૨૦૧૪માં નરેન્દ્ર મોદી બીજેપીને ૨૮૨ બેઠકો સાથે એકલા હાથે સત્તા સુધી પહોંચાડી શક્યા ત્યારે મને એક સંભાવના નજરે પડતી હતી કે જો સ્પષ્ટ બહુમતી સાથે બી.જે.પી. હિન્દુત્વ પ્લસ વિકાસલક્ષી શાસન (સબકા સાથ સબકા વિકાસ) પ્લસ સંસ્કારી તેમ જ ગરિમાપૂર્ણ શાસન આપશે, તો કમ સે કમ ૨૫ વરસ સુધી બી.જે.પી.નું રાજ નક્કી છે. નરેન્દ્ર મોદી પોતે ત્રણ મુદ્દત મેળવીને જવાહરલાલ નેહરુની પંક્તિમાં સ્થાન મેળવી શકે અને પછી બીજી બે મુદ્દત તેમના અનુગામીનું શાસન રહે. અત્યાર સુધી દેશની જનતાને પૂર્ણ બહુમતીવાળા હિંદુ શાસનનો અનુભવ નહોતો. કેટલાક સમાજશાસ્ત્રીઓ એમ માનતા હતા કે કોમી હુલ્લડો, રામમંદિર વગેરે એકલા હાથે સત્તા સુધી પહોંચવા માટેનાં સાધનો છે. એકવાર તેઓ સત્તા સુધી પહોંચી જશે એ પછી રાજકીય મજબૂરી તેમને મધ્યમમાર્ગે લઈ આવશે, જે રીતે સામ્યવાદીઓની બાબતમાં બન્યું હતું. બી.જે.પી.ને દક્ષિણમાં પહોંચવું છે, ઉદારમતવાદી સેક્યુલર નાગરિકોનો વિશ્વાસ સંપાદિત કરવાનો છે અને વિશ્વદેશોને પણ ખાતરી કરાવવાની છે કે હિન્દુત્વ કોમવાદી, પક્ષપાતી, અસંસ્કારી, માથાભારે અને લોકશાહી વિરોધી નથી. હિન્દુત્વ એટલે હિંદુ સંસ્કૃતિનું સમૃદ્ધિકરણ, કારણ કે ભારતીય સંસ્કૃતિનો પાયાનો પત્થર હિંદુ સંસ્કૃતિ છે. હિન્દુત્વવાદીઓને મન હિન્દુત્વ એ જ ભારતીયત્વ અને હિંદુ સાંસ્કૃતિક સમૃદ્ધિકરણ એ જ ભારતીય સાંસ્કૃતિક સમૃદ્ધિકરણ.
આમ જ થશે એની ખાતરી નહોતી, પણ સંભાવના લાગતી હતી. ખાતરી નહીં હોવાનું કારણ એ કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે ક્યારે ય તેના હિંદુ રાષ્ટ્રની વિભાવના કે રૂપરેખા ચોખ્ખા શબ્દોમાં લખીને દેશ સમક્ષ રજૂ નથી કરી. સો વરસમાં ક્યારે ય નહીં. ક્યારેક આમ બોલે અને ક્યારેક તેમ બોલે. તેઓ જ્યારે ભેદભાવરહિત, લોકતાંત્રિક પણ હિંદુ સાંસ્કૃતિક રાષ્ટ્રવાદની વાત કરતા ત્યારે ઉપર કહી એવી સંભાવના નજરે પડતી હતી, પરંતુ એ સાથે જ તેઓ પક્ષપાતયુક્ત અને હિન્દુસ્તાનમેં રેહના હો તો … એવી દાદાગીરીની ભાષામાં પણ બોલતા હતા એટલે ખાતરી નહોતી. આ સિવાય સીતારામ ગોયલ, રામ સ્વરૂપ, ગિરિલાલ જૈન, એક સમયે અરુણ શૌરી જેવા વૉઈસ ઑફ ઇન્ડિયા જૂથના કેટલાક વિદ્વાનો સંઘ અને હિન્દુત્વવાદીઓની મદદમાં ઉતર્યા હતા અને તેઓ એમ સમજાવવાનો પ્રયાસ કરતા હતા કે હિંદુ રાષ્ટ્રવાદ સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ છે અને તે સેક્યુલરિઝમ અને લોકશાહી વિરોધી નથી. ઊલટું કાઁગ્રેસનું અને બીજા કેટલાક પક્ષોનું મુસલમાનોનું તુષ્ટિકરણ કરનારું રાજકારણ સેક્યુલરિઝમની વિરુદ્ધ છે અને એ રીતે કોમવાદને પુષ્ટિ આપનારું છે. આ સિવાય હિંદુ હોવા માટે ગર્વ લેનારા પણ બીજાનો દ્વેષ નહીં કરનારા અનેક હિંદુઓ હતા જે એમ માનતા હતા કે અવિરોધી હિંદુ હોઈ શકે છે અને જો અવિરોધી હિંદુ હોઈ શકે તો અવિરોધી હિંદુ રાષ્ટ્ર શા માટે ન હોઈ શકે?
ટૂંકમાં ત્રણ કારણે સભાવના નજરે પડતી હતી. એક તો એ કે સંપૂર્ણ બહુમતી સાથે ભા.જ.પ. સત્તામાં આવશે એ પછી શાસનમાં ટકી રહેવા માટે વ્યવહારુ માર્ગ અપનાવશે અને મધ્યમમાર્ગે આવી જશે. લોકશાહીની આ ખૂબી છે. બીજું, સંઘ/ભા.જ.પ.ના નેતાઓ સમયે સમયે વિશ્વાસ કરવાનું મન થાય એવી ડાહીડાહી વાતો કરતા હતા અને ત્રીજું કારણ એ કે આમ તો સંઘની બહારના કેટલાક સંઘમિત્ર વિદ્વાનો સંઘ વતી સધિયારો આપતા હતા. આમ તેઓ સ્વતંત્ર રીતે કરતા હતા કે સંઘ વતી એ આપણે જાણતા નથી અને ક્યારે ય જાણી શકવાના પણ નથી. સીતારામ ગોયલ, રામ સ્વરૂપ અને ગિરિલાલ જૈન હયાત નથી અને અરુણ શૌરી આ વિષે બોલે એમ લાગતું નથી.
તો ૨૦૧૪માં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં બી.જે.પી.ને સ્પષ્ટ બહુમતી મળી અને કેન્દ્રમાં એકલા હાથે સરકાર રચી ત્યારે એવી એક સંભાવના નજરે પડતી હતી કે કદાચ નવા શાસકો હિન્દુત્વ પ્લસ સબકા સાથ સબકા વિકાસવાળું વિકાસલક્ષી શાસન પ્લસ માણસાઈવાળું ગરિમાયુક્ત શાસનનો માર્ગ સ્વીકારશે. અને જો તેમ બનશે તો ૨૫ વરસ તેઓ સહેજે શાસન કરી શકશે. બી.જે.પી. ખરા અર્થમાં રાષ્ટ્રીય પક્ષ બની જશે. પશ્ચિમના લોકશાહી દેશોમાં આવું બન્યું છે. ત્યાનાં એક સમયના ઝનૂની જમણેરી પક્ષો જમણેરી રહીને પણ સેક્યુલર ડેમોક્રેટિક પક્ષ તરીકે રાજકારણ કરે છે અને તેમાં કોઈ પ્રજા ભય નથી અનુભવતી. એમાં વળી બી.જે.પી. પાસે તો કાર્યકર્તાઓની ફોજ છે, જ્યારે કાઁગ્રેસ નેતાઓની પાર્ટી છે, એટલે બી.જે.પી.ની ઇનિંગ લાંબી નીવડી શકે છે.
પરંતુ આમ બન્યું નહીં. ઊલટું તેનાથી વિરુદ્ધ દિશાનું શાસન મળ્યું. જે વાતનો ડર હતો એ સાચો સાબિત થયો. ઉપર ગણાવ્યા એવા સંઘમિત્ર વિદ્વાનોમાંથી એકમાત્ર અરુણ શૌરી આજે હયાત છે અને તેઓ નરેન્દ્ર મોદીના શાસનની આકરી નિંદા કરી રહ્યા છે. મને ખાતરી છે કે રામ સ્વરૂપ, સીતારામ ગોયલ અને ગિરિલાલ જૈન આજે હયાત હોત તો તેઓ પણ ટીકા કરતા હોત. જે લોકો વૉઈસ ઑફ ઇન્ડિયા જૂથની લાઈન અપનાવીને અખબારોમાં કે સામયિકોમાં લખતા હતા એ લોકો મૂંગા થઈ ગયા છે અને લજવાય છે.
પણ લાખ રૂપિયાનો સવાલ એ છે કે નરેન્દ્ર મોદીએ અને તેમની સરકારે જે માર્ગ અપનાવ્યો, જે આર્થિક નીતિ અપનાવી, જે રાજકીય શૈલી અપનાવી, જે રાજકીય સભ્યતા અને સંસ્કૃતિ અપનાવી એ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને કબૂલ છે? જો નાકબૂલ હોય તો કોઈ બોલતું કેમ નથી? કે પછી બોલતા ગભરાય છે? સો વરસની તપશ્ચર્યા પર પાણી ફરી રહ્યું છે, પણ ડરના માર્યા ચૂપ છે એમ સમજવાનું? કે પછી તેમને આવું જ શાસન કબૂલ છે? હિંદુ રાષ્ટ્ર એટલે હિંદુઓનું માથાભારેપણું. સંસ્કાર, માનમર્યાદા, સભ્યતા અને માણસાઈની ઐસીતૈસી. આ સિવાય ચીતરી ચડે એ રીતની આત્મઘેલછા. હિંદુ ધર્મ મહાન, હિંદુઓ મહાન, ભારત દેશ મહાન, આપણો ઇતિહાસ મહાન, ભારતનું ભવિષ્ય મહાન જેવી વાતો કરવાની અને વર્તમાનમાં કશું જ નક્કર કરવાની જગ્યાએ મહાનતાના તાયફાઓ યોજવાના. વિકાસના નામે ભાઈબંધોનો વિકાસ કરવાનો અને તેમના વિકાસનું જે વળતર મળે એમાંથી અનુકૂળતા ખરીદવાની અને વિરોધીઓને કચડી નાખવાના. ધોરણસરનું શાસન કરવાની જગ્યાએ ઇવેન્ટો યોજવાની અને ચૂંટણીઓ લડવાની. ભારતના ઇતિહાસમાં નરેન્દ્ર મોદી એવા પહેલા વડા પ્રધાન છે જે દસ વરસથી ૩૬૫ દિવસ અને ચોવીસે કલાક ચૂંટણી જ લડે છે અને ચૂંટણી જીતવા માટે નરેન્દ્ર મોદી પોતાનું વજન (વગ) માપ્યા કરે છે. સત્તાની ભૂખ તેમને ભયમાં રાખે છે. ભયના કારણે તેઓ સભ્યતા અને મર્યાદા સાથે બાંધછોડ કરે છે અને વધારે દુ:શ્મનો પેદા કરે છે. વધારે દુ:શ્મનો વધારે ભય પેદા કરે છે અને વધારે ભય સત્તાની ભૂખ પેદા કરે છે. અત્યારે સત્તા તેમના માટે લોકકલ્યાણનું સાધન બનવાની જગ્યાએ સ્વરક્ષાની ઢાલ બની ગઈ છે.
આના માટે, આવા “મહાન” હિંદુ રાષ્ટ્ર માટે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે સો વરસ ખર્ચ્યા? કાં તો તેઓ સહન કરે છે અથવા તેમને આ જ અભિપ્રેત હતું. પણ કલ્પના કરો કે ભેદભાવરહિત અને વિકાસલક્ષી, માણસાઈયુક્ત અથવા માનવીય, અને એ સાથે જ હિંદુઅસ્મિતા માટે ગર્વ ધરાવનાર અને તેને સમૃદ્ધ કરનાર હિંદુ શાસનનો માર્ગ અપનાવ્યો હોત તો? તો પ્રારંભમાં કહ્યું તેમ ૨૫ વરસ તેઓ સહેજે શાસન કરી શકત. હસતા હસતા, પ્રેમથી અને મુસલમાનોના પણ મત મેળવીને. સો ટકા આમ બનવાનું હતું. પણ તેની જગ્યાએ આજે શું જોવા મળે છે? ૬૦ ટકા ભારત નફરત કરે છે, નિંદા કરે છે, તિરસ્કારે છે અને તેને માટેનાં તમામ કારણો તેમણે પોતે જ આપ્યાં છે. ચૂંટણી પલટાઈ ગઈ છે અને હારવાનો ડર લાગે છે. ખબર નથી, બી.જે.પી.નો પરાજય થશે કે નહીં, પણ સવાલ તો છે સો વરસનો થવા આવેલ સંઘ માટે. આને માટે સો વરસનું તપ કર્યું હતું? તેઓ હિંદુઓનાં કલ્યાણ માટે હિંદુઓને સંગઠિત કરતા હતા કે તેમને અસંસ્કારી અને માથાભારે બનાવવા માટે? સો વરસની ઉમંરે પહોંચેલા સંઘની દયા આવે છે.
પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 02 જૂન 2024