Opinion Magazine
Number of visits: 9506293
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

ભારતમાં લોકોને સરમુખત્યારશાહીનું આકર્ષણ કેમ છે?

રાજ ગોસ્વામી|Opinion - Opinion|7 May 2024

રાજ ગોસ્વામી

સામાન્ય લોકો, જે નિયમિત રીતે ચૂંટણીમાં વોટ આપવા જાય છે, તે રાજકારણથી ઉબાઈ ગયા છે? વિશ્વમાં જે રીતે લોકલુભાવનવાદ(પોપ્યુલિઝમ)નો ફેલાવો થઇ રહ્યો છે અને લોકશાહીમાંથી વિશ્વાસ ઓછો થઇ રહ્યો છે તે જોતાં એવું લાગે છે કે જનતાને રાજકીય સિદ્ધાંતો, મૂલ્યો, નૈતિકતા કે નિષ્પક્ષતા નિરર્થક લાગે છે કારણ કે એમાં નેતાઓનું તો ભલું થાય છે પણ જનતા ઠેરની ઠેર રહે છે.

દુનિયાના અનેક દેશોની જનતામાં એવી લાગણી ઘર કરી ગઈ કે લોકશાહી વધારે પડતી ઉદાર છે અને ઉદારતાવાદી શાસકો સાધારણ માણસો અને તેમની ભાવનાથી તદ્દન કપાઈ ગયેલા છે. બીજા અર્થમાં કહીએ તો લોકોમાં એવી માન્યતા મજબૂત બની કે ‘લોકો માટેની’ લોકશાહી અમુક લોકો માટે સીમિત રહી ગઈ છે.

લોકવાદનો પ્રવેશ અહીંથી થાય છે. લોકવાદ લોકશાહીનું જ શિર્ષાસન છે. લોકશાહીમાં, લોકોની લાગણીઓએ મૂલ્યો અને સિદ્ધાંતોની પરિપાટી પર ખરી ઉતરવું પડે, તો તેના પર અમલ થાય. લોકવાદમાં, જે મૂલ્યો અને સિદ્ધાંતો લોકોની લાગણીઓ પર ખરા ઉતરે, તેનો જ અમલ થાય.

દાખલા તરીકે, લોકશાહીમાં એક અપરાધીના માનવીય અધિકારોનું રક્ષણ કરવામાં આવે છે, પરંતુ લોકવાદમાં લોકો એવું માનતા હોય છે કે અપરાધનો ભોગ બનેલી વ્યક્તિના પણ માનવીય અધિકારો હોય છે એટલે અપરાધીને કાનૂની સહાય આપવાને બદલે તેને ગોળી મારી દેવી જોઈએ.

લોકોને કેમ લોકશાહીમાંથી વિશ્વાસ ઊઠી રહ્યો છે? કારણ કે લોકોમાં એવી માન્યતા ઘર કરતી જાય છે કે લોકશાહીમાં કશું કામ થતું નથી, નેતાઓ દુષ્ટ અને ભ્રષ્ટ છે, મુઠ્ઠીભર લોકોનાં ઘર ભરતાં રહે છે, કાનૂન નિષ્પક્ષ નથી, જેની લાકડી તેની ભેંસ જેવો નિયમ છે, ગરીબ લોકો વધુને વધુ ગરીબ થાય છે, ધનવાન લોકો વધુને વધુ ધનવાન થાય છે, બુનિયાદી સુવિધાઓ લોકો સુધી પહોંચતી નથી, સરકારી તંત્રને જનતાની કોઈ પડી નથી.

કદાચ એટલા માટે જ, ભારતના 85 ટકા લોકો દેશમાં મિલિટરી શાસન અથવા સરમુખત્યારશાહીની તરફેણ કરતા હોય તો એમાં આશ્ચર્ય ન થવું જોઈએ. વૈશ્વિક સ્તરે સામાજિક અને રાજકીય વલણોનો સર્વે કરતી અમેરિકા સ્થિત સંસ્થા ‘પ્યુ રિસર્ચ સેન્ટર’નો, વર્ષ 2023નો 24 દેશોનો એક સર્વે કહે છે કે આ બધા દેશોના લોકોને તેમના દેશનું તંત્ર જે રીતે ચાલે છે તેની સામે અનેક ફરિયાદો છે, પરંતુ તેમાં ભારતમાં જ સૌથી વધુ (85 ટકા) લોકોએ કહ્યું હતું કે કડક હાથે કામ લીધા વગર સુધારો નથી થવાનો.

આ સર્વેનું તારણ એ હતું કે પૂરી દુનિયામાં લોકો જનપ્રતિનિધિ લોકતંત્રને સૌથી શ્રેષ્ઠ શાસન વ્યવસ્થા ગણે છે, પરંતુ તે જે રીતે અસલમાં કામ કરે છે તેનાથી લોકો નિરાશ છે. આ સર્વે તો 24 દેશોમાં થયો હતો, પણ આપણે ભારતને લગતાં ચોંકાવનારાં અમુક તારણો જોઈએ. જેમ કે –

– લોકતાંત્રિક વ્યવસ્થા સૌથી ઉત્તમ છે તેવું માનતા ભારતીયોમાં 8 ટકાનો ઘટાડો થયો છે

– 67 ટકા ભારતીયોએ કહ્યું કે સરમુખત્યારશાહી હોવી જોઈએ

– 29 ટકા લોકોએ કહ્યું કે મિલિટરી શાસન ‘કંઇક અંશે’ સારું હશે

– 43 ટકા લોકોએ કહ્યું કે મિલિટરી શાસન ‘ઘણું સારું’ હશે

– 54 ટકા ભારતીયોએ કહ્યું કે જનપ્રતિનિધિઓ જનતાની ચિંતા નથી કરતા

સરમુખત્યાર શાસનનું એક દેખીતું નુકશાન એ છે કે તેમાં જનતાના હાથમાં સત્તા રહેતી નથી કારણ કે સરમુખત્યાર વોટ માંગવા નથી આવવાનો. તો પછી સવાલ એ ઊભો થાય કે લોકશાહીમાં સારા નેતાને ચૂંટવાની અને ખરાબ નેતાને ઘરે બેસાડવાની પોતાની સત્તાને જતી કરવા માટે લોકો કેમ તૈયાર થતા હશે?

તેનું કારણ તાર્કિક નહીં, મનોવૈજ્ઞાનિક છે. લોકતંત્રની અંદર, તીવ્ર ધ્રુવીકરણમાં વહેંચાઇ ગયેલા મતદારો તેમનાં હિતોના રક્ષણની વાત કરે તેવા નેતાને ચૂંટવા માટે થઈને લોકતાંત્રિક પ્રતિસ્પર્ધાને નેવે મુકવા તૈયાર થઇ જાય છે. બીજી રીતે કહીએ તો, લોકતંત્રની ખામીઓ જ સરમુખત્યાર નેતાઓને અવસર પૂરો પાડે છે કે તેઓ વધુને વધુ ધ્રુવીકરણ પેદા કરે જેથી લોકો પાસે તેમને ચૂંટવા સિવાય બીજો વિકલ્પ ન રહે, પછી ભલે એમાં લોકતંત્રનો બલિ ચઢતો હોય.

સરમુખત્યારશાહીમાં ઉપરથી નીચેનો અભિગમ હોય છે. સૈન્યની જેમ, ટોચનો નેતા આદેશ જારી કરે છે અને અધિકારીઓ મગજ ચલાવ્યા વગર તેનું પાલન કરવાનું હોય છે. એ નેતા કામ કરવા અને કરાવવા માટે કડક નિયમો, નીતિઓ અને પ્રક્રિયાઓ પર આધાર રાખે છે. તે કોઈને પૂછીને કે સલાહ મંત્રણા કરવાને બદલે સ્વતંત્ર રીતે નિર્ણયો લે છે.

સામાન્ય લોકોને આવા ‘રિઝલ્ટ ઓરિયંટેડ’ નેતાઓ ગમતા હોય તે સમજી શકાય છે કારણ કે જનતા માત્ર પોતાની જરૂરિયાતના દૃષ્ટિકોણથી વિચારતી હોય છે, અને તેને એવો પણ ભરોસો હોય છે કે તેની જરૂરિયાતો કાયમ માટે નેતાની પ્રાથમિકતા બની રહેશે. ઇતિહાસમાં ઊંધું પુરવાર થયું છે – જનતાની સેવા કરવા માટે એકહથ્થુ સત્તાને હાથમાં લેનારા નેતાઓ અંતત: પોતાનાં હિતોની રક્ષા કરતા થઇ જાય છે.  

અનેક ઉદાહરણો સાબિત કરે છે કે સરમુખત્યારોની સત્તા સકારાત્મક (જનતા લક્ષી) કામોમાં નથી વપરાતી. તે બીજા કોઈને કશું કામ નહીં કરવા દેવામાં વપરાય છે. એ અર્થમાં કડક માણસ વાસ્તવમાં કમજોર હોય છે; તે બીજા લોકોને કમજોર બનાવીને જ ટકી રહેતો હોય છે. 

લોકશાહીના ઘણા દોષ હશે, પરંતુ કમ-સે-કમ નેતાઓની ગરદન પર એટલી ઘૂંસરી તો રહે છે કે તેમને દર પાંચ વર્ષે જનતા પાસે વોટની ‘ભીખ’ માંગવા માટે આવવું પડે છે. લોકશાહી તેને ‘તમારો’ નેતા બનાવે છે. સરમુખત્યાર ‘તમારો’ બનીને નથી રહેતો. 

વિન્સ્ટન ચર્ચિલ દ્વિતીય મહાયુદ્ધમાં બ્રિટનના પ્રધાન મંત્રી હતા. યુદ્ધની શરૂઆતથી જ બ્રિટનનો સામનો નાઝી જર્મનીથી હતો. ચર્ચિલ ઉત્તમ નેતા ઉપરાંત એક સૈનિક અને યુદ્ધ રિપોર્ટર પણ હતા. ચર્ચિલના નેતૃત્વમાં બ્રિટન જર્મની સામે અડીખમ ઊભું રહ્યું એટલું જ નહીં, બ્રિટને કુનેહપૂર્વક અમેરિકા અને સોવિયેત સંઘ સાથે મોરચો બાંધ્યો હતો. યુદ્ધમાં જર્મનીનો પરાજય થયો પછી ચર્ચિલ બ્રિટનમાં હિરો બની ગયા હતા. 

1945માં, યુદ્ધ સમાપ્ત થયું તેના બે મહિનામાં ચર્ચિલે ચૂંટણી જાહેર કરી. તેમની કન્ઝર્વેટિવ પાર્ટીએ યુદ્ધમાં વિજયના નામે વોટ માંગ્યા, પણ જનતાએ, ચર્ચિલથી ઓછા લોકપ્રિય, લેબર પાર્ટીના ક્લેમેન્ટ એટલીને સત્તામાં ચૂંટ્યા. કેમ? બ્રિટિશ જનતાએ એવું નક્કી કર્યું હતું કે યુદ્ધ વિજેતા તરીકે ચર્ચિલ ગમે તેટલા મહાન હોય, શાંતિકાળ માટે તે અયોગ્ય છે, અને ઘરેલું સમસ્યાઓ માટે એટલી અને તેમની લેબર પાર્ટી વધુ ઉત્તમ છે. 

ચર્ચિલને આનું બહુ દુઃખ થયું હતું, પણ તેમને એમાં બોધપાઠ મળ્યો, અને થોડાં જ વર્ષોમાં ચૂંટણી જીતીને પાછા સત્તામાં આવ્યા.

સાર : જનનાયકોનો આપણે આદર કરવો જોઈએ, ભક્તિ નહીં. આદરમાં તેમને તેમની જવાબદારીનું ભાન રહે છે. ભક્તિમાં તેઓ પોતાને આલોચનાની પાર ગણે છે.

(પ્રગટ : “ગુજરાત મિત્ર” / “મુંબઈ સમાચાર” / “ગુજરાત મેલ”; 05 મે 2024)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

7 May 2024 Vipool Kalyani
← एक गांधीवाले का अवसान
લાલ ફૂલોવાળો સફેદ ડ્રેસ →

Search by

Opinion

  • Scrapyard – The Theatreની દસમી વર્ષગાંઠની ઉજવણી
  • ચલ મન મુંબઈ નગરી—313 
  • પ્રદૂષણ સૌથી મોટું હત્યારું તો છે સાથે અર્થવ્યવસ્થા માટે ઘાતક છે !
  • અતિશય ગરીબીને નાબૂદ કરનારું પ્રથમ રાજ્ય કેરાલા
  • સહૃદયતાનું ઋણ

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • રાજમોહન ગાંધી – એક પ્રભાવશાળી અને ગંભીર વ્યક્તિ
  • ભારતીય તત્ત્વજ્ઞાન અને ગાંધીજી 
  • માતા પૂતળીબાઈની સાક્ષીએ —
  • મનુબહેન ગાંધી – તરછોડાયેલ વ્યક્તિ
  • કચ્છડો બારે માસ અને તેમાં ગાંધીજી એકવારનું શતાબ્દી સ્મરણ

Poetry

  • ગઝલ
  • ખરાબ સ્ત્રી
  • ગઝલ
  • દીપદાન
  • અરણ્ય રૂદન

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved