીત્યા પછી તેઓ દરેકની સેવા કરવાના શપથ લે છે.

અંદામાન-નિકોબાર ટાપુના નવા ચૂંટાયેલા ભા.જ.પ.ના સાંસદ બિષ્ણુ પદ રેએ તો ધમકી આપતાં કહ્યું કે લોકોનાં કામ તો પૂરા થશે, પણ જેમણે અમને મત નથી આપ્યા તેમનું શું થશે? વિચારો. આ મામલે વિવાદ થતાં એવું ફેરવી તોળ્યું કે એમણે તો અગાઉની કાઁગ્રેસ સરકારના ગેરવહીવટ અને ભ્રષ્ટાચાર માટે કહ્યું હતું, બાકી નિકોબારી આદિવાસીઓ નિર્દોષ છે. તો, વડોદરાના ભા.જ.પ. પ્રમુખ વિજય શાહે તો નવા સાંસદ ડો. હેમાંગ જોશીના અભિવાદન સમારોહમાં શરમ મૂકીને ચોખ્ખું જ કહ્યું કે જે વૉર્ડમાંથી મત નથી મળ્યા ત્યાં કામ નહીં કરવાનું. બજેટના પૈસા એવા વિસ્તારો માટે ન વાપરો જ્યાંથી મત મળતા નથી. સબ કા સાથ સબ કા વિકાસ નહીં, પણ જેણે સાથ આપ્યો તેનો જ વિકાસ. જો કે, આ નિવેદન સંદર્ભે માંજલપુરના ભા.જ.પ.ના ધારાસભ્ય યોગેશ પટેલે એવી સ્પષ્ટતા કરવી પડી કે વડોદરા ભા.જ.પ. અધ્યક્ષનું માનવું અંગત હોઈ શકે છે, કાર્યકરો માટે તે માનવું ફરજિયાત નથી, ખરેખર તો જ્યાં મત ઓછા પડ્યા હોય એ વિસ્તારનાં કામ કરવાથી મત વધવાની શક્યતા છે, એટલે ભા.જ.પ. પ્રમુખના મત સાથે હું સંમત નથી.

એક તરફ પક્ષપલટુઓને અપાતા મહત્ત્વથી ભા.જ.પ. કાર્યકરોમાં તીવ્ર અસંતોષ છે ને તેની અસર પરિણામોમાં પણ દેખાય છે, તો બીજી તરફ મતદારોના અમુક ચોક્કસ વર્ગે પોતાને મત નથી આપ્યા, એને લીધે લીડ ઘટી છે એ વાતે ભા.જ.પી. વિજેતાઓ નારાજ છે ને જેના મત તેનાં કામ – એવી સમજ કેળવાઈ છે. આવી માનસિક્તાથી લોકોનાં કામ થાય કે ન થાય તે જુદી વાત છે, પણ એનાથી ભા.જ.પ.ને ભવિષ્યે નુકસાન થવાની શક્યતાઓ વધુ છે. મત નહીં, તો કામ નહીં – એમ કહેવામાં તો ધમકી સંભળાય છે ને એ યોગ્ય નથી. જે તે વિસ્તાર માટે બજેટ ફાળવાય છે તે મતદાનની ટકાવારી મુજબ ખર્ચવા નથી ફાળવાતું. બીજું, કે તે પક્ષનું ફંડ નથી, તે સરકારે ફાળવેલું છે ને સમગ્ર પ્રજા માટે તે છે, એટલે જેના મત, તેના કામ પૂરતું લિમિટેડ કરવાથી તો ભા.જ.પ. પોતાને માટેની નફરત વધારવાનું જ કામ કરશે. ભા.જ.પે. વધુ નમ્ર થવાની જરૂર છે, ત્યાં તુમાખી તો પરિસ્થિતિને વધુ બગાડશે એ સમજી લેવાનું રહે. એમ લાગે છે કે 2024નાં પરિણામોએ ઘણાંની આંખો ખોલી નાખી છે, તો ઘણાંની ખુલ્લી જ રહી ગઈ છે …

000

e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 24 જૂન 2024

Loading

24 June 2024 Vipool Kalyani
← યોગેન્દ્ર યાદવનું ચૂંટણી આકલન અલગ કેમ પડ્યું ?
મકાન →

Search by

Opinion

  • નેપાળમાં અરાજકતાઃ હિમાલયમાં ચીન-અમેરિકાની ખેંચતાણ અને ભારતને ચિંતા
  • શા માટે નેપાળીઓને શાસકો, વિરોધ પક્ષો, જજો, પત્રકારો એમ કોઈ પર પણ ભરોસો નથી ?
  • ધર્મને આધારે ધિક્કારનું ગુજરાત મોડલ
  • ચલ મન મુંબઈ નગરી—306
  • રૂપ, કુરૂપ

Diaspora

  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !
  • ‘તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ !’

Gandhiana

  • સ્વરાજ પછી ગાંધીજીએ ઉપવાસ કેમ કરવા પડ્યા?
  • કચ્છમાં ગાંધીનું પુનરાગમન !
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • અગ્નિકુંડ અને તેમાં ઊગેલું ગુલાબ
  • ડૉ. સંઘમિત્રા ગાડેકર ઉર્ફે ઉમાદીદી – જ્વલંત કર્મશીલ અને હેતાળ મા

Poetry

  • બણગાં ફૂંકો ..
  • ગણપતિ બોલે છે …
  • એણે લખ્યું અને મેં બોલ્યું
  • આઝાદીનું ગીત 
  • પુસ્તકની મનોવ્યથા—

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?
  • Attempts to Undermine Gandhi’s Contribution to Freedom Movement: Musings on Gandhi’s Martyrdom Day

Profile

  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ
  • સાહિત્ય અને સંગીતનો ‘સ’ ઘૂંટાવનાર ગુરુ: પિનુભાઈ 
  • સમાજસેવા માટે સમર્પિત : કૃષ્ણવદન જોષી
  • નારાયણ દેસાઈ : ગાંધીવિચારના કર્મશીલ-કેળવણીકાર-કલમવીર-કથાકાર

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved